M’Cheyne Bible Reading Plan
રાજા યોઆશ દ્વારા મંદિરનું પુન:નિર્માણ
24 યોઆશ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ સિબ્યા હતું. તે બેરશેબાની હતી. 2 યહોયાદા યાજકના જીવનકાળ દરમિયાન યોઆશે યહોવાને પ્રસન્ન કરવા પૂરાં ઉમંગ-ઉત્સાહથી કામ કર્યુ. 3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરાવ્યાં અને તેના પુત્રો અને પુત્રીઓ થયા.
4 યોઆશે યહોવાના મંદિરનો જીણોર્દ્ધાર કરવાનું નક્કી કર્યુ. 5 આથી તેણે યાજકોને અને લેવીઓને એકઠા કરીને કહ્યું, “યહૂદાના ગામેગામ જઇને બધા ઇસ્રાએલીઓ પાસેથી તમારા દેવ યહોવાના મંદિરની મરામત માટે વાર્ષિક પૈસા ઉઘરાવો. જાઓ, જલદી કરો.”
6 પણ લેવીઓએ કામમાં વિલંબ કર્યો. આથી રાજાએ મુખ્ય યાજક યહોયાદાને બોલાવ્યો અને કહ્યું, “તમે શા માટે યહોવાના સેવક મૂસાએ સાક્ષ્યમડંપ માટે ઇસ્રાએલના લોકો ઉપર નાખેલાં કર અને યહૂદા અને યરૂશાલેમમાં રહેતા લેવીઓ પાસેથી કર ઉઘરાવ્યો નથી?”
7 દુષ્ટ અથાલ્યાના અનુયાયીઓએ યહોવાના મંદિરને લૂંટી લીધું હતું. દેવના ભજનને માટે સમર્પિત કરેલા પાત્રો મંદિરમાંથી લઇ જઇને પૂજા માટે તેઓએ બઆલના મંદિરમાં મૂક્યાં હતા.
8 રાજાએ એક પેટી બનાવડાવીને યહોવાના મંદિરના દરવાજા બહાર મૂકાવી. 9 અને આખા યહૂદામાં અને યરૂશાલેમમાં લેવીઓએ એવો ઢંઢેરો પિટાવ્યો કે, યહોવાના સેવક મૂસાએ રણમાં ઇસ્રાએલીઓ પર જે કર નાખ્યો હતો તે લોકોએ લાવવો જોઇએ. 10 બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં. 11 પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી. 12 રાજા અને યહોયાદા એ રકમ દેવના મંદિરનાં કામ ઉપર દેખરેખ રાખનારા અધિકારીને સોંપી દેતા, તેમણે કડિયાઓ અને સુથારોને મંદિરના જીણોર્દ્ધાર માટે રોક્યા. લોખંડનું અને પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ મરામત કરવા માટે રોક્યા.
13 કારીગરો કામે લાગી ગયા અને તેમણે યહોવાના મંદિરના જીણોર્દ્ધારનું કામ પૂરું કર્યુ; તેમણે દેવના મંદિરને પહેલાનાં જેવું મજબૂત બનાવી દીધું. 14 બધું જ કામ પૂરું થતાં તેઓ વધેલાં નાણાં રાજાની અને યહોવાની આગળ લઇ આવ્યા, અને તેમાંથી મંદિરમાં પૂજા માટે વાપરવાના વાસણો અને બીજાં સોનાચાંદીના વાસણો મંદિર માટે બનાવડાવવામાં આવ્યાં. યહોયાદા જીવ્યો ત્યાં સુધી મંદિરમાં હંમેશા દહનાર્પણ અપાતાં રહ્યાં.
15 યહોયાદા ઘરડો થયો અને એકસોને ત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યો. 16 અને તેને રાજાઓ ભેગો દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. કારણ, તેણે ઇસ્રાએલમાં દેવની અને તેના મંદિરની સારી સેવા બજાવી હતી.
17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો, તેઓએ તેને ખોટી સલાહ આપી. 18 તે આગેવાનોએ તેમના વંશજોના દેવ યહોવાનું મંદિર છોડી દીધું અને અશેરાદેવીની, ને બીજાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેમના આ દોષને કારણે યહૂદા અને યરૂશાલેમ ઉપર યહોવાનો રોષ ઊતર્યો. 19 યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.
20 પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “‘શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.’”
21 પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો. 22 ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”
23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો. 24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી. 25 અરામીઓ યોઆશને સખત ઘવાયેલી હાલતમાં મૂકી ગયા અને ત્યાર પછી તેના પોતાના અમલદારોએ યાજક યહોયાદાના પુત્રના મૃત્યુનું વેર લેવા તેની સામે ગુપ્તયોજના ઘડી તેને પથારીમાં જ મારી નાખ્યો. આમ તે મરણ પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. જો કે રાજાઓના કબ્રસ્તાનમાં તો નહિ જ.
26 જે સેવકોએ તેની સામે કાવત્રું કરીને તેને મારી નાખ્યો હતો તેઓ આ બધાં હતાં; ઝાબાદ અને યહોઝાબાદ. આમ્મોની શિમઆથ તે ઝાબાદની માતા હતી અને યહોઝાબાદની માતા તે મોઆબેણ શિમ્રીથ હતી. 27 યોઆશનાં છોકરાની વિગતો, તેની સામે પ્રબોધકોએ ઉચ્ચારેલી અનેક ચેતવણીઓ, તેમજ તેણે કરાવેલી મંદિરની મરારત વગેરે વિષે રાજાઓના વૃત્તાંતના ગ્રંથમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા ગાદીએ આવ્યો.
બે સાક્ષીઓ
11 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર. 2 પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે. 3 અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”
4 આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે. 5 જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે. 6 તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.
7 જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે. 8 તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો. 9 દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે. 10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.
11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા. 12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.
13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)
સાતમું રણશિંગડું
15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે:
“આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે;
તે સદાસર્વકાળ રાજ કરશે.”
16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે. 17 તે વડીલોએ કહ્યું કે:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ.
તું તે એક છે, જે છે અને જે હતો.
હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે.
હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!
18 જગતના લોકો ગુસ્સે થયા હતા;
પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે.
હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે.
તારા સેવકોને, તે પ્રબોધકોને
તારા સંતો તથા નાના મોટા લોકોને
જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે,
જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”
19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.
યહોવાની દયા અને કરૂણા
7 રાજા દાર્યાવેશના અમલના ચોથા વર્ષના એટલે કે કિસ્લેવ મહિનાની ચોથી તારીખે ઝખાર્યાને યહોવાની વાણી સંભળાઇ. 2 હવે બેથેલ નગરના યહૂદી લોકોએ રાજાના મુખ્ય વહીવટી અધિકારી શારએસેર અને રેગમ-મેલેખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યરૂશાલેમમાં મોકલ્યું કે તેઓ યહોવાની કૃપા માટે વિનંતી કરે. 3 અને તેમના મંદિરના યાજકોને અને પ્રબોધકોને એવું પુછવા માટે મોકલ્યા હતા કે, “અમે ઘણા વર્ષથી કરતા આવ્યા છીએ તે પ્રમાણે પાંચમાં મહિને મંદિરના થયેલા વિનાશ માટે શોક પાળવો અને ઉપવાસ કરવો?”
4 ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું; 5 “જ્યારે તમે બેથેલ પાછા ફરશો ત્યારે તમારા સર્વ લોકોને અને તમારા યાજકોને કહો, બંદીવાસનાં સિત્તેર વર્ષ દરમ્યાન તમે ઓગષ્ટ અને ઓકટોબર મહિનામાં ઉપવાસ કરતા હતા. અને શોક પાળતા હતા ત્યારે શું તમે તમારા પાપોનો ત્યાગ કરીને મારી તરફ પાછા ફરવામાં પ્રામાણિક હતા? ના, તમે તેમ કર્યું નહોતું. 6 અને જ્યારે તમે ખાઓ છો અને પીઓ છો ત્યારે તમે તમારે પોતાને માટે જ ખાતાપીતા નથી? 7 જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?”
8 યહોવાની વાણી ઝખાર્યાને આ મુજબ સંભળાઇ:
9 “સૈન્યોનો દેવ યહોવા કહે છે:
‘સાચો ન્યાય આપો,
એકબીજા પ્રત્યે દયા
અને કરૂણા દર્શાવો.
10 તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ
અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે.
અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.’”
11 તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો,
તેઓ હઠીલા થઇને દૂર ગયા
અને મારું વચન ન સાંભળવા માટે
તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી.
12 સૈન્યોનો દેવે પવિત્ર આત્મા દ્વારા અગાઉના
પ્રબોધકોને પ્રેરણા કરી કે તેઓ દેવનાં વચનો
અને નિયમશાસ્ત્ર લોકોની આગળ પ્રગટ કરે,
પણ તે લોકોએ પોતાના હૃદય વજ્ર જેવા કઠોર બનાવી દીધાં,
જેથી પહેલાના પ્રબોધકો મારફતે નિયમો અને સંદેશા સાંભળવા ન પડે.
તેથી એમના પર સૈન્યોનો દેવ યહોવાનો ભયંકર કોપ ઉતર્યો.
13 સૈન્યોનો દેવ યહોવા કહે છે;
“મેં તેઓને જ્યારે બોલાવ્યા,
ત્યારે તેમણે નહોતું સાંભળ્યું;
તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો
ત્યારે મેં પણ ન સાંભળ્યું.
14 અને મેં તેમને વંટોળિયાની જેમ
અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં.
તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા
તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી.
એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.”
ઘેટાંપાળક અને તેનાં ઘેટાં
10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. 2 પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. 3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. 4 તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. 5 પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં. 20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”
યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ[a] નો સમય આવ્યો. 23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો. 24 યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25 ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે. 26 પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી. 27 મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે. 28 હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ. 29 મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ. 30 હું અને મારાં પિતા એક જ છીએ.”
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International