Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 7-9

એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: ‘આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.’”

ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?”

અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

અરામી તંબૂ ખાલી જોતા રોગીઓ

હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ? જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”

આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું. કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.

દુશ્મનના પડાવમાં રોગીઓ

રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું. પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”

ખુશખબર આપતા રોગીઓ

10 આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”

11 પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી. 12 હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.’”

13 રાજાના અમલદારોમાંના એકે કહ્યું, “તમે કોઇને સત્ય જાણવા ત્યાં મોકલશો તો સારું થશે. ભલે થોડા માણસો નગરમાં બાકી બચેલા ઘોડામાંથી પાંચ ઘોડાને લઇને જાય, આ ઘોડાઓ જો મરી જશે તો તેમનું નશીબ ઇસ્રાએલના નશીબથી જુદું નહિ હોય આખરે તો આપણે બધાં પણ મરી જવાના છીએ.”

14 આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે “તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.”

15 તેઓ યર્દન સુધી પાછળ પાછળ ગયા, તો આખો રસ્તો અરામીઓએ ગભરાટમાં ને ગભરાટમાં ફેંકી દીધેલાં વસ્ત્રો અને સરસામાનથી છવાઈ ગયેલો હતો. સંદેશવાહકોએ પાછા આવીને રાજાને ખબર આપી.

16 પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.

17 રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી. 18 એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું. 19 ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.” 20 અને એમ જ બન્યું; લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો.

શૂનેમની સ્ત્રીની સંપતિનું પુન:સ્થાપન

જે સ્રીના છોકરાને એલિશાએ ફરી સજીવન કર્યો હતો તેને તેણે કહ્યું હતું કે, “તું તારા પરિવાર સાથે ચાલી જા અને જયાં નિવાસ મળે ત્યાં કોઈ પરદેશમાં રહે, કારણ, યહોવા દેશમાં સાત વર્ષનો દુકાળ પાડનાર છે અને તે આવી પહોંચ્યો જાણ.”

તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી. સાત વર્ષ પૂરાં થતાં તેણે પાછાં આવીને પોતાનું ઘર અને જમીન પાછાં મેળવવા માટે રાજાને જઈને ફરિયાદ કરી.

હવે બન્યું એવું કે રાજા એલિશાના નોકર ગેહઝીની સાથે વાત કરતો હતો, તે કહેતો હતો, “દેવના માણસ એલિશાએ કરેલા બધા ચમત્કારોની તું મને વાત કર.”

ગેહઝી રાજાને એલિશાએ સજીવન કરેલા છોકરાની વાત કરતો હતો, ત્યાં જ તે સ્ત્રીએ રાજાને પોતાનું ઘર અને જમીન પાછાં અપાવવા વિનંતી કરી, એટલે ગેહઝી બોલ્યો, “મારા મુરબ્બી અને રાજા, આ જ તે સ્ત્રીછે અને આ જ તેનો છોકરો છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો.”

રાજાએ તે સ્રીને પૂછયું, “શું આ સાચી વાત છે?”

સ્ત્રીએ કહ્યું, “હા, એવું જ બન્યું હતું.” તેથી રાજાએ એક અધિકારીને આજ્ઞા કરી કે, આ સ્ત્રીની માલિકીનું જે સર્વ છે તે તેને સોંપી દેવામાં આવે અને તેની ગેરહાજરીમાં તેની જમીનમાં આ જ સુધી થયેલી ઊપજનાં નાણાં પણ તેને આપવામાં આવે.

હઝાએલને એલિશા પાસે મોકલતો બેન-હદાદ

પછી એલિશા અરામના પાટનગર દમસ્કમાં ગયો, ત્યાં બેન-હદાદ, રાજા માંદગીમાં પથારીવશ હતો, અને તેને ખબર મળી કે, “દેવના માણસ છેક આપણે આંગણે આવ્યા છે.”

જ્યારે રાજાએ એ જાણ્યું, ત્યારે તેણે હઝાએલને કહ્યું, “કંઈ ભેટ લઈને એલિશા ને મળવા જા. તેમની મારફતે યહોવાને પ્રશ્ર્ન કરીને જાણી લાવ કે, હું આ માંદગીમાંથી સાજો થઈશ કે કેમ.”

આથી હઝાએલ દમસ્કની ઉત્તમોત્તમ વસ્તુઓથી લાદેલાં 40 ઊંટો ભેટરૂપે સાથે લઈને એલિશાને મળવા ગયો. દેવના માણસ સમક્ષ જઈ તેમની સામે ઊભા રહીને તેણે કહ્યું, “તમારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તમને એ પૂછવા મોકલ્યો છે કે, હું મારી માંદગીમાંથી સાજો થઈશ ખરો?”

10 એલિશાએ જવાબ આપ્યો, “જા અને તેને એમ કહે કે, ‘તું ચોક્કસ સાજો થશે’ પરંતુ યહોવાએ મને જણાવ્યું કે, ‘તું જરૂર મરણ પામશે.’”

હઝાએલ વિષે પ્રબોધ કરતો એલિશા

11 પછી એલિશા તેની સામે જ્યાં સુધી તે ક્ષોભ પામ્યો ત્યાં સુધી અનિમેષ ષ્ટિથી જોતો રહ્યો પછી દેવનો માણસ રડી પડયો. 12 હઝાએલે પૂછયું, “સાહેબ, કેમ રડો છો?”

એલિશાએ કહ્યું, “કારણ તમે ઇસ્રાએલીઓને જે જે નુકસાન કરવાના છો તેની મને ખબર છે: તમે તેમના કિલ્લાઓ બાળી મૂકશો, તેમના ચુનંદા યોદ્ધાઓની હત્યા કરશો, તેમનાં બાળકોને ભોંય પર પછાડશો, અને તેમની સગર્ભા સ્રીઓનાં પેટ ચીરી નાખશો.”

13 હઝાએલ બોલ્યો, “પણ આ સેવક તે શી વિસાતમાં? હું તો એક કૂતરો માત્ર છું, એવું મોટુ કામ શી રીતે કરી શકું?”

એલિશાએ કહ્યું, “તું અરામનો રાજા થવાનો છે તે યહોવાએ મને બતાવ્યું છે.”

14 હઝાએલ એલિશા પાસેથી નીકળીને પાછો પોતાના રાજા પાસે આવ્યો.

તેણે તેને પૂછયું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તમારા સાજા થવાની જાણ એલિશાએ મને કરી છે.”

બેન-હદાદ મારતો હઝાએલ

15 બીજે દિવસે હઝાએલે એક ધાબળો લીધો. તેને પાણીમાં પલાળ્યો, પછી તેને રાજાના મોં પર વીંટાળી દીધો. રાજા ગૂંગળાઈને મરણ પામ્યો, તેની જગાએ હઝાએલ રાજા થયો.

રાજ શરૂ કરતો યોરામ

16 તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો. 17 યહોરામ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 32 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ્ય કર્યું. 18 તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. 19 પરંતુ યહોવા યહૂદાનો વિનાશ કરવા માગતાં નહોતા, કારણ કે તેમનો પોતાનો સેવક દાઉદ જેને તેમણે વચન આપ્યું હતું કે, હું તારા વંશનો દીવો હંમેશા ઝળહળતો રાખીશ.

20 યહોરામના શાસનકાળ દરમ્યાન, અદોમીઓ યહૂદાના શાસનમાંથી છૂટા પડી ગયા અને પોતાના માટે એક રાજા પસંદ કર્યો.

21 યહોરામ પોતાના બધા રથો લઇને યર્દન નદીને સામે કાંઠે અને તેના રથના સેનાપતિઓ સાથે સાઈર ચાલ્યો ગયો. પછી રાત્રે ઊઠીને અદોમીઓ પર હુમલો કર્યો જેણે તેને ઘેરી લીધા હતા.પણ તેની લશ્કરી ટૂકડીઓ પોતાના ઘરે નાસી ગઇ. 22 આ રીતે અદોમે બળવો કર્યો હતો અને યહૂદાના શાસન માંથી મુકિત મેળવી હતી. જે આજ દિવસ સુધી આ પ્રમાણે જ છે.

લિબ્નાહે પણ યહૂદા સામે આજ રીતે બળવો કર્યો હતો.

23 યહોરામના શાસન દરમ્યાનનાં બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો યહૂદાના રાજાઓના ઈતિહાસ નામક પુસ્તકમાં લખાયેલા છે.

24 ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.

રાજ શરૂ કરતો અહાઝયા

25 જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું. 26 અહાઝયા રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો, પણ તેણે યરૂશાલેમમાં માત્ર એક વર્ષ સુધી રાજ્ય કર્યું, તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇસ્રાએલના રાજા ઓમ્રીની પુત્રી હતી. 27 તે આહાબના કુટુંબને પગલે ચાલ્યો અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. કારણ, તે એ કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડાયેલો હતો.

હઝાએલ સામેના યુદ્ધમાં ઘાયલ યોરામ

28 અહાઝયા આહાબના પુત્ર યોરામ જોડે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલયાદ મુકામે યુદ્ધે ચડયો, પણ અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. 29 રાજા યોરામ જે અરામના રાજા હઝાએલ સાથે લડતાં ઘાયલ થયો હતો, તે તેમાંથી સાજો થવા પાછો યિઝએલ ચાલ્યો ગયો, તે માંદો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝએલ ગયો.

યેહૂનો રાજયાભિષેક

આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા. તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે. પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”

તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા.

તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.”

યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”

પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું. તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે. હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ. નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ. 10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’”

પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.

યેહૂને રાજા ઘોષિત કરતા નોકરો

11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”

યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”

12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, “તેના કેહવાનો સાર આ હતો: ‘તેણે કહ્યું, આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’”

13 વાત સાંભળીને તે લોકોએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”

યિઝએલ જતો યેહૂ

14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ-ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.

15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”

16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.

17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમાં એક ટૂકડી આવતી દેખાય છે.”

ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”

18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’”

યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?”

આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”

19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”

યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”

20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”

21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”

અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.

22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”

યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”

23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”

24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.

25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે; 26 ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમાં ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”

27 યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધું જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”

યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો. 28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો.

29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.

ઈઝેબેલનું ભયંકર મૃત્યુ

30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી. 31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”

32 યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”

બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું. 33 એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”

તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી. 34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”

35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું. 36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે; 37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.’”

યોહાન 1:1-28

ખ્રિસ્ત જગતમાં આવે છે

જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.

ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે. યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.

10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે. મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.’”

16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા. 17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં. 18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.

યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું

(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)

19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.

21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”

યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”

22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”

23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,

“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;
    ‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.’” (A)

24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા. 25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”

26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી. 27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”

28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International