Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 15

યહૂદા પર શાસન કરતો અઝાર્યા

15 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયના 27માઁ વર્ષે અમાસ્યાનો પુત્ર “અઝાર્યા” યહૂદાનો રાજા થયો. તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. તેણે 52 વર્ષ યરૂશાલેમમાં રાજ કર્યું, તેની માતાનું નામ યખોલ્યા હતું, અને તેનું વતન યરૂશાલેમ હતું. તેણે પોતાના પિતા અમાસ્યાની જેમ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તે ભલો રાજા હતો. મહત્વના ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહિ, લોકોએ ત્યાં બલિદાનો આપવાનું અને ધૂપસળી પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.

યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.

હવે અઝાર્યાનાં શાસનના બીજા બનાવો, યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. તે મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો.

ઝખાર્યાનું ઇસ્રાએલ પર ટૂંક્ક શાસન

યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 38માં વર્ષે યરોબઆમનો પુત્ર ઝખાર્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે 6 મહિના રાજ કર્યું. તેણે તેના પિતૃઓની જેમ યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, તેણે નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે પાપકર્મો છોડયાં નહિ.

10 યાબેશના પુત્ર શાલ્લૂમે તેની વિરૂદ્ધ કાવતરું કર્યું. ઇબ્લામ ખાતે તેને મારી નાખ્યો અને તેના પછી તે પોતે ગાદીએ આવ્યો. 11 ઝખાર્યાના શાસનનાં બીજા બનાવો અને તેના વિજયો ઇસ્રાએલનાઁ રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 12 આમ, યહોવાએ યેહૂને જે કહ્યું હતું તે સાચું પડયું કે, “ચાર પેઢી સુધી તારા વંશજો ઇસ્રાએલની ગાદી પર બેસશે.” અને એમ જ થયું.

શાલ્લૂમનું ઇસ્રાએલ પર ટૂંક શાસન

13 ઇસ્રાએલના નવા રાજાનું નામ શાલ્લૂમ હતું, તેના પિતાનું નામ યાબેશ હતું. તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. એ રાજા થયો ત્યારે યહૂદામાં ઉઝિઝયા રાજા છેલ્લા 39 વર્ષથી રાજ કરતો હતો.

14 ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો.

15 રાજા શાલ્લૂમ અને તેણે કરેલાં કૃત્યો, તેના વર્ણનો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

મનાહેમનું ઇસ્રાએલ પર રાજ

16 એ સમય દરમ્યાન મનાહેમ તિર્સાહથી આવ્યો અને તિફસાહને હરાવ્યો. તેણે નગરમાં તથા આજુબાજુના પ્રદેશોમાં વસતાં સૌ લોકોનો સંહાર કર્યો; કારણ કે એ લોકોએ તેના માટે નગરનાં દ્વાર ખોલ્યાં નહોતાં, તેણે નગરની સર્વ સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.

17 યહૂદાના રાજા અઝાર્યાએ 39 વર્ષો સુધી શાસન કર્યુ અને તે વર્ષે ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું. 18 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકર્મો કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ.

19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલો[a] ચાંદી આપી. 20 આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો.

21 મનાહેમના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 22 આમ, મનાહેમ મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. તેના પછી, તેનો પુત્ર પકાહ્યા સિંહાસન પર બેઠો.

પકાહ્યાનું ઇસ્રાએલ પર રાજ

23 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 50મે વર્ષે મનાહેમનો પુત્ર પકાહ્યા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 2 વર્ષ રાજ કર્યુ. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ હતું. તેણે નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો શરુ કર્યા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ.

25 રમાલ્યાનો પુત્ર પેકાહ તેનો સેનાપતિ હતો, તેણે તેની સામે બળવો કર્યો અને કાવતરું કર્યું; જેમાં તેણે સમરૂનનાં રાજમહેલના કિલ્લામાં 50 માણસોને મારી નાંખ્યા. તેણે અને ગિલયાદના 50 માણસોએ પકાહ્યાને, આગોર્બ અને આયેર્હને પણ ત્યાં મારી નાખ્યા. પછી પોતે ગાદી પર બેઠો.

26 પકાહ્યાનાઁ શાસનના બીજ બનાવો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

પેકાહનું ઇસ્રાએલ પર રાજ

27 યહૂદાના રાજા અઝાર્યાના રાજયના 52 મેં વર્ષે પેકાહ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે 20 વર્ષ રાજ કર્યું. 28 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓ પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું. તેણે તે વસ્તુઓ છોડી નહિ.

29 ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.

30 યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વર્ષે એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.

31 પેકાહનાઁ શાસનનાં બાકીનાઁ બનાવો અને બીજાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

યહૂદા પર રાજ કરતો યોથામ

32 ઇસ્રાએલના રાજા રમાલ્યાના પુત્ર પેકાહના શાસનના બીજા વર્ષ દરમ્યાન ઉઝિઝયાનો પુત્ર યોથામ યહૂદાનો રાજા થયો. 33 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યું. સાદોકની પુત્રી યરૂશા, તેની માતા હતી. 34 તેણે પોતાના પિતા ઉઝિઝયાની જેમ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. 35 પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.) 36 યોથામનાઁ શાસન દરમ્યાન બનેલા બાકીનાઁ બનાવો, યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

37 એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.

38 પછી યોથામ મૃત્યુ પામ્યો, અને દાઉદના નગરમાં તેને દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

તિતસ 1

દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી. અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી. યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.

હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે.

દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

ક્રીત ટાપુમાં તિતસનું કાર્ય

તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે. વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ. દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ. આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.

10 એવા અનેક લોકો છે કે જે આજ્ઞાનું પાલન કરતા નથી-એવા લોકો કે જે નકામી બાબતો વિષે ચર્ચા કર્યા કરતા હોય અને બીજા લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. હું ખાસ તો એવા લોકો વિષે ઉલ્લેખ કરવા માગું છું કે જેઓ એમ કહેતા ફરે છે કે સૌ બિનયહૂદિ લોકોની સુન્નત કરવી જ જોઈએ. 11 વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે. 12 એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.” 13 એ પ્રબોધકે કહેલા શબ્દો સાચા છે. તેથી તું એ લોકોને કહે કે તેઓ ખોટા છે. તારે એમની સાથે કડક થવું જ પડશે. તો જ એમનો વિશ્વાસ દૃઢ થશે. 14 ત્યારબાદ તેઓ યહૂદી વાર્તાઓને માની લેવાનું બંધ કરશે. અને જે લોકો સત્યને સ્વીકારતા નથી તેઓ આદેશોને અનુસરવાનું પણ તેઓ બંધ કરશે.

15 જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે. 16 એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.

હોશિયા 8

મૂર્તિપૂજાથી ઇસ્રાએલનો વિનાશ

યહોવા કહે છે: “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે. હવે ઇસ્રાએલ મને આજીજી કરે છે અને કહે છે, ‘હે ઇસ્રાએલના દેવ, અમે તને જાણીએ છીએ.’ પણ જે સારું છે તેનો ઇસ્રાએલે ત્યાગ કર્યો છે; તેણે તિરસ્કારથી પોતાની તક ખોઇ છે માટે હવે તેના શત્રુઓ તેની પાછળ પડશે. તેણે રાજાઓ અને નેતાઓની નિમણૂંક કરી છે, પણ તેમાં મારી સલાહ લીધી નથી, તેઓના પોતાના વિનાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે. મારી મદદ તેઓને મળી શકે તેમ નથી. હે સમરૂન! યહોવાએ તારા વાછરડાને અસ્વીકાર કર્યુ છે. દેવ ઇસ્રાએલીઓને કહે છે કે, હું તમારા ઉપર બહું કોપાયમાન છું. ક્યાં સુધી તમે પાપો કરતા રહેશો.[a] હા, હે ઇસ્રાએલ, તારા કારીગરોએ મૂર્તિઓ બનાવી, પણ તેઓ દેવ નથી. તેના કારણે સમરૂનના વાછરડાના ટુકડે ટુકડા થઇ જશે. તે લોકોએ પવન વાવ્યો છે, તેથી વંટોળિયો જ લણશે, પાકને કણસલા જ ન બેઠા હોય તો દાણા ન જ મળે, જો તેમાં થોડા ઘણા હશે તો તેને વિદેશીઓ હડપ કરી જશે.

“ઇસ્રાએલ હડપ થઇ ગયું છે.
    વિદેશીઓમાં આજે
    તેની કિંમત ફૂટેલાં વાસણ જેવી છે.
તે એકલા રખડતાં જંગલી ગધેડા જેવો છે.
    મદદ માટે તે આશ્શૂર પાસે દોડી ગયો છે.
તેઓ ભેટસોગાદ અને પૈસા આપીને
    બીજી પ્રજાઓનો સાથ મેળવે છે;
10 જો કે ઇસ્રાએલ રાષ્ટ્રો વચ્ચે
    તેણીના ‘પ્રેમીઓ’ પાસે ગઇ હતી,
હવે હું તેમને સાથે ભેગા કરીશ.
    તેઓ પ્રચંડ રાજાના ત્રાસ હેઠળ પીડા ભોગવવાનુ શરુ કરશે.

ઇસ્રાએલનું દેવને ભૂલવું અને મૂર્તિઓને પૂજવું

11 “કારણ એફ્રાઇમે અનેક વેદીઓ બાંધી,
    તેઓ પાપ કરવાની વેદીઓ બની ગઇ હતી.
    એ તો પાપની વેદીઓ છે!
12 હું તેમને માટે નિયમશાસ્ત્રમાં દશહજાર વિધિઓ
    આપું તો પણ તે કહેશે, તે મારા માટે નથી.
    તે વિધિઓ તો દૂરની બીજી પ્રજાઓ માટે છે.
13 એ લોકો બલિ ચઢાવી;
    તેનો પ્રસાદ ખાય છે,
પણ હું એથી પ્રસન્ન થતો નથી.
    હવે હું એમના ગુના સંભારીને
એમને સજા કરીશ.
    એમને પાછા મિસર જવું પડશે.
14 ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે
    અને એમણે મંદિરો ચણાવ્યઁ છે.
યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે.
    પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ.
    અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”

ગીતશાસ્ત્ર 123-125

મંદિરે ચઢવાનું ગીત.

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
    હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
    જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
    ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
    ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
    પૂરતું અપમાન અને દોષારોપણ થયું.

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

મંદિર ચઢવાનું ગીત.

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
    તેઓને કદી હલાવામાં આવશે નહિ
    તેઓ સદાકાળ ટકી રહેશે.
જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
    તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
    નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.

હે યહોવા, જેઓ સારાઁ છે;
    અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
    લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.

ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International