Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 28

સુલેમાનને મંદિર માટેનાં સૂચનો

28 દાઉદે ઇસ્રાએલના બધા અધિકારીઓને યરૂશાલેમમાં ભેગા કર્યા. એમાં કુલસમૂહોના આગેવાનો, રાજ્યની સેવામાં રોકાયેલા અમલદારો, હજાર હજારની અને સો સોની ટુકડીઓના નાયકો, રાજાની અને તેના પુત્રોની તમામ મિલકત અને ઢોરને સંભાળનાર વહીવટદારો, તેમજ દરબારીઓ, શૂરવીરો, ટૂંકમાં બધા જ મહત્વના માણસોનો સમાવેશ થતો હતો.

દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી; પરંતુ, દેવે મને કહ્યું, ‘તારે મારે નામે મંદિર બાંધવાનું નથી, કારણ, તે ઘણાં યુદ્ધો કર્યા છે. અને પુષ્કળ લોહી રેડ્યું છે.’

“તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો. અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો. અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ. જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.’”

ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો.

“અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે. 10 તું એટલું યાદ રાખજે, જે યહોવાએ તને મંદિર બાંધવા માટે પસંદ કર્યો છે; મન મજબૂત રાખી એ કામ પૂરું કરજે.”

11 પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો. 12 યહોવાના મંદિરનું પ્રાગણ બહારની ઓરડીઓ, દેવના મંદિરના ભંડારો અને લોકો જે ભેટો અર્પણ કરે તે રાખવાના કોઠારનો નકશો આપ્યો. 13 તદુપરાંત યાજકો અને લેવીઓના સમૂહો વિષે, યહોવાના મંદિરની ઉપાસનાને લગતાં સર્વ કાર્યો વિષે તથા એ સેવામાં વપરાતાં વાસણો વિષે પણ તેણે કહ્યું. 14 જુદી જુદી સેવામાં વપરાતા સોનાનાં વાસણો માટે કેટલું સોનું વાપરવું, અને ચાંદીના વાસણો માટે કેટલી ચાંદી વાપરવી, 15 સોના-ચાંદીની દીવીઓ અને તેના કોડિયા માટે કેટલા સોના-ચાંદી વાપરવાં, 16 અપિર્ત રોટલી માટેના બાજેઠોમાંના દરેકમાં કેટલું સોનું વાપરવું, અને ચાંદીના બાજઠો માટે કેટલી ચાંદી વાપરવી, 17 ત્રિશૂળો, થાળીઓ, કટોરા અને રકાબીઓ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું, દરેક સોનાની થાળીઓ માટે કેટલું સોનું વાપરવું અને ચાંદીની થાળી માટે કેટલી ચાંદી વાપરવી, 18 ધૂપની વેદી માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું, અને રથ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું તથા યહોવાના કરારકોશ પર પાંખ પ્રસારીને ઊભેલા કરૂબ દેવદૂતો માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે કહ્યું.

19 અને તેણે કહ્યું, “આ બધી નકશાની વિગતો યહોવાએ મને આપ્યા મુજબ તારા માટે મેં લખી રાખી છે.”

20 વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે. 21 યાજકોની અને લેવીઓની દેવના મંદિરમાં સેવા કરવા માટેની ટુકડીઓ મેં નક્કી કરી છે. તે બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમજ લોકો પણ તારી આજ્ઞાનું પાલન કરવા તત્પર રહેશે.”

2 પિતર 2

જૂઠાં ઉપદેશકો

ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.

જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.

જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.

હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.

આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ. 11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા.

12 પરંતુ આ ખોટા ઉપદેશકો તો જે નથી સમજી શક્યાં તેના માટે પણ નિંદા કરે છે. આ ઉપદેશકો પશુઓ સમાન છે કે જે વિચાર્યા વગર કાર્ય કરે છે. જંગલી પશુઓની જેમ તેઓ તો ઝડપાવા તથા નાશ પામવા જ જન્મેલા છે. અને જંગલી જાનવરોની જેમ, આ ખોટા ઉપદેશકોનો વિનાશ થશે. 13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે.

આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે. 14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. આ ખોટા ઉપદેશકો હંમેશા આ જ રીતે પાપકર્મો કર્યા કરે છે. તેઓ નિર્બળ માણસોને પાપ કરવા લલચાવે છે. તેઓએ તો તેમના પોતાના હદયને સ્વાર્થી બનવાનું શીખવ્યું છે. તેથી તેઓ શાપિત છે.

15 આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો. 16 પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી.

17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.

20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત. 22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”(A) અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”

મિખાહ 5

હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર,
    દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે;
તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને
    ગાલ પર સોટી વડે મારશે.

બેથલેહેમનું ગૌરવ

હે બેથલેહેમ એફ્રાથાહ,
    તું યહૂદિયાનું સૌથી
નાનકડું ગામડું છે,
    પણ મને લાગે છે કે,
“ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે,
    જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”
તેથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે,
    પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ.
ત્યારબાદ તો એ પુત્રના જાતભાઇઓમાંથી બચવા પામેલાઓ
    દેશવટેથી પાછા આવી બીજા ઇસ્રાએલીઓની સાથે ભેગા થશે.
તે યહોવાના સાર્મથ્યસહિત તથા પોતાના દેવ યહોવાના નામના પ્રતાપસહિત ઊભો
    રહીને પોતાના લોકોનું પાલન કરશે. અને તેઓ સુરક્ષામાં રહેશે.
અને તે વખતે તો આખી દુનિયામાં તેમનો પ્રભાવ પડતો હશે,
    અને તે જ શાંતિ ફેલાવશે.
    હવે ત્યાં શાંતિ હશે.

આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે
    અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે,
ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની
    અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.
તેઓ આશ્શૂરની ભૂમિ પર તરવારથી
    અને નિમ્રોદની ભૂમિ ઉપર ઉઘાડી તરવારોથી શાસન કરશે,
અને તે આપણને આશ્શૂરથી બચાવશે જે આપણી ભૂમિ પર પ્રવેશ્યા છે
અને જેણે આપણી સરહદોને કચડી નાખી છે.
ઘણી પ્રજાઓમાંથી યાકૂબના બચવા પામેલા
    વંશજો ઘાસ ઉપર વરસતાં ઝાપટાં જેવા બની જશે,
જે માણસ ઉપર આધાર રાખતા નથી, કે
    તેના માટે રોકાતા નથી.
યાકૂબના બચી ગયેલાઓ
    ઘણી પ્રજાઓમાં વનનાં
પશુઓમાં સિંહના જેવા,
    તથા ઘેટાંનાઁ ટોળામાં
સિંહના બચ્ચા જેવા થશે;
    કે જે તેઓમાં થઇને જાય તો
તેમને કચરી નાખે છે,
    ને તેમને ફાડીને ટુકડા કરે છે,
    ને છોડાવનાર કોઇ હોતું નથી.
તારા શત્રુઓ પર તારો હાથ ઉગામાશે
    અને તારા બધા હરીફો નાશ પામશે.

લોકો દેવના વિશ્વાસે રહેશે

10 વળી યહોવા કહે છે કે,
“તે દિવસે હું તમારી વચ્ચેથી તમારા ઘોડાઓનો વધ કરી નાખીશ
    અને તમારા રથોનો નાશ કરીશ.
11 હું તમારા દેશનાઁ નગરોનો નાશ કરીશ,
    ને તમારા સર્વ કિલ્લાઓ તોડી પાડીશ;
12 વળી હું બધા જાદુગરોનો નાશ કરીશ
    અને બધા ભવિષ્યવેત્તાઓને હાંકી કાઢીશ.
13 હું તમારી સર્વ મૂર્તિઓ અને સ્તુતિસ્તંભો જેની
    તમે ઉપાસના કરો છો તેનો નાશ કરીશ.
    તમારા હાથોએ જે બનાવ્યું છે તેની તમે ફરીથી ભકિત કરશો નહિ,
14 તમારા દેશમાંથી હું અશેરાદેવીની પ્રતિમાઓને ઉખેડી નાખીશ;
    અને તમારી મૂર્તિઓનો નાશ કરીશ.
15 અને મારી આજ્ઞાઓનું પાલન ન કરનાર પ્રજાઓ ઉપર હું
    રોષે ભરાઇને વૈર વાળીશ.”

લૂક 14

વિશ્રામવારે સાજાં કરવું યોગ્ય છે?

14 ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા. જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહ્યું, “વિશ્રામવારે સાજાં કરવું સારું છે કે ખરાબ?” પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ. તેથી ઈસુએ તે માણસને લક્ષમાં લીધો અને તેને સાજો કર્યો. પછી ઈસુએ તે માણસને મોકલી દીધો. ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, “જો તમારો દીકરો અથવા કામ કરનાર પ્રાણી વિશ્રામવારે કૂવામાં પડે તો તમે તરત જ તેને બહાર કાઢશો.” ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ.

તમારી જાતને મહત્વ ન આપો

પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; “જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.

10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”

તમને બદલો મળશે

12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”

મોટા ભોજન સમારંભ વિષે વાર્તા

(માથ. 22:1-10)

15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”

16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું, ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’

21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’

22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”

તારે પ્રથમ આયોજન કરવું જોઈએ

(માથ. 10:37-38)

25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.

28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’

31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.

33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.

તમારો પ્રભાવ ના છોડો

(માથ. 5:13; માર્ક 9:50)

34 “મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35 તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.

“જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International