Old/New Testament
રહાબઆમે મૂર્ખતાપૂર્ણ કામ કર્યુ
10 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા. 2 જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં. 3 કારણકે માણસ મોકલીને તેને ત્યાંથી તેડાવ્યો હતો.
યરોબઆમે તથા સર્વ ઇસ્રાએલીઓએ આવીને રહાબઆમને વિનંતી કરી કે, 4 “તમારા પિતાએ અમારા પર ભારે ઝૂંસરી મૂકી હતી; માટે હવે તું એ આકરી ગુલામીની ભારે ઝૂંસરી હળવી કર, એટલે અમે તારે તાબે રહીશું. અને અમારા રાજા તરીકે સ્વીકારીશું.”
5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.
6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”
7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”
8 પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી. 9 તેણે પૂછયું, “મિત્રો, અમારા લોકો પર જે ઝૂંસરી લાદેલી હતી તેને મારે હળવી કરવી એવી એ લોકોની વિનંતી છે, તેનો જવાબ આપવાની તમે મને શુ સલાહ આપો છો?”
10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’ 11 ‘મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને વધુ ભારે બનાવીશ, મારા પિતા તમને ચાબૂકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.’”
12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા. 13 રાજાએ તેઓની સાથે ઊદ્ધતાઇથી વાત કરી, વૃદ્ધ મંત્રીઓની સલાહ તેણે નકારી કાઢી. 14 અને જુવાનીયાઓની સલાહ પર ધ્યાન આપ્યું. તેણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારા ઉપર ભારે ઝૂંસરી લાદી હતી, હું એને હજી વધારે ભારે બનાવીશ. મારા પિતા તમને ચાબુકથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા. 17 આમ, બધા ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા, અને રહાબઆમ યહૂદાના પ્રદેશમાં વસતા ઇસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતો હતો.
18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું. 19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.
11 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા. 2 પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે, 3 “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે: 4 ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું.
યહૂદાને શકિતશાળી બનાવતો રહાબઆમ
5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: 6 બેથલેહેમ, એટામ, તકોઆ 7 બેથ-સુર, સોખો, અદુલ્લામ 8 ગાથ, મારેશાહ, ઝીફ, 9 અદોરાઇમ, લાખીશ અઝેકાહ 10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે, 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા. 12 પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા.
13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં. 14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ.
15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. 16 ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા. 17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો.
રહાબઆમનું કુટુંબ
18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી. 19 તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ, 20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા. 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી.
22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો. 23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા.
મિસરના રાજાનો યરૂશાલેમ પર વિજય
12 જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.
2 તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંધન કર્યુ તેથી રહાબઆમ રાજાના શાસનના પાંચમે વર્ષે મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર 1,200 રથો તથા 60,000 સવારો લઇને હુમલો કર્યોં. 3 મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા. 4 યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો.
5 રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે.
6 ઇસ્રાએલના આગેવાનો અને રાજાઓ પોતે નમ્ર થઇને બોલ્યા, “યહોવાની વાત ન્યાયી છે.”
7 યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું. 8 પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”
9 મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો. 10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી. 11 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે રક્ષકો તે ઢાલ લઇને આવતા અને પછીથી શસ્રાગારમાં મૂકી દેતા.
12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો.
13 આમ, રહાબઆમ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઇને રાજ્ય કર્યુ. તે ગાદીએ આવ્યો અને ત્યારે તેની ઉંમર 41 વર્ષની હતી. તેણે યહોવાએ ઇસ્રાએલના બધા કુળસમૂહોના પ્રદેશોમાંથી પોતાના નામની સ્થાપના માટે પસંદ કરેલા નગર યરૂશાલેમમાં 17 વર્ષ સુધી રાજ્ય કર્યુ. રહાબઆમની માતા આમ્મોનની હતી અને તેનું નામ નાઅમાહ હતું. 14 યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.
15 રહાબઆમનાં અમલના બધા જ કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું. 16 રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.
30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો. 31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા. 32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો. 34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”
તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”
35 ઈસુ રડ્યો.
36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”
37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
ઈસુ લાજરસને ફરીથી સજીવન કરે છે
38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.
જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું. 39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”
માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.
40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”
41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો. 42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”
43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!” 44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.
ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”
ઈસુને મારી નાખવાની યહૂદિ આગેવાનોની યોજના
(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂ. 22:1-2)
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું. 47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે. 48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી! 50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે. 52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ. 54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા. 56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા, “શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?” 57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International