Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 15-17

15 “મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા! અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ?’ ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે:

“‘જેઓ રોગથી મૃત્યુ પામવાના છે
    તેમણે ત્યાં જવું,
જેઓ યુદ્ધમાં મૃત્યુ પામવાના છે
    તેમણે ત્યાં જવું,
જેઓ દુકાળથી મૃત્યુ પામવાના છે
    તેમણે દુકાળ તરફ જવું,
અને જેઓ બંદીવાસમાં જવા નિર્માયા છે
    તેમણે બંદીવાસમાં જવું.’
મેં એ લોકોને માટે ચાર
    પ્રકારના અંત નિર્માણ કર્યા છે.
તરવાર તેમનો સંહાર કરશે,
    કૂતરાં તેમને ફાડી ખાશે,
આકાશના પંખીઓ એમને ખાઇ જશે,
    અને બાકી રહ્યા તેમને જંગલી જાનવરો ખાઇ જશે.
હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે,
    હું તમને આકરી શિક્ષા કરીશ.
અને તમને કરવામાં આવેલી શિક્ષાને લીધે પૃથ્વીના
    સર્વ લોકો ભયભીત થશે.”

યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે,
    હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે?
    તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે?
તમે મારો ત્યાગ કર્યો છે
    અને મારા તરફ પીઠ કરી છે;
તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને
    હું તમારો વિનાશ કરીશ.
    દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.”
આ યહોવાના વચન છે.
“પ્રદેશના દરવાજા આગળ
    મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે;
મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે;
    કારણ કે તેઓએ પોતાના સર્વ
    દુષ્ટ માર્ગો તજીને મારા તરફ પાછા ફર્યા નથી.
અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે.
    મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે;
અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે;
    મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે.
સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે,
    શ્વાસ લેવા માટે હવાતિયાં મારે છે.
તે દિવસે તેને અંધારાં દેખાય છે,
    તેની શરમ અને નામોશીનો પાર નથી.
તમારામાંથી જેઓ હજુ પણ જીવતાં હશે,
    તેઓનો હું તમારા શત્રુઓ દ્વારા સંહાર કરાવીશ.”
આ યહોવાના વચન છે.

યર્મિયાએ ફરી દેવને ફરિયાદ કરી

10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો!
    મારે દેશમાં બધા સાથે ઝગડો
તથા તકરાર કરવાં પડે છે!
    મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે,
નથી કોઇને ઉછીનું આપ્યું,
    તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?
11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી?
    મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા,
    દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?”

દેવે યર્મિયાને જવાબ આપ્યો

12 “શું કોઇ માણસ સળીયા
    એટલે ઉત્તરના દેશનાં લોખંડ
તથા કાંસુ ભેળવીને
    બનાવેલા સળીયા ભાંગી શકે?
13 હું તમારી મિલકતોને
    અને ખજાનાઓને લૂંટાવી દઇશ.
લોકોએ આના માટે કશું ભરવું નહી પડે.
    આનુ કારણ એ છે કે આખા દેશમાં
    તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ.
14 હું તમને અજાણ્યા દેશમાં
    તમારા દુશ્મનોના ગુલામ બનાવી દઇશ,
કારણ મારો ક્રોધ તમારી પર ભભૂકી ઊઠયો છે
    અને મારો ક્રોધ જેને ઓલવી ન શકાય
    તેવો ભડભડતા અગ્નિ જેવો છે.”

15 યર્મિયાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો,
    મને યાદ કરો ને મદદ કરો,
મને સતાવનારા પર વૈર લો.
    જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો,
ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા,
    જુઓ તો ખરા,
તમારે ખાતર
    હું કેટકેટલાં અપમાન સહન કરું છું!
16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે;
    મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે,
તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે.
    હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.
17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી.
    તમે મને બનાવ્યો છે
અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે
    તેથી હું અળગો રહ્યો છું.
18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી,
    મારો ઘા અસાધ્ય કેમ છે,
રુઝાતો કેમ નથી?
    તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે.
    કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”

19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ
    તો હું તને મારી સેવામાં પાછો રાખીશ.
તું જે કહે તે નિરર્થક નહોતાં,
    યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ.
લોકો વળીને તારી પાસે આવવા જોઇએ,
    પણ તારે તેમની પાસે જવાનું નથી.
20 હું તને એ લોકો સામે પિત્તળની
    ભીંત જેવો બનાવી દઇશ,
તેઓ તારી સામે લડશે
    પણ તને હરાવી નહિ શકે.
કારણ, તારું રક્ષણ કરવા
    અને તને બચાવવા
હું તારી સાથે જ છું.”
    આ યહોવા વચન છે.
21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ
    અને જુલમગારોના પંજામાંથી મુકત કરાવીશ.”
આ યહોવાના વચન છે.

સર્વનાશ વિષેનું ભાવિકથન

16 બીજા એક પ્રસંગે મને યહોવાની વાણી સંભળાઇ; “તારે આ જગ્યાએ લગ્ન કરવા નહિ, કે છોકરાં વાળા ન થવું.”

કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે, “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, કોઇ તેઓને માટે ચિંતા કરશે નહિ કે તેઓને દફનાવશે નહિ, પરંતુ તેઓના મૃતદેહો ખુલ્લા મેદાનમાં પડ્યા રહેશે અને ભોંય પર સડી જઇ ખાતરરૂપ થશે. તેઓ યુદ્ધ કે દુકાળમાં મૃત્યુ પામશે અને તેઓના મૃતદેહોને પંખીઓ અને પશુઓ ફાડી ખાશે.”

“જે ઘર શોકમાં હોય ત્યાં જઇશ નહિ. તેમના શોકમાં ભાગ લેવા કે, તેમને આશ્વાસન આપવા જઇશ નહિ.” આ યહોવાના વચન છે.

“કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે. કોઇ તેને સાંત્વન આપવા શોક કરનારની સાથે ખાશે નહિ કે પીશે નહિ, પછી ભલે ને તેનાં માબાપ મૃત્યુ પામ્યા હોય.

“જે ઘરમાં ખાવાપીવાની ઉજાણી ચાલતી હોય ત્યાં જઇને ખાવાપીવા બેસી જઇશ નહિં. કારણ, મેં ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘હું અહીં આ દેશનાં સર્વ હાસ્યનો, આનંદના ગીતોનો, લગ્ન ઉત્સવોનો તથા વર-કન્યાનાં ગીતોનો અંત લાવીશ.’

10 “જ્યારે તું આ લોકોને આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી ઘોર આફતો આપણે માથે નાખવાનું શાથી નક્કી કર્યું છે? આપણો શો અપરાધ છે? આપણે આપણા દેવ યહોવાનો શો ગુનો કર્યો છે?’ 11 ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું. 12 અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા આચરો છો! તમારા હૃદયની ઇચ્છાઓ સંતોષાય ત્યાં સુધી તમે દુષ્ટતાની પાછળ જાઓ છો અને મને આધીન થવાનો ઇન્કાર કરો છો. 13 આથી હું તમને આ દેશમાંથી ઉખાડી; તમને અને તમારાં પિતૃઓને અજાણ્યા દેશમાં ફગાવી દેનાર છું. ત્યાં તમે રાતદિવસ વિદેશી દેવોને ભજ્યા કરજો. કારણ, હું તમારા પર દયા રાખવાનો નથી.’”

14 યહોવા કહે છે, “જુઓ, હવે એ સમય આવે છે જ્યારે લોકો સોગંદ લેતી વખતે ક્યારેય નહિ કહે કે જેવી રીતે ચોક્કસ પણે યહોવા જીવે છે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો. 15 પણ તેઓ કહેશે જેમ ચોક્કસ પણે યહોવા જીવીત છે તેમ ઇસ્રાએલીઓને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેઓને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાના સમ! કારણકે, મેં તેમના પૂર્વજોને ભૂમિ આપી હતી તેમાં જ હું તેમને પાછા લાવીશ.”

16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે. 17 કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી. 18 હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”

19 હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર,
    મારું સાર્મથ્ય તથા મારો ગઢ,
સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે,
    “અમારા વડીલો મૂર્ખ હતા,
કારણ કે તેઓએ જૂઠા દેવોની
    તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.
20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે?
    માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.”

21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે,
    તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ
અને હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’
    તેવું તેઓને સમજાવીશ.”

હૃદય પર લખેલ પાપ

17 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી
    તથા હીરાકણીથી લખેલું છે;
તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે
    અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
કારણ કે તેઓના પુત્રો ઊંચા
    પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે
તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો
    અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.
અરે, ખેતરમાંના મારા પર્વત,
    તમારાં સર્વ પાપોની કિંમત રૂપે
હું તમારી સર્વ સંપત્તિ
    તમારા શત્રુઓને આપી દઇશ.
મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો.
    દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે,
જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં
    હું તમને મોકલી આપીશ.
તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે
    અને તે સદાકાળ સળગતો રહેશે.”

લોકોમાં શ્રદ્ધા અને દેવમાં શ્રદ્ધા

આ યહોવાના વચન છે,
“એને શાપિત જાણજો જે મારાથી
    વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે,
    જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!
તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે.
    જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે
    એવી ખારી જમીનમાં ઊભો છે
અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.
પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે
    અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.
તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે,
    જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે;
તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી;
    એનાં પાંદડા લીલાછમ રહે છે.
દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી,
    તે ફળ આપતું જ રહે છે.

“માણસના મન જેવું કઇં કપટી નથી;
    તે એવું તો કુટિલ છે કે
    તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.
10 માત્ર યહોવા તે જાણે છે,
    યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે.
અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે.
    જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે
તેણે કેવું જીવન વીતાવ્યું છે
    તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે.
11 અન્યાયને માર્ગે ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે
    પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે.
અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે;
    આખરે તે મૂરખ ઠરશે.”

12 પરંતુ આપણું મંદિર,
    આપણો આશ્રય તો અનાદિ કાળથી
    ઉચ્ચસ્થાને મૂકેલું મહિમાવંત સિંહાસન છે.
13 હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે,
    જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે,
ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે,
    કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.

યર્મિયાની ત્રીજી ફરિયાદ

14 હે યહોવા, તમે જો મને સાજો કરો,
    તો હું સાચે જ સાજો થઇ જઇશ.
    મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.
15 લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે,
    “યહોવાના વચનો ક્યાં ગયા?
    જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!”

16 યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં
    આગ્રહ કર્યો નથી,
    મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી,
એ તમે જાણો છો;
    મારે મોઢેથી શું નીકળ્યું
    હતું એની તને ખબર છે.
17 મને ભયભીત ન કરશો.
    તમે તો સંકટ સમયના મારા આશ્રય છે.
18 મારા જુલમગારો પર તમે મૂંઝવણો
તથા મુશ્કેલીઓ લાવો,
    પરંતુ મને શાંતિ આપો,
હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો.

સાબ્બાથ દિવસને પવિત્ર ગણવો

19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.

20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો. 21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ. 22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો. 23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.’”

24 યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.

25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે. 26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે.

27 “‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.’”

2 તિમોથી 2

ખ્રિસ્ત ઈસુનો વફાદાર સૈનિક

તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા. મેં જે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે. બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે. તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ. જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ. પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે. આપણને જે મુશ્કેલીઓ પડે છે તેમાં તું સહભાગી થા. ખ્રિસ્ત ઈસુના એક સારા સૈનિકની જેમ એ મુશ્કેલીઓ તું સ્વીકારી લે. જે માણસ સૈનિક હોય તે પોતાના ઉપરી અધિકારીને ખુશ રાખવાની ઇચ્છા ધરાવે છે. તે પોતાની રોજીંદી જીવનમાં પોતાનો સમય વેડફતો નથી. જો કોઇ અખાડામાં હરીફાઇમાં ઊતરે તો, નિયમોના પાલન વિના તેને ઈનામ મળતું નથી. સખત પરિશ્રમ કરનાર ખેડૂતને તેના ઉગાડેલા અનાજમાંથી કેટલોક ભાગ મેળવવાનો પહેલો હક્ક છે. હું જે બાબતો કહું છું તેના પર તું વિચાર કરજે. આ બધી વાતો સમજવા માટે પ્રભુ તને શક્તિ આપશે.

ઈસુ ખ્રિસ્તને યાદ રાખ. તે દાઉદના સંતાનનો છે. ઈસુ મૃત્યુ પામ્યો પછી તેને મૂએલામાંથી ઉઠાડવામાં આવ્યો હતો. આજ સુવાર્તા હું લોકોને કહું છું. કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું. તેથી હું ગુનેગારની જેમ દુ:ખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે. પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી. 10 તેથી આ બધી મુશ્કેલીઓ હું ધીરજપૂર્વક સ્વીકારું છું. દેવે પસંદ કરેલા બધા લોકોને મદદ કરવા ખાતર હું આ કરું છું. હું આ યાતનાઓ એટલા માટે સ્વીકારું છું. જેથી એ લોકોનું ખ્રિસ્ત ઈસુમાં તારણ થાય. તે તારણથી જે મહિના પ્રાપ્ત થાય છે તે અનંત છે.

11 આ ઉપદેશ સાચો છે:

જો આપણે તેની સાથે મર્યા હોઇશું, તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા.
12 જો આપણે યાતનાઓ સ્વીકારીએ, તો આપણે પણ ઈસુની સાથે રાજ કરીશું.
જો આપણે ઈસુને સ્વીકારવાનો નકાર કરીએ, તો તે આપણને અપનાવવાનો નકાર કરશે.
13 આપણે જો વિશ્વાસુ નહિ હોઇએ, તો પણ તે તો વિશ્વાસુ જ રહેશે,
    કારણ કે તે પોતાની જાતને કદી બદલી શકતો નથી.

પસંદગી પામેલ કાર્યકર

14 લોકોને આ બધી વાતો કહેવાનું તું ચાલુ રાખજે. અને દેવ આગળ એ લોકોને તું ચેતવજે કે તેઓ શબ્દો વિષે દલીલબાજી ન કરે. શબ્દો વિષે દલીલબાજી કરનાર કઈજ ઉપયોગી કરી શકતો નથી. અને તે સાંભળનાર લોકોનો તો સર્વનાશ થાય છે. 15 દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.

16 દેવ તરફથી જે બાબતો કદી આવી જ નથી એવી વ્યર્થ વાતો કરનારા લોકોથી તું દૂર રહેજે. એવી વાતો માણસને દેવથી વધુ ને વધુ વિરૂદ્ધ કરનારી હોય છે. 17 તેઓની વાતો શરીરમાં જેમ રોગ ફેલાય છે તેમ અનિષ્ટ ફેલાવે છે. હુમનાયસ અને ફિલેતસ એવા માણસો છે. 18 તેઓએ સાચો ઉપદેશ ત્યજી દીધો છે. તેઓ તો એમ કહે છે કે મૃત્યુમાંથી લોકોનું પુનરુંત્થાન તો ક્યારનું થઈ ગયું છે. અને તેઓ બંન્ને કેટલાએક લોકોનો વિશ્વાસ નષ્ટ કરી રહ્યા છે.

19 પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”[a] દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”

20 મોટા ઘરોમાં સોના-ચાંદીની વસ્તુઓ હોય છે પરંતુ લાકડાની અને માટીની વસ્તુઓ પણ ત્યાં હોય છે. કેટલીક વસ્તુઓ વિશિષ્ટ હેતુ માટે વપરાય છે. બીજી અમુક વસ્તુઓ સાફસૂફી કે સ્વચ્છતા કરવા બનાવેલી હોય છે. 21 જો કોઇ વ્યક્તિ આ બધા જ દુષ્ટ કર્મોથી સ્વચ્છ બનશે તો ખાસ હેતુસર એ વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવશે. એ વ્યક્તિને પવિત્ર બનાવવામાં આવશે, અને સ્વામી તેનો ઉપયોગ કરી શકશે. કોઇ પણ સારું કામ કરવા એ વ્યક્તિ તૈયાર થશે.

22 જુવાન માણસને જે ખરાબ કામો કરવાનું મન થતું હોય છે તેવી બાબતોથી તું દૂર રહેજે. યોગ્ય રીતે જ જીવન જીવવાનો અને વિશ્વાસ, પ્રેમ, અને શાંતિ પ્રાપ્ત કરવાનો તું ખૂબ પ્રયત્ન કરજે. શુદ્ધ હ્રદયથી પ્રભુમાં વિશ્વાસ ધરાવતા લોકોની સાથે રહીને તું આ બધું કરજે. 23 અક્કલ વગરની અને મૂર્ખાઇભરી દલીલબાજીથી તું દૂર રહેજે. તું જાણે છે કે આવી દલીલોમાંથી મોટી દલીલબાજી જન્મે છે. 24 પ્રભુના સેવકે તો ઝઘડવું ન જોઈએ! તેણે તો દરેક વ્યક્તિ પ્રત્યે માયાળુ થવું જોઈએ. પ્રભુના સેવકે તો એક સારા શિક્ષક થવું જોઈએ. તે સહનશીલ હોવો જોઈએ. 25 પ્રભુના સેવકે તો તેની સાથે અસંમત થતા વિરોધીઓને નમ્રતાથી ઉપદેશ કરવો જોઈએ. શક્ય છે કે દેવ એવા લોકોને પસ્તાવો કરવા દે, જેથી તેઓ સત્ય સ્વીકારી શકે. 26 શેતાને એવા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને તેઓની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. પરંતુ શક્ય છે કે તેઓ જાગી જાય અને સમજે કે શેતાન તેઓનો દુરુંપયોગ કરી રહ્યો છે, અને અંતે શેતાનની માયાજાળમાંથી પોતાને મુક્ત કરાવે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International