Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 3-4

રાજા દાઉદના વંશજો

દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન,

દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો.

બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.

દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો.

ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.

પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી,

અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.

આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા.

જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો:

શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન. દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ. નોગાહ, નેફેગ, યાફીઆ; અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ. તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.

દાઉદ પછીના યહૂદાના રાજાઓ

10 સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ; 11 તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ; 12 તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ; 13 તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા; 14 તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

15 યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,

16 યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.

બાબિલમાં બંદીવાન દાઉદનું કુટુંબ

17 બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ. 18 માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19 પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી: 20 અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.

21 હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,

22 શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.

23 નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.

24 એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.

યહૂદાના અન્ય વંશજો

યહૂદાના પુત્રો:

પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.

શોબાલનો પુત્ર રઆયા યાહાથનો પિતા હતો. યાહાથ અહૂમાય અને લાહાદનો પૂર્વજ હતો. સોરાથીઓ એમના વંશજો છે.

એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી.

ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર,

તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા.

તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ. તેને નાઅરાહને પેટે અહૂઝઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા. હેલઆહથી તેને જન્મેલા પુત્રો: સેરેથ, ઝોહાર, એથ્નાન અને હાક્કોસ. આનૂમ અને સોબેબાહનો પિતા હાક્કોસ હતો; વળી તે હારુનના પુત્ર અહાહેલના નામથી ઓળખાતા અહાહેલ કુલસમૂહોનો પૂર્વજ હતો.

યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.” 10 યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.

11-12 રેખાહના વંશજો; શૂહાહનો ભાઈ કલૂબ હતો, તેનો પુત્ર મહીર થયો. તે એસ્તોનનો પિતા હતો. એસ્તોન બેથરાફા, પાસેઆહ અને તહિન્નાહના પિતા તે એસ્તોન હતા. તહિન્નાહ ઇર્નાહાશના પિતા હતા.

13 કનાઝના પુત્રો: ઓથ્નીએલ અને સરાયા, ઓથ્ની-એલના પુત્રો: હથાથ અને મઓનોથાય. 14 મઓનોથાય ઓફ્રાહના પિતા હતા.

સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ” નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.

15 યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ.

16 યહાલ્લેલએલના પુત્રો: ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારએલ.

17-18 એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી, તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ (ઝાનાઈઓના સંસ્થાપક) ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા.

19 હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા. 20 શિમોનના પુત્રો: આમ્મોન, રિન્નાહ, બેન-હાનાન અને તીલોન, યિશઇના પુત્રો:

ઝોહેથ અને બેન-ઝોહેથ,

21 યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો; 22 યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો. 23 એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા.

શિમોનના પુત્રો

24 શિમોનના પુત્રો: નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઉલ, 25 શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પુત્ર મિબ્સામ, તેનો પુત્ર મિશ્મા.

26 મિશ્માના પુત્રો: પુત્ર હામ્મુએલ, તેનો પુત્ર ઝાક્કૂર, ને તેનો પુત્ર શિમઈ. 27 શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ હતી: પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં, તેમજ તેઓનું આખું કુલસમૂહ યહૂદાના કુલસમૂહોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.

28 તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં; 29 બિલ્લાહમાં એસેમમાં, તોલાદમાં, 30 બથુએલમાં; હોર્માહમાં; સિકલાગમાં; 31 બેથ-માર્કબોથમાં, હસાર-સૂસીમમાં, બેથ-બીરઈમાં તથા શાઅરાઈમમાં રહેતા હતા, દાઉદના અમલ સુધી એ નગરો પર તેઓ શાસન કરતાં હતા. 32 તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન; 33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફનાઁ સર્વ ગામો પણ તેઓનાં હતા, એ તેઓનાં રહેઠાણ હતા, તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.

34 મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ; 35 યોએલ તથા અશીએલના પુત્ર સરાયા જેનો પુત્ર યોશિબ્યા અને તેનો પુત્ર યેહૂ; 36 એલ્યોએનાય, યાઅકોબાહ, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ તથા બનાયા; 37 શમાયાના પુત્ર શિમ્રી, તેનો પુત્ર યદાયા, તેનો પુત્ર આલ્લોન, તેનો પુત્ર શિફઈ, તેનો પુત્ર ઝીઝા. 38 આ બધા પુરુષો પોતાનાં કુટુંબોના સરદારો હતા; તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.

39 ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા. 40 તેઓને ઉત્તમ ચરાણ મળ્યું, તે પ્રદેશ શાંત અને સુરક્ષિત હતો, હામના વંશજો ત્યાં ભૂતકાળમાં રહેતા હતા. 41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.

42 ત્યારબાદ શિમોનના કુલસમૂહના પાંચસો પુરુષો સેઈર પર્વત સુધી ગયા, તેઓના સરદારો પલાટયા, નઆર્યા, રફાયા, અને ઉઝઝીએલ હતા, એ સર્વ યિશઈના પુત્રો હતા. 43 ત્યાં આગળ જે અમાલેકીઓ બચી ગયા હતા તેઓનો તેઓએ સંહાર કર્યો, ત્યારથી તેઓ ત્યાં વસેલા છે.

હિબ્રૂઓ 9

જૂના કરાર પ્રમાણે આરાધના

જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી. મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો. તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી[a] ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી. અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા. પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.

આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો. આ બાબત પરથી આજના માટે આપણે દાખલો લઈ શકીએ, જે મુજબનાં બલિદાનો અને અર્પણો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ શુદ્ધ કરવા માટે દાવો કરતાં ન હતાં અને પૂર્ણ પણ બનાવી શકતા નહોતાં. 10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.

નવા કરાર મુજબ ઉપાસના

11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.

13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા. 14 ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો.

15 તેથી દેવ પાસેથી ઈસુ નવો કરાર[b] લોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરાર[c] પ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો.

16 જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ? 17 વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી જ વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી જ તેનો અમલ થઈ શકે). 18 પહેલા કરાર માટે દેવ અને લોકો વચ્ચે આવું જ કઈક છે. તેનાં રક્ત દ્ધારા પહેલાં કરારની પ્રતિષ્ઢા થાય એ જરુંરી હતું. 19 લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું. 20 પછી મૂસાએ કહ્યું, “આ લોહી એવા કરારનું છે જેને અનુસરવા દેવે તમને આદેશ આપ્યો છે.” 21 એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું. 22 નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

ઈસુ ખ્રિસ્તનું બલિદાન પાપ નિવારણ માટે

23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે.

25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું.

27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.

આમોસ 3

ઇસ્રાએલને ચેતવણી

હે ઇસ્રાએલના લોકો, તમને આખી પ્રજાને યહોવા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતા. હવે તમારી વિરૂદ્ધ યહોવાએ જે વચનો કહ્યાં છે તે સાંભળો: “પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

ઇસ્રાએલને સજા આપવાનું કારણ

શું બે જણા મળવાને સંમત
    થયા વગર સાથે જઇ શકે?
શું શિકાર હાથમાં આવ્યા
    વગર સિંહ જંગલમાં ગર્જના કરશે?
જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય
    તો પોતાના બિલમાંથી રાડો પાડે?
જાળનો ઊપયોગ કર્યા
    વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે?
સિવાય કે કોઇ પકડાય ફાંસલાની
    કમાન બંધ થાય?
રણશિંગડું નગરમાં વગાડવામાં આવે
    તો લોકો ડર્યા વિના રહે?
શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના
    નગર પર આફત આવે ખરી?

પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી. સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?

આશ્દોદની અને મિસરના મહેલોમાં રહેતાં લોકોને જાહેર કરી જણાવો કે, “સમરૂનની આસપાસના પર્વત ઉપર તમે ભેગા થાઓ. ત્યાં મચેલી અંધાધૂંધી અને ઇસ્રાએલના સર્વ ગુનાઓનો શરમજનક તમાશો નિહાળો.” 10 યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”

11 તેથી પ્રભુ યહોવા કહે છે, “દુશ્મન આવે છે, તે દેશ પર આક્રમણ કરશે અને તમારા કિલ્લાઓ તોડી પાડશે અને તમારા મહેલોને લૂંટી લેશે.”

12 યહોવા કહે છે કે,

“જેમ કોઇ ભરવાડ સિંહના મોમાંથી માત્ર બે
    પગ કે કાનનો એકાદ ટુકડો બચાવી લે છે,
તેમ સમરૂનના પલંગોમાં
    તથા રેશમી ગદેલાના બિછાના
પર બેસનાર ઇસ્રાએલીઓમાંથી
    બહુજ થોડા બચવા પામશે.”

13 આ વચનો સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી રાખો. સૈન્યોનો દેવ મારા યહોવા દેવ આમ કહે છે, “યાકૂબના વંશની વિરૂદ્ધ સાક્ષી પૂરો. 14 હું ઇસ્રાએલને તેના પાપો માટે શિક્ષા કરીશ તે દિવસે હું બેથેલની વેદીઓને ધિક્કારીશ, વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે. 15 હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ; અને હાથીદાંતના મહેલો નાશ પામશે ને ઘણા નિવાસસ્થાનોનો નાશ કરીશ.” એમ યહોવા કહે છે.

ગીતશાસ્ત્ર 146-147

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International