Old/New Testament
9 મારું માથું જળાશય હોય તો કેવું સારું!
મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું;
મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!
2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં
અને તેઓને વીસરી જાઉં
અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને,
તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં!
એ બધા બેવફા લોકો છે,
દગાબાજોની ટોળકી છે.
3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક
પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે.
તેઓ સત્યની પરવા કરતા નથી
અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે;
તેઓ મારી પણ પરવા કરતા નથી.”
4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો,
ભાઇનો પણ વિશ્વાસ ન કરતા,
કારણ, એકેએક ભાઇ
યાકૂબ જેવો દગાબાજ છે.
5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની
નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે.
દરેક જણ પોતાના મિત્રને છેતરે છે,
કોઇ સાચું બોલતું નથી,
તેમની જીભ જૂઠું
બોલવા ટેવાઇ ગઇ છે.
6 તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે,
પાછા ફરી શકે એમ નથી,
અન્યાય પર અન્યાય અને છેતરપિંડી
ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે!
મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.”
આ યહોવાના વચન છે.
7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ.
હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ
હું તેઓની પરીક્ષા કરીશ,
આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે,
તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે.
બધા મોઢે મીઠું બોલે છે,
પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
9 યહોવા પૂછે છે, “આ બધા માટે
મારે તેમને શું સજા ન કરવી?
આવી પ્રજા પર શું
મારો આત્મા વૈર નહિ લે?”
10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ
અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું;
તેઓ ઉજ્જડ થઇ ગયા છે,
તેમાં કોઇ જીવતું રહ્યું નથી.
ઢોરનો અવાજ સંભળાતો નથી
અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી;
સર્વ નાસી ગયા છે.
11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ,
શિયાળોની બોડ બનાવી દઇશ,
અને હું યહૂદિયાના શહેરોને નિર્જન
વગડામાં ફેરવી નાખીશ.”
12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”
13 યહોવાએ કહ્યું,
“એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે.
તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે
નથી તેનું પાલન કર્યું.
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે.
અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે,
“હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ
અને પીવા માટે ઝેર આપવાનો છું.
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ,
તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે;
ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે.
આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો.
દુ:ખનાં ગીતો ગાવામાં જે
પારંગત હોય તેને બોલાવો;
18 જલદી કરો, તેમને કહો કે
‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય,
જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે
અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’
19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે:
‘આપણો વિનાશ કેટલો ભયંકર છે!
આપણે કેવા શરમિંદા થવું પડ્યું?
આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી,
કારણ કે તેઓએ આપણા
ઘરોને તોડી પાડયા છે.’”
20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ,
દેવનો સંદેશો સાંભળો.
તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો;
“તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે.
અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે.
તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી,
અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.’”
22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો,
‘ખેતરમાં ખાતરની માફક
તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે
તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે.
અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”
23 યહોવા કહે છે,
“જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને
પોતાના બળની કે ધનવાને
પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
24 પરંતુ તેઓ ફકત
આ એક બાબતમાં અભિમાન કરે
કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે
કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું
અને મારી પ્રીતિ અવિચળ છે
કારણ કે આ જ મને પસંદ છે.”
આ યહોવાના વચન છે.
25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ; 26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”
યહોવા અને દેવ મૂર્તિઓ
10 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો; 2 તે કહે છે,
“બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ,
તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે.
તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ.
કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
3 તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી,
તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે;
કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે.
4 અને પછી સોનારૂપાથી શણગારી છે.
તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે,
જેથી પડી ન જાય.
5 ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ
તેઓના દેવ ત્યાં ઊભા રહે છે!
તે બોલી શકતા નથી,
તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે.
આવા દેવોથી ડરશો નહિ,
તે કશી ઇજા કરી શકે તેમ નથી,
તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”
6 હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી.
તમે કેવા મહાન છો
અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે!
7 હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે?
તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ.
સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં
અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.
8 મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે.
તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
9 તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી
સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને
એને શણગારે છે અને જાંબુડિયાં
અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે.
એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે,
એ જીવતાજાગતા દેવ છે,
શાશ્વત અધિપતિ છે.
તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે;
પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.
11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો:
“જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી,
તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”
12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી,
પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી,
પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13 તોફાની વાદળોની ગર્જનાઓથી
તેમના અવાજનો પડઘો પડે છે,
તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે.
જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે
અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.
14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ
અને અજ્ઞાની થઇ ગયા છે.
દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે,
કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15 નકામી છે, હાંસીપાત્ર છે.
દેવ તેમને સજા કરશે
ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16 પણ યાકૂબનો દેવ એવો નથી;
તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે.
તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”
વિનાશ આવી ગયો
17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,
તેઓ તમારો સામાન બાંધો
અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે,
“આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ
અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ,
એક પણ માણસ બચવા પામશે નહિ.”
19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,
તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે;
આતો ફકત એક બિમારી જ છે
અને અમે આ સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,
એનાં દોરડાં તૂટી ગયા છે;
અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે;
એક પણ રહ્યો નથી;
અમારો તંબુ ફરી ઊભો કરનાર
કે એના પડદા બાંધનાર કોઇ નથી!
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;
તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી.
અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની
જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,
તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની
કોતરોમાં ફેરવી નાખશે.
23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.
તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો.
અમને પ્રમાણસર શિક્ષા કરો,
રોષમાં આવીને નહિ,
નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.
25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો,
જે લોકો તમને માનતા નથી,
તમારું નામ લેતાં નથી. કારણ,
તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે,
તેમણે તેમનો અંત આણ્યો છે,
અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.
યહોવા સાથેના કરારનું સ્મરણ
11 ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, 2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. 3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’ 4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.
5 “તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”
પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”
6 ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો. 7 આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો, 8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”
9 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે. 10 તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”
11 તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ. 12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી.
13 “હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.
14 “તેથી, હે યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.”
15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા,
તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે.
તને અહીં શો અધિકાર છે?
તું શું સમજે છે?
પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન
તથા આનંદ આપી શકશે?”
16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી
જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો,
પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું
અને ડાળીઓને ભાંગી નાખું છું.
17 બઆલની આગળ ધૂપ બાળીને તથા
બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે
અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.
યર્મિયા વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ
18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે. 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.” 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.
21 તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.” 22 તેથી યહોવા અનાથોથના લોકો વિષે આ પ્રમાણે કહે છે, “હું તેમને સજા કરીશ, તેમના યુવાનો તરવારથી મરશે અને તેમનાં પુત્રપુત્રી દુકાળમાં મરશે. 23 પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”
માટે કેટલાએક નિયમો
6 સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ. જો તેઓ આમ કરશે તો, દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ. 2 કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા એ શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે.
તેઓને આ વાતો શીખવ અને સલાહ આપ.
ખોટો ઉપદેશ અને સાચું ધન
3 કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે. 4 ખોટી રીતે ઉપદેશ આપતી વ્યક્તિ અભિમાનથી છલકાય છે અને કશું જાણતી હોતી નથી. તે વ્યક્તિમાં દલીલબાજીની બિમારી હોય છે. અને એ શબ્દો વિષે દલીલબાજી કરે છે. એના પરિણામે ઈર્ષા, મુશ્કેલીઓ, અપમાનો અને ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. 5 પણ ભ્રષ્ટ મતિના લોકોથી પરિણામે સતત દલીલબાજી થાય છે. એ લોકોએ સત્ય ખોઈ નાખ્યું છે. તેઓ એવું માનતા હોય છે કે દેવની સેવા તો કમાઈનું સાધન છે.
6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. 7 આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. 8 તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. 9 ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.
તારે યાદ રાખવા જેવી કેટલીક બાબતો
11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે – તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે.
20 તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી. 21 કેટલાએક લોકો એવું કહેતા હોય છે કે તેઓની પાસે એ “જ્ઞાન” છે. એ લોકોએ સત્ય વિશ્વાસ તજ્યો છે.
તમ સર્વ પર દેવની કૃપા થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International