M’Cheyne Bible Reading Plan
ઇસ્રાએલના રાજા તરીકે દાઉદ
11 ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ. 2 ભૂતકાળમાં જ્યારે શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ તમે જ ઇસ્રાએલી સેનાની આગેવાની લેતા હતા, અને તમારા દેવ યહોવાએ તમને કહ્યું હતું કે, ‘મારા લોકોની, ઇસ્રાએલની સારસંભાળ લેનાર માણસ તું છે, તું જ તેમનો શાસનકર્તા થવાનો છે.’”
3 આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.
યરૂશાલેમ કબ્જે કરતો દાઉદ
4 પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા. 5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.
6 દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.
7 દાઉદે એ ગઢમાં વસવાટ કર્યો અને તેથી તેનું નામ દાઉદ-નગર પડ્યું. 8 દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા. 9 આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
ત્રણ નાયકો
10 દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે:
11 પહેલો હાખ્મોની કુલનો યાશોબઆમ જે રાજાની ખાસ સેનાનો નાયક હતો.
તેણે ભાલા વડે 300 માણસોને એકી સાથે રહેંસી નાખ્યા હતા.
12 વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો. 13 જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું. 14 પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો.
15 બીજી વખતે પલિસ્તીઓની એક ટુકડીએ જ્યારે રફાઇમની ખીણમાં છાવણી નાખી હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ અદુલ્લામની ગુફા નજીકના ખડક આગળ દાઉદને જઇને મળ્યા.
16 તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી. 17 દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.” 18 એટલે આ વીરત્રિપુટી પલિસ્તીઓની છાવણીમાં થઇને બેથલેહેમ પહોંચી, તેઓએ કૂવામાથી પાણી કાઢયું અને દાઉદ પાસે લઇ આવ્યા. દાઉદે તે પીવા ના પાડી. પણ યહોવા સમક્ષ તે પાણી અર્પણ તરીકે રેડી દીધું. 19 તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! એ તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર આ શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે એ લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. આ “વીરત્રિપુટી” ઓના આવા કામો હતા.
અન્ય બહાદુર સૈનિકો
20 યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણ શૂરવીરોનો સરદાર હતો. એક વખત તેણે ભાલા વડે 300 દુશ્મનો સાથે યુદ્ધ કરી તેમને પૂરા કર્યા હતા અને તે ત્રિપુટીમાં પ્રખ્યાત બની ગયો હતો. 21 ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.
22 યહોયાદાનો પુત્ર કાબ્સેએલ ગામના બનાયાનો પરાક્રમી યોદ્ધો હતો. તેણે મોઆબના બે પ્રખ્યાત કદાવર પુરુષોને મારી નાખ્યા હતા. વળી એક વાર હિમ પડતું હતું ત્યારે કોતરમાં ઊતરીને તેણે એક સિંહને મારી નાખ્યો હતો. 23 વળી, સાડાસાત ફૂટ ઊંચા મહાકાય મિસરીને મારનાર પણ એ જ હતો. એ મિસરી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. પણ બનાયા ફકત એક લાકડી લઇને તેની સામે પહોંચી ગયો. અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી તેના જ ભાલા વડે તેને મારી નાંખ્યો. 24 ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને 25 ત્રીસ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં તે ઘણો પ્રખ્યાત હતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો નાયક બનાવ્યો હતો. તે ત્રિપુટીમાંનો એક નહોતો છતાં પણ.
ત્રીસ શૂરવીરો
26 દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે:
યોઆબનો ભાઇ અસાહેલ,
બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,
27 હરોરનો વતની શામ્મોથ,
પલોનનો વતની હેલેસ;
28 ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની,
અનાથોથનો વતની અબીએઝેર,
29 હુશાનો વતની સિબ્બખાય,
અયોહીનો વતની ઇલાહ;
30 નટોફાનો વતની માહરાય,
હેલેદ-બાઅનાહનો પુત્ર અને નટોફાનો વતની,
31 બિન્યામીનના ગિબયાહનો વતની ઇથાય-રીબાયનો પુત્ર,
પિરઆથોનનો વતની બનાયા;
32 ગાઆશની ઘાટ પાસેનો વતની હૂરાય,
આર્બાથનો વતની અબીએલ,
33 બાહરૂમનો વતની આઝમાવેથ,
શાઆલ્બોનીનો વતની એલ્યાહબા,
34 ગેઝોનીના હાશેમના પુત્રો,
હારારીનો વતની શાગેનો પુત્ર યોનાથન,
35 હારારી સાખારનો પુત્ર અહીઆમ,
ઉરનો પુત્ર અલીફાહ,
36 મખેરાથનો વતની હેફેર
પલોનનો વતની અહિયા,
37 કામેર્લનો વતની હેસ્રો
અને એઝબાયનો પુત્ર નાઅરાય,
38 નાથાનનો ભાઇ યોએલ,
હાગ્રીનો પુત્ર મિબ્હાર,
39 આમ્મોનનો પુત્ર સેલેક,
બેરોથનો પુત્ર નાહરાય-જે સરૂયા પુત્ર યોઆબનો શસ્રવાહક હતો;
40 યિથોના ઇરા,
અને ગારેબ,
41 ઊરિયા હિત્તી,
આહલાયનો પુત્ર ઝાબાદ,
42 રૂબેનના કુલસમૂહના શીઝાનો પુત્ર અદીના,
જે રૂબેનના કુલના આગેવાનોમાંનો એક હતો.
અને તેની સાથે બીજા ત્રીસ હતા.
43 માઅખાહનો પુત્ર હાનાન,
મિથ્નાનનો વતની યહોશાફાટ,
44 આશ્તરાથી ઉઝિઝયા,
હોથામનો પુત્ર શામા અને અરોએરનો યેઇએલ.
45 શિમ્રીનો પુત્ર યદીઅએલ,
યદીઅએલનો ભાઇ તીસાનો વતની યોહા તીસી;
46 માહવીનો પુત્ર અલીએલ,
એલ્નાઆમના પુત્ર યરીબાય
તથા યોશાવ્યા ને મોઆબી યિથ્માહ.
47 યાઅસીએલ, ઓબેદ અને મસોબાનો વતની અલીએલ.
દાઉદ સાથે ભળતા પરાક્રમી સૈનિકો
12 દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા. 2 તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.
3 તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ, 4 ગિબયોનનો યિશ્માયા, જે “ત્રીસ શૂરવીરો”માં નો એક અને તેમનો એક આગેવાન હતો. ગદેરાના યર્મિયા, યાહઝીએલ, યોહાનાન અને યોઝાબાદ, 5 હરૂફીના એલઉઝાય, યરીમોથ, બઆલ્યા, શમાર્યા અને સફાટયા, 6 કોરાહના વંશજો, એલ્કાનાહ યિશ્શિયા, અઝારએલ, યોએઝેર, અને યાશોબઆમ; 7 અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.
ગાદના કુલસમૂહો
8 ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા.
9 એઝર તેમનો નાયક હતો. અને ઓબાદ્યા બીજો, અરીઆબ ત્રીજો, 10 મિશ્માન્નાહ ચોથો, યર્મિયા પાંચમો, 11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ, 12 આઠમો યોહાનાન, નવમો એઝાબાદ. 13 દશમો યર્મિયા, અને અગિયારમા ક્રમે માખ્બાન્નાય હતો.
14 ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો. 15 પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા.
દાઉદ સાથે ભળતા અન્ય સૈનિકો
16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા. 17 દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”
18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:
“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ,
હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ,
તારો જય હો! તારા
સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”
દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.” 20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા. 21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.
22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.
દાઉદ સાથે હેબ્રોનમાં મળતા અન્ય સૈનિકો
23 યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે:
24 યહૂદાના કુલસમૂહના ઢાલ અને ભાલાધારી 6,800 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ;
25 શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;
26 લેવીના કુલસમૂહના: 4,600 યોદ્ધાઓ; 27 ઉપરાંત હારુનના કુલના યહોયાદની આગેવાની હેઠળ 3,700 યોદ્ધાઓ; 28 તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;
29 બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.
30 એફ્રાઇમના કુલસમૂહના: 20,800 વીર યોદ્ધાઓ, જેમણે બધાએ જ પોતપોતાના કુલમાં ખ્યાતિ મેળવી હતી.
31 મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા:
32 ઇસ્સાખારના 200 આગેવાનો, જેઓ ઇસ્રાએલે ક્યારે અને કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં કુશળ હતા. અને તેમના હાથ નીચેના બધા સગાવહાલા.
33 ઝબુલોનના કુલસમૂહના યુદ્ધ માટે સારું પ્રશિક્ષણ પામેલાં અને બધી જાતનાં શસ્ત્રોથી શજ્જ એવા બહાદુર અને વ્યૂહ રચી શકે એવા 50,000 માણસો.
34 નફતાલીના કુલસમૂહના 1,000 નાયકો અને તેમના 37,000 ઢાલ અને ભાલાથી શજ્જ યોદ્ધાઓ.
35 દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;
36 આશેરના કુલસમૂહના 40,000 શિક્ષણ પામેલા યોદ્ધાઓ.
37 રૂબેન, અને ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના શિક્ષણ પામેલા અને બધા પ્રકારના શસ્ત્રો શજ્જ 1,20,000 યોદ્ધાઓ, તેઓ યર્દનની પેલે પારના હતા.
38 આ સર્વ યોદ્ધા શસ્ત્ર સાથે શજ્જ થઇને દાઉદને ઇસ્રાએલનો રાજા બનાવવાના એકમાત્ર હેતુથી હેબ્રોન આવ્યા હતા. એકંદરે ઇસ્રાએલના સર્વ નેતાઓ આવું ઇચ્છતા હતા. 39 તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી. 40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.
13 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. 2 મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. 3 જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.
4 સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. 5 નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:
“હું તને કદી મૂકી દઇશ નહિ;
અને તને તજીશ પણ નહિ.” (A)
6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે,
“પ્રભુ મને સહાય કરનાર છે;
હું ડરીશ નહિ.
માણસ મને શું કરનાર છે?” (B)
7 તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. 9 તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.
10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.
17 તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ. તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કરે. પણ શોકથી નહિ, કારણ કે એથી તમને ગેરલાભ થશે.
18 અમારા માટે પ્રાર્થના કરો, કેમ કે અમે જે કરીએ છીએ, તે અમને ન્યાયી લાગે છે. કારણ કે અમારો ધ્યેય હંમેશા જે સૌથી ઉત્તમ છે તે કરવાનો છે. 19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે.
20-21 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.
તે શાંતિનો દેવ છે. તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.
22 મારા ભાઈઓ અને બહેનો, મેં જે તમને કહ્યું છે તે તમને ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. તમને મજબૂત કરવા મેં કહ્યુ છે અને ટૂંકમાં લખ્યું છે. ભાઈઓ મારે તમને એ જણાવવું છે કે તિમોથી હવે જેલમાંથી છૂટ્યો છે, જો તે અહીં વહેલો આવશે તો, હું તેની સાથે તમારી પાસે આવીને તમને મળીશ.
23-24 તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો. ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે.
25 તમ સર્વના પર દેવની કૃપા હો.
દર્શનમાં તીડો
7 યહોવા દેવે મને આ દ્રશ્ય બતાવ્યું: પ્રથમ લણણી પછી પહેલો પાક રાજાને કર તરીકે અપાતો, જ્યારે બીજો પાક ફૂટી નીકળતો. યહોવાએ તીડનું[a] સર્જન કર્યું. 2 તે તીડો ખેતર પરનું ઘાસ ખાઇ ગયા ત્યારે મે કહ્યું, “હે સૈન્યોનો દેવ યહોવા અમને માફ કરો. આ પછી ઇસ્રાએલીઓ કેવી રીતે જીવતા રહી શકે? કેમકે તેઓ નાના છે તે માટે.”
3 તેથી યહોવાને આ વિષે પશ્ચાત્તાપ થયો; તેમણે મને કહ્યું, “હું તે થવા દઇશ નહિ.”
દર્શનમાં અગ્નિ
4 સૈન્યોનો દેવ યહોવાએ મને આ બીજું દ્રશ્ય બતાવ્યું: સૈન્યોનો દેવ યહોવા અગ્નિપરીક્ષા કરવા બોલાવતાં હતાં. તેણે મોટા સાગરને સૂકવી નાખ્યો અને જમીનને ભસ્મિભૂત કરી દીધી. 5 ત્યાં મેં કહ્યું, “હે યહોવા દેવ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ. તમે જો તેઓની વિરૂદ્ધ થાઓ તો તેઓ પાસે બીજી કઇ આશા છે? ઇસ્રાએલ ઘણું નાનું છે.”
6 યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો, યહોવા દેવ કહે છે, “એ પણ થશે નહિ.”
દર્શનમાં ઓળંબો
7 પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે. 8 યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?”
મેં કહ્યું, “એક ઓળંબો.”
યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ. 9 ઇસહાકનાઁ વંશજોના થાનકો ખેદાનમેદાન થઇ જશે. ઇસ્રાએલનાઁ પવિત્રસ્થાનો ખંડેર થઇ જશે. યરોબઆમના વંશને હું તરવારને ઘાટ ઉતારીશ.”
અમાસ્યાએ આમોસને ભવિષ્યકથન કરવા બદલ રોકવાનો પ્રયત્ન કર્યો
10 પછી બેથેલના યાજક અમાસ્યાએ આમોસના વચનો સાંભળ્યાં ત્યારે તેણે યરોબઆમ રાજા પર ઝડપથી સંદેશો મોકલ્યો: “આપણા દેશમાં આમોશ રાજદ્રોહી છે, અને તમારા મરણ માટે કાવતરું ઘડે છે. આ બાબત અસહ્ય છે. તેના લીધે કદાચ દેશમાં બળવો ફાટી નીકળશે. 11 તે કહે છે કે, ‘યરોબઆમ યુદ્ધમાં માર્યો જશે, અને ઇસ્રાએલના લોકોએ નિશ્ચિત તેઓનો દેશ છોડવો પડશે અને દેશવટો લઇ જવું પડશે.’”
12 વળિ અમાસ્યાએ આમોસને કહ્યું, “ઓ થઇ પડેલા દ્રષ્ટા, ભાગ! યહૂદિયાના દેશમાં ચાલ્યો જા! અને ત્યાં તારો પ્રબોધ કર. અને રોટલો ખા. 13 પણ હવે પછી તારા દર્શનોથી અહીં બેથેલમાં પ્રબોધ કરીશ નહિ. કારણકે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”
14 પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું. 15 હું ઘેટાઁનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, ‘જા અને મારા ઇસ્રાએલના લોકોને પ્રબોધ કર.’ 16 એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’ 17 પરંતુ યહોવાનો સંદેશો આ છે, ‘અમાસ્યા, તારી પત્ની શહેરની વારાંગના બનશે, અને તારા સંતાનોની હત્યા થશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે, તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, ને ઇસ્રાએલી લોકોને કેદ પકડી તેમના દેશમાંથી તેમને દેશવટો દેવામાં આવશે.’”
ઈસુનો જન્મ
(માથ. 1:18-25)
2 આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. 2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. 3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.
4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો. 6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. 7 ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.
ઈસુના જન્મની ભરવાડોને જાણ
8 તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા. 9 પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા. 10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે. 11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે. 12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”
13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.
14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ,
અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”
15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”
16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું. 17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું. 18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા. 19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી. 20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા.
21 જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું.
મંદિરમાં ઈસુનું અર્પણ
22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”[a] 24 વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ આ વિધિ કરવા યરૂશાલેમ ગયા.
શિમયોન ઈસુને જુએ છે
25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.
તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.
29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31 તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”
33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”
હાન્ના ઈસુને જુએ છે
36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.
38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.
યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ
39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.
41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International