Old/New Testament
1 બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે: 2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વર્ષે તેને યહોવાની વાણી સંભળાઇ; 3 વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.
યર્મિયાને દેવ તરફથી હાકલ
4 યહોવાએ મને કહ્યું:
5 “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”
6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”
7 પરંતુ યહોવાએ કહ્યું,
“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
8 તે લોકોથી બીશ નહિ, કારણ,
હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.
9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,
“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
બાંધવાનું અને રોપવાનું છે.”
બે સંદર્શન
11 પછી મને યહોવાએ કહ્યું, “યર્મિયા, જો! તું શું જુએ છે?”
મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”
12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.”[a]
13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”
મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”
14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં
સૌ વાસીઓ પર આફત ઉતરશે.
15 હા! જુઓ, હું ઉત્તરમાં બધા રાજ્યોને બોલાવું છું.
તેમના રાજાઓ યરૂશાલેમના દરવાજા સામે
“તેની ફરતેની દીવાલની સામે,
તેમ જ યહૂદિયાના બધા નગરોની સામે
પોતપોતાનું સિંહાસન માંડશે.
આ યહોવાના વચન છે.
16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું
તેમને સજા ફરમાવીશ.
કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે,
પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે.
17 “તારા માટે તારે ઉભા થવું પડશે,
તારો પોષાક પહેર અને બહાર જા,
અને હું તને જે ફરમાવુ તે
તું જઇને તેઓને કહે.
તેઓથી ડરીશ નહિ, નહિ તો હું
તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.
18 અને તેના બદલે હું તને,
તે શહેર જેની બાજુએ કિલ્લો હશે તેવો બનાવીશ
અને તને લોખંડી સ્તંભ જેવો
અને કાંસાની દીવાલ બનાવું છું જેથી તું રાજાઓ, આગેવાનો,
યાજકો અને યહૂદિયાના બધા લોકો જે તારી વિરુદ્ધ છે,
તેમની સામે ઊભો રહી શકે.
19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે,
પણ તને હરાવી શકશે નહિ,
કારણ, હું તારે પડખે રહી
તારું રક્ષણ કરીશ.”
આ હું યહોવા બોલું છું.
ઇસ્રાએલે કરેલો યહોવાનો નકાર
2 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ: 2 “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:
“‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે,
જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી!
નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી!
તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.
3 એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમર્પિત હતી,
જાણે ફસલની પહેલી ઊપજ.
જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી,
તેને માથે આફત ઊતરતી.’”
આ હું યહોવા બોલું છું.
4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
યહોવાની વાણીનો સંદેશો સાંભળો.
5 યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
અને પોતે વિસાત વગરના થઇ ગયા.
6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
અને અંધકાર હોય છે,
જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”
7 યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.
8 “યાજકોએ કદી પૂછયું નથી કે,
‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”
9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.
12 “આ જોઇને આઘાત પામો.
ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
તેમણે મારો ત્યાગ કર્યો છે,
જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
તેઓએ પોતાને માટે બાંધ્યા છે.
14 “ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે?
શા માટે તેને બંદીવાન બનાવી
દૂર દેશમાં લઇ જવામાં આવી છે?
15 તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે,
તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે?
એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે?
એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે?
16 અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી.
તારું માથું વાઢી નાંખશે.
17 શુ આ સાચું નથી?
કે તું જ આ દશા તારી પર લાવ્યો છે?
તેં આવું તારા યહોવા દેવને છોડી દઇને કયુઁ છે,
જયારે તે તને માર્ગમાં દોરી રહ્યો હતો.
18 અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે?
અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે?
19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના
પરિણામ તું ભોગવશે,
તારા પોતાના જ ધર્મથી વિમુખ
થવાની સજા તું ભોગવી રહ્યો છે,
તારી જાતે જો અને જાણ કે મારાથી,
તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું
અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ
અને નુકશાનકારક છે.”
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી.
અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા
અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’
અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે
તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.
21 મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની,
જાતવાન રોપો માની રોપી હતી,
પણ તું તો ષ્ટ માણસોની આવી
દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની?
22 સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ
તે તમને શુદ્ધ કરી શકશે નહિ,”
યહોવા દેવ કહે છે કે,
તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.
23 “તું કેવી રીતે કહી શકે કે,
‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’
પેલા કોતરમાં તું શી રીતે વર્તી હતી તે યાદ કર,
અને તેં જે કર્યું તે કબૂલ કર.
તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે,
જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે.
24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે,
જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે,
વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે?
કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી.
વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે.
25 જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય,
જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે!
પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું
મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે
અને મારે તેમની પાછળ જ જવું છે.’
26 “જેમ ચોર પકડાય ને ફજેત થાય,
તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો,
તમે બધા જ તમારા રાજાઓ,
આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
27 તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો,
‘તમે અમારાં માબાપ છો.’
તમે મારી તરફ પીઠ ફેરવી છે,
‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’
પણ આફત આવે છે
ત્યારે મને હાંક મારો છો,
‘યહોવા આવો, અમને બચાવો!’
28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી?
જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે.
હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે
તેટલાં દેવોની મૂર્તિઓ છે.”
29 યહોવા કહે છે, “મારી વિરુદ્ધ તમે શા માટે ફરિયાદ કરો છો?
મારી સામે તો તમારા માંના બધાએ બળવો કર્યો છે.
30 મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય
પણ તે વ્યર્થ ગયું.
તમારામાં કોઇ સુધારો થયો નથી.
તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ
તમારા પ્રબોધકોને ભરખી ગઇ.”
31 હે મારા લોકો, તમે તે કેવા છો?
મારી વાત ધ્યાનથી સાંભળો!
“શું હું તમારા માટે વેરાન વગડા જેવો
કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો!
મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ;
હવે અમે તેમની સાથે
કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
32 શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે?
કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે?
તેમ છતાં હે મારી પ્રજા,
ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે.
33 “પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે.
તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!
34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિર્દોષ ગરીબોના લોહીથી!
તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા.
35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી.
મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’
તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’,
માટે હું તને આકરી શિક્ષા કરીશ.
36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે?
જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે
તેમ મિસર પણ તમને નીચા પાડશે.
37 તેથી તું પણ મિસરની બહાર તારો હાથ
તારે માથે મુકીને આવીશ કારણ કે
મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર
તે વિશ્વાસ મૂક્યો હતો.
તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”
ખ્રિસ્તી મંડળીના અધ્યક્ષો
3 હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે. 2 મંડળીનો અધ્યક્ષ ઘણો સજજન હોવો જોઈએ જેથી લોકો તેની ટીકા કરી ન શકે. તેને એકજ પત્ની હોવી જોઈએ. તે માણસ આત્મ-સંયમી અને ડાહ્યો હોવો જોઈએ. બીજા લોકોની નજરમાં તે માનનીય, આદરણીય હોવો જોઈએ. લોકોને પોતાના ઘરમાં આવકારીને તેઓને મદદ કરવા તે તત્પર રહેવો જોઈએ. તે એક સારો શિક્ષક હોવો જોઈએ. 3 તે અતિશય મદ્યપાન કરતો હોવો ન જોઈએ, અને તે એવી વ્યક્તિ ન જ હોવી જોઈએ કે જેને ઝઘડવાનું ગમતું હોય. તે વિનમ્ર અને સહનશીલ, શાંતિપ્રિય હોવો જોઈએ. એ માણસ એવો ન હોવો જોઈએ કે જે દ્રવ્યલોભી હોય. 4 તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ. 5 (જો કોઈ માણસને તેના પોતાના જ કુટુંબનો સારો વડીલ બનતાં ન આવડે, તો તે દેવની મંડળીની સંભાળ લઈ શકશે નહિ.)
6 પરંતુ કોઈ નવો વિશ્વાસુ અધ્યક્ષ થઈ ન શકે. જો કોઈ નવા વિશ્વાસીને મંડળીનો અધ્યક્ષ બનાવવામાં આવે, તો શક્ય છે કે તે પોતે અભિમાનથી છકી જાય. એમ થાય તો, જે રીતે શેતાન ધિક્કારને પાત્ર થયો હતો, તેમ એના અભિમાની વર્તન માટે એનો પણ એ રીતે ન્યાય કરવામાં આવશે. તેનું અભિમાન શેતાન જેવું જ થશે. 7 મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય.
મંડળીના સેવકો
8 એ જ પ્રમાણે, જે માણસો સેવકો તરીકે સેવા આપતા હોય તેઓ એવા હોવા જોઈએ કે જેમને લોકો માન આપી શકે. જે ખરેખર તેઓને સમજાતી ના હોય તેવી વાતો આ માણસોએ કહેવી ન જોઈએ, તેઓએ સમજી-વિચારીને વાણી ઉચ્ચારવી જોઈએ. અને અતિશય મદ્યપાન કરવા પાછળ તેઓએ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. તેઓ એવા માણસો હોવા ન જોઈએ કે જે હમેશા બીજા લોકોને છેતરીને પૈસાદાર થવાનો પ્રયત્ન કરતા હોય. 9 દેવે જે સત્યનું આપણને દર્શન કરાવ્યું છે, તેના તેઓ શિષ્યો હોવા જોઈએ. અને તેમણે હમેશા જે કઈ ન્યાયી લાગે તે જ કરવું જોઈએ. 10 પાઉલ તિમોથીને કહે છે એ લોકોની પહેલેથી જ તારે પરખ કરી લેવી જોઈએ. જો એમનામાં તને કોઈ અપરાધ ન જ્ણાય તો તેઓ મંડળીના સેવકો તરીકે સેવા આપી શકે.
11 એ જ રીતે, જે સ્ત્રી સેવામાં છે તે બીજા લોકોની નજરે આદરણીય હોવી જોઈએ. તે સ્ત્રીઓ એવી હોવી ન જોઈએ કે જે બીજા લોકો વિષે ખરાબ નિંદા કરતી હોય. તેઓનામાં આત્મ-સંયમ હોવો જોઈએ અને તેઓ એવી હોવી જોઈએ કે દરેક વાતે એમનામાં વિશ્વાસ મૂકી શકાય.
12 સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ. 13 સારી રીતે સેવા કરતા માણસો પોતાના માટે માન-સન્માનભર્યુ સ્થાન બનાવે છે. તે લોકોને ખ્રિસ્ત ઈસુમાં પોતાના વિશ્વાસ વિષે પાકી ખાતરીનો અનુભવ થશે.
આપણા જીવનનું રહસ્ય
14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું. 15 પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે. 16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે.
તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો;
તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું;
દૂતોએ તેને દીઠો;
બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો;
આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા.
તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International