Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 53-55

53 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?

તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ. લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.

તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ. આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું નહિ. તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો. દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.

10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે. 11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે.

પ્રભુ કહે છે, “આમ મારો નિર્દોષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે. 12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”

ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ

54 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
    તું મુકત કંઠે ગીત ગા,
    આનંદના પોકાર કર;

“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
    સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”

“તારો તંબુ વિશાળ બનાવ,
    તારા તંબુના પડદા પહોળા કર,
    તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
    કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
    અને વેરાન નગરોને વસતાં કરશે.
ગભરાઇશ નહિ;
    તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
    તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
    સંભારવામાં આવશે નહિ.
કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
    ‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
    અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.

“તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
    તારા દેવ, યહોવા,
    તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
    તેને શી રીતે તજી શકાય?”
યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
    પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
    પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
    એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,
    જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે,
હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું.
    તેમ આજે હું તને વચન આપું છું કે,
ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં,
    કે તને ઠપકો દઇશ નહિ.”

10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય
    અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે,
પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે.
    તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર
    કદી ખંડિત થશે નહિ.”
એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.

11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી
    દિલાસા વિહોણી નગરી!
હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ
    અને મૂલ્યવાન પથ્થરોમાંથી
    તમારા ઘરની ભીંતો બનાવીશ.
12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના
    અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ.
13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,
    અને તેઓ સુખશાંતિ અનુભવશે;
14 પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે.
    ત્રાસ તારાથી દૂર રહેશે
અને તને કશાનો ડર રહેશે નહિ.
    તું ત્રાસથી સદંતર મુકત રહેશે.
15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ.
    જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

16 “ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.

17 “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે.

“મારા સેવકોનો આ વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” આ યહોવાના વચન છે.

યહોવાને શોધનારાને આશીર્વાદ

55 યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે?
    તમારી પાસે પૈસા ન હોય તો
પણ આવો અને પીઓ!
    આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ,
અને દૂધ અને દ્રાક્ષારસ વિના
    મૂલ્યે લઇ જાઓ.
જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખર્યો છો?
    જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો?
મારું કહ્યું ધ્યાનથી સાંભળો,
    અને ઉત્તમ ખોરાક ખાવ.
મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો.
    મારું સાંભળશો તો જીવન પામશો.
હું તમારી સાથે કાયમનો કરાર કરીશ.
    મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું
    તે તમારા ઉપર કરીશ.
મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો.
    તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”

“તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો.
    અને તે પ્રજાઓ તમારી પાસે દોડી આવશે.
કારણ કે ઇસ્રાએલના પરમ પવિત્ર યહોવાએ
    તમારું સન્માન કર્યું છે.”
યહોવા મળે એમ છે
    ત્યાં સુધીમાં તેને શોધી કાઢો,
તે નજીક છે
    ત્યાં સુધીમાં તેને બોલાવો.
દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે;
    અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે;
તેઓ યહોવા પાસે પાછા ફરે;
    તે તેમના પર દયા કરશે;
આપણા દેવને ચરણે પાછા વળો;
    તે પૂરી માફી આપશે.

દેવને લોકો સમજી શકવાના નથી

યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી
    અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.
કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
    તેમ મારા માર્ગો તમારા માર્ગોથી
    અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”

10 “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે,
    અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી;
તેથી જ ધરતી ફૂલેફાલે છે
    અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.
11 તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે
    અને હંમેશ ફળ આપે છે.
મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર
    અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”

12 “તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો
    અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે.
તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને
    અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.
13 એક વખતે જ્યાં કાંટા-ઝાંખરા હતા,
    ત્યાં દેવદાર અને મેંદી ઊગી નીકળશે.
આ પરાક્રમને કારણે યહોવાના નામનો મહિમા અમર થશે.
    તે શાશ્વત સ્મારકરૂપ પરાક્રમ અને ક્યારેય ન ભૂંસાય તેવી નિશાની થશે.”

2 થેસ્સલોનિકીઓ 1

પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામાં રહેતી મંડળીને કુશળતા હો.

તમે લોકો આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આઘિન છો.

દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.

અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.

દેવના ન્યાય વિષે પાઉલ કહે છે

એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે. દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે. અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે. તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે. તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે. 10 જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો[a] સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.

11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો. 12 અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International