Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 47-49

બાબિલ વિષે ચુકાદો

47 યહોવા કહે છે, “હે અપરાજીત બાબિલ નગરી,
    તું નીચે ઉતર અને ધૂળમાં બેસ.
રાજ્યાસન ઉપરથી ઊતરીને ભોંય પર બેસ.
    તું કુંવારી કન્યા જેવી વણજીતાયેલી નગરી હતી, પણ હવે તું સુંવાળી કે કોમળ રહી નથી.
ઘંટી લઇને તારે લોટ દળવો પડશે;
    બુરખો કાઢી નાખી,
ઘાઘરો ઊંચો ખોસી,
    પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.
તારું શરીર ઉઘાડું થશે
    અને તું લજવાશે.
હું તારા ઉપર વૈર લઇશ
    અને હું કોઇને પણ છોડીશ નહિ.

“‘ઇસ્રાએલના પવિત્ર દેવ,’ જેમનું નામ સૈન્યોના દેવ યહોવા છે,
    તે આપણને બંધનાવસ્થામાંથી છોડાવશે.”

“હે બાબિલની પ્રજા, અંધારા ખૂણામાં મૂંગી બેસી રહે,
    કારણ ‘હવે કોઇ તને રાષ્ટ્રોની મહારાણી કહેનાર નથી.’

“કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી
    લોકો ઉપર રોષે ભરાયો હતો.
તેં તેમનું અપમાન કર્યુ હતું,
    મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા.
પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી,
    તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.
તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’
    તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું
અને એનું પરિણામ શું આવશે
    એનો કદી વિચાર ન કર્યો.
તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે,
    અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર,
તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ;
    તું કહે છે, ‘મારાથી વધારે મહાન કોઇ નથી!
મને કદી વૈધવ્ય આવવાનું નથી;
    કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.’
સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે,
    તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ
    અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.
10 તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને
    તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’
તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ
    અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું
    અને મારા સિવાય બીજું કોઇ નથી.’

11 “તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે,
    તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે,
    તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.
12 બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ
    તું વાપરતી આવી છે
તેને વળગી રહે,
    કદાચ તે કામ આવી શકે
    અને તું શત્રુઓને ડરાવી શકે.
13 તને જાતજાતની સલાહો મળશે છતાં
    તારું કશું ચાલે તેમ નથી.
તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ,
    જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે,
    ભલે તને મદદ કરે.
14 જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે.
    તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી!
તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે.
    તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.
15 બાળપણથી તારી સાથે વહેવાર રાખતા જ્યોતિષીઓ
    અને સલાહકારો પોતપોતાના રસ્તે ચાલ્યા જશે,
    કોઇ તને બચાવવા કે સહાય કરવા રહેશે નહિં.”

યહોવાના હાથમાં ભાવિ

48 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો.
    તમે સાંભળો, તમે ઇસ્રાએલને નામે ઓળખાઓ છો,
    તમે યહૂદાના ફરજંદો છો:
તમે યહોવાના નામે સમ ખાઓ છો
    અને ઇસ્રાએલના દેવની ભકિત કરવાનો દાવો કરો છો,
    પણ સાચેસાચ કે સાચી શ્રદ્ધાથી નહિ.

“અને છતાં તમે પોતાને પવિત્ર નગરીના નાગરિક કહેવડાવો છો
    અને જેનું નામ સૈન્યોના દેવ યહોવા છે
    એવા ઇસ્રાએલના દેવ પર આધાર રાખો છો.”

યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી,
    મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું,
    અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.
મને ખબર હતી કે તમે હઠીલા હતા,
    તારા ડોકના સ્નાયુઓ લોખંડ જેવા હતા,
    અને તારું કપાળ પિત્તળ જેવું હતું.
તેથી મેં તમને લાંબા સમય પહેલાંથી
    એ બધું કહી રાખ્યું હતું,
જેથી તમે એમ ન કહી શકો કે,
    ‘આ તો મારી મૂર્તિએ કર્યુ છે,
    મારી કોતરેલી અને ઢાળેલી મૂર્તિઓના હુકમથી એ બન્યું છે.’”

ઇસ્રાએલને સ્વચ્છ કરવા માટે દેવ સજા કરે છે

“તમે મારા ભવિષ્યકથનો વિષે સાંભળ્યું છે
    અને તેમને પરિપૂર્ણ થતાં પણ જોયા છે.
    છતાં તેની સાથે સહમત થવાની તેં સંમત્તિ દર્શાવી નથી.
હવે હું તને નવી બાબતો વિષે કહું છું જે મેં અગાઉ કહ્યું નથી,
    હું તને એક ગુપ્ત બાબત કહું છું જે તેં પહેલા સાંભળી નથી.
એ ઘટનાઓ પહેલાં બની નહોતી, અત્યારે જ મારી ઇચ્છાથી બને છે,
    એને વિષે તમે અત્યાર સુધી કશું સાંભળ્યું નથી,
    જેથી તમે એમ ન કહો કે, ‘અરે! આ તો અમે જાણતા હતા.’
હા, હું તને સંપૂર્ણ નવી બાબતો કહેવાનો છું,
    કારણ કે હું સારી રીતે જાણું છું
    કે તું દગાબાજ
અને બાળપણથી જ તું બંડખોર છે,
    તું ષ્ટતાથી ભરેલો છે.

“મારા નામની માટે
    મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો,
મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો,
    તમારો નાશ નહોતો કર્યો.

10 “મેં તને વિશુદ્ધ કર્યો,
    પણ ચાંદી જેવો નહિ.
    મેં તને મુશ્કેલીઓની ભઠ્ઠીમાં તાપ્યો.
11 કેવળ મારા પોતાના માટે, હા,
    મારા પોતાના માટે, હું કાર્ય કરીશ, જેથી મારું નામ ષ્ટ થાય નહિ,
    હું મારું ગૌરવ બીજા કોઇને આપીશ નહિ.”

12 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો,
    મારા પસંદ કરેલા ઇસ્રાએલીઓ,
    મને સાંભળો! હું જ દેવ છું.
હું જ આદી છું
    અને હું જ અંત છું.
13 મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો,
    અને આ આકાશને પાથર્યું હતું.
હું જ્યારે તેમને બોલાવું છું
    ત્યારે તેઓ ઉભા થાય છે.

14 “તમે બધા એકઠા થાઓ અને સાંભળો,
    તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું,
યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે.
    બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે.
    તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.

15 “મેં મારી જાતે જ આ આગાહી કરી હતી
    અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે;
    હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.
16 મારી નજીક આવો, અને આ સાંભળો, શરુઆતથી જ
    હું જાહેરમાં જે થવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતો આવ્યો છું
અને આ બધું બન્યું
    તે બધો સમય હું હાજર હતો.”

અને હવે મારા માલિક યહોવાએ મને પોતાના આત્મા સાથે મોકલ્યો છે. 17 ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,

“હું યહોવા તારો દેવ છું,
    હું તારા હિત માટે તને શીખવું છું,
    તારે જે માર્ગે જવું જોઇએ તે માર્ગે હું તને લઇ જાઉં છું.
18 તેં જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત!
    તારી સુખસમૃદ્ધિ સદા
    સરિતા સમી વહેતી હોત
અને વિજય પામીને
    તું સાગરના તરંગો જેમ ઊછળતો રહ્યો હોત.
19 તારી સંતતિની સંખ્યા રેતી જેટલી
    અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત
અને તેમનાં નામ મારી નજર
    આગળથી ભૂંસાઇ ગયા ન હોત.”

20 છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ.
    ખાલદીઓ પાસેથી ભાગી જાઓ,
અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો,
    ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી
એના સમાચાર મોકલો કે,
    “યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”
21 તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી.
    કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું;
તેણે ખડકને તોડી નાખ્યો
    અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.

22 પરંતુ યહોવા કહે છે,
    “દુષ્ટોને કદી સુખશાંતિ હોતી નથી.”

યહોવાનું પોતાના લોકોને આશ્વાસન

49 હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો!
    હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો,
જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ
    તેણે મને નામ આપ્યું હતું.
તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી,
    અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો.
તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી
    અને ભાથામાં સંતાડી દીધો.

તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે,
    તું મારો મહિમા વધારનાર છે.”

પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ.
    મેં મારી શકિત નકામી,
વ્યર્થ વાપરી. તેમ છતાં,
    મને ખાતરી છે કે,
યહોવા મને ન્યાય આપશે
    અને તે મને બદલો આપશે.”
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,
    જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને,
    પાછા એને ચરણે લાવું.
તેણે મારો મહિમા કર્યો
    અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:

“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત
    તું વધારે કામ કરીશ,
પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા
    હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”

જેને લોકો ધૃણાની નજરે જુએ છે,
    જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે,
જે અન્યાયી શાસકોનો ગુલામ છે,
    તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે,
“તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે,
    અને સરદારો પગે પડશે,”

એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.

મુકિતનો દિવસ

યહોવા કહે છે,
“તમારો બચાવ કરવાનો સમય આવશે
    ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ
અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ,
    હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના
    મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ,
ઉજ્જડ થયેલી જગામાં
    હું તમને ફરીથી વસાવીશ.
હું બંદીવાનોને કહીશ,
    ‘જાઓ તમે મુકત છો!’
અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ,
    ‘બહાર પ્રકાશમાં આવો!’
તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;
    તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ.
કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે
    અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11 હું દરેક પર્વતને સપાટ
    રસ્તો બનાવી દઇશ
    અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,

12 “જુઓ, મારા લોકો ઉત્તરના
    તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
    હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
    અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.

14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
    અમારો નાથ અમને ભૂલી ગયો છે.”

15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
    પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
    પણ હું તને નહિ ભૂલું.
16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,
    અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે.
    અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”
18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો!
    તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે!
હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે,
    “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે,
    અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.

19 “તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી,
    તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું,
પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે.
    અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે,
    ‘અમારે વધારે જગાની જરૂર છે!
    કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’
21 પછી તું મનમાં વિચાર કરશે,
    હું તો સંતાન વિહોણી ત્યકતા હતી,
આ બધા બાળકો મને થયા શી રીતે?
    ‘હું તો એકલીઅટૂલી હતી,
ત્યારે એમને ઉછેર્યા કોણે?
    એ આવ્યાં ક્યાંથી?’”

22 યહોવા મારા દેવ કહે છે,
“જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ,
    અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ.
અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને
    અને તારી પુત્રીઓને ખભા પર
    બેસાડીને તારી પાસે પાછા લાવશે.
23 રાજાઓ તેમના પાલકપિતા થશે
    અને તેમની રાણીઓ તેમની ધાવ થશે.
તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે
    અને તમારા ચરણની રજ ચાટશે;
ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે
    તેઓ કદી જ નિરાશ થશે નહિં.”

24 શકિતશાળી માણસના હાથમાંથી શિકારને
    કોણ પાછો ઝૂંટવી શકે?
અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત
    કરાવવાની માગણી કોણ કરી શકે?
25 પણ યહોવા કહે છે કે,
“જોરાવરના હાથમાંથી લૂંટનો માલ ઝૂંટવી લેવાશે જ,
    અને દુષ્ટના હાથમાંથી કેદીને છોડાવાશે જ.
તારી સામે જેઓ લડતા હશે તે બધાની સાથે
    હું લડીશ અને તારાં બાળકોને હું પોતે બચાવીશ.
26 હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ
    અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે,
    અને આખી માનવજાતને ખાતરી થશે કે હું,
યહોવા તારો તારક અને ઉદ્ધારક
    અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”

1 થેસ્સલોનિકીઓ 4

દેવને પ્રસન્ન કરતું જીવન

ભાઈઓ અને બહેનો, હવે મારે તમને બીજી કેટલીક વાતો કહેવાની છે. દેવને પ્રસન્ન કરે તે રીતે કેમ જીવવું તે વિષે અમે તમને દર્શાવ્યુ છે. અને તમે તે જ રીતે જીવી રહ્યાં છો. હવે અમે તમને પ્રભુ ઈસૂમાં જીવવા માટે વધુ ને વધુ આગ્રહ અને પ્રોત્સાહન આપીએ છીએ. તમારે શું કરવું તે બાબતો જે અમે તમને કહેલી તે તમે જાણો છો, અમે તમને તે બાબતો પ્રભુ ઈસુના અધિકાર વડે જ્ણાવેલી છે. દેવ ઈચ્છે છે કે, તમે પવિત્ર થાઓ. તમે વ્યભિચારથી દૂર રહો તમે તે ઈચ્છે છે. તમારામાંની દરેક વ્યક્તિ શરીર પર નિયંત્રણ રાખવાનું શીખે તેમ દેવ ઈચ્છે છે. તમારા શરીરનો પવિત્રતામાં ઉપયોગ કરો કે જે દેવને સમ્માનિત કરે છે.[a] તમારા શરીરનો ભોગ વિલાસ માટે ઉપયોગ ન કરો. જે લોકો દેવને જાણતા નથી તે તેમના શરીરનો તેવો ઉપયોગ કરે છે. તમારામાંના કોઈએ તમારા ભાઈ સાથે અનુચિત વ્યવહાર ન કરવો જોઈએ કે તેને છેતરવો પણ ન જોઈએ. જે લોકો આમ કરે છે તેમને પ્રભુ શિક્ષા કરશે. અમે ક્યારનું ય તમને એ બાબત વિષે જણાવ્યું છે અને ચેતવ્યા છે. દેવે આપણને પવિત્ર થવા તેડયા છે. તે આપણે અશુદ્ધ જીવન જીવીએ તેમ ઈચ્છતો નથી. એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.

ખ્રિસ્તમાં તમારા ભાઈઓ અને બહેનો માટે પરસ્પર પ્રેમ રાખવા અંગે તમને કઈ લખવાની અમારે જરુંર નથી. દેવે તમને એકબીજાને પ્રેમ કરવા માટે બોધ આપ્યો જ છે. 10 સાચી રીતે સમગ્ર મકદોનિયાના બધા જ ભાઈઓ અને બહેનોને તમે પ્રેમ કરો છો. ભાઈઓ અને બહેનો, હવે તેઓને તમે વધુ પ્રેમ કરો માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.

11 શાંતિપૂર્ણ જીવન માટે તમે જે કઈ કરી શકો તે કરો. તમારું પોતાનું કામકાજ સંભાળો. તમારું પોતાનું જ કામ કરો. તમને આમ કરવાનું અમે ક્યારનું જ જણાવેલ છે. 12 જો તમે આ બાબતો કરશો, તો જે લોકો વિશ્વાસીઓ નથી તે તમારી જીવનપદ્ધતિને માનની દષ્ટિથી જોશે. અને તમારે તમારી આવશ્યકતાઓ માટે બીજા પર આધારિત નહિ બનવું પડે.

રભુનું આગમન

13 ભાઈઓ અને બહેનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ વિષે તમે જાણો તેમ અમે ઈચ્છીએ છીએ. જેથી બીજા માણસો જેઓને આશા નથી અને ખેદ કરે છે તેમ તમે તેઓની જેમ ખેદ કરો એવું અમે ઈચ્છતા નથી. 14 અમે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યો. પરંતુ અમે એમ પણ વિશ્વાસ કરીએ છીએ કે તે પાછો ઊઠયો. જેઓ ઈસુમાં મરણ પામ્યા છે તેઓને દેવ ફરી ઈસુ સાથે લાવશે.

15 અત્યારે અમે જે તમને જણાવી રહ્યાં છીએ તે પ્રભુનો પોતાનો જ સંદેશ છે. અમે કે જે અત્યારે જીવિત છીએ તે પ્રભુનું પુનરાગમન થાય ત્યારે પણ જીવિત હોઈએ. અમે કે જે ત્યારે જીવિત હોઈશું તે પ્રભુની સાથે હોઈશું. પરંતુ જે લોકો ક્યારનાય મરણ પામ્યા છે તેઓના કરતા પહેલાં નહિ હોઈએ. 16 પ્રભુ પોતે ગર્જનાસહિત આકાશમાંથી ઉતરશે. પ્રમુખ દૂતની[b] વાણી અને દેવના રણશિંગડાના અવાજ સાથે આદેશ આપવામાં આવશે. અને ખ્રિસ્તમાં જેઓ મૂએલાં છે તેઓ પ્રથમ ઊઠશે. 17 ત્યાર પછી, આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ જેઓ મરણ પામ્યા હતા તેઓની સાથે ગગનમાં પ્રભુને મળવા સારું આપણને ગગનમાં ઊંછએ ઊઠાવાશે. અને આપણે હમેશ માટે પ્રભુની સાથે રહીશું. 18 તેથી આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International