Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 17-19

ઇસ્રાએલ તથા અરામનું પતન

17 દમસ્કને લગતી દેવવાણી

“જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે,
    તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.
અરામના નગરો કાયમને માટે ઉજ્જડ બની જશે,
    ત્યાં ઘેટાં-બકરાંનાં ટોળાં નિરાંતે આવીને બેસશે,
    અને કોઇ તેમને હાંકી કાઢશે નહિ.
ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે;
    વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ
તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,”
    સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.

“તે દિવસે ઇસ્રાએલમાંથી યાકૂબની જાહોજલાલી જતી રહેશે
    અને ગરીબી આવી પડશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે,

“એ લણીને અનાજ ભેગું કરી લીધેલાં ખાલી ખેતર જેવું, થઇ જશે. તે રફાઇમની ખીણમાંના અનાજના ડૂંડા લણી લીધેલા કોઇ ખેતર જેવું થઈ જશે.

“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.

આખરે તેઓ પોતાના ઉત્પન્નકર્તા દેવનું સ્મરણ કરશે અને ઇસ્રાએલના પવિત્ર યહોવાનો આદરસત્કાર કરશે. તે દિવસે તેઓ મદદ માટે મૂર્તિઓ આગળ વિનંતી કરશે નહિ તથા તેઓ પોતાના જ હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરશે નહિ ત્યારે તેમને અશેરા સ્તંભ અને ધૂપ વેદીઓ માટે માન રહેશે નહિ. તે દિવસે તેમનાં કિલ્લેબંદીવાળાં શહેરો, ઇસ્રાએલીઓ આવતાં હિવ્વીઓ અને અમોરીઓએ તજી દીધેલાં સ્થાનો જેવાં થઇ ગયાં હતાં તેવા થઇ જશે; બધું વેરાન થઇ જશે.

10 હે ઇસ્રાએલના લોકો, તમે તમારા ઉદ્ધારક દેવને, ખડકની જેમ તમારું રક્ષણ કરનારને ભૂલી જઇને બીજા દેવની પૂજા માટે બગીચા બનાવો છો. 11 પણ તમે રોપો તે જ દિવસે તેને ફણગાં ફૂટે અને વાવો તે જ સવારે તેને ફૂલ બેસે, તોયે શોકના અને અસાધ્ય વેદનાના દિવસ આવે ત્યારે એનો ફાલ અલોપ થઇ જશે.

12 અરે, સમુદ્રની ગર્જના જેવી ગર્જના કરતાંય મોટી માનવમેદનીની ગર્જના સંભળાય છે.
    વળી લોકોના ઘોંઘાટ!
    પ્રચંડ જલરાશિના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
13 લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
    પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે,
જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ;
    જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.
14 જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે;
    જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા!
આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય.
    અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.

કૂશને વિનાશની ચેતવણી

18 અરે! કૂશની નદીઓને પેલે પાર, પાંખોના ફફડાટ વાળા દેશનું દુર્ભાગ્ય! તે દેશ નીલનદીને માર્ગે પાણી પર સરકટનાં વહાણોમાં એલચીઓ મોકલે છે:

વેગવાન કાસદો, તમે એ લોકો પાસે જાઓ,
    જે કદાવર અને સુંવાળી ચામડીવાળાં છે,
જેનાથી દૂરનાં અને નજીકના સૌ ડરે છે,
    જે બળવાન અને પરાક્રમી છે,
    જેના દેશની ભૂમિને અનેક નદીઓ સીંચે છે.
હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ,
    જ્યારે યુદ્ધ માટેની મારી ધ્વજા પર્વત પર
ઊંચી કરવામાં આવે ત્યારે ધ્યાન આપજો!
    જ્યારે હું રણશિંગડું વગાડું, ત્યારે સાંભળજો,

કારણ, યહોવાએ મને આ પ્રમાણે કહ્યું છે, “ગ્રીષ્મના બળબળતા બેઠા તડકાની જેમ, કાપણીની ઋતુંની ગરમીમાં જામતાં ઝાકળની જેમ, હું શાંત બેઠો મારા નિવાસસ્થાનેથી જોયા કરીશ. પરંતુ પછી, કાપણીની ઋતું પહેલાં, ફૂલ બેસતાં બંધ થયાં હોય અને ફૂલની પાકી દ્રાક્ષ થવા માંડી હોય, ત્યારે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખવામાં આવે છે અને વધી ગયેલી ડાળીઓને કાપીને લઇ જાય છે. તેમ એ લોકોને કાપી નાખીને પર્વત પર શિકારી પંખીઓને માટે, જંગલી પશુઓને માટે મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે પર ઉનાળો કાઢશે. અને જગતનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.”

તે વેળાએ એક પ્રજા, સૈન્યોના દેવ યહોવાના નામ ઉપર, યહોવા માટે અર્પણો લઇને સિયોન પર્વત પરના મંદિરમાં આવશે, તેઓ ઉંચા અને સુંવાળીં ચામડીવાળા લોકો છે, જેમનાથી, દૂર અથવા નજીક રહેતા દરેક ડરે છે, અને જેની ભૂમિને અનેક નદીઓ સીંચે છે.

મિસરના વિનાશની ભવિષ્યવાણી

19 મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.

દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય. મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”

નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે. નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઇને સુકાઇ જશે; નાળાં સુકાઇ જશે. ગંધાઇ ઊઠશે, અને બરુ અને કમળ ચીમળાઇ જશે. નીલનદીને કાંઠે આવેલી તમામ લીલોતરી અને તેની આસપાસ જે કઇં વાવ્યું છે તે બધું સૂકાઇ જશે. પવનમાં ઊડી જશે. અને તેનું કોઇ નામો નિશાન નહિ રહે.

માછીઓ શોક કરશે, નીલમાં ગલ નાખનારાઓ આક્રંદ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નાસીપાસ થશે. પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે. 10 તેણીના (મિસરના) પાયાઓ હચમચી જશે અને બધા કામદારો નિરાશ થઇ જશે.

11 સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?” 12 હે હારુન, તારા એ જ્ઞાની પુરુષો ક્યાં છે? હોય તો આગળ આવે અને સૈન્યોના દેવ યહોવાએ મિસરનું શું કરવા ધાર્યુ છે, તે તને જણાવે અને સમજાવે.

13 સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે. 14 યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે. 15 કોઇપણ વ્યકિત, મહત્વની કે બિન મહત્વની, તે સમયે મિસરને બચાવી નહિં શકે.

16 તે દિવસે મિસરીઓ સૈન્યોના દેવ યહોવાને પોતાની સામે હાથ ઉગામતો જોઇને, સ્ત્રીની જેમ ભયભીત થઇને થથરવા લાગશે. 17 યહૂદાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાએ મિસરના જે હાલ કરવા ધાર્યા છે તેને લીધે યહૂદાનું નામ સાંભળતાં વેંત મિસરીઓ થથરી જશે. 18 તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.

19 તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે. 20 એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,

21 યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે. 22 યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.

23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે. 24 તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઇ જશે. 25 સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”

એફેસીઓ 5:17-33

17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો. 18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ. 20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.

પત્નીઓ અને પતિઓ

21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ.

22 પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો. 23 જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. 24 મંડળી ખ્રિસ્તની અધ્યક્ષતા નીચે છે. અને તે જ રીતે બધી પત્નીઓ દરેક બાબતમાં તેમના પતિના અધ્યક્ષપણા નીચે હોવી જોઈએ.

25 જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ. 26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. 27 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય.

28 હરેક પતિએ પણ પોતે પોતાના શરીરને જે રીતે ચાહે છે તે રીતે તેની પત્નીને ચાહવી જોઈએ. જે પુરુંષ તેની પત્નીને ચાહે છે તે પોતાની જાતને ચાહે છે. 29 શા માટે! કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના શરીરને ધિક્કારતી નથી. દરેક વ્યક્તિ પોતાના શરીરનુ પાલનપોષણ કરે છે અને તેની કાળજી રાખે છે અને ખ્રિસ્ત મંડળી માટે પણ આમ જ કરે છે. 30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. 31 પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”(A) 32 હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે. 33 પરંતુ તમારામાંના પ્રત્યેકે તેની પત્નીને પોતાની જાતની જેમ પ્રેમ કરવો જોઈએ. અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International