Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 37-39

યર્મિયાને કારાવાસ

37 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના નવા રાજા તરીકે યહોયાકીમ રાજાના પુત્ર કોન્યાની નિમણૂંક કરી નહિ, પણ તેને બદલે તેણે યોશિયાના પુત્ર સિદકિયાની પસંદગી કરી. યહોવાએ યર્મિયા દ્વારા જે વચનો કહેવડાવ્યા હતાં તે રાજા સિદકિયાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.

તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યર્મિયા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”

એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો; દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો.

પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે. 10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’”

11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ. 12 યર્મિયા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. 13 પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યર્મિયા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.”

14 યર્મિયાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યર્મિયા પર ક્રોધે ભરાયા. 15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો. 16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યર્મિયાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.

17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”

યર્મિયાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.” 18 ત્યારબાદ યર્મિયાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે. 19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’ 20 તેથી, મારા ધણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. મને પાછો મંત્રી યહોનાથાનને ઘેર ન મોકલશો, નહિ તો હું ત્યાં મરી જઇશ.”

21 જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યર્મિયાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યર્મિયા રાજમહેલની જેલમાં રહ્યો.

યર્મિયાનો પાણીના ટાંકામાંથી બચાવ

38 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યર્મિયા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું: “આ યહોવાના વચન છે: ‘જે કોઇ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી મૃત્યુ પામશે, પણ જે કોઇ બાબિલવાસીઓને શરણે જવા બહાર ચાલ્યો જશે તે બચવા પામશે, કઇઁં નહિ તો તે જીવતો તો રહેશે જ.’ ‘અને આ નગર બાબિલના રાજાના લશ્કરના હાથમાં જશે, અને તેઓ તેનો કબજો લેશે.’”

ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. એ આ લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.”

રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”

આથી એ લોકોએ યર્મિયાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યર્મિયા એ કાદવમાં ખૂંપી ગયો.

કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યર્મિયાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે. રાજા બિન્યામીન દરવાજા આગળ બેઠો હતો એવામાં એબેદ-મેલેખે આવીને તેને કહ્યું, “મારા ધણી, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યર્મિયા સાથે જે બધું કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીનાં ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”

10 આ સાંભળીને રાજાએ એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઇને પ્રબોધક યર્મિયા મૃત્યુ પામે તે પહેલાં તેને બહાર ખેંચી કાઢ.

11 એબેદ-મેલેખે પોતાની સાથે ત્રીણ માણસો લઇને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાંક ફાટેલાં ચીથરાં લઇને દોરડા વડે ટાંકાંમાં યર્મિયાને પહોંચાડ્યા અને કહ્યું, 12 “દોરડાથી તને હાનિ પહોંચે નહિ માટે આ જૂના ફાટેલાં કપડાને તારી બગલમાં મૂક.” 13 યર્મિયાએ તે પ્રમાણે કર્યું. અને તેને દોરડા વડે ધાતુના ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો અને પહેલા જ્યાં હતો ત્યાં રક્ષકઘરમાં મોકલી અપાયો.

સિદકિયાએ યર્મિયાને પ્રશ્ર્ન પૂછયો

14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યર્મિયાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”

15 યર્મિયાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તું મને મારી નાખશે અને જો હું સલાહ આપુ તો પણ તું મારું સાંભળવાનો નથી.”

16 ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યર્મિયાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.”

17 એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં. 18 પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.’”

19 એટલે રાજા સિદકિયાએ યર્મિયાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?”

20 યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે. 21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે: 22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે; તેઓ જતાં જતાં ગાય છે:

“તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે,
    તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે.
તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે.
    અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.

23 “તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”

24 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે. 25 જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે. 26 છતાં તું કેવળ એટલું જ કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.”

27 બધા અમલદારોએ યર્મિયા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.

28 યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા રક્ષકઘરના ચોકમાં જ રહ્યો.

યરૂશાલેમનું પતન

39 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો. સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું. બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં.

સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં. પરંતુ બાબિલવાસીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહ ખાતે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઇ ગયા અને તેના પર કામ ચલાવવામાં આવ્યું. પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા. ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.

બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી. બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો. 10 તેણે વસ્તીમાંના ગરીબ લોકોને યહૂદિયામાં રહેવા દીધા, જેમની પાસે કશું જ નહોતું, તેમને દ્રાક્ષનીવાડીઓ અને ખેતરો આપ્યાં.

11 હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યર્મિયાને શોધી કાઢે. 12 તેણે કહ્યું, “તેને સહેજ પણ ઇજા થવી જોઇએ નહિ, તેની સંભાળ રાખજે, અને તેને જે જોઇએ તે બધું પૂરું પાડજે.”

13 તેથી નબૂઝારઅદાનને મુખ્ય દરબારી નબૂશાઝબાનને વડા અધિકારી નેર્ગાલ-શારએસેરને અને બાબિલના રાજાના બધા મુખ્ય અમલદારોને મોકલ્યા. 14 યર્મિયાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.

અબેદ મેલેખને યહોવાનો સંદેશ

15 યર્મિયા કેદખાનામાં જ હતો અને બાબિલનું સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું તે પહેલાં યહોવાનો આ સંદેશો તેની પાસે આવ્યો હતો: 16 “તુ જઇને કૂશના એબેદ-મેલેખને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: મેં કહ્યા પ્રમાણે આ શહેર પર આફત ઉતારનાર છું, હું એનું ભલું કરનાર નથી. જે વખતે આ બનશે ત્યારે તું એ જોવા હાજર હોઇશ: 17 પણ તે દિવસે હું તને ઉગારી લઇશ, તું જેમનાથી ડરે છે તે માણસોના હાથમાં તને નહિ સોંપી દઉં. 18 કારણ કે હું તને ચોક્કસ બચાવી લઇશ, તું મરણ નહિ પામે. હું તારું જીવન બચાવીશ કારણ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો હતો,’” આ યહોવાના વચન છે.

હિબ્રૂઓ 3

ઈસુ મૂસા કરતાં મહાન

તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.

આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:

“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
    ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
    અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
    અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
    તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
    ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (A)

12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:

“જો આજે તમે દેવની વાણી સાંભળો,
    તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (B)

16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International