Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 62-64

યરૂશાલેમ ઉદ્ધાર માટે પ્રાર્થના

62 હું સિયોન પર પ્રેમ કરું છું.
    યરૂશાલેમનો ઉદ્ધાર ન થાય
ત્યાં સુધી હું મૂંગો નહિ રહું.
    તેનો વિજય મશાલની જેમ ભભૂકી ન ઊઠે
ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું,
    અને હું વિશ્રામ લઇશ નહિ.
સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે.
    તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે;
અને યહોવા તને
    એક નવું નામ આપશે.
તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ,
    તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.
પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે,
    તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે.
પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે,
    અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે,
કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે
    અને તારી ભૂમિનો તે માલિક થશે.
હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે,
    તેમ તારી સાથે લગ્ન કરશે,
અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે,
    તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.

હે યરૂશાલેમ, મેં તારા કોટ પર
    પહેરેગીરો ગોઠવ્યા છે,
    તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે.

હે યહોવાને યાદ કરાવનારાઓ,
    તમે પોતે જંપશો નહિ,
અને જ્યાં સુધી યહોવા યરૂશાલેમની ફરી પ્રતિષ્ઠા કરી તેને પૃથ્વી પર પ્રશંસાનું પાત્ર ન બનાવે,
    ત્યાં સુધી તેને જંપવા દેશો નહિ.

યહોવા પોતાના સાર્મથ્યથી વચન આપે છે કે,
    “હવે કદી હું તારું ધાન્ય શત્રુઓને ખાવા નહિ આપું.
અથવા વિદેશીઓને તારી મહેનતથી
    બનેલો દ્રાક્ષારસ નહિ પીવાં દઉં.
પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે,
    અને દ્રાક્ષને ભેગી કરનારા જ મારા મંદિરના ચોકમાં તેનો દ્રાક્ષારસ પીશે.”

10 દરવાજામાંથી જાઓ
    અને લોકો માટે રસ્તો તૈયાર કરો.
રાજમાર્ગ બાંધો,
    ને પથ્થરો હઠાવી દો.
પ્રજાઓ પર ઊંચે ધ્વજ ફરકાવો.

11 જુઓ, પૃથ્વીના છેડા સુધી
    યહોવા ઘોષણા કરે છે,
“યરૂશાલેમના લોકોને જણાવો કે,
    આ તમારો મુકિતદાતા આવે છે,
પોતે મુકત કરેલા
    લોકોને સાથે લઇને આવે છે.”
12 હું તેમને ઘણા ઉપહારો આપીશ,
    અને તેઓ “પવિત્ર પ્રજા” “યહોવાએ મુકત કરેલા લોકો” કહેવાશે.
અને યરૂશાલેમ “ઇપ્સિતા” “અત્યકતા નગરી”
    દેવથી આશીર્વાદિત શોધી કાઢેલી ભૂમિ કહેવાશે.

યહોવાનો પ્રજાઓ પર વિજય

63 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે?
    કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ
    થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે?
એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું.
    તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન
    અને સમર્થ એવો હું યહોવા છું.”

“કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ
    તારાં વસ્ત્રો લાલ કેમ છે?”

“મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે.
    મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું.
મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા,
    રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી
    મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.
કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો
    મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.
મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ.
    મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો.
તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો,
    મારા ક્રોધમાં મેં વિદેશી પ્રજાઓને કચડી નાખી અને તે સર્વ લથડિયાં ખાઇને જમીન પર પડી ગઇ.”

યહોવા પોતાના લોકો પર દયાળુ રહ્યાં

યહોવાના ઉપકારો હું સંભારીશ
    અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે
તે માટે હું તેના ગુણગાન ગાઇશ.
    પોતાની અપાર કરુણા
અને દયાથી પ્રેરાઇને
    તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે,
    મારા સંતાન છે;
    તેઓ મને દગો નહિ દે.”
અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા.
    તેઓને બચાવવા માટે
તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો,
    તે જાતે આવ્યા હતા.
તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય
    તેઓને ઉપાડ્યા કર્યા.
10 આમ છતાં તેઓએ દગો કરીને
    તેમની વિરુદ્ધ બળવો કરી તેમના પવિત્ર આત્માને દુભાવ્યો.
એ પછી તે તેમના દુશ્મન બન્યા
    અને જાતે તેમની સામે યુદ્ધે ચડ્યા.

11 પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના
    દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા,
પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી
    પાર ઉતારનાર યહોવા ક્યાં છે?
તેમનામાં પોતાના આત્માનો
    સંચાર કરનાર એ ક્યાં છે?
12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે?
પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી
    તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીર્તિ પ્રાપ્ત કરનાર ક્યાં છે?
13 જેણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય
    તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા
    કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?
14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ
    તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા;
તે મુજબ તે પોતાને માટે મહિમાવંત નામ કરવા
    માટે તમારા લોકોને દોર્યા.

15 હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર,
    તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર.
ક્યાં છે તારી શકિત?
    ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા?
ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા?
    એને તું અટકવતો લાગે છે!
16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો!
    જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ)
    અમારો અસ્વીકાર કરે તોયે,
હે યહોવા, તું અમારો પિતા છે,
    પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.
17 હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા
    અને અમને તમારા માર્ગોથી વાળ્યાં છે?
પાછા આવો, તમારા સેવકોને ખાતર,
    જે કુળો તમારા જ છે.
18 થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં,
    પણ હવે અમારા શત્રુઓએ તમારા મંદિરને રોળી નાખ્યું છે.
19 અમારા પર તું રાજ્ય
    ન કરતો હોય તે રીતે,
અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે,
    અમે ઘણો સમય વિતાવ્યો!

64 તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો!
    જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે!
તમારા મહિમાનો અગ્નિ જંગલોને બાળી નાખે
    અને મહાસાગરોના પાણીને ઉકાળીને સૂકવી નાખે;
પ્રજાઓ તમારી સમક્ષ ધ્રૂજી ઊઠે,
    ત્યાર પછી જ તમારા શત્રુઓ તમારી કીર્તિ અને સાર્મથ્યને સમજી શકશે.
અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં,
    તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું,
    અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારે તેઓ ભયથી કંપી ઊઠયા!
કારણ કે પ્રાચીન સમયથી આજ સુધી કોઇપણ વ્યકિતએ બીજા કોઇ
    પણ વિષે જોયુ કે સાંભળ્યું નથી,
સિવાય કે આપણા દેવ,
    જેણે તેઓની પ્રતિક્ષા કરનારાઓના હિતમાં કાર્ય કર્યા છે.

આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માર્ગે ચાલનારા સૌને તમે આવકારો છો.
    પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી;
અમે સતત પાપ કર્યા કરીએ છીએ
    અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ.
તેથી અમારા પર તમારો રોષ ભારે છે,
    અમે કઇ રીતે બચી શકીએ?
અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ.
    અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે.
    અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ
અને અમારાં પાપ પવનની
    જેમ અમને તાણી જાય છે.
કોઇ તમારા નામે વિનંતી કરતા નથી,
કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી.
    તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે
અને અમને અમારાં દુષ્કર્મોને
    હવાલે કરી દીધા છે.
હે યહોવા, હવે તમે અમારા પિતા છો;
    અમે માટી અને તમે કુંભાર છો.
    અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.
હે યહોવા, વધારે કોપ કરશો નહિ,
    અમારાં પાપ સદા સંભારશો નહિ!
જરા અમારા સામું જુઓ!
    અમે બધા તમારી પ્રજા છીએ.
10 તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે,
    સિયોન વેરાન થઇ ગયું છે.
    યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે.
11 અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,
    જ્યાં અમારા પિતૃઓ તમારી સ્તુતિ કરતા હતા,
તે બળીને ખાખ થઇ ગયું છે;
    જે જોઇને અમે આનંદ પામતા હતા,
    તે બધું ખંડેર બની ગયું છે.
12 આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો!
    શું તમારું હૃદય નહિ દ્રવે?
    શું હજુ પણ તમે શાંત રહેશો અને અમને અપાર વેદના આપતા રહેશો?

1 તિમોથી 1

ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું.

હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે.

દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

ખોટા ઉપદેશ સામે ચેતવણી

મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે. જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે. આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ. કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે. તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી.

જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે. 10 જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે. 11 દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ આ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે.

દેવની દયા માટે આભાર

12 આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું આ કામ મને આપ્યું. તેણે જ મને આ સેવા માટે સાર્મથ્ય આપ્યું. 13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ. 14 પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં.

15 હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું. 16 પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો. 17 જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.

18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું. 19 તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે. 20 હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં એ લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International