M’Cheyne Bible Reading Plan
મનાશ્શાનો દુષ્ટ અમલ
21 યહૂદાનો નવો રાજા મનાશ્શા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં 55 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ હેફસીબાહ હતું.
2 યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું જેવી કે પ્રજાઓ દ્વારા કરાતી તિરસ્કૃત વસ્તુઓ જેને યહોવાએ હાંકી કાઢી હતી જ્યારે યહોવાએ તેમની જમીન ઇસ્રાએલીઓને આપી દીધી હતી. 3 તેના પિતા હિઝિક્યાએ તોડી પાડેલા ઉચ્ચસ્થાનો પરનાં થાનકો તેણે ફરી બંધાવ્યાં, તેણે બઆલને માટે યજ્ઞ વેદીઓ ચણાવી અને ઇસ્રાએલના રાજાની જેમ અશેરાદેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, અને આકાશમાંનાં બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરૂ કર્યું. 4 જે મંદિર વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારા નામની સ્થાપના કરીશ.” તે મંદિરમાં તેણે વેદીઓ ઊભી કરી. 5 યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી. 6 તેણે પોતાના પુત્રને હોમયજ્ઞમાં હોમી દીધો. તે લાભમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો.
તેણે યહોવાને ન ગમે તેવાં બીજા અનેક કાર્યો કરી યહોવાનો રોષ વહોરી લીધો. 7 તેણે અશેરાદેવીની કંડારેલી મૂર્તિ બનાવડાવી અને તેને યહોવાના મંદિરમાં સ્થાપી, જે યહોવાએ દાઉદને અને તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે, ઇસ્રાએલના બધા વંશોના પ્રદેશમાંથી યરૂશાલેમ નગરીનો આ પ્રદેશ પસંદ કર્યો હતો. જ્યાં મારું મંદિર છે અને મારું નામ જ્યાં હંમેશા સ્થપાયેલું રહેશે. 8 જો ઇસ્રાએલીઓ મારા સેવક મૂસાએ તેમને સોંપેલી મારી બધી આજ્ઞાઓ અને મારા ઉપદેશોનું પાલન કરશે તો હું તેમને, તેમના પૂર્વજોની ભૂમિમાંથી જવા નહિ દઉ. 9 પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.
10 ત્યારે યહોવાએ પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું કે, 11 “યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે. 12 તેથી હું આ વચનો ઉચ્ચારું છું: ‘હું યહોવા, યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત ઉતારીશ કે જે કોઈ એ સાંભળશે તેના કાનમાં તે ગુંજયાં કરશે. 13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ. 14 મારા પોતાના લોકોમાંના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેમને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ; તેઓ લૂંટનો અને દુશ્મનોનો ભોગ થઈ પડશે. 15 કારણ તેમના પિતૃઓએ મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી આજ સુધી મારી દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી તેમણે મારો રોષ વહોરી લીધો છે. 16 વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિર્દોષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.’”
17 મનાશ્શાનાઁ શાસનનાં બીજા બનાવો અને કાર્યો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 18 મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.
આમોનનું ટૂંક શાસન
19 જ્યારે આમોન રાજા બન્યો ત્યાંરે તેની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાહના હારુસની પુત્રી હતી.
20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું. 21 તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી. 22 તેણે પોતાના પિતૃઓના યહોવા દેવનો ત્યાગ કર્યો અને દેવની સલાહ સાંભળવાની ના પાડી.
23 આખરે તેના નોકરોએ તેની વિરૂદ્ધ કાવતરું ઘડીને, અને તેને રાજમહેલમાં મારી નાખ્યો. 24 પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો.
25 રાજા આમોનનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાયેરા યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 26 તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો.
ઈસુ મૂસા કરતાં મહાન
3 તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. 2 દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. 3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. 4 દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. 5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.
આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ
7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:
“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
8 ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
9 મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (A)
12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:
“જો આજે તમે દેવની વાણી સાંભળો,
તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (B)
16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.
યહોવા તરફ પ્રયાણ
14 હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો. 2 તમારી વિનંતી રજૂ કરો. યહોવા પાસે આવો અને કહો:
“હે યહોવા, અમારાં પાપો દૂર કરીને અમારામાંનું સારું હોય,
તેનો સ્વીકાર કરો.
અમે તમને સ્તુતિઓ અપીર્શું.
3 “આશ્શૂર અમને બચાવી શકશે નહિ;
હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ,
અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને
‘અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.”
યહોવા ઇસ્રાએલને ક્ષમાં કરશે
4 યહોવા કહે છે,
“હું મારા લોકોના વિશ્વાસઘાતનો રસ્તો કરીશ.
હું ઉદારતાથી અને છૂટથી તેમના પર પ્રેમ રાખીશ.
કારણકે હું તેમના પર રોષે નથી.
5 હું ઇસ્રાએલને માટે ઝાકળ જેવો થઇશ;
તે કમળની જેમ ખીલશે,
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ હજુ ઊંડા જશે,
6 તેને નવા ફણગાં ફૂટશે,
અને તેની ડાળીઓ ફેલાઇ જશે,
તેનો દેખાવ એક સુંદર જૈંતવૃક્ષ જેવો હશે
અને લબાનોનના ગંધતરુઁઓ જેવી તેની સુવાસ હશે.
7 ફરી તેઓ મારા છાયડામાં વાસો કરશે;
તેઓ બગીચાની જેમ ફૂલશે ફાલશે,
દ્રાક્ષાવાડીની જેમ વધશે;
તેઓની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
ઇસ્રાએલને મૂર્તિઓ વિષે યહોવાની ચેતવણી
8 “હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે.
હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું.
અને હું તમારી સંભાળ રાખુ છું.
તમારી સારસંભાળ રાખું છું.
હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું.
મારી પાસેથી જ તમને ફળ મળે છે.”
અંતિમ ચેતવણી
9 સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે,
જેનામાં સમજણ હોય તે,
એનો અર્થ હૈયામાં રાખે,
કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે,
અને સારો માણસ તેના ઉપર ચાલે છે,
પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
8 જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
9 જો હું પરોઢિયાની પાંખો પર
સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
તમારું સાર્મથ્ય મને સહાય કરશે.
11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.
24 તમને દુ:ખ થાય તેવી બાબત તમને મારામાં દેખાય તો મને જણાવો;
અને સનાતન માર્ગે મને દોરી જાઓ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International