Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 15

યરૂશાલેમમાં કરારકોશની સ્થાપના

15 યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને “દેવના કોશ” માટે નવો મંડપ બંધાવ્યો. ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”

તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા. વળી તેણે હારુનના વંશજોને તથા લેવીઓને પણ ભેગા કર્યા.

કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,

મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.

ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;

અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.

હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;

10 અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.

લેવીઓ અને યાજકો સાથે વાત કરતો દાઉદ

11 ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા. 12 અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો. 13 તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”

14 તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી. 15 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.

ગાયકો

16 પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.

17 આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન-યોએલનો પૂત્ર, આસાફ-બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન. 18 તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.

19 આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા; 20 ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી; 21 અને માત્તિથ્યા, અલીફલેહૂ મિકનેયા, ઓબેદ, અદોમ, યેહિએલ અને અઝાઝયાએ “સેંમીનીથ” ના સૂર પ્રમાણે સિતાર વગાડવાની હતી. 22 લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો.

23 બેરખ્યા એલ્કાનાહને કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી. 24 અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

25 દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા. 26 યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું. 27 કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

28 આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

29 જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.

યાકૂબ 2

બધા લોકોને પ્રેમ કરો

મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.

મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.

જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.

10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે. 11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(B) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(C) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.

12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

વિશ્વાસ અને સારા કાર્યો

14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.

18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.

20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(D) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(E) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.

26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!

આમોસ 9

દર્શનમાં યહોવા વેદી સમક્ષ ઊભા રહ્યાં

મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા, તેઓ બોલ્યા,

“બુરજોની ટોચ પર એવો મારો
    ચલાવો કે મંદિર હલી ઊઠે
અને તેના થાંભલાઓ તૂટી પડે
    અને સાથે તેની છત નીચે
બેઠેલા લોકો પર તૂટી પડે.
    તેમનામાંથી જે બાકી રહ્યા હશે
તેમને હું તરવારથી પૂરા કરીશ.
    કોઇ તેમાંથી છટકી જવા પામશે નહિ.
તેઓ ઊંડે ખોદતાં ખોદતાં પાતાળમાં ઊતરી જાય
    તો પણ હું તેમને પકડીને બહાર લઇ આવીશ.
તેઓ જો આકાશમાં ચઢી જશે,
    તો પણ હું તેમને ત્યાંથી નીચે ખેંચી લાવીશ.
તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય,
    તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ.
જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે,
    તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.
અને જો તેઓ પોતાના દુશ્મનોના હાથે બંદીવાન થઇ દેશપાર થશે તોપણ
    હું તરવારને આજ્ઞા કરીશ કે
    તે તેમનો સંહાર કરે.
હું તેમના પર નજર રાખીશ કે
    જેથી તેઓનું ભલું નહિ
    પણ ભૂંડુ જ થાય.”

દેશના લોકોને સજા નષ્ટ કરશે

યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે.
    તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે.
    અને તેમાં વસનારા સર્વ શોક કરે છે,
તે પૃથ્વી ઊપર આવે છે
    અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.
એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે
    અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે,
તે સમુદ્રના પાણીને બોલાવીને
    પૃથ્વીના પડ ઉપર રેડી દે છે.
    તેનું નામ યહોવા છે.

યહોવાએ ઇસ્રાએલને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી

આ યહોવાના વચન છે,

“હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી?
    હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો,
    તેમ પલિસ્તીઓને કાફતોરથી
    અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”

જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની
પ્રજા ઉપર છે;
“હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ.
    તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.
હું આજ્ઞા કરીશ કે,
    જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે;
તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો
પણ નીચે પડશે નહિ,
    તે રીતે બીજા રાષ્ટ્રો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.

10 “પણ મારા લોકોમાંના બધા પાપીઓ,
    જેઓ એમ કહે છે કે,
‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’
    તેઓ તરવારથી નાશ પામશે.”

દેવે રાજ્યને ફરી સ્થાપીત કરવાની પ્રતીજ્ઞા કરી

11 “તે દિવસે હું દાઉદના ખખડી ગયેલા ઝૂંપડા જેવા રાજ્યને ફરી
    બેઠું કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઇશ.
તેના ખંડેરો સમાં કરીશ,
    તે પહેલાં જેવું હતું તેવું નગર નવેસરથી બાંધીશ;
12 હું તેમ કરીશ જેથી ઇસ્રાએલના લોકો અદોમના બાકી રહેલા પ્રાંતો
    અને બીજા બધા દેશો જે પહેલાં મારા હતા
તેને શાસનમાં લઇ શકે.”
    આ સર્વનો કરનાર હું યહોવા બોલું છું.
13 જુઓ યહોવા કહે છે, “એવા દિવસો આવી રહ્યાં છે.
ખેડૂતો બીજી તરફ ધાન્યની
    વાવણી કરવાનું શરુ કરે છે કે,
તે સમયે પણ ધાન્યની પહેલી
    લણણીનું કામ પૂરું નહિ થયું હોય.
ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના
    બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
14 હું મારા ઇસ્રાએલી લોકોને
    બંદીવાસમાંથી પાછા લાવીશ.
તેઓ તારાજ થયેલાં નગરોને ફરીથી બાંધશે
    અને તેમાં વસશે.
તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
    અને તેનો દ્રાક્ષારસ પીશે
તથા બગીચા તૈયાર કરશે
    અને તેના ફળ ખાશે.”
15 પછી તમારા દેવ યહોવા કહે છે:
“હું તેમને તેમની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ
    અને તેમને મેં જે ભૂમિ આપી છે તેમાંથી કોઇપણ તેઓને ખસેડી શકશે નહિ.”

લૂક 4

ઈસુનું શેતાન દ્ધારા પરીક્ષણ

(માથ. 4:1-11; માર્ક 1:12-13)

પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો. ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.

શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”

ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:

‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.’(A)

પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું. શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું. જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”

ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે:

‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ.
    તારે એકલા તેની જ સેવા કરવી!’(B)

પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ! 10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:

‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’(C)

11 અને એમ પણ લખ્યું છે કે:

‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે
    ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.’(D)

12 ઈસુએ ઉત્તર આપ્યો: “એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે:

‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.’” (E)

13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.

ઈસુનો લોકોને ઉપદેશ

(માથ. 4:12-17; માર્ક 1:14-15)

14 પછી પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ ગાલીલ પાછો ફર્યો. ગાલીલની આજુબાજુના પ્રદેશમાં ઈસુની વાતો પ્રસરતી ગઇ. 15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા.

નાસરેથમાં ઈસુનો અસ્વીકાર

(માથ. 13:53-58; માર્ક 6:1-6)

16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો. 17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું:

18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે.
પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા,
કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા,
    આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે
તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
19     તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” (F)

20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી. 21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”

22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”

23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’” 24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી.

25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.

27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”

28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા. 29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય. 30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.

ભૂત વળગેલા માણસને ઈસુ સાજો કરે છે

(માર્ક 1:21-28)

31 ત્યારબાદ ઈસુ ગાલીલના એક કફર-નહૂમ શહેરમાં ગયો. અને વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો. 32 તેઓ ઈસુના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું.

33 ત્યા સભાસ્થાનમાં એક માણસ હતો. તેને અશુધ્ધ આત્મા વળગેલો હતો. તેણે મોટા અવાજે બૂમો પાડી. 34 “ઓ ઈસુ નાઝારી! તારે અમારી પાસેથી શું જોઈએ છે? શું તું અમારો સર્વનાશ કરવા અહીં આવ્યો છે? હું જાણું છું તું કોણ છે? તું દેવનો પવિત્ર છે.” 35 પરંતુ ઈસુએ તેને ચેતવણી આપી અને કહ્યું, “છાનો રહે! આ માણસમાંથી બહાર નીકળ.” પરંતુ અશુદ્ધ આત્માએ તે માણસને લોકોની હાજરીમાં જ તેને નીચે ફેંકી દીધો. તેને કોઈ પણ જાતની ઇજા કર્યા વિના તે તેનામાંથી બહાર નીકળી ગયો.

36 આશ્ચર્યચકિત પામેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા: “આનો અર્થ શું? આ માણસના શબ્દોમાં આ તે કેવો અધિકાર! અને તાકાત છે? કે અશુદ્ધ આત્માઓ પણ તેને આધીન થઈને બહાર નીકળી જાય છે.” 37 બધાજ આજુબાજુના પ્રદેશમાં ઈસુ વિષેના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા.

પિતરની સાસુને ઈસુ સાજી કરે છે

(માથ. 8:14-17; માર્ક 1:29-34)

38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી. 39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.

ઈસુ ઘણા લોકોને સાજા કરે છે

40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.

અન્ય શહેરોમાં ઈસુનું પ્રયાણ

(માર્ક 1:35-39)

42 બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ. 43 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “દેવના રાજ્યની સુવાર્તા મારે અન્ય શહેરોમાં પણ પહોંચાડવી જોઈએ. અને તે માટે જ મને મોકલવામા આવ્યો છે.”

44 આમ ઈસુ યહૂદિયાના સભાસ્થાનોમાં ઉપદેશ પ્રગટ કરતો ફર્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International