Old/New Testament
યરૂશાલેમને દેવ મુકિત અપાવશે
37 જ્યારે હિઝિક્યા રાજાએ તે સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, શોક-કંથા ઓઢી લીધી અને પોતે યહોવાના મંદિરમાં ચાલ્યો ગયો.
2 તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ જ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
3 તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે. 4 આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”
5 તેથી રાજા હિઝિક્યાના મંત્રીઓ યશાયા પાસે આવ્યા. 6 પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, આ યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ. 7 હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.’”
આશ્શૂરના સૈન્યનું યરૂશાલેમ છોડી જવું
8 આશ્શૂરનો સંદેશવાહક પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા, લાખીશ છોડી જઇ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઇને મળ્યો. 9 ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે “કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે.”
એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે, 10 તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:
“‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ. 11 આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ ન કરી શક્યા? 12 ગોઝાન, હારાનનાં નગરો અથવા રેસેફ અથવા તલાસ્સારમાં રહેતા એદેનના લોકોને શું તેઓના દેવો બચાવી શક્યા? ના, 13 અને હમાથના રાજા, આર્પાદના રાજા અને સફાર્વાઇમ, હેના તથા ઇવ્વાહ નગરના રાજાઓનું શું થયું તે ભૂલી જશો નહિ.”
હિઝિક્યાની દેવને પ્રાર્થના
14 હિઝિક્યાએ કાસદો પાસેથી કાગળ લઇને વાંચ્યો કે તરત જ તેણે મંદિરમાં જઇને યહોવા સમક્ષ તેને ખુલ્લો મુક્યો. 15 પછી હિઝિક્યાએ યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 16 “હે સૈન્યોના દેવ યહોવા, કરૂબો પર બિરાજમાન, ઇસ્રાએલના દેવ, તમે જ પૃથ્વીનાં બધા રાજ્યોના એક માત્ર દેવ છો. તમે જ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યુ છે. 17 દેવ યહોવા, હવે અમને કાન દઇને સાંભળો. દેવ યહોવા, આંખ ઉઘાડીને જુઓ, સાન્હેરીબે તમારું જીવતા જાગતા દેવનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળો. 18 એ વાત સાચી છે, દેવ યહોવા, કે આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોની પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું છે. 19 તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ એ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો. 20 પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે જ એક માત્ર દેવ છો.”
દેવનો હિઝિક્યાને જવાબ
21 પછી આમોસના પુત્ર યથાયાએ હિઝિક્યા રાજાને આ સંદેશો મોકલાવ્યો: “ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબની વિરુદ્ધ કરેલી પ્રાર્થનાનો મારો પ્રત્યુત્તર આ મુજબ છે.’
22 “હે સાન્હેરીબ,
‘તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે,
તારી હાંસી ઉડાવે છે,
અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.
23 તેં કોને મહેણું માર્યું છે?
કોની નિંદા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે?
ને તિરસ્કારભરી ષ્ટિ કરી છે?
ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફ!
24 તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે;
તે કહ્યું છે કે, “મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે,
હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું.
લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું,
મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને
તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે,
મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા
અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
25 મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.”
26 “‘પણ શું તને ખબર નથી કે,
મેં ઘણા સમય અગાઉ આ બધી યોજના બનાવી હતી?
અને અત્યારે મેં એને હકીકત બનાવી છે.
મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.
27 ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત,
અને હાંફળાફાંફળા બની ગયા હતા.
અને વગડાના છોડ જેવા,
કુમળા ઘાસ જેવા,
છાપરા ઉપર ઊગી નીકળેલા ને
લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
28 પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે,
ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે,
ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે,
તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે,
તે પણ હું જાણું છું.
29 કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે
અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે.
તેને લીધે હું તારા નાકમાં મારી કડી
તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે
તું આવ્યો છે તે જ માર્ગે તારા
પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.’”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
30 પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે આ એધાણી છે: આ વર્ષે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વર્ષે પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.
31 “યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો જેના મૂળ ઊંડા ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 32 કારણ, યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે. સૈન્યોના દેવ યહોવાના ઉત્કટ પ્રેમને પ્રતાપે આ બધું સિદ્ધ થશે.”
33 એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:
“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે,
ઢાલ લઇને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
34 એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે,
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
35 મારે પોતાને માટે તેમ જ મારા સેવક દાઉદને માટે
હું આ શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”
36 તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1,85,000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા. 37 પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
38 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.
હિઝિક્યાના આયુષ્યમાં પંદર વર્ષની વૃદ્ધિ
38 એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.’”
2 હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી: 3 “હે યહોવા, હું તમારી સાક્ષીએ એકનિષ્ઠાથી અને સચ્ચાઇપૂર્વક જીવન વીતાવુ છું. અને તમારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું.” પછી તે કટુતાપૂર્વક ખૂબ રડ્યો.
4 પછી યહોવાએ યશાયાને બીજો એક સંદેશો કહ્યો: 5 “તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ. 6 હું તને અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઇશ.’”
7 યશાયાએ કહ્યું, “યહોવાએ જે વચન કહ્યાં છે, તે તે પૂરાં કરશે. તેની આ નિશાની છે: 8 જુઓ, આહાઝના છાયાયંત્ર પ્રમાણે એ સૂર્યના પડછાયાને દશ આંક પાછો હઠાવશે! અને તરત જ પડછાયો દશ આંક પાછો હઠી ગયો.”
9 હિઝિક્યા રાજાએ માંદગીમાંથી સાજા થયા પછી પોતાનો અનુભવ વિષે આ ગીત લખ્યું:
10 મને થયું હતું: મારા જીવનના મધ્યાહને જ મારે શેઓલને ધ્વારે જવું પડે છે,
મારા આયુષ્યના શેષ વર્ષો કપાઇ જાય છે.
11 “હવે પછી કદી આ જીવલોકમાં હું યહોવાને જોવા નહિ પામું.
આ દુનિયામાં વસતા માણસને હું કદી નજરેય નહિ નિહાળીશ.
12 મારા ડેરાંતંબુ સમેટી લેવામાં આવ્યા છે, જેમ કાપડને શાળ પરથી કાપી નાખવામાં આવે છે તેમ,
મારો જીવનપટ કાપી નાખવામાં આવ્યો છે.
સમગ્ર દિવસ દરમ્યાન દેવ મને મારા જીવનના અંતની નજીક અને નજીક લઇ આવે છે.
13 આખી રાત મેં કલ્પાંત કર્યુ છે;
જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય,
સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.
14 ટિટોડીની જેમ હું ટળવળું છું,
હોલાની જેમ હું આક્રંદ કરું છું,
મારી આંખ નભ તરફ જોઇ જોઇ થાકી ગઇ છે!
હે યહોવા મારા માલિક,
હું મુશ્કેલીમાં છું,
તમે મને ઉગારી લેવાનું વચન આપો.”
15 હું શું કહું?
મારા માલિકને શું કહું?
તેણે જ આ કર્યુ છે,
મારા જીવની વેદનાને લીધે
હું આખી જીંદગી સુધી હળવે હળવે ચાલીશ.
16 હે મારા માલિક, એવાં વચનો વડે માણસો જીવન ધારણ કરે છે.
હું કેવળ તારે માટે જ જીવીશ.
તેં મને સાજો કર્યો છે
અને જીવવા દીધો છે.
17 મારી બધી વેદના શમી ગઇ છે,
તેં પ્રીતિથી મારા જીવનને વિનાશની ગર્તામાંથી બચાવ્યું છે.
તેં મારા બધાં પાપોને
તારી પીઠ પાછળ નાખી દીધાં છે.
18 જેઓ પહોંચી ગયા છે મૃત્યુલોકમાં,
નથી કરી શકતાં ગુણગાન તેઓ તારા.
જેઓ શેઓલમાં પહોંચી ગયા છે
તેઓ તારા વચન પર વિશ્વાસ રાખી શકતા નથી.
19 હું આજે કરું છું તેમ, જીવંત, હા,
ફકત જીવંત વ્યકિત તારી સ્તુતિ કરી શકે છે.
વડવાઓ પોતાના સંતાનોને તેં પાળેલા વચન અને વિશ્વાસુપણાની વાત કરે છે.
20 “યહોવા મને તમે બચાવી લીધો છે,
તેથી જીવનભર અમે તારા મંદિરમાં, વીણા વગાડતાં વગાડતાં ગીતો ગાઇશું.”
21 યશાયાએ કહ્યું હતું, “અંજીરીમાંથી લેપ બનાવી તેના ગૂમડા પર લગાવો, એટલે તે સાજો થશે.”
22 વળી હિઝિક્યાએ પૂછયું હતું, “હું યહોવાના મંદિરમાં જઇશ તેની કઇ નિશાની યહોવા આપશે?”
ખ્રિસ્તમાં તમારું નવું જીવન
3 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે. 2 ફક્ત આકાશની વસ્તુઓ વિષે જ વિચાર કરો, પૃથ્વી પરની વસ્તુઓ વિષે નહિ. 3 તમારી જૂની પાપી જાત મૃત્યુ પામી છે, અને ખ્રિસ્ત સાથે દેવમાં તમારું નવું જીવન ગુપ્ત રાખેલ છે. 4 ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો.
5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. 6 એ કામો દેવને ક્રોધિત કરે છે.[a] 7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે.
8 પરંતુ હવે તમારા જીવનમાં આ વસ્તુઓને જાકારો આપો: જેવી કે રીસ, બીજા લોકોની લાગણી દુભાવે તેવી વસ્તુઓ બોલવી કે કરવી, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો. 9 એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે. 10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે. 11 નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
12 દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. 13 એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે. 14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે. 15 ખ્રિસ્ત જે શાંતિ પ્રદાન કરે છે તેના વડે તમારા વિચારોને નિયંત્રિત થવા દો. શાંતિ પ્રાપ્તિ અર્થે તમે બધા એક જ શરીર[b] બનવા માટે તેડાયેલા છો. હમેશા આભારસ્તુતિ કરો.
16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો. 17 તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો.
અન્ય લોકો સાથે તમારું નવુ જીવન
18 પત્નીઓ, તમારા પતિની સત્તાને આધીન રહો. પ્રભુમાં આ કામ કરવાની સુયોગ્ય બાબત છે.
19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ કરો, અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.
20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે.
21 પિતાઓ, તમારા બાળકોને ચીડવો નહિ. જો તમે તેમના પ્રત્યે કઠોર બનશો, તો પછી તેઓ પ્રયત્નો કરવાનું જ છોડી દેશે.
22 દાસો, તમારા પૃથ્વી પરના માલિકોની દરેક આજ્ઞા પાળો. તમારો માલિક તમને જોઈ શકે તેમ ન હોય તેવા સમયે પણ તમારા માલિકની આજ્ઞાઓનું પાલન કરો. તમે તો ખરેખર લોકોને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા નથી, તમે તો પ્રભુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરી રહ્યા છો. તેથી પ્રામાણિકપણે આજ્ઞાપાલન કરો કારણ કે તમે પ્રભુનો આદર કરો છો. 23 તમે જે કરી રહ્યા છો તે દરેક કાર્યમાં, તમે જેટલું થઈ શકે તેટલું શ્રેષ્ઠ કામ કરો. એ રીતે કામ કરો, જાણે લોકો માટે નહિ, પરંતુ પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છો. 24 યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો. 25 યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ અનુચિત કાર્ય કરશે તે તેના અનુચિત કાર્યને કારણે સજાને પાત્ર બનશે. પ્રભુ ને ત્યાં પક્ષપાત નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International