Old/New Testament
બાબિલમાંથી આવેલા કાસદો
39 આ અરસામાં બાલઅદાનનો પુત્ર મેરોદાખ-બાલઅદાન બાબિલનો રાજા હતો. થોડા સમય પછી તેણે હિઝિક્યા પર પોતાની શુભેચ્છાઓ તથા ઉપહારો મોકલાવ્યાં. હિઝિક્યા મરણતોલ માંદગીમાંથી સાજો થયો છે તેવા સમાચાર તેને મળ્યા હતા. 2 હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય.
3 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
4 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “તે લોકોએ મારા મહેલમાં સર્વસ્વ જોયું છે. મારા ભંડારમાં એવું કશું જ નથી જેં મેં એમને ન બતાવ્યું હોય.”
5 ત્યારે યશાયાએ કહ્યું, “સૈન્યોના દેવ યહોવાનાં વચન સાંભળ, તે કહે છે: 6 ‘એવો વખત આવી રહ્યો છે કે જ્યારે તારા મહેલમાંનુ બધું જ, તારા વડવાઓએ આજ સુધી જે કઇ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલમાં લઇ જવાશે, કશું જ બાકી નહિ રહે.’ 7 અને તારા પોતાના જ પુત્રોને લઇ જઇને બાબિલના રાજાના મહેલમાં નોકરો-ખોજાઓ બનાવવામાં આવશે.”
8 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાના જે વચનો સંભળાવ્યાં તે સારાં છે.” તેણે વિચાર્યુ કે, “હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને!”
દિલાસાના શબ્દો
40 તમારા દેવની આ વાણી છે:
“દિલાસો, હા, મારા લોકોને દિલાસો આપો.
2 યરૂશાલેમ, સાથે સૌમ્યતાથી વાત કરો,
તેને જણાવો કે તેના દુ:ખના દહાડા પૂરા થયા છે,
તેના પાપનું પ્રાયશ્ચિત પૂરું થયું છે,
તેણે યહોવાના હાથે તેના બધા દોષોની
બમણી સજા મેળવી છે.”
3 કોઇનો સાદ સંભળાય છે:
“મરુભૂમિમાં યહોવાને માટે રસ્તો તૈયાર કરો;
આપણા દેવને માટે રણમાં સીધો અને સપાટ રાજમાર્ગ બનાવો.
4 બધી ખીણોને પૂરી દો અને બધા પર્વતો
અને ડુંગરોને સપાટ બનાવી દો.
ખરબચડી જમીનને સરખી બનાવી દો.
અને ખાડા-ટેકરાને સપાટ મેદાન બનાવી દો.
5 પછી યહોવાનો મહિમા પ્રગટ થશે
અને સમગ્ર માનવજાત તે જોવા પામશે.
આ યહોવાના મુખના વચન છે.”
6 એક અવાજ કહે છે, “સાદ પાડ.”
હું પૂછું છું, “શો સાદ પાડું?”
જવાબ મળે છે, “સર્વ મનુષ્ય ઘાસ જ છે,
ને તેમનું સર્વ સૌઁદર્ય ખેતરના ફૂલ જેવું છે:
7 દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે
અને ફૂલો કરમાઇ જાય છે;
નાશવંત માનવી પણ તેના જેવો જ છે.
8 ઘાસના તણખલાં વચન સૂકાઇ જાય છે, ફૂલો કરમાઇ જાય છે,
પણ આપણા દેવનું વચન સદાકાળ સુધી કાયમ રહે છે.”
તારણ: દેવના શુભ સમાચાર
9 હે સિયોનને માટે શુભ સમાચાર લાવનારા!
તું પર્વતની ટોચે ચઢી જા, મોટા સાદે પોકાર કર!
હે યરૂશાલેમ માટે શુભ સમાચાર લાવનારા લોકો,
તમારાં અવાજ ઊંચા કરો, ગભરાશો નહિ,
યહૂદીયાના નગરોને કહો,
“આ તમારા દેવ છે!”
10 જુઓ, મારા માલિક યહોવા તેમના પૂરા સાર્મથ્ય સહિત પધારે છે,
તે પોતાના મજબૂત હાથથી દરેકને પોતાના શરણે આવવા માટે દબાણ કરે છે.
તે તેની પ્રજાને વળતર તરીકે પોતાની સાથે લાવે છે,
અને આ પ્રજા જે તેના કામનો બદલો છે, તેઓ તેની આગળ ચાલે છે.
11 તે ગોવાળની જેમ પોતાના ટોળાંનું પાલન કરે છે;
તે પોતાના હાથમાં હલવાનોને ઊંચકી લેશે
અને વિયાએલી ઘેટીઓને હળવે હળવે દોરી જશે.
દેવે દુનિયા બનાવી તે તેનો શાસનકર્તા છે
12 સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે
અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે?
સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો
અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
13 યહોવાના આત્માનો તાગ કોણે મેળવ્યો છે?
કોણે તેમને સલાહ આપી છે?
14 કોણ તેમને શીખવી શકે કે સલાહ આપી શકે?
શું તેમને કોઇ વ્યકિત સલાહ આપે તે ઉચિત છે?
શું યોગ્ય છે અને શ્રેષ્ઠ શું છે
તે જાણવા કોઇના સૂચનની શું તેમને જરૂર છે?
15 અરે, એમને મન પ્રજાઓ તો ડોલમાંથી ટપકતાં પાણીના ટીપા સમાન છે,
ત્રાજવાને ચોંટેલી રજ બરાબર છે.
ટાપુઓ ધૂળના કણ જેવા હલકા છે.
16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે
પૂરતાં લાકડાં કે હોમવા માટે
પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી.
17 તેમની આગળ બધી પ્રજાઓ કશી વિસાતમાં નથી,
તેમને મન એ બધી નહિવત, શૂન્યવત છે.
દેવ શું છે લોકો કલ્પના પણ નથી કરી શકતા
18 તો તમે દેવની તુલના શાની સાથે કરશો?
તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?
19 શું મૂર્તિની સાથે?
મૂર્તિને તો કારીગર ઢાળે છે,
સોની સોનાના પતરાથી મઢે છે
અને રૂપાના હાર ચઢાવે છે.
20 નિર્ધન માણસ તેના અર્પણ તરીકે
લાકડું પસંદ કરે છે તે સડતું નથી,
પછી તે કુશળ કારીગર પાસે એવી મૂર્તિ બનાવડાવે છે
જે પોતાની જગાએથી પડે નહિ કે હાલી પણ શકે નહીં.
21 શું તમે અજ્ઞાત છો?
તમે સાંભળ્યું નથી?
તમને અગાઉથી કહ્યું નહોતું?
પૃથ્વીનો પાયો કોણે નાખ્યો એ તમને ખબર નથી?
22 તે તો સૃષ્ટિના નભોમંડળ પર બિરાજમાન એવા દેવ છે.
એની નજરમાં તો પૃથ્વી પરના લોકો ક્ષુદ્ર કીડી જેવા છે!
તેમણે આકાશને ચંદરવાની જેમ ફેલાવ્યું છે,
અને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે.
23 તે જગતનો ન્યાય કરે છે, તે પૃથ્વીના અધિપતિઓને વિસાત વિનાના કરી દે છે
અને જગતના રાજકર્તાઓને શૂન્યમાં મેળવી દે છે.
24 હજી હમણાંજ માંડ રોપાયા હોય.
માંડ વવાયા હોય.
માંડ તેમણે ધરતીમાં મૂળ નાખ્યાં હોય,
ત્યાં તો તેમના પર તેઓ ફૂંક મારે છે અને તેઓ કરમાઇ જાય છે;
વાવાઝોડું આવી તેમને તરણાંની જેમ ઘસડી જાય છે.
25 વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો?
મારી બરોબરી કોણ કરી શકે છે?”
26 આકાશ તરફ ષ્ટિ કરો અને વિચારો કે
એ બધાં ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે?
જે તેમને લશ્કરની જેમ ગણી ગણીને લઇ આવે છે
અને એ બધાંને નામ દઇને બોલાવે છે તેનું સાર્મથ્ય એટલું પ્રચંડ છે,
તેની શકિત એટલી પ્રબળ છે કે
તેમાંનું કોઇ પણ હાજર થયા વગર રહેતું નથી.
27 તો પછી હે યાકૂબ તું શા માટે ફરિયાદ કરે છે,
હે ઇસ્રાએલ! તું શા માટે કહે છે કે,
“મારા માર્ગની યહોવાને ખબર નથી,
હું ન્યાય માગું છું તેના પર એ ધ્યાન આપતા નથી?”
28 શું તમે હજુ પણ સમજતાં નથી?
હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે
યહોવા તે સનાતન દેવ છે,
તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે,
એ કદી થાકતા નથી કે હારતા નથી;
તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી.
29 તે થાકેલા તથા નિર્ગત થયેલાંને પુષ્કળ જોર
અને નિર્બળને બળ આપે છે.
30 તરુણો કદાચ થાકીને હારી જાય,
ભરયુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઇ પડે,
31 પરંતુ યહોવા પર વિશ્વાસ રાખનારાઓને નવું બળ મળી રહે છે.
તેઓ ગરૂડના જેવી પાંખો ઉપર ઊડે છે;
તેઓ દોડે છે પણ થાકતા નથી, તેઓ આગળ ને આગળ ધપતા રહે છે,
કદી હારતા નથી કે નથી નિર્ગત થતા.
4 ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે.
ખ્રિસ્તીઓને કેટલીક બાબતો કરવા પાઉલ જણાવે છે
2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. 3 અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. 4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.
5 જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો. 6 જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.
પાઉલ સાથેના લોકો વિષેના સમાચાર
7 તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે. 8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. 9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.
10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.) 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.
12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય. 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.
15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.”
18 હું પાઉલ, મારા સ્વહસ્તે આ પત્ર લખી રહ્યો છું અને તમને ક્ષેમકુશળ પાઠવી રહ્યો છુ, કારાગારમાં મને યાદ કરજો. દેવની કૃપા (દયા) તમારા પર થાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International