M’Cheyne Bible Reading Plan
9 આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે.
બેબિલોનના બંદીવાસમાંથી પાછા ફરેલા લોકો
યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં. 2 પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા.
3 યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે:
4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય.
5 બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો.
6 ઝેરાહના પુત્રો: યેઉએલ અને તેનાં કુટુંબીજનો સર્વ મળીને 690 હતા.
7 બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; 8 યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ; 9 તેઓની વંશાવળી પ્રમાણે તેઓના ભાઇઓ 956 જેટલા હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોનાં સરદારો હતા.
10 જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન; 11 અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર-દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો. 12 ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો.
13 આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા.
14 લેવીઓમાંના મરારીના કુલસમૂહોના; તેના પુત્ર હશાબ્યા; હશાબ્યાના પુત્ર આઝીર્કામ; આઝીર્કામના પુત્ર હાશ્શૂબ; હાશ્શૂબના પુત્ર શમાયા. 15 બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા. 16 ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા.
17 દ્વારપાળો; શાલ્લુમ મુખ્ય દ્વારપાળ આક્કુબ, ટાલ્મોન, અને અહીમાન અને તેના સગાવહાલા. 18 આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી. 19 શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા. 20 ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો. 21 મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો.
22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 જણા હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી મુજબ ગણાયા હતા તેઓને દાઉદે તથા પ્રબોધક શમુએલે ચોક્કસ નક્કી કરેલા કામ પર નીમ્યા હતા. 23 આમ તેઓનું તથા તેઓના વંશજોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની એટલે મુલાકાતમંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું. 24 દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ. 25 તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ.
26 ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી. 27 તેઓની જવાબદારી મહત્વની હોવાથી તેઓ દેવના ઘરની પાસે દરેક રાત ગુજારતાં હતા અને પ્રતિદિન સવારે દરવાજાઓ ઉધાડતા હતા.
28 તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા. 29 બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા. 30 અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું.
31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો. 32 દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી.
33 કેટલાંક લેવી કુટુંબોને મંદિરમાં સંગીતનું કામ સોંપવામાં આવ્યુ હતું. એ કુટુંબના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા હતા અને તેમને રાત દિવસ ફરજ બજાવવાની હોવાથી તેમને બીજી સેવાઓમાંથી મુકત રાખવામાં આવ્યા હતા.
34 એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
રાજા શાઉલનો કુટુંબ ઇતિહાસ
35 યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું. 36 યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા, 37 ગદોર, આહ્યો, ઝખાર્યા અને મિકલોથ. 38 મિકલોથ તેના પુત્ર શિમઆમ સાથે યરૂશાલેમમાં તેના કુટુંબીજનોની નજીક રહેતો હતો.
39 નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા.
40 યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા.
41 મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તાહરેઆ અને આહાઝ. 42 આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો. 43 મોસાના વંશજો: બિનઆ, તેનો પુત્ર રફાયા, રફાયાનો પુત્ર એલઆસાહ અને તેનો પુત્ર આસેલ
44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
રાજા શાઉલનું મૃત્યુ
10 પલિસ્તીઓ ઇસ્રાએલીઓ સામે ગિલ્બોઆના ડુંગર પર યુદ્ધે ચઢયા. ઘણા ઇસ્રાએલીઓ માર્યા ગયા અને બાકી રહ્યા તે ભાગી ગયા. 2 પછી પલિસ્તીઓએ શાઉલનો અને તેના પુત્રો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીશૂઆનો પીછો પકડ્યો અને ત્રણે પુત્રોને મારી નાખ્યા. 3 શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો.
4 ત્યારે શાઉલે જે માણસ તેના બાણ ઉપાડી રહ્યો હતો તેને કહ્યું, “તારી તરવાર કાઢી મને વીંધી નાખ; નહિ તો આ બે સુન્નતી માણસો આવીને મારી હાંસી ઉડાવશે,”
પરંતુ બખ્તર ઉપાડનારની હિંમત ચાલી નહિ એટલે તેણે ના પાડી. આથી શાઉલે પોતે તરવાર ખેંચીને તેની ધાર પર પડતું મુક્યું 5 શાઉલને મૃત્યુ પામેલો જોઇને બખ્તર ઉપાડનાર પણ પોતાની તરવાર પર પડતું મુકી મોતને ભેટયો. 6 આમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને તેના વંશનો અંત આવ્યો.
7 ખીણમાં વસતા સર્વ ઇસ્રાએલીઓએ જ્યારે જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ છે અને શાઉલ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પોતાનાં ગામો છોડીને ચાલ્યા ગયા. પછી પલિસ્તીઓએ આવીને તેમાં વસવાટ કર્યો.
8 બીજે દિવસે પલિસ્તીઓએ યુદ્ધમાં મૃત્યુ પામેલાઓના શરીરો પરથી લૂંટ ભેગી કરવા પાછા ગયા, ત્યારે તેઓએ શાઉલ અને તેના પુત્રોના શબ જોયાં. 9 તેઓએ શાઉલનું બખ્તર ઉતારી લીધું અને તેનું માથું કાપી નાખ્યું. પછી સમગ્ર દેશમાં વધામણી આપવા સંદેશાવાહકો મોકલ્યા અને તેઓની મૂર્તિઓ આગળ ઉજવણી કરી. 10 શાઉલના બખ્તરને તેઓએ પોતાના દેવના મંદિરમાં લટકાવ્યું. દાગોનના મંદિરમાં ભાલા પર તેનું માથું મુક્યું.
11 પલિસ્તીઓએ શાઉલના આ હાલ કર્યા છે એની જાણ યાબેશ-ગિલયાદના લોકોને થઇ. 12 ત્યારે ત્યાંના બધા યોદ્ધાઓ શાઉલ અને તેના પુત્રના શબ શોધવા નીકળી પડ્યા અને તેઓએ તેમને પાછાં લઇ આવી યાબેશમા એક એલોન ઝાડ નીચે તેમનાં અસ્થિ દફનાવ્યાં, અને પછી તેઓએ સાત દિવસના ઉપવાસ કર્યા.
13 શાઉલને મરવું પડ્યું કારણ, તે યહોવાને બેવફા નીવડ્યો હતો, તેણે યહોવાની આજ્ઞા માની નહોતી અને યહોવાને પ્રશ્ર્ન કરવાને બદલે મેલીવિદ્યા જાણનારની સલાહ લીધી. 14 આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું.
આપણે પણ ઈસુના નમૂનાને અનુસરવું જોઈએ
12 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). 2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે. 3 ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.
દેવ પિતા તૂલ્ય
4 પાપની વિરૂદ્ધ તમારે એટલું બધું ઝઝૂમવું પડ્યું નથી, અને એવી કોઈ આવશ્યકતા ન હતી કે તમારે તમારું લોહી વહાવવું પડે. 5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:
“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા,
અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.
6 દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે,
અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.” (A)
7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે. 8 જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી. 9 આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ. 10 પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ. 11 જ્યારે આપણને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તે આનંદકારક લાગતી નથી. તેના બદલે આપણે પીડા ભોગવીએ છીએ. પણ પાછળથી તે શાંતિમય અને પ્રામાણિક જીવનનો રસ્તો આપણને આપે છે. આપણને શિક્ષા દ્ધારા તાલીમ અપાય છે.
કેવી રીતે જીવવું તે વિશે સાવધ રહો
12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો. 13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી.
14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ. 15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે. 16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને. 17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો.
18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(B) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(C)
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.
25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.
28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.
ઇસ્રાએલની વિલાસી પ્રજાની પાયમાલી
6 સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા
તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના
નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે.
કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!
2 કાલ્નેહ નગર જઇને જુઓ,
ત્યાંથી મહાન હમાથનગર જાઓ,
અને ત્યાંથી પલિસ્તીઓના ગાથ શહેરમાં જાઓ,
એ રાજ્યો કરતાં તમારી દશા શું સારી છે?
અથવા તેમનો વિસ્તાર તમારા કરતાં શું વિશાળ છે?
3 જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો.
અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.
4 તમે એશઆરામથી હાથીદાંતના
પલંગો પર સૂઓ છો વળી
તમે ટોળામાંથી કુમળા હલવાનો
અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.
5 તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો;
તમે પોતા માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.
6 તમે પ્યાલા ભરીને દ્રાક્ષારસ પીઓ છો
અને પોતાના શરીરે મોંઘામાં મોંઘા અત્તર લગાવો છો,
પણ દેશ ઉપર ઝઝૂમતી
પાયમાલીની તમને પડી નથી!
7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે. 8 મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:
“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં.
અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે.
એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ,
આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”
થોડાજ ઇસ્રાએલીઓ જીવીત રહ્યાં
9 જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે. 10 મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”
અને તે જવાબ આપશે, “ના.”
ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”
11 કેમકે, જુઓ, યહોવા આદેશ આપી રહ્યા છે.
તે મોટા ઘરોને ભાંગીને ભૂક્કો કરી નાંખશે
અને નાના ઘરના નાના ટૂકડાં કરી નાખશે.
12 શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે?
શું બળદ ખડકો પર ખેડી શકે?
એવું પૂછવું તે પણ મૂર્ખતા છે.
તમે તો તેના કરતા પણ વધારે મૂર્ખ હતા?
તમે ન્યાયને વિકૃત કરીને ઝેર જેવો બનાવ્યો છે અને દુષ્ટ વાતવરણ પેદા કર્યુ છે.
અને પ્રામાણિકતાના ફળોને કડવા બનાવ્યા છે.
13 તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો,
અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”
14 હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.
મરિયમની ઝખાર્યા અને એલિસાબેત સાથે મુલાકાત
39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ. 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી. 41 મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.
42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે. 43 તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું? 44 જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.
યોહાનનો જન્મ
57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.
59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”
61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”
63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.
ઝખાર્યાનું દેવને સ્તુતિગાન
67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International