Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 24-26

અંજીર સંબંધી યર્મિયાનું દર્શન

24 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.

પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?”

મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

ત્યારે યહોવાએ મને કહ્યું, આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

“પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”

બંદીવાસ માટે યર્મિયાનો પ્રબોધ

25 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વર્ષે યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યર્મિયા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વર્ષે રાજ કરવાનું શરું કર્યું. અને યર્મિયા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,

છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી. વળી વર્ષોના વર્ષો સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ.

તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો. તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.

“પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માર્ગે આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.”

અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી. તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે. 10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.

12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ. 13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યર્મિયાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ. 14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”

વિશ્વના રાષ્ટ્રો સાથે ન્યાય

15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે. 16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.”

17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો. 18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.

19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.

20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,

21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને,

22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને, 23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં, 24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને, 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.

27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’

28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. 29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.’” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

30 “તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે,
‘યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ
    તથા પૃથ્વી પર વસનારા સર્વની
વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે.
    રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે.
    યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે,
તે બધા માણસોનો ન્યાય કરે છે.
    તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’”
આ યહોવાના વચન છે.

32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે,
“જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં,
    એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે,
પૃથ્વીના દૂર દૂરને છેડેથી
    પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”

33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.

34 હે દુષ્ટ આગેવાનો!
    રડો, પોક મૂકીને રડો,
    હે લોકોના ઘેટાં પાળકો!
તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે.
    તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.
35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ,
    નાસી જવાને રસ્તો પણ નહિ મળે.
    હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.
36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે,
    ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે,
    કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.
37 તેમના ભયંકર રોષને કારણે
    તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે.
38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા
    સિંહની જેમ યહોવા બહાર આવે છે.
યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં,
    પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.

મંદિર પર યર્મિયાનો બોધ

26 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યર્મિયાને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે. કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો, તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો. તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.’”

યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. તેં શા માટે યહોવાના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ મંદિરની હાલત શીલોહ જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઇ જશે?” બધા લોકો યહોવાના મંદિરમાં યર્મિયાને ઘેરી વળ્યા.

10 આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાના મંદિરના નવા પ્રવેશદ્વાર આગળ ગોઠવાઇ ગયા. 11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓ અને લોકોને સંબોધીને કહ્યું, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઇએ, કારણ, તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે તે તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે.”

12 ત્યારે યર્મિયાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે. 13 માટે હવે તમારાં આચરણ અને કર્મો સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે. 14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”

16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.”

17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું, 18 “યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું.

‘સૈન્યોના દેવ યહોવાના વચન છે,
સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે,
    યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે,
અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે
    ત્યાં જંગલ ઊગી નીકળશે!’(A)

19 “શું યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધાં લોકોએ આ માટે મીખાહને મારી નાખ્યો હતો? તેને બદલે, હિઝિક્યાએ યહોવાનો ડર રાખીને તેની પાસે માફી નહોતી માગી? આને કારણે યહોવાએ તેમના પર જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળ્યું. આ રીતે તો આપણે જ આપણા પર મોટી આફત નોતરીશું.”

20 વળી શમાયાનો પુત્ર ઊરિયા કિર્યાથ-યઆરીમનો વતની હતો અને યહોવાનો બીજો સાચો પ્રબોધક હતો. યર્મિયાના સમયમાં તે પણ આ નગર તથા દેશની વિરુદ્ધ ભવિષ્યવચન કહેતો હતો. 21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો. 22 ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો.

24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યર્મિયાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યર્મિયાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.

તિતસ 2

શુદ્ધ ઉપદેશનું પાલન

શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ. વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.

વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ. એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ. જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે. જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન. અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ; 10 તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.

11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે. 12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ. 13 આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે. 14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International