M’Cheyne Bible Reading Plan
પ્રબોધક યશાયાની યહૂદા માટે મધ્યસ્થી
19 હિઝિક્યા રાજાએ તેઓની પાસેથી સંદેશો સાંભળ્યો ત્યારે તરત જ તેણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. ત્યાર પછી તેણે શણનાં વસ્ત્રો પહેર્યાં પછી તે યહોવાના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો.
2 તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા. 3 તેમણે જઈને કહ્યું, હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: “આજે અમારા માટે દુ:ખનો દિવસ છે, સજાનો અને નામોશીનો દિવસ છે; કેમ કે બાળક જન્મવા તૈયાર છે, પણ તેને જન્મ આપવાની શકિત માતા પાસે નથી, એવી અમારી દશા છે. 4 આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”
5 રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો. 6 યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો, યહોવા કહે છે કે, ‘આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ. 7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.’”
હિઝિક્યાને ચેતવતો આશ્શૂરનો રાજા
8 આશ્શૂરનો વડો અમલદાર પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા લાખીશ તેને છોડી જઈ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઈને મળ્યો. 9 આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે, “કૂશનો રાજા તિર્હાકાહ તેના પર ચઢાઈ કરવા આવે છે.”
એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝિક્યાને પત્ર મોકલી કહેવડાવ્યું કે, 10 “તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે,
‘તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે,યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી. 11 તું તો સારી રીતે જાણે છે કે આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા ત્યાં તેઓએ શું કર્યુ છે. તેઓએ સર્વનાશ કર્યો છે, તો પછી એ તને કયાંથી છોડવાનો છે? 12 પ્રજાઓના દેવો, જેનો મારા પૂર્વજોએ વિનાશ કર્યો હતો તેમને બચાવી શક્યા? તેમાં ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો સમાવેશ થાય છે? 13 હમાથના રાજાની, આર્પાદના રાજાની, સફાર્વાઇમના રાજાની તથા હેનાના અને ઇવ્વાહના રાજાની કેવી દશા થઈ?’”
યહોવાને પ્રાર્થના કરતો હિઝિક્યા
14 હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો. 15 પછી હિઝિક્યાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે, હે ઇસ્રાએલના દેવ યહોવા, “જેમનું આસન કરૂબના દેવદૂતો પર છે, પૃથ્વી પરનાં સર્વ લોકોના દેવ તમે એકલા જ છો, તમે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છો. 16 હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે. 17 હવે યહોવા, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે. 18 અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો. 19 પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”
20 પછી આમોસના પુત્ર યશાયાએ હિઝિક્યાને સંદેશો પહોંચાડયો કે, “ઇસ્રાએલના દેવ યહોવા આમ કહે છે કે: તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરૂદ્ધ મને પ્રાર્થના કરી હતી. મેં તારી પ્રાર્થના સંભળી છે.
21 “તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:
‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે,
તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે;
યરૂશાલેમની પુત્રીએ તારા તરફ
પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તમે કોની મજાક કરી છે?
કોની ટીકા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે?
તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!
23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે.
તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું,
તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા;
હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો.
24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.”
25 તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું.
પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી
અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે.
મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન,
ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા,
અને વગડાના છોડ જેવા,
કુમળાં ઘાસ જેવા,
ધાબા પર ઊગી નીકળેલાં,
ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું,
તારું બહાર જવું,
તારું અંદર આવવું
તથા મારા પર તારું
કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું.
28 મારા પર ક્રોધ કરવાને લીધે હું
તારા નાકમાં કડી પહેરાવવાનો છું
અને તારા મોંમા લગામ નાખવાનો છું
અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું
તને પાછો વાળી દેવાનો છું.’”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, “આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો. 30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 31 કારણ કે યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે, યહોવાની આસ્થાના પ્રતાપે આ બધું સિદ્ધ થશે.
32 “એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે,
‘તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે,
ઢાલ લઈને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે.
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
34 મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું
આ નગરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઈશ.’”
આશ્શૂરી સેનાનો વિનાશ
35 એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો. 37 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના પુત્રો આદામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી “અરારાટ” દેશમાં ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદોન તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કર્યું.
દેવનું પુત્ર દ્ધારા બોલવું
1 ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. 2 અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. 3 તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. 4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે.
5 દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:
“તું મારો પુત્ર છે;
અને આજથી હું તારો પિતા બનું છું.” (A)
દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,
“હું તેનો પિતા હોઇશ,
અને તે મારો પુત્ર હશે.” (B)
6 જ્યારે પ્રથમજનિત[a] ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે,
“દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.” (C)
7 વળી દૂતો સંબંધી દેવ કહે છે કે:
8 પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે:
“ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે.
તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે.
9 તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે.
તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે.
અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” (E)
10 દેવ એમ પણ કહે છે કે,
“હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ.
અને આકાશ તારા હાથની કૃતિ છે.
11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે.
પણ તું કાયમ રહે છે.
12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે.
અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે.
પરંતુ તું બદલાશે નહિ,
તું સદાકાળ એવોને એવો જ રહેશે.” (F)
13 દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે:
“જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું
ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” (G)
14 બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.
યહોવા ઇસ્રાએલની વિરૂદ્ધ છે
12 યહોવા કહે છે, “ઇસ્રાએલ વાયુને પકડવાનો કોઇ પ્રયત્ન કરતું હોય તેમ વતેર્ છે. તેઓ તેમના જૂઠાણા વધારે છે અને વધારેને વધારે ચોરે છે. તેઓ આશ્શૂરીઓ સાથે કરારો કરે છે, પણ એ જ સમયે મિસરને ખંડણી તરીકે જેતૂનનું તેલ મોકલે છે.
2 “યહોવાની યહૂદા વિરૂદ્ધ દલીલ છે. તેઓ યાકૂબને તેના કૃત્યોની સજા આપશે. યાકૂબને તેના ખરાબ કૃત્યોની યોગ્ય સજા થશે. 3 એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી. 4 હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી. 5 હા, યહોવા, સૈન્યોનો દેવ છે. યહોવા એ તેનું સ્મારક નામ છે જેનાથી તેમને બોલાવવામાં આવે છે. 6 તે માટે તમે દેવ ભણી પાછા ફરો. પ્રેમ અને ન્યાયને વળગી રહો. દેવ તમને મદદ કરશે તેવી આશા સાથે રાહ જોતા રહો.”
7 યહોવા કહે છે, “ઇસ્રાએલીઓ તો ખોટાં ત્રાજવાં રાખનાર વેપારીઓ જેવા છે, છેતરપિંડી તેઓને ગમે છે. 8 તેઓ કહે છે, ‘ખરેખર, અમે તો ધનવાન છીએ, અમે સંપત્તિ મેળવી છે, અને એનો એકેય પૈસો અનીતિ કે, પાપનો નથી.’”
9 યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ. 10 મેં તમને ચેતવણી આપવા માટે મારા પ્રબોધકો તમારી પાસે મોકલ્યા. મેં જ તેઓને અનેક સંદર્શનો આપ્યાં અને તેમને તમારી પાસે દ્રષ્ટાંતો સાથે મોકલ્યા. 11 ગિલયાદમાં મૂર્તિપૂજા થઇ રહી છે, તો જરૂર તે પાપોનો નાશ થશે. ગિલ્ગાલમાં બળદોનો બલિ અપાય છે. તેઓની વેદીઓ ખેડેલા ખેતરની બાજુના પથ્થરોના ઢગલા જેવી થશે. ખેતરના ચારાની જેમ વેદીઓની હારમાળાઓ તમારી મૂર્તિઓને બલિદાન અર્પવા વપરાય છે. ગિલયાદ પણ મૂર્તિઓની પૂજા કરનારા મૂર્ખાઓથી ભરેલું છે.
12 “યાકૂબ અરામમાં ભાગી ગયો, અને ઇસ્રાએલે પત્ની મેળવવા ત્યાં કામ કર્યું, તેણે તેણીને ઘેટાં ચરાવીને મેળવી. 13 પછી યહોવાએ એક પ્રબોધક દ્વારા ઇસ્રાએલી લોકોનો મિસરમાંથી છુટકારો કર્યો. તેઓને એક પ્રબોધક મારફતે રક્ષણ આપ્યું. 14 પરંતુ ઇસ્રાએલના લોકોએ યહોવાને ભારે ક્રોધિત કર્યા છે. યહોવા તેમના પાપો માટે તેમને જ જવાબદાર ઠેરવશે અને તેમણે જે અપરાધો કર્યા છે, તેનો દોષ તેમના માથે નાખશે અને તેને પ્રભુ યહોવા મૃત્યુદંડ કરશે.”
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
1 યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
2 સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
3 પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
4 દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
5 જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
6 જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
7 આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International