Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 16

આહાઝનું યહૂદા પર શાસન

16 રમાલ્યાના પુત્ર પેકાહના શાસનનું 17મું વર્ષ ચાલતું હતું, યહૂદાના રાજા યોથામનો પુત્ર આહાઝ રાજા બન્યો. જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી, તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યુ, તેણે દાઉદની જેમ પોતાના દેવ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય એવું કંઇ કર્યું નહિ. તે ઇસ્રાએલી રાજાઓને પગલે ચાલ્યો; તેણે પોતાના પુત્રને પણ અગ્નિની આરપાર ચલાવ્યો હતો. આ એ લોકો દ્ધારા અનુસરાતી ઘૃણાજનક પ્રણાલી હતી, જેમને યહોવાએ ઇસ્રાએલમાંથી હાંકી કાઢયા હતાં જ્યારે તેમણે ઇસ્રાએલ પર હુમલો કર્યો હતો ત્યારે ડુંગરોને ટેકરીઓ પરનાં થાનકોએ, અને દરેક ઘટાદાર વૃક્ષો નીચે તે યજ્ઞો અને ધૂપ ચડાવતો.

આ સમય દરમ્યાન અરામના રાજા રસીન અને ઇસ્રાએલના રાજા પેકાહ બિન રમાલ્યાએ યરૂશાલેમ પર ચડાઈ કરી આહાઝને ઘેરી લીધો, પણ તેને નમાવી ન શકયા. તે જ સમયે અરામના રાજા રસીને એલાથને પાછું કબજે કરી લીધું, ને તેણે એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢયાં. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. આજ સુધી તેઓ ત્યાં જ છે.

પછી આહાઝે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “હું તથા આપના પુત્ર બરાબર છીએ. અને આપનો સેવક છું, આવો, અને ઇસ્રાએલના રાજાઓ અને અરામીઓ સામે લડવામાં મારી મદદ કરો.” આહાઝે મંદિરમાંના અને રાજમહેલના ભંડારમાંના સોનું તથા ચાંદી લઈને આશ્શૂરના રાજાને ભેટ મોકલી આપ્યાં. આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.

10 રાજા આહાઝ જયારે આશ્શૂરના રાજા તિગ્લાથ પિલેસેરને મળવા દમસ્ક ગયો ત્યારે તેણે દમસ્કની વેદી જોઈ, પછી તેણે એ વેદીનાં બધાં માપ સાથેની આકૃતિ યાજક ઊરિયાને મોકલી. 11 પછી દમસ્કથી આહાઝે મોકલેલી રૂપરેખા પ્રમાણે યાજક ઊરિયાએ યરૂશાલેમમાં એક વેદી બંધાવી. આહાઝ દમસ્કથી પાછો ફરે તે પહેલાં તેણે વેદી તૈયાર કરાવી દીધી.

12 રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી, 13 અને પોતાના તરફથી દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ચડાવ્યાં અને પોતે ચડાવેલાં શાંત્યર્પણનાં પશુઓનું લોહી વેદી પર છાંટયું.

14 મંદિરની આગળ ઉભી કરેલી કાંસાની વેદીને તેણે ખસેડીને નવી વેદીની ઉત્તર તરફ મૂકાવી દીધી. એટલે કે મંદિર અને નવી વેદીની વચ્ચે. 15 પછી રાજા આહાઝે યાજક ઊરિયાને આજ્ઞા કરી કે, “હવેથી તમારે સવારની આહુતિ અને સાંજનું અર્પણ અને રાજાના અર્પણો બધા લોકોની આહુતિ અને પેયાર્પણો બધુ આ મોટી વેદી પર જ ચડાવવું. દરેક બલિદાનોનું લોહી અને બધાં અર્પણોનું લોહી તેની પર જ છાંટવું. કાંસાની વેદી ફકત મારી એકલાની જ રહેશે.” 16 યાજક ઊરિયાએ રાજાના કહ્યા પ્રમાણે બધું કર્યું.

17 રાજા આહાઝે ખસતી ઘોડીઓની આડી પાટડીઓ કાઢી નાખી, અને તેમાથી કૂંડીઓ હટાવી દીધી, અને કાંસાના બળદો પર જ્યાં તેમને રાખી હતી ત્યાંથી ઉપાડીને પથ્થરની ઘોડી પર મૂકી દીધી. 18 આશ્શૂરના રાજાને પ્રસન્ન કરવા માટે તેણે મંદિરમાંથી પડદાવાળી બેસવાની જગ્યા અને બહારનો દરવાજો પણ દૂર કરી નાખ્યો.

19 આહાઝના શાસનનાં બીજાં બધાં કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 20 અને એ પછી રાજા આહાઝ મૃત્યુ પામ્યો અને તે પિતૃઓ ભેગો પોઢી ગયો, અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદીએ આવ્યો.

તિતસ 2

શુદ્ધ ઉપદેશનું પાલન

શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ. વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.

વળી તું વૃદ્ધ સ્ત્રીઓને પવિત્ર જીવન ગાળવાનું શીખવ. તું એમને શીખવ કે બીજા લોકોની વિરૂદ્ધમાં કૂથલી કરનારી નહિ, કે ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ પણ સ્ત્રીઓએ જે સારું છે તે શીખવવું જોઈએ. એ રીતે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિ અને બાળકોને પ્રેમ રાખવાનું શીખવવું જોઈએ. જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

એ જ રીતે, જુવાન માણસોને પણ તું શાણા થવાનું કહે. જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન. અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

અને જે લોકો દાસો તરીકે સેવા આપે છે તેઓને તું આ બધું કહેજે: તેઓએ હંમેશા પોતાના ધણીની આજ્ઞા પાળવી જોઈએ, તેઓએ પોતાના ધણીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ; તેઓએ પોતાના ધણીઓ સાથે દલીલબાજીમાં ઉતરવું ન જોઈએ; 10 તેઓએ પોતાના ધણીઓને ત્યાંથી ચોરી ન કરવી જોઈએ; અને તેઓએ તેમના ધણીઓને એવું દેખાડવું જોઈએ કે તેઓ ભરોસાપાત્ર છે. દાસોએ આ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ જે કંઈ કરે તેમાં એવું દેખાય કે આપણા તારનાર દેવનો સુબોધ સારો છે.

11 આપણે આ રીતે જ જીવવું જોઈએ, કારણ કે દેવની કૃપાનું આગમન થયું છે. જે કૃપા દરેક વ્યક્તિનું તારણ કરે છે. અને તે કૃપા હવે આપણને આપવામાં આવી છે. 12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ. 13 આપણા મહાન દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોતાં આપણે એ રીતે જીવવું જોઈએ. તે જ તો આપણી મહાન આશા છે, અને તેનું આગમન મહિમાવંત હશે. 14 તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

15 આ બધી વાતો તું લોકોને કહે. એ માટે તને સંપૂર્ણ સત્તા છે. તેથી લોકોના વિશ્વાસને દૃઢ કરવા માટે તેઓએ શું શું કરવું જોઈએ તે કહેવા તું તારા અધિકારનો ઉપયોગ કર. તેઓને પ્રોત્સાહિત કર અને તેઓ કંઈ પણ ખોટું કરતા હોય ત્યારે તેઓને સુધાર. અને તારું કોઈ મહત્વ ન હોય એમ માનનાર કોઈ પણ વ્યક્તિને તારી સાથે એ રીતે વર્તવા ન દઈશ.

હોશિયા 9

દેશ નિકાલનું દુ:ખ

હે ઇસ્રાએલ, બીજા રાષ્ટ્રોનાં લોકોની જેમ આનંદ ન કર. આનદ ન કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે. પણ થોડા સમયમાં જ અનાજ, ને તેલના સાંસા પડશે, ને દ્રાક્ષાનો પાક નિષ્ફળ જશે.

ઇસ્રાએલના લોકો યહોવાની ભૂમિમાં રહી શકશે નહિ. તેમણે પાછા મિસર જવું પડશે. આશ્શૂરમાં તેમણે નિષિદ્ધ અન્ન ખાવું પડશે. ત્યાં તેઓ યહોવાને દ્રાક્ષાસવ નહિ અપીર્ શકે. તેઓ તેમના બલિદાનો દેવને રાજી નહિ કરે. તેમના બલિદાનો શોક કરનારાઓના આહાર જેવું હશે. તે ખાશે તેઓ અપવિત્ર બની જશે. તેમનું અન્ન કેવળ ભૂખ શમાવવા પૂરતું જ કામમાં આવશે; અને તે યહોવાના મંદિરમાં ધરાવી નહિ શકાય. તમે મુકરર પર્વના દિવસોમાં એટલે યહોવાના ઉત્સવોના દિવસોમાં શું કરશો?

આ પ્રશ્ર્ન હું પુછું છું; કેમકે મોટા વિનાશના કારણે ઇસ્રાએલના લોકો દેશ છોડી જશે. તેઓને મિસરમાં ભેગા કરવામા આવશે અને તેમના વંશજોને મેમ્ફિસમાં દફનાવામાં આવશે. તેમના કિંમતી ખજાનાઓ પર કાંટાળા છોડ ઉગશે અને તેમના મંડપો પર કાંટા ઉગશે.

સાચા પ્રબોધકોને ઇસ્રાએલનો દ્વેષ

“શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે; ઇસ્રાએલ તે જાણશે;” પ્રબોધકો ઘેલા છે. “જે માણસમાં દેવનો આત્મા છે તે માનસિક રીતે અસ્થિર છે. તેવી તેઓ મશ્કરી કરે છે. સમગ્ર દેશ પાપના ભારથી દબાયેલો છે. દેવને પ્રેમ કરનારા લોકો પ્રત્યે તેઓ ધિક્કાર જ પ્રદશિર્ત કરે છે.” પ્રબોધક તો દેવે નીમેલો ઇસ્રાએલનો રખેવાળ છે, તેમ છતાં હું જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં ત્યાં તેના માર્ગમાં તમે જાળ પાથરો છો. દેવના મંદિરમાં પણ તમે તેમના પ્રત્યે તમારી ઘૃણા દેખાડો છો.

ઘણા સમય પહેલાં ગિબયાહમાં જે પુરુષો હતા, તેઓ ખરાબ રીતે વર્તતા અને ષ્ટતામાં ઊંડા ઉતરી ગયા હતા. યહોવા તેમના અપરાધો સંભારશે અને તેમના પાપોની સજા કરશે.

મૂર્તિ પૂજાને કારણે ઇસ્રાએલનો વિનાશ

10 યહોવા કહે છે, “જેમ રણમાં કોઇને દ્રાક્ષ મળે છે તે જ રીતે મને ઇસ્રાએલ મળ્યું હતું. તમારા પૂર્વજો મને ઋતુનાં પહેલા પાકેલા અંજીર જેવા લાગ્યા હતા. પણ જ્યારે તેઓ બઆલ-પેઓર પહોંચ્યા ત્યારે તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા અને તેઓ તે ભયંકર વસ્તુઓ (જૂઠા દેવો) જેવા થઇ ગયા, જેને તેઓ પ્રેમ અને પૂજા કરતા હતા.

ઇસ્રાએલીઓનો વંશ નહિ વધે

11 “ઇસ્રાએલની કીર્તિ પંખીની જેમ ઊડી જશે; તેમના સંતાનો જન્મ સમયે જ મૃત્યુ પામશે અથવા કોઇને ગર્ભ રહેશે નહિ. 12 તેઓ કદાચ બાળકો ઉછેરશે, તો પણ હું તેમને હળી લઇશ. એકનેય હું જીવતું રહેવા દઇશ નહિ. હું તમારી વિમુખ થઇશ અને તમને એકલા તરછોડી દઇશ. તે દિવસ ઘણો દુ:ખદ હશે.”

13 જ્યારે મેં પહેલીવાર જોયું ત્યારે એફ્રાઇમ એક ફળદ્રુપ ધરતી પર રોપેલા તાડના વૃક્ષ જેવું લાગતું હતું, પણ હવે એફ્રાઇમ તેના સંતાનોને યુદ્ધમાં મરવા માટે મોકલવા બહાર લાવશે. 14 હે યહોવા, તેમની મદદ કરો. પણ તમે તેમને શું આપશો? બાળ ગુમાવે એવું ઉદર અને દૂધ વગરના સ્તન તેમને આપો. 15 યહોવા કહે છે,

“ગિલ્ગાલમાં તેઓના બધા ખરાબ કાર્યો જાણીતા થયા.
    ત્યાં હું તેમને ધિક્કારવા લાગ્યો.
તેમના દુષ્કૃત્યોને કારણે હું
    તેમને મારા ઘરમાંથી હાંકી કાઢીશ.
હવે પછી હું તેમના પર પ્રેમ નહિ રાખું.
    તેમના બધા શાષકો મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
16 ઇસ્રાએલને સડો લાગ્યો છે,
    તેના મૂળીયાં સુકાઇ ગયા છે,
    એને ફળ નહિ આવે;
અને તેમને સંતાન થાય તો
    પણ હું તેમના વહાલાં સંતાનોનો સંહાર કરીશ.”
17 મારા દેવ ઇસ્રાએલના માણસોને ફગાવી દેશે, કારણ કે,
    તેમણે તેમની વાત કાને ધરી નથી, અને તેઓ તેમને આધીન પણ થયાં નથી.
તેથી તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ભટકનારા ઘર વિનાના યહૂદીઓ થશે.

ગીતશાસ્ત્ર 126-128

મંદિરે ચઢવા માટેનું ગીત.

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
    ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
    ત્યારે વિદેશીઓએ કહ્યું,
    “યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
    જેથી અમે આનંદ પામીએ છીએ.

હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
    અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
    તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
    તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.

સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.

જો યહોવા ઘર ન બાંધે તો;
    બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
    ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
    સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
    પ્રત્યેકને આરામ આપે છે.

બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
    તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો તો;
    બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
    જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
    કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

મંદિરે ચઢવાનું ગીત.

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
    તે સર્વને ધન્ય છે.

તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
    તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
    તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
    તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.

ઇસ્રાએલને શાંતિ થાઓ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International