Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 6-8

યરૂશાલેમ પર આક્રમણનો ભય

“હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો,
    યરૂશાલેમમાંથી નીકળી જાઓ,
તકોઆમાં રણશિંગડું વગાડો
    અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો,
સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી
    સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.
તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે,
    પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.
ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે.
    એની ફરતે તંબુઓ નાંખે છે,
દરેક જણ પોતાને ગમે
    તે જગ્યાએ ચરશે.”

તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ;
    ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ.
હાય રે! દિવસ તો ઢળી ગયો,
    સંધ્યાની છાયા લંબાતી જાય છે!
તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને
    તેના મહેલોનો નાશ કરીએ.”

આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે,
    “તેણીના વૃક્ષો કાપી નાખો
    અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો.
આ નગર તો દંડને પાત્ર છે
    કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
જેમ ઝરો પાણીથી ઊભરાય છે
    તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે.
નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી,
    માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.
માટે યરૂશાલેમ, આ ચેતવણી પર
    તું ધ્યાન આપ.
નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ.
    તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,
“તમારા પર એક પછી એક આફત આવી પડશે
    અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે.
દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે,
    તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?
    કોને ચેતવવા?
    કોણ સાંભળશે?
તેમના કાન તમારા વિષે કંઇ
    સાંભળવા માંગતા નથી.
હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે,
    તેઓને તે ગમતા નથી.
11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,
    હું એને અંદર સમાવી શકતો નથી.”
ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં
    રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર
ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં
    બધા જ એનો ભોગ બનશે.
12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે
    અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે.
કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.”
    આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી
    સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે,
    અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!
14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય
    ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે,
તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’
    પણ લગારે બરાબર નથી.
15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?
    એમને વળી લાજશરમ કેવી?
તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે.
    તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે,
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.”
    આ યહોવાના વચન છે.

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે:
“જુઓ, ભૂતકાળના વર્ષોમાં
    તમે દેવના માર્ગોમાં ચાલતા હતા.
તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માર્ગે ચાલો.
    ત્યાં તમારા આત્માને શાંતિ મળશે.
પણ તમે પ્રત્યુત્તર આપો છો,
    ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’
17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા.
    ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’
    પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’”
18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો,
    અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો,
    કે તે લોકો પર હું આફત ઉતારનાર છું.
    એ એમના કાવાદાવાનું ફળ છે.
તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી;
    અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”

20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી.
    તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો!
હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી.
    તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.”

21 યહોવા કહે છે,
“તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ
    અને તેઓ ભૂમિ પર પછડાશે;
પિતા અને પુત્ર,
    પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.”

22 યહોવા કહે છે,
“ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે,
    પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે.
23 તેઓ ક્રૂર અને નિર્દય છે,
    શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે,
તેઓની કૂચનો અવાજ
    ઘૂઘવતા સમુદ્ર જેવો છે.
હે સિયોનની દીકરી,
    તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”
24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે,
    અમારા ગાત્રો ગળી ગયા છે.
અમને વેદના જાગી છે,
    જાણે પ્રસૂતિની વેદના.
25 બહાર ખેતરોમાં જશો નહિ,
    રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ
કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે.
    ચારે તરફ ભય છે.
26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો,
    રાખમાં બેસો,
અને એકના એક પુત્રને માટે હોય
    તેમ ભગ્નહૃદયે ચિંતા કર.
કારણ કે વિનાશ કરનાર સૈન્યો
    એકાએક આપણા પર ચઢી આવશે.

27 “યર્મિયા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે,
    મારા લોકોની પરીક્ષા કર,
    અને તેઓનું મૂલ્ય નક્કી કર.
તેઓ શું કહે છે તે તું સાંભળ.
    અને તેઓ શું કરે છે તે તું જો.
28 એ બધા અધમ બંડખોરો
    અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી?
    તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે.
29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે.
    અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે.
આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી.
    કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી.
તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી?
    તે બધુંજ કચરો છે.
    અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ જ રહે છે.
30 તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે.
    કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

અયોગ્ય ઉપાસના-વ્યર્થ પૂજા

પછી યહોવાએ યર્મિયાને કહ્યું, “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર; ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ. પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.” કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો, અને જો તમે વિદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો, અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ દોડી તમારો પોતાનો જ વિનાશ ન નોતરો; તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.

“‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે? તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો. 10 અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે! 11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.’” આ હું યહોવા બોલું છું.

12 “મારું સ્થાન એક વખત ‘શીલોહમાં હતું ત્યાં જાઓ, જ્યાં મારું પ્રથમ નિવાસસ્થાન હતું. અને જોઇ આવો કે મારા લોકો ઇસ્રાએલીઓની દુષ્ટતાને કારણે મેં તેના શા હાલ કર્યા છે! 13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો. 14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ “શીલોહ”માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ. 15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”

16 યહોવાએ મને કહ્યું, “યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી. 17 તું જોતો નથી કે યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે? 18 આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય? 19 શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? ખરું જોતાં તેઓ પોતાનું જ અપમાન કરતાં નથી? પોતે જ શરમજનક નામોશી વહોરી લેતા નથી?”

20 તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.”

યહોવા યજ્ઞ કરતા પોતાની ઉપાસના વધું ઇચ્છે

21 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ. 22 કારણ કે તમારા પિતૃઓને હું મિસરમાંથી લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને દહનાર્પણ અને યજ્ઞ વિષે કશુંય નહોતું કહ્યું કે, કોઇ આજ્ઞાય ફરમાવી નહોતી; ફકત મેં તેઓને કહ્યું હતું; 23 ‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’

24 “પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા. 25 તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત મેં મારા સેવકો પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છે. 26 છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો.

27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ. 28 માટે તું એમને કહેજે, ‘આ એ પ્રજા છે જે પોતાના દેવ યહોવાનું સાંભળતી નથી કે સુધરતી નથી; સચ્ચાઇ મરી પરવારી છે; એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી.’

કતલની ખીણ

29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે. 30 આવુ બન્યું કારણકે યહૂદિયાના લોકોએ મારી સામે એવું શરમજનક કૃત્ય કર્યું છે, કે તે મને ગમ્યું નથી, તેમણે મારું નામ ધરાવતા મંદિરમાં ઘૃણાસ્પદ મૂર્તિઓ મૂકી એને તેને અશુદ્ધ કર્યું છે. 31 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.” 32 “એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમની ખીણ’ નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે. 33 પછી એ લોકોના મૃતદેહોને આકાશના પંખીઓ અને જંગલી પશુઓ ખાશે અને તેમને ડરાવીને હાંકી મૂકનાર કોઇ નહિ હોય, 34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”

યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.

“અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.

પાપ અને સજા

“તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે.

“‘કોઇ પડી જાય છે
    તો પાછો ઊભો થાય છે.
કોઇ રસ્તો ભૂલે છે
    તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.
તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો
    તો પાછા કેમ નથી ફરતા?
તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો
    અને પાછા આવવાની ના પાડો છો.
મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે,
    પણ કોઇ સાચું બોલતું નથી,
કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી,
    કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?”
જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે,
    તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.
આકાશમાં ઊડતો બગલો
    પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે,
તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે,
    પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે
નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે;
    પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.

“‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.”
    શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
“શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે
    અને તેમના કામો ઉઘાડા પડી જશે.
નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા.
    તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?
10 હું તેમની પર દુકાળ, તરવાર
    અને બીમારી મોકલી દઇશ.
હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય,
    ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે.
    જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.
11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય
    એમ ઉપચાર કરે છે.
તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.”
    પણ લગારે બરાબર નથી.
12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે?
    ના, તેઓને સહેજે શરમ લાગતી નથી;
વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી!
    તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે.
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.’”
    આ યહોવાના વચન છે.

13 યહોવા કહે છે કે, “‘હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ;
    વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ,
ને અંજીરીને અંજીર લાગશે નહિ,
    ને પાંદડા ચીમળાશે;
મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.’”
આ યહોવાના વચન છે.

14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ?
    આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ
અને ત્યાં મૃત્યુ પામીએ,
    કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે
અને આપણા સર્વ પાપોને
    કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.
15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી,
    પરંતુ કઇં શાંતિ થઇ નહિ,
આપણે કુશળ સમયની રાહ જોઇ હતી,
    પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.
16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.
    દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે;
    ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે,
તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે,
    એ લોકો આખો પ્રદેશ
અને એમનું સર્વસ્વ,
    શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”

17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સર્પો
    અને નાગો મોકલું છું,
એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે,
    તે તમને કરડશે.”

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.
19 સાંભળ! દુર સુધી દેશમાં
    મારા લોકોની ચીસ સંભળાય છે,
તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી?
    સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?”

યહોવાએ પ્રત્યુત્તર આપ્યો,
“તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને
    અને તમારા વિદેશી દેવો દ્વારા શા
    માટે મને ક્રોધિત કર્યો છે?”
20 લોકો કહે છે,
    “કાપણી પૂરી થઇ છે,
ઉનાળો વિતી ગયો છે,
    પણ આપણું તારણ ન થયું.”

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે,
    હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.
22 શું હવે ગિલયાદમાં દવા નથી?
    ત્યાં કોઇ વૈદ્ય નથી?
    તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?

1 તિમોથી 5

વૃદ્ધને ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે. વૃદ્ધ સ્ત્રીઓને મા સમાન ગણજે અને જુવાન સ્ત્રીઓને બહેનો જેવી ગણજે. તેઓની સાથે હંમેશા સારું વર્તન કરજે.

જે વિધવા ખરેખર નિરાધાર હોય તેઓનું માન-સન્માન જાળવજે અને તેઓની સંભાળ લેજે. પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે. જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત-દિવસ હમેશા પ્રાર્થના કરતી હોય છે. તે દેવ પાસે મદદ માગે છે. પરંતુ જે વિધવા પોતાને રાજી રાખવા મોજ-મઝામાં જીવન વેડફે છે, તે જીવતી હોવા છતાં ખરેખર મરણ પામેલી જ છે. ત્યાનાં વિશ્વાસીઓને તું આ બધી વાત કહેજે (પોતાના ઘરની સંભાળ લેવાનું) જેથી, બીજી કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે તેઓ ખોટું કરી રહ્યાં છે. વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.

વિધવાઓની તારી યાદીમાં એવી સ્ત્રીનું નામ ઉમેરજે કે જે 60 વર્ષ કે તેથી વધારે ઊંમરની હોય. તે તેના પતિને વફાદાર રહી ચૂકી હોય. અને પર્ણલગ્ન ના કર્યુ હોય. 10 સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું.

11 પરંતુ એ યાદીમાં જુવાન વિધવાઓનો સમાવેશ ન કરીશ. જ્યારે તેઓ ખ્રિસ્તને સમર્પિત થઇ જાય છે, ત્યારબાદ તેઓના તીવ્ર શારીરિક આવેગોને લીધે તેઓ ઘણીવાર ખ્રિસ્તથી દૂર ખેંચાઈ જાય છે. પછી તેઓ ફરીથી પરણવા ચાહે છે. 12 અને એવું કરનાર જુવાન વિધવાઓનો ન્યાય તોળાશે. તેઓએ પહેલા જે કરવાનું વચન આપ્યું હતું, તે ન કરવાના કારણે તેઓનો ન્યાય તોળવામાં આવશે. 13 વળી, તે જુવાન વિધવાઓ ઘેરઘેર ભટકવાનું શરું કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કૂથલી કરવાનું શરું કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જે ન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે. 14 તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય. 15 પરંતુ કેટલીએક જુવાન વિધવાઓ અવળે માર્ગે દોરવાઈ જઈને શેતાનને અનુસરે છે.

16 જો કોઈ વિશ્વાસી સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો, તેણે પોતે તેઓની સંભાળ લેવી જોઈએ. તેઓની સંભાળ માટે મંડળીએ ભાર ઊઠાવવો જોઈએ નહિ. જેથી કુટુંબ વિહોણી નિરાધાર વિધવાઓની સંભાળ લેવાનું કામ મંડળી કરી શકશે.

વડીલોને સાથે રહેવા માટે કેટલાક નિયમો

17 મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે. 18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.”(A) અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”(B)

19 મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી. 20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે.

21 દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું. પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોળવા બેસી ના જતો. અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે.

22 કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે.

23 તિમોથી, આજ સુધી તે ફક્ત પાણીજ પીધા કર્યુ છે. હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે. તેનાથી તારું પેટ સારું થશે, અને તું વારંવાર બિમાર નહિ થાય.

24 કેટલાએક લોકોનાં પાપ સહેલાઈથી જણાઈ આવે છે. તેઓનાં પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોળોશે. પરંતુ બીજા કેટલાએક લોકોનાં પાપ પાછળથી ખબર પડે છે. 25 સારાં કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોનાં સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે. પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય, તો પણ તે છુપાવી શકતા નથી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International