Old/New Testament
યર્મિયાનો યહોવામાં વિશ્વાસ અને પશ્ચાતાપ
3 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના
દંડાનો માર અનુભવ્યો છે.
2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર
દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.
3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને
આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.
4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે.
તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.
5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી
તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!
6 મરી ગયેલા માણસની જેમ.
તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.
7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે.
અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.
8 જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું,
ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે
અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.
10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે,
સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.
11 મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે.
તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.
12 તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે
અને તેને મારી સામે તાક્યું છે.
13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી.
મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.
14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું;
અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.
15 તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે.
તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.
16 વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે,
તેણે મને રાખમાં રગદોળી દીધો છે.
17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે,
સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.
18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે
અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
તેમના માટે યહોવા સારો છે.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
તેની રાહ જોવી તે સારું છે.
27 હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની
ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.
28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે,
તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.
29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે,
ત્યાં હજી પણ કદાચ આશા હશે.
30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે;
અને બધા અપમાન વેઠી લો.
31 યહોવા આપણને કદી
પણ નકારશે નહિ.
32 કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે;
છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.
33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી,
અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.
34 જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા
કચડી નાંખવામાં આવે છે ત્યારે,
35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે,
“પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે.”
36 જ્યારે પણ ન્યાય થતો નથી,
યહોવાને તે મંજૂર નથી.
37 યહોવાની આજ્ઞા વિના
કોનું ધાર્યું થાય છે?
38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ
અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.
39 પાપની સજા સામે કોઇ માણસે
શા માટે ફરિયાદ કરવી જોઇએ?
40 આપણી રીતભાત તપાસીએ અને
કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી.
સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.
42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે;
અને તમે અમને માફ કર્યા નથી.
43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે
અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.
44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો;
જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.
45 તમે અમને પ્રજાઓની વચમાં.
કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા
સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
47 અમે ભયભીત થયા છીએ,
જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે.
અમે એકલા છીએ
અને ભાંગી પડ્યા છીએ.
48 મારા લોકોનો વિનાશ જોઇને મારી
આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
49 યહોવા આકાશમાંથી
દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.
50 નિરંતર મારી
આંખમાંથી આંસુઓ વહે છે.
51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા
જોઇને મારી આંખો સૂજી ગઇ છે.
52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે
અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે
અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.
54 મારા માથા પર પાણી ફરી વળ્યાં
અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”
55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી.
મેં તમારા નામનો પોકાર કર્યો.
56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ
સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.
57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા,
અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.”
58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે
અને મારું જીવન બચાવ્યું છે.
59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે.
તમે મારો ન્યાય કરો.
60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ,
અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.
61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા
તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.
62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે.
તમે તેમના કાવાદાવા જાણો છો.
63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય,
હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.
64 હે યહોવા, તમે તેમના હાથની
કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.
65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો
અને તેમના પર શાપ વરસાવજો.
66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા!
તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.
દેવનો રોષ અને યરૂશાલેમનો વિનાશ
4 સોનું કેવું ઝાંખું પડ્યું છે,
ને કુંદન બદલાઇ ગયું છે.
પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓને
ખૂણે વિખેરાઇને આમતેમ પડ્યા છે.
2 સિયોનના અમૂલ્ય પુત્રો જે કુંદન જેવા છે.
તેઓ શા માટે માટીના ઘડાના મૂલમા લેખાય છે?
3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને
થાને વળગાડીને ધવડાવે છે
પરંતુ મારી પ્રજા વગડાના
શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.
4 તરસને કારણે બાળકોની
જીભ તાળવે ચોંટી રહે છે,
અને બાળકો ખોરાકને માટે ભીખ માંગી રહ્યા છે.
પણ તેમ છતાં કોઇ તેમને કશું પણ આપતું નથી.
5 પાંચ પકવાન ખાનારા રસ્તે રઝળીને મરે છે.
રેશમી વસ્ત્રોમાં ઊછરેલાં ઉકરડે આળોટે છે.
6 મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે,
અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે;
છતાં પણ કોઇ માણસે
તેમને હાથ લગાડયો નથી.
7 તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા,
અને દૂધ કરતાં ય ધોળા હતા.
તેમનાં શરીર પરવાળાં કરતાં ય લાલ હતાં
અને તેમની નસો નીલમણી જેવી નીલ હતી.
8 પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે,
ઓળખાતા નથી.
તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે;
તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે
અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.
9 ભૂખથી મરનાર કરતાં તરવારથી
મરનાર વધારે નસીબદાર હતા;
તેમના જીવનો અન્નજળ વિના વહી ગયાં છે
કારણકે ત્યાં લણવા માટે ધાન નહોતું.
10 મારી પ્રજા પર એવી આફત
ઊતરી આવી કે કોમળ હૃદયની સ્ત્રીઓએ પોતાના
પેટનાં છોકરાંને પોતાના
હાથે રાંધીને ખાવા પડ્યાં.
11 યહોવાએ પૂરેપૂરો પોતાનો ક્રોધ બતાવ્યો.
અને તેમણે તેને આગની જેમ વરસાવ્યો હતો.
સિયોન નગરીમાં એવી આગ ચાંપી હતી
જે તેના પાયાને સુદ્ધાં ભરખી ગઇ.
12 દુનિયાના કોઇ રાજા કે લોકોએ ધાર્યું નહોતું,
કે યરૂશાલેમના શત્રુઓ તેમના દરવાજેથી પસાર થશે.
13 પણ બન્યું એમ, પ્રબોધકોના પાપે;
અને યાજકોના અન્યાયને કારણે;
તેમણે નગરમાં ન્યાયીઓનું લોહી વહાવ્યું છે.
14 તેઓ શેરીએ શેરીએ આંધળાઓની જેમ ભટકયાં.
તેઓ લોહીથી એવા તો લથબથ હતા
કે કોઇ તેઓના વસ્ત્રોને અડકી શકતું નથી.
15 તેઓને જ્યારે જોયા ત્યારે લોકો બૂમો પાડી ઉઠયા;
હે અશુદ્ધ લોકો, અમને અડકશો નહિ,
તેના કારણે તેઓ શહેરને છોડીને
આમતેમ ભટકવા લાગ્યાં.
રાષ્ટ્રો વચ્ચે પણ એમ કહેવામાં આવ્યું હતું કે,
“તેઓ અમારી વચ્ચે હવે જરાપણ વધારે રહે નહિ.”
16 યહોવાએ જાતે જ તેમને વેરવિખેર કરી નાખ્યા.
અને પછી તેમણે તેમના ભણી જોયું જ નહિ.
તેમણે યાજકો પ્રત્યે આદર ન દાખવ્યો
કે વડીલો પર જરાયે દયા ન રાખી.
17 મદદની આશામાં સમય જોઇ જોઇ,
અમારી આંખો પણ થાકી ગઇ.
પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી
પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.
18 દુશ્મનો અમારી પાછળ પડ્યા હતાં
અને અમે રસ્તે ચાલી નહોતા શકતાં.
અમારો અંત નજીક આવ્યો હતો
અને અમારા દિવસો પૂરા થયા હતા.
19 આકાશના ગરૂડ કરતાંય ઝડપથી
તેઓએ અમારો પીછો કર્યો;
પર્વતો પર પણ તેમણે અમારો પીછો કર્યો;
ને રાનમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઇ ગયા.
20 યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે
નાકમાંના શ્વાસ જેટલો મહત્વપૂર્ણ હતો
તે અમારા શત્રુઓના બંદીવાસમાં બંદી થઇ પડ્યો હતો, અમે કહેતા હતા
“અમે તેની છત્રછાયામાં અમારા
શત્રુઓની વચ્ચે સુરક્ષિત છીએ.”
21 અદોમના લોકો આનંદ માણો,
તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે
તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો
જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે.
પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે
તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.
22 હે સિયોન, તારાં પાપની સજા પૂરી થઇ છે.
હવે તને યહોવા દેશવટે નહિ રાખે.
હે અદોમ, યહોવા તને તારા અપરાધની સજા,
કરશે અને તારા પાપ ઉઘાડા કરશે.
યહોવાની ઉપાસના
5 હે યહોવા, અમારા પર શું શું વીત્યું છે તેનું સ્મરણ કર;
ને અપમાન પર નજર કર.
2 દેશ વિદેશીઓના હાથમાં ગયો છે,
અમારા ઘરબાર પારકાઓના કબજામાં ગયા છે.
3 અમે અનાથ અને નબાપા થઇ ગયા છીએ,
ને અમારી માતાઓ વિધવા થઇ ગઇ છે.
4 પીવાના પાણીના પૈસા આપવા પડે છે.
અને લાકડાં પણ વેચાતાં લેવા પડે છે.
5 અમારી ડોક પર ઝૂંસરી મૂકી
અમને પશુની જેમ હાંકવામાં આવે છે.
અમે હવે અનહદ થાકી ગાય છીએ;
અમને વિશ્રામ મળતો નથી.
6 અમારે પેટ ભરીને રોટલો મેળવવા માટે મિસર
અને આશ્શૂર સામે હાથ જોડવા પડ્યા.
7 પાપ કરનારા અમારા પિતૃઓ રહ્યા નથી.
અમારે તેમના પાપની સજા ભોગવવી પડે છે.
8 શાસન કરે છે ગુલામો અમારા પર.
તેમના હાથમાંથી અમને છોડાવનાર કોઇ નથી.
9 જીવને જોખમે અમારે રોટલો મેળવવો પડે છે;
વગડામાં તરવારનું જોખમ છે.
10 દુકાળની ભડભડતી અગનજાળથી
અમારી ચામડી ભઠ્ઠી જેવી તપી ગઇ છે.
11 અમારી સ્ત્રીઓનો સિયોનમાં બળાત્કાર થાય છે,
અને કુમારીકાઓનો યહૂદાના નગરોમાં.
12 અમારા આગેવાનોને તેમના હાથ વડે લટકાવી દેવામાં આવે છે,
અને વડીલોને કોઇ માન આપતું નથી.
13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે.
અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14 વડીલો હવે ચોરે બેસતા નથી.
જુવાનિયાઓએ ગાવાનું છોડી દીધું છે
15 અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે.
અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે.
16 અમારે માથેથી મુગટ પડી ગયો છે,
દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.
17 આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે,
અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.
18 કારણકે સિયોનનો પર્વત ઉજ્જડ થઇ ગયો છે એ જગ્યા,
જ્યાં શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.
19 પણ, યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે.
પેઢી-દરપેઢી રાજ્યાસન ચાલુ રહે છે.
20 તું શા કારણે અમને ભૂલી જાય છે?
તેં શા માટે આટલા બધા દિવસ સુધી અમારો ત્યાગ કર્યો છે?
21 અમને પાછા લઇ લે, હે યહોવા!
ત્યારે અમે ફરીથી તારા થઇ જઇશું.
અમને નવું જીવન આપ જેવું તેં ઘણા વર્ષ પહેલા કર્યું હતું.
22 પણ તેં અમને સંપૂર્ણ નકાર્યા છે;
તું અમારા પર બહુ કોપાપમાન થયો છે.
દેવની નજીક આવો
19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ.
એકબીજાને મદદરુંપ બનો
24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડો[a] નજીકને નજીક આવી રહ્યો છે.
ખ્રિસ્ત તરફથી મોં ના ફેરવો
26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યો કરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.”(A) દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુ તેના લોકોનો ન્યાય કરશે.”(B) 31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!
તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ
32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે.
35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં,
“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ.
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે.
જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” (C)
39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International