Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 3-5

યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય
    અને બીજા માણસને પરણે,
    તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો?
ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી?
    હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે!
    અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?
જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો,
    એવી કોઇ જગ્યા છે જ્યાં
તું વેશ્યાની માફક ન વર્તી હોય?
    ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ
તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે,
    અને તેં તારા અધમ વ્યભિચારથી
    અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે
    અને ત્યાં પાછલો વરસાદ
પણ વરસ્યો નથી;
    પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.
હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી,
    ‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો,
    તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’
શુ તમે મારા પર
    સદાય રોષમાં રહેશો?

“તેં મને આમ કહ્યું હતું,
    પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”

બે દુષ્ટ બહેનો ઇસ્રાએલ અને યહૂદિયા

યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વર્તી. મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે,’ પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે. તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો. અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે. 10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.

11 વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે. 12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે,

‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’
    એવું યહોવા કહે છે.
‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ,
    કેમકે હું દયાળુ છું’
એવું યહોવા કહે છે.
‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.
13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં,
    તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે,
    પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે
પારકા દેવોની મૂર્તિઓની
    તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે.
તેં મારો સાદ સાંભળ્યો નથી.’
    આ યહોવાના વચન છે.

14 “પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ, “હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ. 15 ત્યાં હું મને મનગમતાં રાજકર્તાઓ તમને આપીશ; ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. 16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે.

“તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ; 17 તે વખતે યરૂશાલેમ ‘યહોવાનું રાજસિંહાસન’ કહેવાશે. અને ત્યાં સર્વ પ્રજાઓ યહોવાની પાસે આવશે અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને આધીન થવાની હઠ કદી કરશે નહિ, 18 તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”

19 યહોવા કહે છે,

“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું
    અને તને એક રળિયામણી ભૂમિ,
    આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’
મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે
    અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે.
    તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો.
અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો.
    વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.”
આ યહોવાના વચન છે.
21 “હું ઊંચા પર્વતો પર રૂંદન
    અને દયા યાચનાનો અવાજ સાંભળું છું.
યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી
    લોકોનો તે અવાજ છે.”

22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો!
    હું તમારી બેવફાઇ દૂર કરીશ.”

અને લોકો જવાબ આપે છે,
“હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ,
    કારણ, તમે જ અમારા યહોવા દેવ છો.
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર
    અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે,
માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે
    અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે.
24 અમે અમારા બાળપણથી જોયું છે.
    અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં,
ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું.
    ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.
25 અમે લજ્જિત થયા છીએ
    અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ,
કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ
    અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને અમે તેમને આધીન થયા નથી,
    અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો
    તું મારી પાસે જ પાછો આવ,
તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે
    અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ
અને જો તું સત્યથી,
    ન્યાયથી તથા નીતિથી,
    ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ;
તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે,
    તથા તેનામાં અભિમાન કરશે.”

યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે,

“તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો,
    તમારાં બીજ કાંટા ઝાંખરા
    વચ્ચે વાવશો નહિ;
યહોવાનું શરણું સ્વીકારો,
    તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો,
રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે
    અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”

ઉત્તર દિશામાં વિનાશ

“યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે,

આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો.
    ‘તમારા જીવ બચાવવાને દોડો!
    કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’
સંકેત ધ્વજ ઊંચો કરો, સિયોનને ‘હમણાં જ ભાગી જાઓ.
    વિલંબ કરશો નહિ!’
કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર
    ભયંકર વિનાશ લાવું છું.”
“સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે;
    તે તો પ્રજાઓનો વિનાશક છે;
    તારા દેશને ઉજ્જડ કરવા માટે
તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે;
    તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે,
    તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ,
માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો,
    કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.
યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ
    અને સરદારો ભયને લીધે કાંપશે,
યાજકોને તથા પ્રબોધકોને ભયને
    કારણે ભારે આઘાત લાગશે.”

10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”

11 “તે સમય આવી રહ્યો છે,
    જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે,
અરણ્ય તરફથી તેઓના પર
    બાળી નાખે તેવા પવનો આવે છે.
તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના
    ઉપયોગમાં આવે તેવો હશે નહિ.
12 મારી તરફથી ખૂબ શકિતશાળી પવન
    તમારી તરફ દોડયો આવશે.
હવે હું તમારી વિરુદ્ધ
    મારો ચુકાદો જણાવીશ.”
13 જુઓ, તોફાની પવનની જેમ લશ્કર
    અમારા પર ચઢી આવશે.
    તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે,
તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે.
    ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.

14 હે યરૂશાલેમ,
    તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે,
તો કદાચ તું બચી જાય,
    તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?
15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી
    તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.
16 “અન્ય લોકોને જાણ કરો,
    યરૂશાલેમમાં દાંડી પિટાવો.
યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા
    દૂરના દેશથી દુશ્મનો આવે છે.
17 જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે
    તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે;
કારણ કે તેના લોકોએ
    યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.”
યહોવા આ વચનો કહે છે.

18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે,
    તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
માટે આ બધું તારા પર વિત્યું છે.
    આ તારી સજા છે!
કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”

યર્મિયાનું રૂદન

19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે!
    મારી છાતી કેવી ધડકે છે!
હું શાંત રહી શકતો નથી,
    કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
20 સંકટ પર સંકટ આવે છે,
    દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે,
મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે.
    તેના પડદાઓના લીરા ઊડે છે.
21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો
    અને રણશિંગડાનો નાદ સાંભળવો?

22 દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી,
    કારણ, મારા લોકો મૂરખ છે,
તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે.
    એમને કશી સમજ નથી.
એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે,
    પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”

વિનાશ આવી ગયું

23 મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં
    જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી.
સર્વત્ર વિનાશ વેરાયેલો હતો.
    આકાશો પણ અંધકારમય હતા.
24 મેં પર્વતો તરફ જોયું,
    તો તે ધ્રૂજતા હતા.
    બધા ડુંગરો ડોલતા હતા.
25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું.
    આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા.
26 મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં,
    બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં,
    કારણ, યહોવા રોષે ભરાયા હતા.

27 કારણ કે યહોવાએ કહ્યું હતું કે,
“આખા દેશનો વિનાશ થઇ જશે,
    પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.
28 સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે.
    કારણ, યહોવા બોલી ચૂક્યો છે
અને તેનો વિચાર તે બદલનાર નથી,
    તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.”

29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં
    જ સમગ્ર દેશ નાસભાગ કરે છે.
    કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે,
કેટલાક ડુંગરો પર ચઢી જાય છે.
    એકેએક શહેર સૂનું થઇ જાય છે,
    કોઇ ત્યાં રહેતું નથી.

30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો
    અને ઘરેણાં પહેર્યાં છે?
અને શા માટે આંખોમાં કાજળ લગાવીને
    આંખોને તેજસ્વી કરી છે?
તેનાથી તને લાભ થવાનો નથી.
    તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે
    અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
31 હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું.
    પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે.
    એ તો મારા લોકોનો અવાજ છે.
તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે
    અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ,
    અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”

યહૂદિયાના લોકોના પાપ

યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું. લોકો પ્રતિજ્ઞા લે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે એમ કહે છે, પણ એ જૂઠું બોલે છે.”

હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો.
    તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો.
તમે તેઓને શિક્ષા કરી
    પણ તેઓ સુધર્યા નહિ.
તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના
    પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી.
અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે.
    તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.

પછી મેં કહ્યું,
    “તેઓ જ ગરીબ લોકો છે, તેઓને કંઇ ભાન નથી.
હા, તેઓને યહોવાના માર્ગો ખબર નથી
    અને તેમના દેવના કાયદાથી અજાણ છે.
હું વડીલો પાસે તેમની સાથે
    વાત કરવા જઇશ,
કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે
    અને જેઓ દેવના કાયદા જાણે છે,
પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે
    અને જોતરો તોડી નાખ્યાં છે.”
આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે.
    વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે.
તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે;
    નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે,
કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે.
    અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે.

દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું?
    તમારા બાળકોએ મને છોડી દીધો છે
    અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે.
મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું,
    પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં.
    અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.
તેઓ સારો ખોરાક ખવડાવીને મસ્ત બનાવેલા ઘોડા જેવા છે;
    દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ કુષ્ટિ કરે છે.
આ માટે મારે એમને સજા ન કરવી?”
    શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?

10 “તેમની દ્રાક્ષાવાડીઓમાં પ્રવેશ કરો અને તેઓનો વિનાશ કરો,
    પણ તેમનો સંપૂર્ણ વિનાશ ન કરો.
    તેની લીલી ડાળીઓ કાપી નાખો, કારણ કે એ મારી નથી.
11 કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને
    મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.”
    આ યહોવાના વચન છે.

12 તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે,
    “‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ!
અમારા પર સંકટ આવી પડશે નહિ,
    અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’
13 જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે.
    તેઓને કોઇ સંદેશો મળ્યો નથી.
તેઓ જે આપત્તિ વિષે કહે છે
    તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે
    પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!”

14 એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે:
    “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને
અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ
    અને બળતણના લાકડાની જેમ
    આ લોકોને હું ભસ્મ કરીશ.”
15 યહોવા કહે છે,
    “હે ઇસ્રાએલના લોકો,
હું તમારી સામે દૂરથી
    એક પ્રજાને લઇ આવું છું.
એ પ્રાચીન અને બળવાન પ્રજા છે,
    અને તેની ભાષા તમે જાણતા નથી.
16 તેઓ બધા પ્રચંડ યોદ્ધાઓ છે,
    તેમનાં ભાથામાં જીવલેણ બાણ ભર્યા છે.
17 તેઓ તમારી ફસલ અને તમારો ખોરાક ખાઇ જશે.
    તેઓ તમારાં પુત્ર-પુત્રીને ભરખી જશે,
    તેઓ તમારાં ઘેટાં-બકરાંને અને ઢોરઢાંખરને ખાઇ જશે;
તેઓ તમારી દ્રાક્ષાવાડીઓને
    અને ફળઝાડોને ખાઇ જશે;
અને તમે જેના પર આધાર રાખો છો,
    તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ તોડી પાડશે.”

18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું-
“હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું.
19 અને યર્મિયા જ્યારે તમારા લોકો પૂછે,
    ‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’
ત્યારે તમે કહેજો,
‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો
    અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા.
હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.’”

20 યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો,
    યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો:
21 ધ્યાન દઇને સાંભળો,
    ‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો!
તમે છતી આંખે જોતા નથી,
    છતે કાને સાંભળતા નથી;
તમને મારો ભય નથી?’”
22 આ હું યહોવા બોલું છું
    “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ?
મેં સાગરને રેતીની પાળ બાંધી છે;
    એ પાળ કાયમી છે;
સાગર એને ઓળંગી શકે નહિ,
    સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ.
એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે
    પણ એને ઓળંગી નહિ શકે.
23 પરંતુ આ લોકો તો હઠીલા
    અને બળવાખોરો છો.
    તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.
24 પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું
    અને વાવણીનો સમય આપું છું,
છતાં તમે તમારી જાતને ક્યારેય કહેતા નથી.
    ચાલો, આપણા યહોવા દેવને માન આપીએ.
25 તમારા પોતાના દુષ્કર્મોથી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો.
    અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે.
26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે,
    અને પારધીઓ જેમ ગુપ્ત રહીને
શિકાર કરવાનો લાગ શોધે છે,
    તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.
27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે,
    તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે.
પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા.
28     તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે.
તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી.
    તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી,
    તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી,
    અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.
29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી?
    એવી પ્રજાને મારે બદલો ન આપવો?”
આ હું યહોવા બોલું છું.

30 યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક
    વાતો બની રહી છે:
31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે,
    યાજકો મનમાની સત્તા ચલાવે છે;
અને મારા લોકોને એ ગમે છે;
    પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?

1 તિમોથી 4

જૂઠા ઉપદેશકો વિષે ચેતવણી

પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.

ખ્રિસ્ત ઈસુના એક સારા સેવક બનો

આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.

11 આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે. 12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.

13 લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે. 14 તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા[a] તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ. 15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે. 16 તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International