M’Cheyne Bible Reading Plan
હોશિયાનું ઇસ્રાએલ પર શાસન
17 યહૂદાના રાજા આહાઝના શાસનનું 12મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 9 વર્ષ શાસન કર્યુ, 2 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે ઇસ્રાએલના આગળના રાજાઓ જેવું નહિ.
3 આ આશ્શૂરના રાજા શાલ્માનેસેરે હોશિયાને હરાવ્યો અને હોશિયા તેનો ગુલામ બની ગયો અને તેને ખંડણી આપતો હતો.
4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા “સો”ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.
5 પછી આશ્શૂરનો રાજા સમગ્ર દેશ પર ચઢી આવ્યો, ને સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો. 6 હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇસ્રાએલીઓએ તેમને મિસરના રાજા ફારુનની ચુંગાલમાંથી છોડાવી, મિસરની બહાર લાવનાર પોતાના દેવ યહોવાનો ગુનો કર્યો હતો, તેમણે બીજા દેવોની પૂજા કરવા માંડી હતી, 8 તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા. 9 યહોવા દેવની દ્રષ્ટિએ અયોગ્ય હતું તેવું આચરણ ઇસ્રાએલીઓએ ગુપ્ત રીતે કર્યુ.
તેઓએ તેમના બધાં શહેરોમાં, નિરીક્ષણ બુરજથી માંડીને કિલ્લેબંધ નગરોમાં ઉચ્ચસ્થાનકો બાંધ્યાં. 10 તેમણે દરેક ઉચ્ચસ્થાન પર અને ઘટાદાર વૃક્ષ નીચે સ્તંભો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભાં કર્યા, 11 અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો. 12 યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.
13 ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.”
14 પણ ઇસ્રાએલીઓએ તેમના આદેશોનું પાલન ન કર્યું અને પોતે જે કરતા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું. તેઓ તેમના વડવાઓની જેમ જીદી હતા અને તેમને જે ગમ્યું તે જ કર્યું. તેમને યહોવા તેમના દેવ પર વિશ્વાસ નહોતો. 15 તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.
16 તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં. 17 તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા. 18 આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.
યહૂદાના લોકો પણ દોષિત
19 યહૂદાના લોકોએ પણ પોતાના યહોવા દેવની આજ્ઞાઓની અવજ્ઞા કરી અને ઇસ્રાએલીઓના દુષ્ટ માર્ગોનું તેઓએ અનુકરણ કર્યુ.
20 તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. 21 જયારે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા. 22 તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો; યરોબઆમે જે પાપ કર્યા હતા તે ઇસ્રાએલીઓએ કરવાનું ચાલુ રાખ્યું. 23 આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
સમરૂનના લોકોની શરૂઆત
24 આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો. 25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા. 26 આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”
27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”
28 તેથી એક યાજક બેથેલમાં આવ્યો અને તેણે બાબિલમાંથી આવેલા લોકોને યહોવાની ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ શીખવી.
29 છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ. 30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને, 31 અને આવ્વીના લોકો નિબ્હાઝ અને તાંર્તાકને પૂજતા હતા, તો સફાવીર્મના લોકો આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખને પોતાનાં બાળકોની અગ્નિમાં આહુતિ આપતાં હતાં.
32 આ લોકો યહોવાની પણ પૂજા કરતા હતા, અને તેમણે પોતાનામાંથી કોઇ એકને યાજક નિયુકત કર્યો જે તેઓના મુખ્યસ્થાનોની મૂર્તિઓની સેવાપૂજા કરતો હતો. 33 તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
34 આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી. 35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ. 36 જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે. તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે. 37 નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી. 38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ. 39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”
40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું. 41 આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.
જીવન જીવવાનો સાચો માર્ગ
3 તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું; 2 કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું; બીજા લોકો સાથે શાંતિથી રહેવું; બીજા લોકો સાથે વિનમ્ર થવું; અને તેઓની સાથે માયાળુ થવું. બીજા લોકો સાથે દયાળુ બનવું. બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે.
3 ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા. 4 પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયાં. 5 તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે. 6 આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડયો છે. 7 આમ, દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંતજીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ. 8 આ વાત સાચી છે.
આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.
9 એવા લોકોથી દૂર રહેજે જે મૂર્ખાઈભરી દલીલો કરતા હોય, જે લોકો નકામી વંશાવળીઓની વાતો કર્યા કરતા હોય, જે લોકો મૂસાના નિમયશાસ્ત્રના ઉપદેશ વિષે મુશ્કેલીઓ ઊભી કરીને ઝધડતા હોય. આ બાબતો નકામી છે અને તે લોકોને સહાયરુંપ નહિ થાય. 10 જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ. 11 તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.
યાદ રાખવા જેવી કેટલીક બાબતો
12 હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે. 13 ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે. 14 આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.
15 અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે.
તમ સર્વ પર કૃપા થાઓ.
ઇસ્રાએલના વૈભવે ઇસ્રાએલથી મૂર્તિપૂજા કરાવી
10 ઇસ્રાએલ સુવિકસિત અને ફળોથી ભરપૂર
એવો દ્રાક્ષાવેલાની જેમ ખૂબ સમૃદ્ધ છે.
હું જ્યારે તેને વધારે અને વધારે સંપતિ આપું છું
તેઓ બીજા દેવો માટે વધારેને વધારે વેદીઓ બાંધે છે.
જ્યારે મેઁ તેમને પુષ્કળ પાક આપ્યો,
તેઓએ તેમનાં સારામાં સારા પથ્થરોમાંથી વધારે ભજનસ્તંભો જૂઠા દેવોને માન આપવાં બનાવ્યા.
2 ઇસ્રાએલના લોકોએ દેવને છેતરવાનો પ્રયત્ન કર્યો,
પણ હવે તેમને પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.
યહોવા પોતે જ તેઓની વેદીઓ તોડી નાખશે
અને તેમના ભજનસ્તંભોનો નાશ કરશે.
ઇસ્રાએલીઓના ખોટા નિર્ણયો
3 હવે તેમણે કહેવું પડશે; અમારે કોઇ રાજા નથી, કારણ, અમે યહોવાથી બીતા નથી; અને રાજા પણ અમારે માટે શું કરવાનો હતો?
4 તેઓ વચનો આપે છે, પણ તેને પાળવાનો વિચાર કરતાં નથી. કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે, તેઓ જ્યારે ન્યાયને અમલમા મુકવાનો પ્રયત્ન કરે છે. તેઓના ચુકાદાઓ ખેડેલાં ખેતરમાં ઊગી નીકળતાં ઝેરી છોડ જેવા હોય છે.
5 સમરૂનના લોકો બેથ-આવેનમાં આવેલી તેમની વાછરડાની મૂર્તિ સાથે ખૂબ સંકળાયેલ છે; યાજકો અને લોકો તેના માટે શોક કરે છે. કારણ તેઓએ તેનું તેજ માણ્યું, પણ હવે તેને તેમનાથી દૂર કારાવાસમાં લેવાયું છે. 6 જ્યારે એ વાછરડાને ત્યાંના મહાન રાજાને વસુલી તરીકે આપવા માટે તેઓની સાથે ગાડામાં આશ્શૂર લઇ જવામાં આવશે. અને તેઓને સાથે ચાકરોની જેમ લઇ જવામાં આવશે. ઇસ્રાએલની અપકીર્તિ થશે અને તેણે પોતે લીધેલા માર્ગ માટે શરમાવું પડશે. 7 સમરૂનનો રાજા સમુદ્રના મોજાઓ ઉપર તરતાં લાકડાના પાટિયાની જેમ તણાઇ જશે.
8 જ્યાં ઇસ્રાએલે પાપ કર્યું છે, તે બેથેલમાં આવેલી આવેનની મૂર્તિની વેદીનો નાશ થશે. તેમની વેદીઓ ઉપર કાંટા ને ઝાંખરાઁ ઊગી નીકળશે. અને પછી લોકો પર્વતોને અને ડુંગરોને કહેશે કે, “અમારા ઉપર પડો અને અમને ઢાંકી દો.”
ઇસ્રાએલે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું
9 યહોવા કહે છે, “ઇસ્રાએલના લોકોએ ગિબયાહના લોકોની જેમ પાપ કર્યુ, અને તેઓએ પાપ કરવાનું ચાલું રાખ્યું. શું ગિબિયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ પર યુદ્ધ અચાનક નહોતું આવી પડ્યું? 10 તમારામાં આધીનતા નથી, તેથી હું તમારી વિરૂદ્ધ જઇશ; તમારા અસંખ્ય પાપો બદલ તમને શિક્ષા કરવા હું વિદેશી સૈન્યોને તમારી વિરૂદ્ધ ભેગા કરીશ.
11 “એફ્રાઇમ એક શિક્ષા પામેલી જુવાન ગાય જેવી છે જેને દાણા છૂટા પાડવા ગમે છે. મેં તેને અગાઉ કદી ઝૂંસરી નીચે મૂકી નથી. મેં તેની કોમળ ડોકને મુકત રાખી હતી. પરંતુ હવે હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ. તેને હળમાં બાંધવામાં આવશે. યહૂદા જમીન ખેંડશે અને યાકૂબ કઠણ જમીન તોડશે.”
12 મેં કહ્યું, “પોતાને સારુ સત્કર્મો વાવો અને સાચા પ્રેમના ફળ લણો, તમારા હૃદયની કઠણ જગ્યાઓને ખેડો. યહોવાને શોધવાનો સમય થઇ ગયો છે જ્યાં સુધી યહોવા આવે અને તમારા પર ભલમનસાઇ વરસાવે.
13 “પણ તમે દુષ્કૃત્યો વાવ્યાં છે અને તેના માઠાં ફળ લણ્યાં છે, તમારે તમારા અસત્યનાઁ ફળ ભોગવવા પડ્યાં છે. સૈન્યના સાર્મથ્યને લીધે અને મહાન સૈન્યોને લીધે દેશ સુરક્ષીત છે એવા જૂઠાણા પર ભરોસો રાખવાનો પૂરો બદલો તમને મળી ચૂક્યો છે! 14 તારા લોકો વિરૂદ્ધ યુદ્ધ થશે અને દુશ્મનો તારા કિલ્લેબંધ નગરોનો નાશ કરશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલનો વિનાશ કર્યો હતો અને માતાઓને અને તેમના બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા હતાં તેમ થશે. 15 હે બેથેલ, તારી સાથે પણ તેમ જ થશે. કારણ કે, તેઁ ઘણું ખરાબ કર્યુ છે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇસ્રાએલના રાજાનો સંપૂર્ણ નાશ થઇ જશે.”
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International