Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 32-33

ઇસ્રાએલની શાંતિ માટે અગમવાણી

32 જુઓ, એવો સમય આવશે જ્યારે રાજા ન્યાયથી રાજ્ય કરશે અને અમલદારો ન્યાયથી તેનો અમલ ચલાવશે. તે લોકો ઇસ્રાએલને તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડશે. તે તેને રણમાં વહેતી નદી જેવી તાજગી આપશે. ઇસ્રાએલ માટે તે ગરમ અને સૂકા પ્રદેશમાં શીતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બનશે. પછી, જેઓ જોઇ શકે છે તેમની આંખો બંધ નહિ થાય અને જેઓ સાંભળી શકે છે તેમના કાન શ્રવણ કરશે. ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે. ત્યારબાદ મૂર્ખર્ને કોઇ ખાનદાન નહિ કહે, કે ધૂર્તને કોઇ આદરપાત્ર નહિ કહે.

કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી. અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.

છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.

ખરાબ સમય આવી રહ્યો છે

એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો! 10 હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.

11 હે એશઆરામી સ્ત્રીઓ, કંપી ઊઠો! હે બેદરકાર સ્ત્રીઓ, ધ્રૂજી ઊઠો! તમારા રોજબરોજના વસ્રો દૂર કરો અને શણના કપડાં પહેરીલો. 12 પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો. 13 તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.

14 કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.

15 પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે. 16 ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે, 17 અને ન્યાયીપણાને પરિણામે કાયમી શાંતિ અને સુરક્ષા રહેશે. 18 ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.

19 પરંતુ જંગલો નાશ પામશે; નગરનો ધ્વંસ થશે. 20 સુખી છો તમે જેઓ દરેક ઝરણાની ધારે બી વાવો છો અને તમારા બળદોને અને ગધેડાને ચરાણમાં છૂટથી ચરવા દો છે.

યહોવાને મદદ માટે ધા

33 અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે.

હે યહોવા, અમારા પર કૃપા કરો,
    અમને તમારી જ આશા છે.
રોજે રોજ અમારું રક્ષણ કરો
    અને મુશ્કેલીના સમયે અમારી રક્ષા કરો.
તમારી ધમકીની ગર્જના સાંભળીને લોકો નાસી જાય છે,
    તમારા ઊઠતાં બરાબર જ પ્રજાઓ વેરવિખેર થઇ જાય છે.

તમારી યુદ્ધની લૂંટ, જાણે તીડ અને તીતીઘોડા ખાઇ રહ્યાં હોય તેમ ભેગી કરવામાં આવશે.

યહોવા મોટો મનાયો છે; કેમ કે ઉચ્ચસ્થાને રહે છે, તે સિયોનને ન્યાય, ભલાઇ અને સદાચારનું નિવાસસ્થાન બનાવશે.

તે પોતાની પ્રજાને સ્થિરતા આપશે. તારણ, ડહાપણ અને જ્ઞાન આપશે. યહોવાનો ભય સિયોનની પ્રજાનો ખજાનો છે.

પણ જુઓ, હમણા વીરપુરુષો મદદ માટે પોકાર કરી રહ્યા છે, અને શાંતિ કરવા ગયેલા એલચીઓ પોક મૂકીને રડે છે. રાજમાર્ગો ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી. ભૂમિ આક્રંદ કરે છે, ઝૂરી મરે છે; લબાનોન ઉજ્જડ થઇ ગયું છે, શારોનની ફળદ્રુપ ભૂમિ વગડો બની ગઇ છે અને બાશાન અને કામેર્લના જંગલો તેમનાં પાંદડા ખેરવી નાખે છે.

10 યહોવા કહે છે, “હવે હું ઉપર ઊઠીશ અને સાર્મથ્ય દેખાડીશ. 11 તમે સૂકા ધાસને ઘારણ કરો છો અને તણખલાને જન્મ આપો છો. તમારો શ્વાસ જ તમને અગ્નિની જેમ ભરખી જશે. 12 જેમ કાંટાઓને કાપીને અગ્નિમાં ફેંકવામાં આવે, તેમ તમારા યોદ્ધાઓને પૂરેપૂરા બાળી નાખવામાં આવશે.

13 “હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.”

14 સિયોનમાં પાપીઓ ધ્રૂજે છે, દુષ્ટો થથરે છે, અને પૂછે છે, “આ ભડભડતા અગ્નિમાં આપણામાંથી કોણ રહી શકે? આ સદાય બળતી જવાળામાં આપણામાંથી કોણ બચી શકે?”

15 જે માણસ ન્યાયને માર્ગે ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. 16 આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.

17 તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18 ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19 કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે.

દેવ યરૂશાલેમને બચાવશે

20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21 ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22 કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે. 23 શકિતશાળી વહાણોના દોરડાં ઢીલાં થઇ જશે અને તેના કૂવાસ્થંભો ભાંગી જશે, જેથી તે સઢ ફેલાવી શકશે નહિ. તેઓની સંપત્તિ દેવના લોકો દ્વારા વહેંચી લેવામાં આવશે. જેઓ અપંગ છે તેઓ પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત કરશે. 24 અને હવે ઇસ્રાએલના કોઇ વતનીને એવું કહેવાનો વારો નહિ આવે કે, “અમે માંદા છીએ.” કારણ કે યહોવા તે લોકોને તેઓની દુષ્ટતાની માફી આપશે.

કલોસ્સીઓ 1

ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હું પ્રેરિત છું. કારણ કે દેવ જ તેમ ઈચ્છતો હતો. ખ્રિસ્તમાં આપણા ભાઈ તિમોથી તરફથી પણ સલામ.

કલોસ્સામાં રહેતા ખ્રિસ્તમાં આપણા પવિત્ર અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને આપણા દેવ બાપ તરફથી કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે. અમે દેવનો આભાર માનીએ છીએ કારણ કે તમે જે વિશ્વાસ ખ્રિસ્ત ઈસુમાં ધરાવો છો અને દેવના સર્વ સંતો માટે તમને જે પ્રેમ છે તેના વિષે અમે સાભંળ્યું છે. તમને ખ્રિસ્તમાં વિશ્વાસ છે. તમારી આશાને કારણે તમે દેવના સંતોને પ્રેમ કરો છો. તમે જાણો છો કે જે વસ્તુની તમે આશા રાખો છો, તે આકાશમાં સલામત છે. તમે તેની આશા જાણવા આવ્યા છો. જ્યારે તમે સત્યના ઉપદેશને સાંભળ્યો, સત્ય સંદેશ એ જ સુર્વાતા છે. જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું. એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. પવિત્ર આત્મા તરફથી તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે તે પણ એપાફ્રાસે અમને જણાવ્યું છે.

જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:

કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.

પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.

જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ

15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
    પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
    જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
    આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
    સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.

17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
    અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
    તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.

19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20     દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
    પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.

21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.

મંડળી માટે પાઉલનું કાર્ય

24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International