Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 10-12

યેહૂ સમરૂનના અમલદારોને લખે છે

10 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું; “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે. એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.”

પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”

આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”

આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો

ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.”

રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં. જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં. સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”

ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”

બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા? 10 તમે એ જરૂર સમજી લો કે, યહોવાએ આહાબના કુટુંબ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને તેણે જે કહ્યું છે એ બધું જ બનશે. યહોવાએ પોતાના સેવક એલિયા મારફતે સંદેશો મોકલ્યો હતો અને તેણે જે કહ્યું હતું તે સાચું કરી બતાવ્યું છે.”

11 ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.

અહાઝયાના સબંધીઓ મારતો યેહૂ

12 પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો. 13 રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”

તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”

14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.”

તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.

યહોનાદાબને મળતો યેહૂ

15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી. પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”

યહોનાદાબે કહ્યું, “હા છું.”

પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”

અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.

16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”

પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. 17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.

બઆલના સેવકોને બોલાવતો યેહૂ

18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે. 19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”

પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું. 20 યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.” અને મેળો બોલાવવામાં આવ્યો. 21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.

22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.” એટલે તે લઈ આવ્યો.

23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!” 24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો.

યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”

25 દહનાર્પણ પછી તેણે નાયકો અને ચોકીદારોને કહ્યું, “અંદર જાઓ અને બધાંને મારી નાખો, એકનેય જવા દેશો નહિ.”

ચોકીદાર અને નાયકોએ અંદર જઈને એકેએકની હત્યા કરતાં કરતાં છેક બઆલના મંદિરના ગર્ભગૃહ સુધી પ્રયાણ કર્યું. 26 બઆલના મંદિરમાં જે સ્તંભ હતો તેને તેઓ બહાર લઇ આવ્યા અને તેને બાળી મૂકયો. 27 આ રીતે તેઓએ બઆલના સ્તંભનો વિનાશ કરી નાખ્યો. તેઓએ બઆલના દેવનું મંદિર તોડી પાડ્યું અને તે જગ્યાને જાહેર શૌચાલય બનાવી દીધું જે આજે પણ છે.

28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું. 29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પધ્રૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.

યેહૂનું ઇસ્રાએલ પર રાજ

30 પછી યહોવાએ યેહૂને કહ્યું, “આહાબના પરિવારનો નાશ કરવા માટેની મારી આજ્ઞાનું પાલન તેઁ કર્યું છે તેથી હું તારા પુત્રને, પૌત્રને અને પ્રપૌત્રીને એમ ચોથી પેઢી સુધી તારા વંશજોને ઇસ્રાએલની ગાદી પર બેસાડીશ.”

31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.

ઇસ્રાએલને હરાવતો હઝાએલ

32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી. 33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો.

યેહૂનું મૃત્યું

34 યેહૂના રાજયનાં બીજાં બનાવો અને કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ કાળ વૃત્તાંતમાં નોંધેલા છે. 35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. 36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું.

યહૂદાની અથાલ્યાનું શાસન

11 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

“તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે. બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો. જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે. રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”

તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. 10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં. 11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા. 12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”

13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ. 14 જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”

15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

16 તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.

17 યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાને વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.

18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.

યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા. 19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું. 20 અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.

21 યોઆશ જ્યારે રાજ કરવા આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતીં.

યોઆશ શાસન કરે છે

12 યેહૂના ઇસ્રાએલના રાજા તરીકેના શાસનના સાતમે વર્ષે યોઆશ રાજા બન્યો હતો, અને તેણે યરૂશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યુ હતું. તેની માનું નામ સિબ્યા હતું અને તે બેરશેબાની હતી. યહોયાદા યાજકના ઉપદેશાનુસાર તેણે જીવન પર્યત યહોવાની નજરમાં સાચાં ગણાય એવાં કાર્યો કર્યા હતાં. તેમ છતાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતાં, અને લોકોએ ત્યાં ધૂપ ચડાવવાનું અને દહનાર્પણો ચાલુ રાખ્યા હતા.

યહોઆશનો મંદિર જીણોર્દ્ધારનો હુકમ

યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ. અને જયાં જયાં મંદિરમાં સમારકામ કરવાની જરૂર હોય ત્યાં ત્યાં સમારકામ કરાવે.”

પરંતુ યાજકોએ યોઆશ રાજાના ત્રેવીસમા વર્ષ સુધી મંદિરમાં જરૂરી કોઈ પણ પ્રકારનું સમારકામ કરાવ્યું નહોતું. તેથી રાજાએ બીજા યાજકોને બોલાવડાવ્યા, અને તેમને પૂછયું, “તમે મંદિરનું સમારકામ કેમ કરાવતા નથી? હવેથી તમારે તમારા ભંડારમાંથી કોઇ પૈસા લેવાના નથી, કારણ કે તે પૈસા તમને મંદિરના સમારકામ માટે આપવામાં આવ્યા હતાં.”

યાજકો લોકો પાસેથી કોઇ પૈસા ન લેવા તેમજ મંદિરનું સમારકામ બંધ કરાવવા માટે કબૂલ થયાં. પછી યહોયાદા યાજકે એક મોટી પેટી બનાવડાવી, તેના ઢાંકણામાં કાણું પડાવ્યું અને તેણે એ પેટીને મંદિરના પ્રવેશદ્વાર પાસે બલિદાનની વેદીની જમણી બાજુએ મૂકાવી. મંદિરના દરવાજે કામ કરતા યાજકો લોકો મંદિરમાં જે કોઈ પૈસા લાવતા તે બધાં તે પેટીમાં નાખતા.

10 તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં. 11 પછી એ તોળેલાં-ગણેલાં નાણાં તેઓ સમારકામ પર દેખરેખ રાખનારાઓને આપતા હતા. તેઓ આ નાણાં સુથાર, કડિયા, 12 લાકડાના વેપારીઓ, પથ્થર અને ઇટના વેપારીઓ, અને જેઓએ યહોવાના મંદિરના બાંધકામ માટે સામગ્રી આપી હોય તેમને અને યહોવાના મંદિરના સમારકામ માટેની સામગ્રી લેવા માટે આપતા હતા.

13 આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં. 14 પણ તેઓ આ નાણાંમાંથી કારીગરોને મજૂરી ચૂકવતા અને સમારકામનું ખર્ચ કરતા. 15 જે દેખરેખ રાખનારા મુકાદૃમોને એ નાણાં કારીગરોને ચૂકવવા માટે આપવામાં આવતાં હતાં તેમની પાસે કશો હિસાબ માગવામાં આવતો નહોતો, કારણ કે તેઓ પ્રામાણિક અને વિશ્વાસુ હતા.

16 દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ માટે આપેલાં નાણાં યહોવાના મંદિરમાં લાવવામાં આવતાં નહિ; એ સીધાં યાજકોને તેમના પોતાના ઉપયોગ માટે આપવામાં આવતાં હતાં. આ નાણાં પેલી પેટીમાં મૂકવામાં આવતાં નહિ.

યરૂશાલેમને ઇસ્રાએલથી બચાવતો હઝાએલ

17 આ અરસામાં અરામનો રાજા હઝાએલ ગાથની સામે યુદ્ધે ચડયો અને તેને કબજે કરી યરૂશાલેમ પર હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો.

18 તેથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે કે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝયાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યાં; એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો.

યહોઆશનું મૃત્યુ

19 યોઆશના બીજાં કાર્યો અને તેના શાસન દરમ્યાન બનેલા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખાયેલાઁ છે.

20 તેના પોતાના નોકરો તેની વિરૂદ્ધ થઇ ગયાં. અને સિલ્લાના માર્ગ પર આવેલા મિલ્લો મુકામે તેના પોતાના ઘરમાં તે માર્યો ગયો. 21 તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા.

તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.

યોહાન 1:29-51

ઈસુ દેવનું હલવાન

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે! 30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’ 31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”

32-34 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’ યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો. તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.’”

ઈસુનો પ્રથમ શિષ્ય

35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા. 36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”

37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા. 38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”

તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)

39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.

40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનો[a] ભાઈ હતો. 41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)

42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, “તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે.” (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)

43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”

46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”

ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”

47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”

48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”

49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”

50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International