Old/New Testament
ઇસ્રાએલને દેવની સહાય
41 યહોવા પૂછે છે,
“સમુદ્રની પેલે પારના દેશો,
મારી આગળ મૌન જાળવો, સાંભળો,
તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ,
મારી પાસે આવો અને બોલો,
અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.
2 પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે,
જેને પગલે પગલે વિજય મળે છે?
તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે.
એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે.
અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.
3 તે તેઓને પીછો પકડે છે;
અને રોકાયા વગર આગળ વધે છે
એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી.
4 આરંભથી આ બધું કરાવનાર કોણ છે?
અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને
આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે?
એ હું યહોવા છું,
હું પહેલો હતો
અને છેલ્લો પણ હું જ છું.
5 સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો
મારા કાર્યો જોઇને ભયભીત થઇ ગયા,
પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધૂજી ઊઠી.
બધા ભેગા થઇને આવ્યા.
6 “દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું. 7 સુથાર સોનીને ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે, તેઓએ કહ્યું, ‘સાંધો મજબૂત થયો છે.’ તે ખીલા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય.”
યહોવા જ આપણને બચાવી શકે છે
8 “પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે,
યાકૂબ, મેં તને પસંદ કર્યો છે,
તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.
9 મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે,
અને દૂર દૂરના ખૂણેથી
તને બોલાવ્યો છે.
મેં તને મારો સેવક કહ્યો છે,
‘મેં તને પસંદ કર્યો છે,’
તારો ત્યાગ કર્યો નથી.
10 તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું.
તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું,
હું તને બળ આપીશ, તને મદદ કરીશ;
હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
11 હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે
અને વિખેરાઇ ગયા છે.
જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.
12 તમારી સાથે યુદ્ધે ચડનારા સૌ કોઇ નાશ પામશે,
અને શૂન્યમાં મળી જશે.
તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહિ;
કોઇનું નામનિશાન નહિ રહે.
13 હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું અને કહું છું,
ડરીશ નહિ, હું તારી મદદમાં છું.
14 હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે,
છતાં તું ગભરાઇશ નહિ,
કારણ કે હું તને મદદ કરીશ.”
હું તમારો યહોવા, તમારો તારક છું;
હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.
15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં
તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ,
તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.
16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે
અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે.
પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે;
ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.
17 “દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે,
પણ મળશે નહિ,
તેઓની જીભો તરસથી સુકાઇ જશે.
ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ;
હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ
અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ!
અરણ્યમાં પાણીના સરોવરો થશે
અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.
19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ.
વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.
20 પ્રત્યેક વ્યકિત આ ચમત્કાર જોશે
અને કબૂલ કરશે કે,
ઇસ્રાએલના પવિત્ર દેવે
એને ઉત્પન્નકર્યુ છે.”
યહોવાની ખોટા દેવોને ચેતવણી
21 યહોવા, યાકૂબના મહાન રાજા કહે છે, “તમારા કિસ્સાની રજૂઆત કરો! તમારો ઉત્તમ બચાવ રજૂ કરો! 22 તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ. 23 હા, જો તમે દેવ હો તો આવનાર દિવસોમાં શું બનવાનું છે તે કહો! અથવા કંઇક એવું કરીને અમારા પર પ્રભાવ પાડો જે ઉપયોગી હોય અથવા નુકશાનકારક હોય.
24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”
ફકત યહોવા જ દેવ છે
25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો
અને તે આવ્યો;
પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે,
અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ
તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”
26 “મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે?
બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે
જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં?
કોઇએ તેમ કહ્યું નહોતું!
તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!
27 મેં યહોવાએ જ સિયોનને શુભસમાચાર મોકલ્યા હતા કે,
‘જુઓ! જુઓ! હું યરૂશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.’”
28 પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું,
ત્યાં કોઇ સલાહકાર નથી,
કોઇપણ નહિ જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે.
મેં પ્રશ્ર્ન કર્યો ત્યારે તેમના એક
પણ દેવે પ્રત્યુત્તર આપ્યો નહિ.
29 તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે; જુઓ, એ દેવો કેવા નકામા છે!
એમનાં કામોમાં કોઇ ભલીવાર નથી;
તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે.
યહોવાનો સેવક
42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
2 તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
બૂમરાણ મચાવશે નહિ.
3 તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
4 તે નબળો નહિ પડે કે હારશે નહિ,
જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”
યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે
5 જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.
6 “હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
7 તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
અને અંધકારમાં સબડતાં કેદીઓને
કારાગારમાંથી બહાર કાઢવાના છે.
8 “હું યહોવા છું,
એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
મૂર્તિઓને નહિ લેવા દઉં.
9 મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
હું તે તમને જણાવું છું.”
દેવની સ્તુતિ
10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ:
સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો!
હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો,
હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ,
તેની સ્તુતિ ગાઓ!
11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ
અને સેલાના રહેવાસીઓ,
આનંદથી પોકારી ઊઠો!
પર્વતો પરથી હર્ષનાદ કરો!
12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો.
સૌ તેમના પરાક્રમી સાર્મથ્યનાં ગીત ગાઓ.
13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે;
તે ગર્જના કરે છે,
યુદ્ધનાદ જગાવે છે
અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.
દેવ સહનશીલતા રાખે છે
14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,
મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું,
હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ;
હું ઊંડા શ્વાસ લઇશ.
15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,
તેમની બધી લીલોતરીને ચિમળાવી દઇશ;
હું નદીઓનાં ભાઠાં બનાવી દઇશ
અને તળાવોને સૂકવી નાખીશ.
16 પછી હું આંધળાઓને દોરીશ,
એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી.
તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ.
અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઇશ.
આ બધું હું કરીશ.
અને કશું બાકી નહિ રાખું.
17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે
અને તેઓને દેવ તરીકે માને છે,
તેઓ મોટી નિરાશામાં આવી પડશે.
તેઓને હાંકી કાઢવામાં આવશે.”
ઇસ્રાએલે દેવનું ના સાંભળ્યું
18 યહોવા કહે છે, “હે બહેરા માણસો,
સાંભળો! હે આંધળા માણસો, જુઓ!
19 મારા સેવક જેવું આંધળું કોણ છે?
મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે?
મારા નક્કી કરેલા
એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે?
20 તે જુએ છે ઘણું પણ,
કંઇ યાદ રાખતો નથી;
તેના કાન ખુલ્લા છે,
પણ તે કંઇ સાંભળતો નથી.”
21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે.
પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યુ છે.
22 તેમ છતાં એ પ્રજા
એવી નીકળી કે લૂંટાઇ ગઇ,
એનું બધું હરાઇ ગયું;
એ બધા ફસાઇ ગયા છે
અને કારાગારમાં પૂરાયા છે,
તેમને છોડાવનાર કોઇ નથી,
તેઓ લૂંટાઇ ગયા છે
“છતાં પાછું આપો” કહેનાર પણ કોઇ નથી.
23 તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માર્ગે જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા. 24 કોણે યાકૂબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે, તથા ઇસ્રાએલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યુ છે તેમણે શું એમ કર્યુ નથી? તે લોકો તેમના માર્ગે ચાલવા રાજી નહોતા. તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહિ, 25 માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.
1 પાઉલ, સિલ્વાનુસ અને તિમોથી તરફથી થેસ્સલોનિકામા રહેતી મંડળી, તે મડંળી જોગ, દેવ બાપમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને કૃપા અને શાંતિ થાઓ.
થેસ્સલોનિકાના લોકોનો વિશ્વાસ અને જીવન
2 જ્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે હંમેશા તમારા બધાનું સ્મરણ કરીએ છીએ અને તમારા બધા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. 3 જ્યારે અમે દેવ બાપને પ્રાર્થીએ છીએ ત્યારે તમારા વિશ્વાસને કારણે તમે જે કાર્યો કર્યા છે તેના માટે અમે સતત દેવનો આભાર માનીએ છીએ. અને તમારા પ્રેમને લીધે તમે જે કાર્યો કર્યો છે તેના માટે પણ અમે દેવનો આભાર માનીએ છીએ. અને તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશામાં દૃઢ બની રહો તે માટે અમે તેનો આભાર માનીએ છીએ.
4 ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે. 5 અમે તમને સુવાર્તા પહોંચાડી પરંતુ અમે ફક્ત શબ્દોનો જ ઉપયોગ ન કર્યો, અમે સુવાર્તાને સાર્મથ્યસહિત લઈ આવ્યા. અમે તેને પવિત્ર આત્મા અને પૂર્ણ જ્ઞાન સહિત લઈ આવ્યા જે સત્ય છે. તમારી સાથે અમે ઉપસ્થિત હતા ત્યારે અમે કેવું જીવન જીવતા હતા તે પણ તમે જાણો છો. અમે તમને મદદકર્તા થઈએ એ રીતે જીવ્યા હતા. 6 અને તમે અમારા જેવા અને પ્રભુ જેવા બન્યા. તમે ઘણું સહન કર્યુ, પરંતુ તમે આનંદપૂર્વક પ્રભુની વાત સ્વીકારી. પવિત્ર આત્માએ તમને તે આનંદ આપ્યો.
7 તમે મકદોનિયા અને અખાયામાં તમામ વિશ્વાસીઓ માટે નમૂનારૂપ બન્યા. 8 તમારા દ્વારા મકદોનિયા અને અખાયામાં પ્રભુની વાત ફેલાઈ અને દેવ પ્રતિ તમારો વિશ્વાસ સર્વત્ર પ્રગટ થયો છે. તેથી તમારા વિશ્વાસ વિષે અમારે કાંઈ કહેવાની જરુંર નથી. 9 અમે જ્યારે તમારી સાથે હતા ત્યારે જે સદભાવપૂર્વક તમે અમને સ્વીકાર્યો તે વિષે લોકો સર્વત્ર વાત કરે છે. તમે કેવી રીતે મૂર્તિપૂજા બંધ કરી જીવતા અને સાચા દેવની સેવા કરવા તરફ વળ્યા તે વિષે લોકો વાત કરે છે. 10 તમે મૂર્તિપૂજા બંધ કરી અને હવે તમે આકાશમાંથી દેવનો દીકરો આવે તેની પ્રતીક્ષા કરો છો. દેવે તે દીકરાને મૂએલામાંથી ઉઠાડયો તે ઈસુ છે, કે જે આપણને દેવના આવનારા ન્યાયમાંથી બચાવે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International