Old/New Testament
યહોવાનો આજ્ઞાધીન સેવક
50 યહોવા પૂછે છે,
“શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે?
તેને લીધે શું તમે અહીં આવ્યા નથી?
મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે?
ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા
અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને
પણ કાઢી મૂકવામાં આવીં હતી.
2 હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો,
ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ?
મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો?
શું તમને એમ લાગ્યું કે,
મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી!
શું મારામાં તમને બચાવવાની શકિત નથી?
જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે,
અને ઝરણા રણ બની જાય છે.
તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે
અને તરસે મરી જાય છે.
3 આકાશ જાણે શોક પાળતું હોય તેમ,
હું તેને અંધકારથી આચ્છાદિત કરુ છું.”
દેવના સેવક દેવના ભરોસે
4 યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે. 5 યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા. 6 મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી. 7 પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.
8 મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો! 9 જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!
10 તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.
11 “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”
યહોવાના લોકો અને દેવનો ભય
51 યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો. 2 અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”
3 યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.
4 “હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા,
મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.
5 હું તમને મુકિત આપવા આવી રહ્યો છું;
મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ;
તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે,
અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.
6 ઊંચે આકાશ તરફ જુઓ
અને નીચે પૃથ્વી તરફ નજર કરો!
આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે,
અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે,
અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે.
પરંતુ મારું તારણ સદાકાળ રહેશે,
મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;
7 ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ,
મારું કહ્યું સાંભળો!
લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ,
લોકનિંદાથી ડરશો નહિ,
8 માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે
અને કંસારી ઊનને કોતરી કાઢે છે.
તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે
અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”
દેવનું સાર્મથ્ય તેના લોકોની રક્ષા કરે છે
9 હે યહોવાના બાહુ, જાગૃત થાઓ!
ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં,
સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો.
જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા,
અને જેણે અજગરને વીંધ્યો,
તે જ તું નથી?
10 જેણે સાગરને, તેનાં અગાધ જળને સૂકવી નાખ્યાં,
જેણે તારણ પામેલાઓને પાર ઉતારવા માટે સાગરનાં
ઊંડાણોમાં થઇને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?
11 હવે એવો સમય આવશે જ્યારે
યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે.
તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે;
દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.
12 યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું.
ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી
ભયભીત થવાનું શું કારણ છે?”
13 તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો,
જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે
અને પૃથ્વીનો પાયો નાખ્યો છે!
હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર
થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો?
એ જુલમગારનો રોષ
તમને શું કરવાનો હતો?
14 જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે,
તેઓ કબરમાં મરવા નહિ પામે.
તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.
15 “હું તમારો દેવ યહોવા છું,
હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.”
મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.
16 “મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”
દેવે ઇસ્રાએલને સજા કરી
17 હે યરૂશાલેમ જાગૃત થા, જાગૃત થા,
તેં યહોવાને હાથે તેના રોષનો પ્યાલો પીધો છે,
તું એ પ્યાલો પૂરેપૂરો પી ગયો છે
અને લથડે છે.
18 તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે. 19 વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?
20 કારણ કે તારા પુત્રો મૂછિર્ત થઇને શેરીઓમાં પડ્યા છે. તેઓ જાળમાં ફસાયેલા હરણાંની જેમ લાચાર થયેલા છે. તારા દેવનો પુણ્યપ્રકોપ તેમના પર પૂરેપૂરો ઊતર્યો છે.
21 માટે, તું જે ઘવાયેલી છે અને દ્રાક્ષારસ ન પીધાં છતાં લથડિયા ખાય છે.
22 પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે. 23 હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”
યહોવા પોતાના લોકોને પુન:સ્થાપિત કરશે
52 હે સિયોન, જાગૃત થા, જાગૃત થા,
તારા સાર્મથ્યથી; હે યરૂશાલેમ,
પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો તું પહેર;
કારણ કે હવે જે લોકોએ દેવ તરફ પૂંઠ ફેરવી છે,
તે પાપીઓ તારા દરવાજાઓમાં પ્રવેશી શકશે નહિ.
2 હે યરૂશાલેમ નગરી, ઉભી થા અને તારા પરની ધૂળ ખંખેરી નાખ,
હે સિયોનની બંદીવાન પુત્રી,
તારી ડોક પરની ગુલામીની ઝૂંસરી કાઢી નાખ.
3 કારણ કે યહોવા કહે છે કે,
“તમે વિના મૂલ્ય વેચાયા હતા,
અને નાણા વિના તમે પાછા લેવાશો.”
4 કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, “આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો.” 5 અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.
6 “પણ એવો દિવસ આવે છે; જ્યારે તમને મારા નામના પરચાની ખબર પડશે અને તેઓને ખાતરી થશે કે તમારી સાથે બોલનાર હું જ છું.”
7 સુખશાંતિના સંદેશ લાવનારના પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન લાગે છે! તે તારણના શુભ સમાચાર આપે છે અને વિજયની ઘોષણા કરે છે, “તમારા દેવ શાસન કરે છે, એમ તે સિયોન પાસે જાહેર કરે છે.”
8 નગરના ચોકીદારો ઉંચે સાદે
એકી સાથે હર્ષનાદ કરે છે.
કારણ, તેઓ યહોવાને સિયોનમાં પાછો આવતો નજરો નજર નિહાળે છે.
9 હે યરૂશાલેમનાં ખંડેરો, તમે એકી સાથે પોકાર કરો, હર્ષનાદ કરો!
કારણ, યહોવા પોતાના લોકોને સુખના દહાડા બતાવશે અને યરૂશાલેમને મુકિત અપાવશે.
“તમારા દેવ શાસન કરે છે” એમ તે સિયોન પાસે જાહેર કરે છે.
10 સર્વ પ્રજાઓનાં દેખતાં યહોવાએ પોતાનો પવિત્ર ભુજ લંબાવ્યો છે,
પૃથ્વી પરની દરેક વ્યકિત આપણા દેવનું તારણ જોશે.
11 બહાર નીકળો,
બાબિલમાંથી બહાર આવો!
કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ.
હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ,
તમારી જાતને શુદ્ધ રાખો!
12 તમારે ઉતાવળા થઇને નાસી જવાનું નથી
અને પોતાનો જીવ બચાવવા અધીરા થવાનું નથી;
કારણ કે યહોવા તમારી આગળ છે.
ઇસ્રાએલના દેવ તમારું રક્ષણ કરશે.
દેવની યાતના સહન કરતો સેવક
13 “જુઓ, મારો સેવક સમૃદ્ધ થશે; તેને ઊંચેને ઊંચે ચડાવવામાં આવશે, તેની ખૂબ ઉન્નતિ થશે. 14 પહેલાં તેને જોઇને ઘણા હેબતાઇ ગયા હતા; એનું રૂપ એવું તો વિરૂપ થઇ ગયું હતું કે જાણે માણસ જ ન લાગે. 15 પરંતુ હવે અનેક પ્રજાઓ તેને જોઇને આશ્ચર્યચકિત થઇ જશે. અને રાજાઓ આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઇ જશે. કારણ કે અગાઉ કોઇએ કહ્યું ના હોય એવું તેઓ જોશે, અને પહેલાં કદી સાંભળ્યું ન હોય એવું નજરે ભાળશે.”
પ્રભુના આગમન માટે તૈયાર રહો
5 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. 2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે. 3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ. 5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. 6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ. 7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. 8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે. 10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી. 11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
અંતિમ સૂચનાઓ અને શુભેચ્છાઓ
12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ. 13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો.
14 ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો. 15 એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.
16 સદા આનંદ કરો. 17 પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ. 18 દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે.
19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ. 20 પ્રબોધને કદાપિ બિનમહત્વપૂર્ણ ન ગણશો. 21 પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો. 22 અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 અમે પ્રાર્થીએ છીએ કે દેવ પોતે જ, શાંતિદાતા તમને પૂરા પવિત્ર કરો; અને તેને જ પૂર્ણ આધિન બનાવે. અમે પ્રાર્થીએ છીએ કે તમારી સંપૂર્ણ જાત-આત્મા, પ્રાણ અને શરીર-સુરક્ષિત અને નિર્દોષ બની રહે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય. 24 તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો.
25 ભાઈઓ અને બહેનો, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. 26 જ્યારે તમે મળો ત્યારે સર્વ ભાઈઓ અને બહેનોને પવિત્ર ચુંબન કરજો. 27 પ્રભુના અધિકાર વડે હું તમને કહું છુ કે આ પત્ર દરેક ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો. 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International