Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 13-15

કરારકોશને પાછો લાવ્યા

13 દાઉદે પોતાની સેનાના યોદ્ધાઓ, જે 1,000 માણસોની ટુકડીના અને 100 માણસોની ટુકડીના સેના નાયક હતા તેમની સાથે વાત કરી. પછી ઇસ્રાએલીઓના એકત્ર થયેલા લોકોને સંબોધીને કહ્યું, “જો તમને સૌને મંજૂર હોય અને આપણા યહોવાની એવી ઇચ્છા હોય તો આપણે સમગ્ર ઇસ્રાએલના બાકીના દેશબંધુઓને તેમજ આજુબાજુની ભૂમિ સહિતના પોતાનાં શહેરોમાં વસતા યાજકોને અને લેવીઓને સંદેશો મોકલીને આપણી સાથે જોડાવા માટે તેઓને આમંત્રણ આપીએ. આપણા દેવનો કરારકોશ પાછો લાવીએ કારણકે શાઉલ જીવતો હતો. ત્યારથી આપણે ત્યાં ઉપાસના કરી નહોતી.” સમગ્ર સભા તેમની સાથે સહમત થઇ, કારણ બધા લોકોની ષ્ટિએ એ જ યોગ્ય હતું.

તેથી દાઉદે મિસરની સરહદે આવેલા શિહોરથી માંડીને છેક હમાથ સુધીના દેશભરના બધા ઇસ્રાએલીઓને કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવવા માટે ભેગા કર્યા. પછી દાઉદ અને બધા ઇસ્રાએલીઓ, જે યહોવાનું નામ ધરાવે છે, ને જેના પરના કરૂબો પર દેવ યહોવા બિરાજે છે, તે કરારકોશ લઇ આવવા યહૂદામાં આવેલા બાઅલાહ મુકામે ગયા.

તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.

દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા.

જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો. 10 તે કોશને અડક્યો તેથી યહોવાનો રોષ તેના પર ભભૂકી ઊઠયો. તેમણે ઉઝઝાને માર્યો અને તે દેવ સમક્ષ મૃત્યુ પામ્યો. 11 યહોવાએ આમ ઉઝઝા પર આક્રમણ કર્યુ. એથી દાઉદને ખોટું લાગ્યુ. અને તેણે તે જગ્યાનું નામ “પેરેસ-ઉઝઝા” પાડ્યું જે આજે પણ તે જ નામે ઓળખાય છે.

12 દાઉદને તે દિવસે દેવનો ભય લાગ્યો અને તે બોલ્યો, “હું ‘દેવના કોશ’ ને મારે ઘેર શી રીતે લઇ જાઉં?” 13 આથી દાઉદ કોશને પોતાને ઘેર દાઉદનગરમાં ન લઇ ગયો, પણ ગાથના વતની ઓબેદ-અદોમની પાસે લઇ ગયો. 14 ત્રણ મહિના સુધી દેવનો કોશ ઓબેદ-અદોમના કુટુંબ સાથે હતો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબ અને તેના સર્વને આશીર્વાદ આપ્યા.

દાઉદને ઘેર યરૂશાલેમમાં બાળકો જન્મ્યાં

14 તૂરના રાજા હીરામે દાઉદ પાસે એલચીઓ મોકલ્યાં અને તેમની સાથે મહેલ બાંધવા માટે ગંધતરુનું લાકડું, કડીયાઓ અને સુથારો મોકલી આપ્યા. હવે દાઉદને ખાતરી થઇ ગઇ કે, યહોવાએ તેને ઇસ્રાએલના રાજા તરીકે સ્થાપ્યો છે અને પોતાના ઇસ્રાએલી લોકો માટે થઇને તેના રાજ્યને મહાન બનાવે છે.

યરૂશાલેમમાં દાઉદે વધારે પત્નીઓ કરી અને તેને વધુ પુત્રપુત્રી જન્મ્યાં. તેને યરૂશાલેમમાં થયેલા બાળકોનાં નામ આ પ્રમાણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, યિબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ, નોગાહ, નેફેગ, યાફીઆ, અલીશામા, બએલ્યાદા અને અલીફેલેટ.

પલિસ્તીઓને હરાવતો દાઉદ

જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે હવે દાઉદનો સમગ્ર ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ભેગા મળીને તેની શોધમાં નીકળી પડ્યા. દાઉદે જ્યારે આ વિષે સાંભળ્યું ત્યારે તે તેમનો સામનો કરવા નીકળી પડ્યો. પલિસ્તીઓએ આવીને રફાઇમની ખીણમાં જમાવટ કરી. 10 દાઉદે દેવની સલાહ લીધી, “હું પલિસ્તીઓ પર હુમલો કરુ? તું તેમને મારા હાથમાં સોંપી દેશે?”

યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં સોંપી દઇશ.”

11 આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું. 12 પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પાછળ મૂકીને ચાલ્યા ગયા હતા, દાઉદની આજ્ઞાથી તે બધી મૂર્તિઓ બાળી નાખવામાં આવી.

પલિસ્તીઓ પર ફરી વિજય

13 પલિસ્તીઓએ ફરી ખીણમાં જમાવટ કરી. 14 દાઉદે ફરીથી દેવની સલાહ લીધી અને દેવે જવાબ આપ્યો, “આગળથી તેમની પર હુમલો કરીશ નહિ, પરંતુ ફરીને તેમની પાછળ જઇ મેંદીના છોડ નજીક હુમલો કરજે. 15 જ્યારે તું છોડને મથાળે પગરવ જેવો અવાજ સાંભળે ત્યારે તું હુમલો કરજે, કારણ, એ દેવ તારી આગળ પલિસ્તીઓની સૈનાને હરાવવા માટે નીકળી પડ્યો હશે.” 16 દાઉદે દેવની સલાહ પ્રમાણે કર્યુ અને તેણે ગિબયોનથી ઠેઠ ગેઝેર સુધી પલિસ્તીઓના લશ્કરને હાંકી કાઠયુ. 17 દાઉદની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઇ અને યહોવાએ બધી પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.

યરૂશાલેમમાં કરારકોશની સ્થાપના

15 યરૂશાલેમમાં દાઉદે દાઉદનગરમાં પોતાના માટે આવાસ બાંધ્યા અને “દેવના કોશ” માટે નવો મંડપ બંધાવ્યો. ત્યારપછી તેણે કહ્યું, “ફકત લેવીઓએ જ દેવનો કોશ ઊંચકવો. કારણકે તેમનો કોશ ઊંચકવા માટે તથા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને પસંદ કર્યા છે.”

તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા. વળી તેણે હારુનના વંશજોને તથા લેવીઓને પણ ભેગા કર્યા.

કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,

મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.

ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;

અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.

હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;

10 અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.

લેવીઓ અને યાજકો સાથે વાત કરતો દાઉદ

11 ત્યારબાદ દાઉદે યાજકો સાદોક અને અબ્યાથારને તથા લેવી આગેવાનો ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ, અને આમ્મીનાદાબને તેડાવ્યા. 12 અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો. 13 તમે પહેલી વખતે ઉપાડ્યો નહિ માટે યહોવા આપણા દેવ આપણા પર ક્રોધે ભરાયા, કારણ આપણે તેની સૂચના પ્રમાણે તેને પકડયો નહોતો.”

14 તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી. 15 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.

ગાયકો

16 પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.

17 આથી લેવીઓએ નીચેના સંગીતકારોની નિંમણૂક કરી; હેમાન-યોએલનો પૂત્ર, આસાફ-બેરેખ્યાનો પુત્ર અને મરારીના કુટુંબમાંથી કૂશાયાનો પુત્ર એથાન. 18 તથા તેઓના મદદનીશ તરીકે પસંદ થયેલાઓની યાદી: ઝખાર્યા, બની, યઅઝીએલ, શમીરામોથ, અહીએલ, ઉન્ની, અલીઆબ, બનાયા, માઅસેયા, માત્તિથ્યા, અલીફલેહૂ, મિકનેયા, અને દ્વારપાળો ઓબેદ-અદોમ ને યેઇએલ.

19 આ સંગીતકારોમાંથી હેમાન, આસાફ અને એથાને કાંસાનાં ઝાંઝ વગાડવાના હતા; 20 ઝખાર્યા અઝીએલ, શમીરામોથ, યહીએલ, ઉન્ની, અલીઆબ, માઅસેયા અને બનાયાએ “આલામોથ”ના સૂર પ્રમાણે વીણા વગાડવાની હતી; 21 અને માત્તિથ્યા, અલીફલેહૂ મિકનેયા, ઓબેદ, અદોમ, યેહિએલ અને અઝાઝયાએ “સેંમીનીથ” ના સૂર પ્રમાણે સિતાર વગાડવાની હતી. 22 લેવીઓનો એક આગેવાન કનાન્યા રાગરાગણીની તાલીમ આપતો હતો અને ગવૈયાનો ઉસ્તાદ હતો; તેથી તેને આ બધાનો ઉપરી નિમવામાં આવ્યો.

23 બેરખ્યા એલ્કાનાહને કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી. 24 અને યાજકો, શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાઇ, ઝખાર્યા, બનાયાર અને અલીએઝેરને દેવના કોશ સમક્ષ ચાંદીના રણશિંગા વગાડવાના હતા અને ઓબેદ-અદોમ અને યહિયાએ પણ કોશના દ્વારપાળ તરીકે સેવા આપવાની હતી.

25 દાઉદ, ઇસ્રાએલના વડીલો અને સૈન્યના ઉચ્ચ અમલદારો ઓબેદ-અદોમના ઘરમાંથી યહોવાના કરાર કોશને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે યરૂશાલેમ લઇ આવવા માટે ગયા. 26 યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું. 27 કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકગણના સભ્યો અને ગાયકગણના આગેવાન કનાન્યાએ શણના ઝભ્ભા પહેર્યા હતા. દાઉદે પણ શણનો એફોદ પહેર્યો હતો.

28 આમ સર્વ ઇસ્રાએલી લોકો હર્ષનાદ કરતા, શરણાઇ રણશિંગડા, ઝાંઝ, સિતાર, વીણા વગાડી મોટી ગર્જના કરતા કરતા યહોવાના કરારકોશ લઇ આવ્યા.

29 જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.

યોહાન 7:1-27

ઈસુ અને તેના ભાઈઓ

આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” (ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)

ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.

10 તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો. 11 યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”

12 ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.” 13 પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.

ઈસુનો યરૂશાલેમમાં બોધ

14 પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો. 15 યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”

16 ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે. 17 જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા 18 કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી. 19 તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”

20 લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”

21 ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા. 22 મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે. 23 આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો? 24 વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”

લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે

25 પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26 પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27 પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International