M’Cheyne Bible Reading Plan
દાઉદનું આમ્મોનીઓ સાથે યુદ્ધ
19 થોડા સમય પછી આમ્મોનીઓના રાજાનું અવસાન થયું. એટલે તેના પછી તેના પુત્રને રાજા બનાવાયો. 2 દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.
3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.” 4 આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.
5 જ્યારે કેટલાક લોકોએ દાઉદને ખબર આપી કે તેમના માણસોના શા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેમને મળવા માણસો મોકલ્યા, કારણ, તેઓ ખૂબ શરમાતા હતા, દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”
6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા હતા, હાનૂન અને આમ્મોનીઓએ, અરામ નાહરાઇમમાંથી, અરામ-માઅખાહમાંથી અને સોબાહમાંથી રથો તેમજ અશ્વદળો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી. 7 તેણે 32,000 રથો ભાડે રાખ્યા અને માઅખાહના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. આ સર્વ સૈન્યે મેદૃબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાના શહેરમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં તેમની સાથે જોડાયા.
8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે યોઆબને પોતાના શૂરવીરો અને આખી સૈના સાથે મોકલી આપ્યો. 9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા.
10 જ્યારે યોઆબે જોયું કે, પોતાના પર આગળપાછળથી બંને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇસ્રાએલના ચુનંદા લડવૈયાઓને પસંદ કરીને અરામીઓની સામે ગોઠવી દીધા. 11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઇ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધું. અને તેમણે આમ્મોનીઓની સામે મોરચો માંડ્યો. 12 યોઆબે તેના ભાઇને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ. 13 હિમ્મતવાન થા અને પુરુષાતન દેખાડ કે, આપણે દેવનાં નગરો અને આપણા લોકોનો બચાવ કરીએ. યહોવાને જે શ્રેષ્ઠ લાગે તે કરે.”
14 જ્યારે યોઆબ અને તેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યા. 15 અને આમ્મોનીઓએ તેમને ભાગતા જોયા એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને શહેરમાં ભરાઇ ગયા. પછી યોઆબ પાછો યરૂશાલેમ આવી ગયો.
16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
17 આ સમાચાર મળતાં જ દાઉદે ઇસ્રાએલની આખી સૈના ભેગી કરી યર્દન નદી ઓળંગીને તેમની સામે મોરચો માંડ્યો. યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ અરામીઓને ભગાડી મૂક્યાં. 18 અરામીઓ ફરીથી ઇસ્રાએલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 સૈનિકો અને 40,000 બીજા સૈનિકોને મારી નાખ્યા. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.
19 જ્યારે હદારએઝેરના માણસોએ જોયું કે, તેમણે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. ત્યારે તેમણે દાઉદ સાથે સુલેહ કરી અને તેની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી નહતા.
યોઆનું આમ્મોનીઓ સાથે યુદ્ધ
20 વસંત ઋતું બેસતાં સામાન્ય રીતે રાજાઓ યુદ્ધે ચઢે છે ત્યારે યોઆબે સૈનાનું માર્ગદર્શન કરી આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો અને પછી તે રાબ્બાહ આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો, યોઆબે શહેર પર હુમલો કર્યો અને તે જીતી લીધું.
2 દાઉદે રાબ્બાહના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઇ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમાં રત્નો જડેલાં હતા. તેનું વજન 75 પૌન્ડ હતું. દાઉદે નગરમાંથી પુષ્કળ લૂંટનો માલ ભેગો કર્યો હતો. 3 તેણે નગરનાં લોકોને બહાર લાવીને કરવતો, તીકમો અને કુહાડીઓથી કરવાનું કામ સોંપ્યુ. આમ્મોનીઓ રાજા સાથેના વ્યવહારમાં દાઉદની આ રીત હતી. પછી દાઉદ અને તેનું સૈન્ય યરૂશાલેમ પાછું ફર્યુ.
પલિસ્તીના મહારથીઓ હણાયા
4 કેટલાંક સમય પછી ગેઝરમાં પલિસ્તીઓ સાથેનું યુદ્ધ ફરી ફાટી નીકળ્યું. એ વખતે હુશાના સિબ્બખાયે રફાઇમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓ હારી ગયા.
5 પલિસ્તીઓ સામે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. અને યાઇરના પુત્ર એલ્હાનાને હમીને મારી નાખ્યો, જે ગાથના ગોલ્યાથનો ભાઇ હતો અને તેના ભાલાનો દાંડો વણકરની તોર જેટલો જાડો હતો.
6 ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો. 7 અને જ્યારે તેણે ઇસ્રાએલને પડકાર્યુ, ત્યારે દાઉદનાં ભાઇ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો.
8 આ બધા રફાઇઓ દાઉદ અને તેના માણસોને હાથે માર્યા ગયા હતા.
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો.
દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે. 2 દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો.
તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
જીવંત આશા
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. 4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. 6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. 7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે. 11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
પવિત્ર જીવન માટે આહવાન
13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો. 14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો. 15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે. 16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.” (A)
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો. 18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ. 19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે. 20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે. 21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો. 23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (B)
અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
દેવનું આમંત્રણ અને યૂનાનુ આજ્ઞા પાલન
3 પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી, 2 “ઊભો થા, મહાનગર નિનવેહ જા, હું તને કહું તે બોધ તેમને આપ.”
3 આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.
4 પ્રથમ દિવસે યૂના શહેરમાં ગયો અને જાહેર કર્યું, “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.”
5 નિનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસ કરવાનો અને વિશિષ્ટ શોક વસ્ત્રો ધારણ કરવાનો નિર્ણય કર્યો. નાનાથી મોટા બધાંએ આમ કર્યું.
6 નિનવેહનો રાજા સમાચાર સાંભળી તેની ગાદી પરથી નીચે આવ્યો અને તેનો ઝભ્ભો ઉતારી શણના શોક વસ્ત્રો ઘારણ કર્યા અને રાખમાં બેઠો. 7 રાજાએ એક વિશેષ સંદેશો બહાર પાડ્યો:
રાજા અને તેના અધિકારીઓના પ્રભુત્વથી આ નિયમ હતો.
માણસ કે ચોપગા પશુ, કે પશુપક્ષીના સમૂહને કંઇ ખાવા ન દો. તેમને ચરવા કે પાણી પીવાની પરવાનગી ન આપો. 8 માણસો અને પ્રાણીઓએ શણના વસ્રો પહેરવા જ અને દેવ તરફ જોરથી વિલાપ કરવો જ. દરેકે તેના દુષ્ટ રસ્તાઓ બદલવા અને તેમનાં ખરાબ કૃત્યો બંધ કરવા. 9 કોને ખબર દેવ, કદાચ વિચાર બદલે અને તેના રોષથી ફરી જાય, જે તેથી આપણો નાશ ન થાય.
10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.
ઈસુ સાથેનો લોકસમુહ
8 બીજા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા. 2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં. 3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે કરતી.
ઈસુનું બી વાવનારનું દ્ધષ્ટાંત
(માથ. 13:1-17; માર્ક 4:1-12)
4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું:
5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. 6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. 7 કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. આ બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં જ દાબી દીધાં. 8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”
ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”
9 ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?”
10 ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:
‘તેઓ નજર કરશે,
પણ તેઓ જોશે નહિ;
અને તેઓ ધ્યાનથી સાંભળશે,
પણ તેઓ સમજશે નહિ.’(A)
ઈસુ બી ના દ્ધષ્ટાંતનો અર્થ સમજાવે છે
(માથ. 13:18-23; માર્ક 4:13-20)
11 “દ્ધષ્ટાંતનો અર્થ આ છે: બી એ તો દેવના વચન છે. 12 રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી એ લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી. 13 પેલા ખડક પર પડેલા બી નો અર્થ શું? તે એવા લોકો જેવા છે જે દેવનો ઉપદેશ સાંભળે છે અને આનંદપૂર્વક સ્વીકાર કરે છે પણ આવા લોકોનાં મૂળિયાં ઊંડા હોતાં નથી તેઓ થોડા સમય માટે સ્વીકારે છે પણ જ્યારે પરીક્ષણનો સમય આવે છે, તો વિશ્વાસ ગુમાવે છે અને દેવથી દૂર જતા રહે છે.
14 “કાંટાવાળી ઝાડીમાં પડેલા બી નો અર્થ શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચન સાંભળે છે પણ આ જીવનની ચિંતાઓ, સંપત્તિ અને મોજમઝામાં તેઓનો વિકાસ અટકી જાય છે. અને તેથી તેઓને સારાં ફળ કદાપિ આવતાં નથી. 15 અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે.
તમારી સમજશક્તિનો ઉપયોગ
(માથ. 4:21-25)
16 “કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી. અથવા ખાટલા નીચે છુપાવતો નથી. તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે. 17 દરેક વસ્તુ જે છુપાયેલી છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ જાહેર થઈ જશે. 18 તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.”
ઈસુના શિષ્યો એ જ તેનું સાચું કુટુબ
(માથ. 12:46-50; માર્ક 3:31-35)
19 ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ. 20 કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.”
21 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ લોકો જે દેવની વાત ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે!”
ઈસુની સત્તાનું શિષ્યોને દર્શન
(માથ. 8:23-27; માર્ક 4:35-41)
22 એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ. 23 જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા. 24 તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”
ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું. 25 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”
શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!”
26 ઈસુ અને તેના શિષ્યો ગાલીલથી સરોવરને પેલે પાર હોડી હંકારી ગયા. તેઓ ગેરસાનીઓના લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા. 27 જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. આ માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો.
28-29 અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા. પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને આ માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!”
30 ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?”
તે માણસે ઉત્તર આપ્યો, “સેના.” (તેણે કહ્યું તેનું નામ સેના હતું કારણ કે ઘણા ભૂતો તેનામાં પેઠાં હતા.) 31 ભૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને અનંતકાળના અંધકારમાં મોકલીશ નહિ. 32 ત્યાં એક ટેકરીની બાજુમાં ઘણાં ભૂંડોનું ટોળું ચરતું હતું. ભૂતોએ ઈસુને વિનંતી કરી કે, અમને ભૂંડોમાં પ્રવેશવાની રજા આપો. તેથી ઈસુએ ભૂતોને તેમ કરવાની રજા આપી. 33 પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા.
34 ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ એ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી. 35 શું બન્યું છે તે જોવા લોકો બહાર આવ્યા. લોકો ઈસુ પાસે આવ્યા ત્યાંરે તે માણસને ઈસુના પગ આગળ બેઠેલો જોયો. તે માણસે કપડાં પહેરેલાં હતા. માનસિક રીતે તે ફરીથી સ્વસ્થ હતો. અને અશુદ્ધ આત્માઓ જતા રહ્યાં હતા. તે લોકો ડરી ગયા. 36 તે લોકો કે જેમણે આ બાબત બનતાં જોઈ હતી તેમણે ઈસુએ આ માણસ કે જનામાં ભૂતો હતાં તેને કેવી રીતે સાજો કર્યો તે બીજા લોકોને કહ્યું. 37 ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.
તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો. 38 જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું, 39 “તારે ઘરે પાછો જા અને દેવે તારે માટે શું કર્યુ છે તે લોકોને કહે.”
તેથી તે માણસ ગયો અને આખા શહેરમાં કહ્યું કે ઈસુએ તેને માટે શું કર્યુ છે.
ઈસુ મૃત છોકરીને જીવનદાન આપે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે
(માથ. 9:18-26; માર્ક 5:21-43)
40 ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી. 41 ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો. 42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી.
જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું. 43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો. 44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. 45 પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”
બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.”
46 ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.” 47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. 48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”
49 હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.”
50 ઈસુએ આ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.”
51 ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ. 52 બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.”
53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” 55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” 56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International