M’Cheyne Bible Reading Plan
16 દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં. 2 અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા. 3 પછી તેણે હાજર રહેલી પ્રત્યેક ઇસ્રાએલી વ્યકિતને, સ્ત્રી તથા પુરુષને સમાન રીતે માંસનો કટકો, સૂકી દ્રાક્ષાનો અકેક ઝૂમખો તથા એક એક ભાખરી વહેંચી આપી.
4 યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા. 5 આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા. 6 યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું, 7 જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.
દાઉદની આભારસ્તુતિ
8 યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો.
પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ.
9 એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો.
તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.
10 તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ,
તમે યહોવાના ભકતો, આનંદો!
11 યહોવાને અને તેના સાર્મથ્યને તમે શોધો.
સદાસર્વદા તેના મુખને શોધો.
12 એનાં અનુપમ કાર્યો,
એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો.
13 તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો,
તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે.
14 તે આપણા યહોવા દેવ છે.
તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે.
15 જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી,
તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.
16 તેણે ઇબ્રાહિમની સાથે જે કરાર કર્યો
અને તેણે ઇસહાકને જે વચન આપ્યું.
17 યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે
અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
18 તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ.
તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.”
19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા.
છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા.
20 એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં
તેઓ ભટક્યા કરતા હતા.
21 છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ,
એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી.
22 “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ,
મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”
23 સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો,
દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.
24 દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો.
એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો.
25 યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે,
એ સર્વ દેવો કરતાં ભયાવહ છે.
26 સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે!
પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે.
27 યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે,
તેનો આવાસ આનંદથી ભરેલો છે.
28 તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ
અને સાર્મથ્ય વિષે બોલો.
29 યહોવાના નામનું ગૌરવ કરો;
તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો,
તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો.
30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે,
અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે.
31 ભલે આકાશો આનંદ કરે,
ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય.
32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે,
ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
33 અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે,
કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
34 યહોવાનો આભાર માનો કારણ કે તે ભલા છે,
તેની કૃપા હંમેશ માટે રહે છે.
35 બોલો, “હે દેવ અમને તારણ કરનાર,
તમે અમારો ઉદ્ધાર કરો,
બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો
અને અમને એકત્રિત કરો.
અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું;
અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”
36 હે યહોવા, ઇસ્રાએલના દેવ,
અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ.
સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી.
37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી. 38 ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં.
39 યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા. 40 તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું. 41 તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા. 42 એમણે અને યદૂથૂને ચાંદીના રણશિંગડાં, ઝાંઝ અને ભજન સાથે વગાડવાનાં અન્ય વાજિંત્રો દેવ સમક્ષ વગાડવાના હતા. યદૂથૂનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામા આવ્યું હતું.
43 પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.
વાણી પર સંયમ
3 વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
2 આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે. 3 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ. 4 એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય. 5 એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે.
અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે. 6 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
7 માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં. 8 પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે. 9 એનાથી આપણે પ્રભુની અને આપણા પિતાની (દેવ) સ્તુતિ કરીએ છીએ, અને એજ જીભ વડે દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ. 10 એક જ મુખમાથી સ્તુતિ તથા શાપ બંન્ને નીકળે છે. ભાઈઓ અને બહેનો, આવું ન જ થવું જોઈએે. 11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના! 12 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીરી પરથી જૈતફળો અને દ્ધાક્ષાવેલા પરથી અંજીરી મેળવી શકાય છે! ના! અને એ રીતે તમે ખારા પાણીના કૂવામાંથી મીઠું પાણી કદી મેળવી શકો નહિ.
સાચું જ્ઞાન
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી. 14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે. 15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે. 16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે. 17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
અદોમ સજા પામશે
1 આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે:
યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે.
દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે.
ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”
યહોવા અદોમને કહે છે
2 “હું તને રાષ્ટ્રો વચ્ચે સૌથી નાનું બનાવીશ.
તું અતિશય ઘૃણિત છે.
3 ઓ ઊંચા પહાડો પર
અને ખડકોની બખોલમાં વસનાર,
તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે.
તું તારા મનમાં એમ વિચારે છે કે,
‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?’”
અદોમને નીચું પાડવામાં આવશે
4 “ગરૂડની જેમ તું ઘણે ઊંચે ચઢીશ
અને તારાઓ મધ્યે તારો માળો બાંધીશ તો,
ત્યાંથીય હું તને નીચે પાડીશ એમ યહોવા કહે છે.
5 જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત.
ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત.
તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત.
જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત.
તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત,
પણ તારો સંપૂર્ણ નાશ થશે.
6 એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો!
તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!
7 તારી સાથે મૈત્રી કરાર કર્યો છે,
તેઓ તને સરહદ બહાર કાઢી મુકશે.
તેઓ તને છેતરશે.
તારા બધા મિત્રો તને હરાવશે.
તેઓ તારો રોટલો તારી નીચે
જાળની જેમ રાખે છે.
‘તને તેની સમજ નહિ હોય.’”
8 યહોવા કહે છે, “તે દિવસે આખા અદોમમાં એક
પણ શાણો માણસ હશે નહિ કારણકે
હું એસાવ પર્વત પરના સર્વ શાણા માણસોનું શાણપણ હરી લઇશ.
9 હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે
અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ
અને સંહાર કરવામાં આવશે.
10 હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર
થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ
અને તારો સદાને માટે નાશ થશે.
11 જે દિવસે દુશ્મન પરદેશીઓ
યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા
અને તેની સંપત્તિ કબજે કરી
અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા,
તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.
12 પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો
ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું,
યહૂદાના નાશના દિવસે
તારે આનંદ માણવો જોઇતો ન હતો,
જ્યારે તેઓ પિડીત હતા,
ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.
13 તારે મારા લોકોની આપત્તિને દિવસે એમના શહેરનાં
દરવાજામાં દાખલ થવું જોઇતું નહોતું.
તેમની મુશ્કેલીના સમયે તારે તેમની વિપત્તિ વિષે ખુશ થવું જોઇતું ન હતું.
તેમની મુશ્કેલીના સમયે તારે તેમની સંપત્તિ લુંટવી જોઇતી ન હતી.
14 તારે તારા ભાગી જતા ભાઇઓની હત્યા કરવા
રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું.
મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા જોઇતા ન હતાં.
15 યહોવા ટૂંક સમયમાં જ
સર્વ રાષ્ટ્રો પર વેર લેશે.
તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે.
તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.
16 જેમ તેઁ મારા પવિત્ર પર્વત પર પીધું,
તેથી બધાં રાષ્ટ્રો પણ સતત પીશે અને ગળશે,
જ્યાં સુધી તેમનું અસ્તિત્વ
સમાપ્ત થાય ત્યાં સુધી.
17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે,
અને તે પવિત્ર થશે,
યાકૂબના વંશજો પોતાનો
વારસો પાછો મેળવશે.
18 યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું
અને યૂસફનું કુટુંબ જવાળા જેવું બનશે.
તેઓ એસાવના વંશજોને
સૂકા ખેતરની જેમ સળગાવી અનેનષ્ટ કરશે.
કોઇ પણ અદોમથી પલાયન થશે નહિ.”
કારણકે યહોવાએ તેમ કહ્યું છે.
19 દક્ષિણ યહૂદાના લોકો એસાવના પર્વતનો કબજો લેશે;
પશ્ચિમની તળેટીના લોકો પલિસ્તીયોનો કબજો લેશે;
તેઓ એફ્રાઇમના અને સમરૂનના પ્રદેશનો પણ કબજો લેશે.
બિન્યામીનના લોકો ગિલયાદનો કબજો લેશે.
20 ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે.
કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે,
અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે,
તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.
21 ઉધ્ધારકો સિયોન પર્વત પર જશે
અને એસાવના પર્વતનો ન્યાય કરશે
અને યહોવા પોતે રાજા બનશે.
પિતર, યાકૂબ, યોહાન ઈસુને અનુસરે છે
(માથ. 4:18-22; માર્ક 1:16-20)
5 ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા. 2 ત્યારે તેણે સરોવરને કિનારે બે હોડી લાંગરેલી જોઈ. માછીમારો તેઓની જાળ પાણીમાં ધોઇ રહ્યાં હતા. 3 તેમાની એક હોડી સિમોનની હતી. ઈસુ તે હોડીમાં બેસવા ચઢી ગયો. ઈસુએ તેને કાંઠાથી થોડે દૂર હોડી હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.
4 ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.”
5 સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” 6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. 7 તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી.
8-9 જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા. 10 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન તથા પિતરના ભાગીદારો જે સિમોનના મિત્રો હતા તેઓને પણ આ જોઈને ભારે આશ્ચર્ય થયું હતું.
તેથી ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઇશ નહિ, હવે પછી તું માછલીઓ નહિ, પરતું માણસોને ભેગા કરીશ!”
11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા.
ઈસુ માદાં માણસને સાજો કરે છે
(માથ. 8:1-4; માર્ક 1:40-45)
12 પછી એક વખત ઈસુ એક શહેરમાં હતો, ત્યારે આખા શરીરે રક્તપિત્તના રોગથી પીડાતો એક માણસ ત્યાં હતો. ઈસુને જોઈને તે માણસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રભુ! મને સાજો કર, તું ચાહે તો મને સાજો કરી શકવા સમર્થ છે.”
13 ઈસુએ કહ્યું, “હું તને સાજો કરવા ઈચ્છું છું, તું સાજો થઈ જા!” ઈસુનો સ્પર્શ થતાં જ દર્દીનો રક્તપિત્તનો રોગ મટી ગયો. તે રોગ મુક્ત થઈ ગયો. 14 ઈસુએ આ વાત કોઈને પણ ન કહેવાની આજ્ઞા કરીને કહ્યું, “તું યાજક પાસે જા અને તારી જાત તેને બતાવ અને મૂસાના આદેશ પ્રમાણે દેવને ભેટ અર્પણ કર. જેથી લોકોને ખબર પડશે કે તું સારો થઈ ગયો છે.”
15 પરંતુ ઈસુના આ સમાચાર તો વધુ ને વધુ પ્રસરવા લાગ્યા. ઘણા લોકોના ટોળેટોળા ઈસુને સાંભળવા તથા પોતાના રોગમાંથી મુક્ત થવા આવવા લાગ્યા. 16 તેથી ઈસુ વારંવાર એકાંત સ્થળોએ જતો જેથી એકાંતે પ્રાર્થના કરી શકતો.
પક્ષઘાતી માણસને ઈસુ સાજો કરે છે
(માથ. 9:1-8; માર્ક 2:1-12)
17 એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું. 18 કેટલાએક માણસો એક પક્ષઘાતી માણસને ખાટલામાં ઊંચકીને લાવ્યાં હતા. તે માણસોએ ઈસુની આગળ તેને લાવવા અને નીચે મૂકવા પ્રયત્ન કર્યા. 19 પણ ત્યાં લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ તેની પાસે જવાનો માર્ગ કરી શક્યા નહિ. આખરે તેઓ છાપરા પર ચઢી ગયા અને છત પરનું છાપરું ખસેડીને પથારી સાથે જ પક્ષઘાતીને ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. 20 તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે.”
21 ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”
22 પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?” 23-24 તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!”
25 પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો. 26 બધાજ લોકો અચરત પામી ગયા. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા, “આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે!”
લેવી ઈસુને અનુસરે છે
(માથ. 9:9-13; માર્ક 2:13-17)
27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.
29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”
31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”
ઉપવાસ વિષેના પ્રશ્રનો ઈસુ ઉત્તર આપે છે
(માથ. 9:14-17; માર્ક 2:18-22)
33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.”
34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.”
36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International