Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 26-27

મંદિરના દ્વારપાળો-રક્ષકો

26 કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા:

આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા. મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ, પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.

આ બધાં ઓબેદ-અદોમના પુત્રો હતા: સૌથી મોટો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો પુત્ર યોઆહ, ચોથો પુત્ર શાખાર હતો, નથાનએલ પાંચમો પુત્ર હતો, છઠ્ઠો આમ્મીએલ, સાતમો યિસ્સાખાર, અને આઠમો પેઉલથ્થાઇ. આ પુત્રો આપીને દેવે તેને આશીર્વાદ આપ્યા હતા. શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા. તેઓનાં નામ: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઇઓ અલીહૂ અને સમાખ્યા બહાદૂર પુરુષો હતા. આ બધા ઓબેદ-અદોમના વંશજો હતા. તેઓ, એમના પુત્રો અને ભાઇઓ મળીને કુલ 62 હતા. અને તે બધા શકિતશાળી પુરુષો હતા. અને મંદિરમાં સેવા કરવાને લાયક હતા.

મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.

10 મરારીની વંશજોના હોસાહએ તેના પુત્રોમાંથી એક શિમ્રીને સમૂહના નેતા તરીકે પસંદ કયો. જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો. 11 હિલ્કિયા બીજો હતો, ત્રીજા નંબરે ટબાલ્યા. ચોથા નંબરે ઝખાર્યા હતા, હોસાહના પુત્રો અને ભાઇઓની કુલ સંખ્યા તેર હતી.

12 આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા. 13 નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.

14 પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો. 15 ઓબેદ-અદોમને ભાગે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભાગે કોઠાર આવ્યો. 16 પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી.

પહેરા વારાફરતી બદલતા રહેતા હતા; 17 પૂર્વને દરવાજે દરરોજ છ લેવી રહેતા તથા ઉત્તરને દરવાજે ચાર, દક્ષિણને દરવાજે ચાર, અને દરેક કોઠાર પર બબ્બે. 18 પશ્ચિમના દરવાજાની ઓશરી તરફના રસ્તાનું રક્ષણ કરવા ચાર રક્ષકો અને ખુદ ઓશરીનું રક્ષણ કરવા બે રક્ષકો હતા.

19 એમ કોરાહના અને મરારીના વંશજોને દ્વારપાળોનું કામ વહેંચી આપવામાં આવ્યું હતુ.

તિજોરીના તથા અન્ય અધિકારીઓ

20 અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

21 આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો. 22 યહીએલનો પુત્રો ઝેથામ અને તેનો ભાઈ યોએલ પણ તે બધામાં હતા. તેઓ યહોવાના મંદિરના કોઠારની સંભાળ રાખતાં હતા.

23 તેમાંથી કેટલાક આમ્રામનાં યિસ્હારના, હેબ્રોનના અને ઉઝઝીએલના વંશજો હતા.

24 શબુએલ ભંડારનો મુખ્ય અધિકારી હતો. શબુએલ ગેશોર્મનો પુત્ર હતો અને ગેશોર્મ મૂસાનો પુત્ર હતો. 25 અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો. 26 એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.

27 એ લોકોએ યુદ્ધો દરમ્યાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ યહોવાના મંદિરને ભેટ તરીકે આપ્યો હતો. 28 ષ્ટા શમુએલ, કીશનો પુત્ર શાઉલ, નેરનો પુત્ર આબ્નેર, સરૂયાનો પુત્ર યોઆબે અથવા બીજું કોઇ પણ વ્યકિત ભેટ લાવે તે બધાની કાળજી રાખવાની જવાબદારી શલોમોથ અને તેના ભાઇઓને સોંપવામાં આવી હતી.

29 યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું. 30 યર્દન નદીની પશ્ચિમે આવેલા ઇસ્રાએલ દેશના વિસ્તારની જવાબદારી હેબ્રોન વંશજોમાંથી હસાબ્યા અને તેના 1,700 કુટુંબીજનોને સોંપવામાં આવી. તેઓ સર્વ નામાંકિત હતા અને તે વિસ્તારમાં જાહેર વહીવટ અને યહોવાની સેવા માટેના જવાબદાર અધિકારીઓ હતા. 31 દાઉદના રાજ્યના ચાળીસમા વર્ષે હેબ્રોનના કુટુંબની વંશાવળી તપાસતા એના કાબેલ માણસો ગિલયાદમાં આવેલા યઝેરમાં વસતા માલૂમ પડ્યા હતા. 32 રાજા દાઉદે 2,700 આવા કાબેલ માણસોને- કુટુંબવાળાઓને રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના પ્રદેશનો ધામિર્ક અને રાજકીય વહીવટ સંભાળવાનું કામ સોંપ્યું.

મંદિરના રક્ષકોની ફરજો

27 રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા.

પહેલા મહિનાની ટૂકડીનો 24,000 માણસોના જૂથનો નાયક, ઝાબ્દીએલનો પુત્ર યાશોબઆમ હતો. તે પેરેસનો વંશજ હતો. દર વર્ષે પ્રથમ માસની જવાબદારી તેની હતી.

બીજા મહિનાની ટૂકડીનો નાયક અહોહીના વંશનો દોદાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા. આ બનાયા 30 શૂરવીરોમાં મુખ્ય હતો. એનો પુત્ર અમીજાબાદ એની ટોળીનો હતો.

ચોથા મહિનાની ટૂકડીનો નાયક યોઆબનો ભાઇ અસાહેલ હતો. એના પછી એનો પુત્ર ઝબાદ્યા એની જગ્યાએ આવ્યો હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

છઠ્ઠા મહિનાની ટૂકડીનો નાયક તકાંઓનો ઇક્કેશનો પુત્ર ઇરા તેના હાથ નીચે 24,000 માણસો હતા.

10 સાતમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમના વંશજ પલોનનો હેલેસ હતો જેના હાથ નીચે 24,000 માણસો હતા.

11 આઠમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહ સમૂહનો હુશાનો સિબ્બખાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

12 નવમા મહિનાની ટૂકડીનો નાયક બિન્યામીનનો વંશજ અનાથોથનો અબીએઝેર હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

13 દશમા મહિનાની ટૂકડીનો નાયક ઝેરાહના વંશજ નટોફાનો માહરાય હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા.

14 અગિયારમા મહિનાની ટૂકડીનો નાયક એફ્રાઇમ કુલસમૂહનો પિરઆથોનનો બનાયા હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

15 બારમા મહિનાની ટૂકડીનો નાયક ઓથ્નીએલનો વંશજ નટોફાનો હેલેદ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.

કુલસમૂહોના આગેવાનો

16 ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી:

રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર;

શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા;

17 લેવીના કુલ પર કમુએલનો પુત્ર હશાબ્યા;

હારુનના વંશજો પર સાદોક;

18 યહૂદિયાના કુલ સમૂહ પર દાઉદ રાજાનો ભાઇ અર્લાહૂ;

ઇસ્સાખારના કુલ સમૂહ પર મિખાયેલનો પુત્ર ઓમ્રી;

19 ઝબુલોનના કુલ પર ઓબાદ્યાનો પુત્ર યિશ્માયા;

નફતાલીના કુલ પર આઝીએલનો પુત્ર યરેમોથ;

20 એફ્રાઇમના કુલ પર અઝાઝયાનો પુત્ર હોશિયા;

મનાશ્શાના અર્ધકુલ પર પદાયાનો પુત્ર યોએલ,

21 ગિલયાદમાં વસતાં મનાશ્શાના અર્ધકુલ પર ઝખાર્યાનો પુત્ર યિદ્દો;

બિન્યામીનના કુલ પર આબ્નેરનો પુત્ર યાઅસીએલ;

22 દાનના કુલસમૂહ પર યરોહામનો પુત્ર અઝારએલ.

તેઓ ઇસ્રાએલનાં કુલોના અધિકારીઓ હતા.

વસ્તી ગણતરી કરતો દાઉદ

23 દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું. 24 સરૂયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરુ કરી પણ તેણે પૂરી કરી નહોતી. કારણકે ઇસ્રાએલ પર દેવનો રોષ ઊતર્યો હતો. અને એટલે તે વસ્તી ગણતરીના આંકડા રાજા દાઉદના રાજ્યના ઇતિહાસમાં નોંધાયા નહોતા.

રાજાના અમલદારો

25 અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો.

ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો.

26 કલૂબનો પુત્ર એઝીર્, જેઓ ખેતરમાં કામ કરતાં હતા તેની પર દેખરેખ રાખતો હતો;

27 રામાથી શિમઇ દ્રાક્ષારસની વાડીઓ પર દેખરેખ રાખતો હતો;

શેફમનો ઝબ્દી દ્રાક્ષારસના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

28 ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો;

યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

29 શારોનનો શિટાય શારોનના મેદાનમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો;

શાફાટ તે અદલાયનો પુત્ર હતો, ને ખીણોમાં ચરતાં ઢોરો પર દેખરેખ રાખતો હતો,

30 ઇશ્માએલી ઓબીલ ઊંટોની સંભાળ રાખતો હતો.

મેરોનોથી યેહદયા ગધેડાંની સંભાળ રાખતો હતો;

31 હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો.

આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.

32 દાઉદના કાકા યોનાથાન નિપુણ સલાહકાર અને એક લહિયો હતો. હાખ્મોનીના પુત્ર યહીયેલ રાજાના પુત્રોની સાથે હતો. 33 અહીથોફેલ રાજાનો સલાહકાર હતો; અને હૂશાય આકીર્ રાજાનો મિત્ર હતો. 34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો.

2 પિતર 1

ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેરિત સિમોન પિતર તરફથી તમને કુશળતા હો.

અમારામાં છે તેવો મૂલ્યવાન વિશ્વાસ જે બધા લોકોમા છે, તે સર્વને આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ.

કૃપા અને શાંતિ વધુ ને વધુ પ્રમાણમાં તમને પ્રદાન થાઓ. તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થશે કારણ કે તમે ખરેખર દેવ અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો.

જેની આપણને આવશ્યકતા હોય તે બધું જ દેવે આપણને આપ્યું છે

ઈસુ દૈવી સાર્મથ્ય ધરાવે છે. તેના સાર્મથ્ય આપણને એ દરેક વાનાં આપ્યાં છે જેની આપણને જીવવા અને દેવની સેવા માટે આવશ્યકતા છે. આપણે તેને જાણીએ છીએ તેથી આપણી પાસે આ વાનાં છે. ઈસુએ તેના મહિમા અને સાત્ત્વિકતાથી આપણને બોલાવ્યા. તેના મહિમા અને સાત્ત્વિકતાથી, ઈસુએ આપણને આપેલાં તે ઘણા મહાન અને સમૃદ્ધ દાનો પ્રદાન કર્યા અને તેથી મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યા છે જેથી તે દ્ધારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને દૈવી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.

કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો; અને તમારા ચારિત્રમાં જ્ઞાન અને તમારા જ્ઞાનમાં સ્વ-નિયંત્રણ; અને તમારા સ્વ-નિયંત્રણમાં ધીરજ ઉમેરો અને તમારી ઘીરજમાં દેવની સેવા; અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા; અને ભાઈ-બહેનો માટેની કરૂણામાં પ્રેમ ઉમેરો. જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ. પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો.

10 મારા ભાઇઓ અને બહેનો, પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે. એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો. જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ. 11 અને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમારું ઈષ્માભર્યુ સ્વાગત કરવામા આવશે. તે રાજ્ય સર્વકાળ છે.

12 તમે આ બાબતો જાણો છો. તમને જે સત્ય પ્રગટ થયું છે તેમાં તમે ઘણા સ્થિર છો. પરંતુ આ બાબતોનું સ્મરણ કરાવવામાં હું હંમેશ તમને મદદ કરીશ. 13 જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે. 14 હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે. 15 હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ. મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું.

અમે ખ્રિસ્તનો મહિમા નિહાળ્યો

16 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ. 17 ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.” 18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.

19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે. 20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી. 21 ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.

મિખાહ 4

શાંતિના શાસનનું આગમન

હવે પાછલા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા
    બધા પર્વતો કરતાં ઊંચો કરવામાં આવશે,
જે બીજાં બધાં શિખરો પર થશે,
    તે બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે,
    “ચાલો આપણે યહોવાના પર્વત ઉપર,
    યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ;
જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે
    અને પછી આપણે તેના માર્ગે ચાલીશું.”

કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે
    અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે.
તે ઘણા લોકોને ન્યાય કરશે,
    દૂરના બળવાન લોકો માટે નિર્ણયો કરશે;
ત્યારે લોકો પોતાની તરવારો
    ટીપીને હળની કોશો બનાવશે;
    અને ભાલાઓનાં દાંતરડા બનાવશે.
પ્રજાઓ એકબીજા સામે તરવાર ઉગામશે નહિ કે
    ફરીથી કદી યુદ્ધનું પ્રશિક્ષણ લેશે નહિ.
પણ પ્રત્યેક મનુષ્ય પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે
    તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે;
અને તેમને કોઇનો ભય રહેશે નહિ,
    કારણ કે આ સૈન્યોનો દેવ યહોવાના મુખના વચન છે.

પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે,
    અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.

આ રાજ્યને પાછું લાવવું છે

યહોવા કહે છે કે,
“તે દિવસે જેમને મેં હાંકી
    કાઢીને દુ:ખી કર્યા છે,
જેઓ અપંગ થઇ ગયા છે
    તે મારા લોકોને હું એકત્ર કરીશ.

“હું અપંગોને અતિજીવી બનાવીશ
    અને દૂર હાંકી કઢાયેલાઓમાંથી
એક શકિતશાળી રાષ્ટ બનાવીશ
    અને યહોવા સદાકાળને માટે
સિયોનના પર્વત ઉપરથી
    તેમના ઉપર સર્વકાળ સુધી રાજ્ય કરશે.
અને તમે, ટોળાંના બૂરજો,
    સિયોનની પુત્રીના શિખર,
તમે તમારી શકિત પાછી મેળવશો
    અને અગાઉનું રાજ્ય
    યરૂશાલેમની પુત્રી પાસે પાછું ફરશે.”

ઇસ્રાએલીઓને ખરેખર શા માટે બાબિલ પાસે જવું જોઇએ?

હવે તું શા માટે મોટેથી બૂમો પાડે છે?
    તારે ત્યાં રાજા નથી?
તારા સલાહકારો નાશ પામ્યા છે કે,
    તું આમ પ્રસુતાની જેમ પીડાય છે, હે યરૂશાલેમ?
10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ
    તું તરફડજે અને ચીસો પાડજે;
કારણકે હવે તું યરૂશાલેમમાંથી દૂર થઇ જશે,
    ને સીમમાં રહેશે,
ને બાબિલમાં પણ જશે;
    ત્યાં તને છોડાવવામાં આવશે;
ત્યાં યહોવા તને તારા શત્રુઓના
    હાથમાંથી છોડાવશે.

યહોવા બીજી પ્રજાને સમાપ્ત કરશે

11 હવે ઘણી પ્રજાઓ તારી સામે ભેગી થઇ છે
    અને કહે છે કે, “ભલે તેણી ષ્ટ થાય જેથી આપણી
    આંખો સિયોનને જોઇ શકે.”

12 પરંતુ તેઓ યહોવાના વિચારોને જાણતા નથી.
    તેઓ યહોવાની યોજના સમજતા નથી,
તેણે તેમને અનાજની જેમ ભેગા કર્યા છે
    અને તેમને ઝૂડવા માટેની જમીન પર લાવીને મૂક્યા છે.

ઇસ્રાએલ શત્રુઓને હરાવી જીત મેળવશે

13 “હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ!
    હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ;
અને તું તેના વડે ઘણી પ્રજાઓને
    કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ;
અને તેમની પાસેથી લૂંટમાં મળેલી
    સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.”

લૂક 13

પસ્તાવો કરો

13 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”

નિરુંપયોગી વૃક્ષ

ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’ પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.’”

ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું

10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.

14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”

15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.

દેવનું રાજ્ય શાના જેવું?

(માથ. 13:31-33; માર્ક 4:30-32)

18 પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું? 19 દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.”

20 ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું? 21 તે ખમીર જેવું છે જેને સ્ત્રી રોટલી બનાવવા માટે લોટના મોટા વાસણમાં ભેળવે છે. ખમીર બધા લોટને ફુલાવે છે.”

સાંકડો દરવાજો

(માથ. 7:13-14; 21:23)

22 ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી. 23 કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”

ઈસુએ કહ્યું, 24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ. 25 જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’ 26 પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’ 27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’

28 “તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો. 29 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે. 30 જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”

યરૂશાલેમમાં ઈસુના મૃત્યુની આગાહી

(માથ. 23:27-39)

31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”

32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવા[a] ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે. 33 તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે.

34 “ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ. 35 હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International