Old/New Testament
તૂર વિષે ભવિષ્યવાણી
23 તૂરને લગતી દેવવાણી:
“હે તાશીર્શના જહાજો, મોટેથી આક્રંદ કરો! કારણ,
તૂર ખેદાનમેદાન થઇ ગયું છે:
સાયપ્રસથી પાછા ફરતાં તમને આ સમાચાર મળે છે.”
2 હે સાગરકાંઠાના રહેવાસીઓ,
હે સિદોનના વેપારીઓ, આક્રંદ કરો.
તમારા માણસો દરિયો ઓળંગી ગયા, અને સાગરોને ખેડતા હતા.
3 અને શીહોરમાં ઉગાડેલા પાકથી
અને નીલ નદીને કાંઠે ઉગાડેલા અનાજમાંથી લાભ પામ્યા હતાં
અને અનેક રાષ્ટ્રો સાથે વેપાર કર્યો હતો.
4 તમે જરા શરમાઓ, હે સિદોનનગરી
હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે,
“હું એવી સ્રી જેવી છું કે,
જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી
અને જેણે છોકરાઓ મોટા કર્યા
નથી કે છોકરીઓને ઉછેરી નથી.”
5 મિસરમાં સમાચાર પહોંચશે
ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને શોકમાં ડૂબી જશે.
6 હે સાગરકાંઠાના લોકો,
આક્રંદ કરતાં તાશીર્શ ચાલ્યા જાઓ.
7 તમારી એક વખતની આનંદી નગરીમાં હવે કેવળ વિનાશ જ રહ્યો છે.
તમારો ભૂતકાળનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો!
તારા વતનીઓ દૂરના દેશોમાં જઇ વસ્યા હતા.
8 જે તૂર બાદશાહી નગર હતું,
જેના વેપારીઓ સરદારો હતા
અને જેના શાહસોદાગરોની પૃથ્વીમાં સૌથી વધુ શાખ હતી,
તે તૂરની આવી હાલત કરવાનું કોણે વિચાર્યુ?
9 આ બધી જાહોજલાલીનો ગર્વ ઉતારવા
અને પૃથ્વીના સર્વ માનવંતાઓને અપમાનિત
કરવા સૈન્યોના દેવ યહોવાએ વિચાર્યુ છે.
10 હે તાશીર્શના જહાજો,
તમે તમારા દેશમાં પાછા ફરો,
કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.
11 યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે;
તે પૃથ્વીના સામ્રાજ્યોને ધ્રૂજાવે છે.
આ મહાન વેપારી નગર અને તેના સાર્મથ્યનો વિનાશ કરવા
તેમણે આજ્ઞા આપી છે,
12 યહોવએ કહ્યું છે, “હે સિદોનનગરી તારા સુખનો અંત આવ્યો છે.
તારા લોકો પર અન્યાય કર્યો છે;
તેઓ સાયપ્રસ ચાલ્યા જશે તોયે
ત્યાં પણ તેમને આરામ મળવાનો નથી.”
13 ખાલદીઓની ભૂમિને જુઓ;
આ એ રાષ્ટ છે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી,
આશ્શૂરે તેને રણના લોકો માટે વસાવ્યો;
તેઓએ તેના બૂરજો ઊભા કર્યા
અને એક કિલ્લો બાધ્યો.
તેઓએ એનાં મહેલને ભોંયભેંગા કર્યા;
અને તેનો વિનાશ કર્યો.
14 હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો;
કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે.
15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.
16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના,
વીણા લઇને નગરમાં ફરી વળ;
મધુરા સ્વરો છેડી ગીત ઉપર ગીત ગા,
જેથી લોકો તને ફરી સંભારે.”
17 સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, ને તૂર ફરીથી પોતાનો ધંધો શરૂ કરશે, પૃથ્વીનાં સર્વ રાજ્યો સાથે તે વેપાર કરશે. 18 પણ તેની કમાણી તથા પગાર યહોવાને અર્પણ કરવામાં આવશે; ખજાનામાં તેનો સંગ્રહ કરાશે નહિ, એની કમાણીમાંથી યહોવાના ભકતો માટે પુષ્કળ ખાવા-પીવાનું અને કપડાલત્તા ખરીદવામાં આવશે.
પૃથ્વી સંબંધી દેવનું ન્યાયશાસન
24 જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે. 2 બધાની દશા સરખી થશે; યાજકો, અને લોકો, સેવકો અને ધણીઓ, દાસીઓ અને શેઠાણીઓ, ખરીદનારાઓ અને વેચનારાઓ, ઉછીનું લેનારા અને આપનારા, લેણદારો અને દેણદારો. 3 સમગ્ર પૃથ્વી બિલકુલ ઉજ્જડ અને વેરાન થઇ જશે, તેને લૂંટી લેવામાં આવશે, કારણ કે આ યહોવાના વચન છે. 4 પૃથ્વી સૂકાઇ જાય છે અને સંકોચાઇ જાય છે, સૂકી ભૂમિ નકામી થઇ જાય છે અને ક્ષીણ થઇ જાય છે. પૃથ્વી અને આકાશ બંને ક્ષીણ થતા જાય છે.
5 પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે. 6 આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.
7 દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે. 8 વીણાનું સુમધુર સંગીત અને ખંજરીનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો છે. આનંદના દિવસોનો અંત આવ્યો છે. 9 હવે લોકો ગીત ગાતાં ગાતાં દ્રાક્ષારસ પીતા નથી, તેમને તે કડવો લાગે છે.
10 નગરી ઉજ્જડ અને વેરાન થઇ ગઇ છે; બધાં ઘરો બંધ થઇ ગયાં છે, તેથી કોઇ વ્યકિત તેમાં પ્રવેશી શકતું નથી. 11 નગરમાં રસ્તાઓ પર લોકો પોકાર કરે છે, કારણ દ્રાક્ષારસ મળતો નથી. આનંદોત્સવ પર અંધકારની છાયા ઊતરી છે, ધરતી પરથી આનંદને દેશવટો દેવાયો છે; 12 સમગ્ર નગર ખંડેર થઇ ગયું છે; તેના દરવાજાઓ તોડી પાડવામાં આવ્યા છે.
13 પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા.
અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા
દ્રાક્ષવેલા જેવા લાગે છે.
14 પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે.
તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.
15 તેથી પૂર્વમાં જેઓ છે તેઓ પણ યહોવાના મહિમાની ઘોષણા કરશે.
અને દરિયાકાંઠે રહેનારા લોકો
પણ ઇસ્રાએલના યહોવા દેવની સ્તુતિ કરશે.
16 પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ”
તેમ સાંભળીશું પણ અફસોસ!
“હું તો ક્ષીણ થતો જઉં છું,
મારા માટે કોઇ આશા નથી.
દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે
અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”
17 હે પૃથ્વીવાસીઓ, તમારા માટે ભય,
ખાડો અને ફાંસલો જ છે.
18 જે ડર લાગે તેવા સમાચારથી
જેઓ દૂર ભાગી જાય છે,
તેઓ ખાડામાં પડશે અને જે ખાડામાંથી
બહાર નીકળશે તે ફાંસલામાં સપડાશે.
આકાશમાંથી મૂસળધાર વરસાદ વરસશે,
પૃથ્વીના પાયા હચમચી જશે.
19 પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ થશે,
એમાં મોટી મોટી તિરાડો પડશે, અને ભીષણતાથી ધૂજી ઊઠશે.
20 પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે,
તોફાનમાં ફસાયેલા તંબુની જેમ ઝોલા ખાશે,
પૃથ્વીના પાપનો ભાર વધી ગયો છે,
તેનું એવું પતન થશે કે પછીથી
તે ફરીથી ઊઠી શકશે નહિ.
21 તે દિવસે યહોવા આકાશમાંના સૈન્યોને,
તથા પૃથ્વી પરના અભિમાની રાજાઓને
તથા અધિકારીઓને શિક્ષા કરશે.
22 તે સર્વને કેદીઓની જેમ એકઠાં કરવામાં આવશે
અને જ્યાં સુધી તેઓનો
ન્યાય કરીને શિક્ષા કરવામાં નહિ
આવે ત્યાં સુધી બંદીખાનામાં કેદ કરી રાખવામાં આવશે.
23 સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમમાં સિયોન પર્વત પર રાજા થશે
અને લોકોના આગેવાનો સમક્ષ તેનો મહિમા ઝળહળી ઊઠશે.
એટલે ચંદ્ર શરમનો માર્યો મોં સંતાડશે,
સૂર્ય લજવાઇને ઝાંખો થઇ જશે.
યહોવાના સ્તુતિગાન કરો
25 હે યહોવા, તમે મારા દેવ છો,
હું તમારા ગુણગાન ગાઇશ
અને તમારા નામની સ્તુતિ કરીશ,
તમે અદભૂત કાર્યો કર્યા છે;
તમે લાંબા સમય પહેલાં ઘડેલી
યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.
2 તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો.
તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે.
તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે.
તેઓ તે ફરીથી બાંધશે નહિ.
3 તેના કારણે સાર્મથ્યવાન લોકો તમારી સમક્ષ ભયથી થથરશે;
ક્રૂર લોકો તમને આધિન થશે અને તમારા નામનો મહિમા કરશે.
4 પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો,
મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો,
વાવાઝોડા સામે રક્ષણ છો,
તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો
જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
5 તે ક્રૂર લોકો સૂકા પ્રદેશમાં
વાતી લૂ જેવા હતા,
પરંતુ તમે ક્રૂર વિદેશીઓનો વિજય ઉન્માદ દબાવી દીધો છે
જેવી રીતે વાદળની છાયા ગરમીને ઓછી કરી નાખે છે તેમ.
પોતાના સેવકો માટે દેવનો સમારોહ
6 સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.
7 આ સિયોન પર્વત પર, યહોવા સમગ્ર પ્રજાઓના શોકનાં વાદળોને દૂર કરશે અને તેમની પર ફેલાયેલા દુ:ખના કફનને દૂર કરશે; 8 તે સદાને માટે મૃત્યુને મિટાવી દેશે. યહોવા મારા માલિક બધાનાં આંસૂ લૂછી નાખશે, અને સમગ્ર પૃથ્વી પર પોતાના લોકો તરફથી મળતી અપકીર્તિ દૂર કરશે. આ યહોવાના શબ્દો છે.
9 તે દિવસે સૌ લોકો એમ કહેશે,
“એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા,
તે આપણો દેવ આ છે,
આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે,
અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે;
માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”
10 યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે
પરંતુ જેમ તણખલાને પગ નીચે કચડીને કચરાના ઢગલા પર
ફેંકી દેવામાં આવે છે, તેમ ફેંકી દેશે.
અને મોઆબને પગ નીચે કચડી નાખવામાં આવશે.
11 જેમ કોઇ તરનારો તરવા માટે
પોતાના હાથથી પાણીને પાછું ધકેલે છે,
તેમ દેવ તેઓને પાછા હઠાવશે,
તે તેઓના ઘમંડનો અને સર્વ દુષ્ટ કાર્યોનો અંત લાવશે.
12 યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે.
ભોંયભેગી કરી દેશે, ને ધૂળમાં મેળવી દેશે.
1 ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તરફથી કુશળતા હો.
દરેક સંતો જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. અને ફિલિપ્પીમાં રહે છે. અને તમારા સર્વ વડીલો અને વિશિષ્ટ મદદગારોને.
2 દેવ આપણા બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
પાઉલની પ્રાર્થના
3 હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. 4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. 6 દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.
7 મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. 8 દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.
9 તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:
તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.
પાઉલની મુશ્કેલી પ્રભુના કાર્યને મદદરૂપ
12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે. 13 હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે. 14 હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે.
15 કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. 16 આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે. 17 પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે. 18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું.
હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. 19 તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે. 20 હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે. 21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે.[a] 22 જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું? 23 જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે. 24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. 25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ. 26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો.
27 એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો. 28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ. 29 દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે. 30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International