Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 16-18

16 દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં. અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા. પછી તેણે હાજર રહેલી પ્રત્યેક ઇસ્રાએલી વ્યકિતને, સ્ત્રી તથા પુરુષને સમાન રીતે માંસનો કટકો, સૂકી દ્રાક્ષાનો અકેક ઝૂમખો તથા એક એક ભાખરી વહેંચી આપી.

યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા. આસાફ આગેવાન હતો અને ઝાંઝ વગાડતો હતો. ઝખાર્યા, યઅઝીએલ, શમીરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલીઆબ, બનાયા, ઓબેદ-આદોમ અને યેઇએલ સિતાર અને વીણા વગાડતા હતા. યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું, જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું.

દાઉદની આભારસ્તુતિ

યહોવાના નામની ઘોષણા કરો અને તેઓનો ધન્યવાદ માનો.
    પ્રજાઓ માટેના તેના અદભુત કાર્યોની સ્તુતિ ગાઓ.
એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો.
    તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.
10 તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ,
    તમે યહોવાના ભકતો, આનંદો!
11 યહોવાને અને તેના સાર્મથ્યને તમે શોધો.
    સદાસર્વદા તેના મુખને શોધો.
12 એનાં અનુપમ કાર્યો,
    એના મુખનાં ન્યાયવચનો અને ચમત્કારને યાદ કરો.
13 તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો,
    તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે.
14 તે આપણા યહોવા દેવ છે.
    તેનો ન્યાય સમગ્ર પૃથ્વી પર છે.
15 જે આજ્ઞા, તેણે હજારો પેઢીઓને આપી હતી,
    તે કરારને તમે સદાકાળ યાદ રાખજો.
16 તેણે ઇબ્રાહિમની સાથે જે કરાર કર્યો
    અને તેણે ઇસહાકને જે વચન આપ્યું.
17 યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે
    અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
18 તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ.
    તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.”

19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા.
    છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા.
20 એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં
    તેઓ ભટક્યા કરતા હતા.
21 છતાઁ યહોવાએ કોઇ અત્યાચાર થવા દીધો નહિ,
    એમને માટે તેણે રાજાઓને શિક્ષા કરી.
22 “મારા અભિષિકતોને કોઇ અડશો નહિ,
    મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”
23 સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો,
    દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.
24 દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો.
    એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો.
25 યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે,
    એ સર્વ દેવો કરતાં ભયાવહ છે.
26 સર્વ લોકોના દેવ તો કેવળ મૂર્તિઓ છે!
    પરંતુ યહોવાએ તો આકાશો બનાવ્યાઁ છે.
27 યહોવાની આજુબાજુ ઝળહળ પ્રકાશની આભા છે,
    તેનો આવાસ આનંદથી ભરેલો છે.
28 તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ
    અને સાર્મથ્ય વિષે બોલો.
29 યહોવાના નામનું ગૌરવ કરો;
    તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો,
    તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો.
30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે,
    અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે.
31 ભલે આકાશો આનંદ કરે,
    ને પૃથ્વી હરખાય. “યહોવા રાજા છે” એવી ઘોષણા ભલે પ્રજાઓમાં થાય.
32 સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે,
    ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.
33 અરણ્યાનાં વૃક્ષો યહોવા સમક્ષ હર્ષનાદ કરશે,
    કારણકે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
34 યહોવાનો આભાર માનો કારણ કે તે ભલા છે,
    તેની કૃપા હંમેશ માટે રહે છે.
35 બોલો, “હે દેવ અમને તારણ કરનાર,
    તમે અમારો ઉદ્ધાર કરો,
બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો
    અને અમને એકત્રિત કરો.
અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું;
    અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”
36 હે યહોવા, ઇસ્રાએલના દેવ,
    અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ.

સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાની સ્તુતિ કરી.

37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી. 38 ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં.

39 યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા. 40 તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું. 41 તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા. 42 એમણે અને યદૂથૂને ચાંદીના રણશિંગડાં, ઝાંઝ અને ભજન સાથે વગાડવાનાં અન્ય વાજિંત્રો દેવ સમક્ષ વગાડવાના હતા. યદૂથૂનના પુત્રોને દ્વારપાળનું કામ સોંપવામા આવ્યું હતું.

43 પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.

દેવનું દાઉદને વચન

17 પોતાના નવા મહેલમાં થોડો સમય રહ્યા પછી દાઉદે પ્રબોધક નાથાનને કહ્યું, “જો હું દેવદારના કાષ્ટના મહેલમાં રહું છું. પરંતુ યહોવાનો કરારકોશ મંડપમાં છે!”

નાથાને દાઉદને કહ્યું, “આપના મનમાં જે હોય તે કહો, કારણ, દેવ આપની પડખે છે.”

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.

“જા, અને મારા સેવક દાઉદને આ સંદેશો આપ, ‘તું મારે માટે રહેવાનું મંદિર બાંધવાનો નથી. હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો ત્યારથી આજપર્યંત હું કદી કોઇ મકાનમાં રહ્યો નથી. હું એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહું છું. ઇસ્રાએલીઓ સાથેના મારા પ્રવાસ દરમ્યાન મેં કદી મારી પ્રજાના ભરવાડ તરીકે નિમેલા નેતાઓમાંના કોઇને કદી એમ પૂછયું છે કે, તેમણે મારા માટે દેવદારનું મકાન કેમ બાંધ્યુ નથી?’

“મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાનાં આ વચન છે; તું ચરાણમાં ઘેટાં ચરાવતો હતો. ત્યાંથી લઇને મેં તને મારા લોકો ઇસ્રાએલીઓનો આગેવાન બનાવ્યો હતો. તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ. હું મારા લોકો ઇસ્રાએલીઓને માટે એક સ્થાન મુકરર કરીશ અને તેઓને તેમાં સ્થિર કરીને વસાવીશ; ત્યાં તેઓ વસશે અને કોઇ તેમને રંજાડશે નહિ અગાઉ, બનતું હતું તેવું થશે નહિ. 10 જ્યારે મે મારા લોકો ઇસ્રાએલીઓ પર ન્યાયાધીશો નિયુકત કર્યા હતા. પરંતુ તારા સર્વ શત્રુઓને તારે શરણે લાવીશ, અને હું હવે જાહેર કરું છું, હું તારા વંશજોને રાજા બનાવીશ.

11 “‘અને જ્યારે તારો સમય પૂરો થશે અને જઇને તું તારા પિતૃઓની સાથે જોડાઇશ, ત્યારે હું તારા સગા પુત્રને ગાદીએ બેસાડીશ અને તેના રાજ્યને સુરક્ષિત કરીશ. 12 તે જ મારે માટે મંદિર બંધાવશે. અને હું તેની રાજગાદીને કાયમ કરીશ. 13 હું તેનો પિતા થઇશ અને તે મારો પુત્ર થશે. મેં તારા પુરોગામી ઉપરથી મારી કૃપાષ્ટિ પાછી ખેંચી લીધી હતી તેમ હું એના પ્રત્યે કદીય દયાળુ થવાનું બંધ નહિ કરું. 14 હું એના હાથમાં મારા લોકો અને મારું રાજ્ય સોંપીશ. અને તેની ગાદી હંમેશા સુરક્ષિત રહેશે.’”

15 પછી નાથાન દાઉદ રાજા પાસે ગયો અને યહોવાએ દર્શનમાં જે કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.

દાઉદની પ્રાર્થના

16 ત્યારબાદ રાજા દાઉદ યહોવા સમક્ષ ગયો અને તેની સામે બેસીને બોલ્યો,

“હે યહોવા દેવ, હું કોણ અને મારું કુટુંબ કોણ? કે તેં મને આટલે ઊંચે સુધી ઊઠાવ્યો છે. 17 અને તેમ છતાં, હે દેવ, એટલું પૂરતું ન હોય તેમ તેઁ તારા સેવકના દૂરના ભવિષ્યના વંશજો માટે પણ વચન આપ્યું છે અને તું તો મને અત્યારથી જ એક મહાપુરૂષ ગણીને ચાલે છે. 18 તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે; 19 હે યહોવા, મારા પ્રત્યે તમારું માયાળુપણું અને તમારી ઉદારતા અતિઘણાં થયા છે અને તમે આ અદભૂત વચનો મને આપ્યાં છે, એ સર્વ તમારી મહાન ઉદારતાને કારણે છે. 20 હે યહોવા, અમે તમારા સમાન અન્ય કોઇ દેવ વિષે સાંભળ્યું નથી. તમારા સિવાય અન્ય કોઇ દેવ નથી. 21 પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય? 22 તમે તમારા લોકો ઇસ્રાએલીઓને સદાને માટે અપનાવી લીધા છે અને, હે યહોવા, તમે તેમના દેવ બન્યા છો.

23 “અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો. 24 જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય, અને લોકો કહે કે, ‘સર્વસમર્થ યહોવા ઇસ્રાએલના દેવ છે.’ અને એ રીતે તમારા સેવક દાઉદનો વંશ તમારી નજર નીચે અવિચળ રહેશે.

25 “હે મારા દેવ, તમારા આ સેવકના વંશને રાજગાદી પર સ્થાપવાનો તમારો ઇરાદો તમે મારી આગળ પ્રગટ કર્યો છે તેથી હું તમારી આગળ આવી પ્રાર્થના કરવાની હિંમત કરું છું. 26 હે યહોવા, તમે જ દેવ છો, અને તમે જ તમારા સેવકને આ શુભ વચન આપ્યુ છે. 27 આ સેવકના વંશને આશીર્વાદ આપવાની કૃપા કરશો, જેથી તે સદાસર્વદા તમારી નજર નીચે રહે. જ્યારે તમે તમારા આશીર્વાદ આપ્યા છે, તો એ આશીર્વાદ હંમેશા માટે રહો.”

દુશ્મનો પર દાઉદનો વિજય

18 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.

તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો. દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.

દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા. અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.

દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો. વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.

હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે, 10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો. 11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.

12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા. 13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

દાઉદના મહત્વના કામદારો

14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં. 15 સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.

યોહાન 7:28-53

28 ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29 પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”

30 જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31 પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”

યહૂદિઓ ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે

32 ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા. 33 પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ. 34 તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”

35 યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે? 36 માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”

ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે

37 પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38 જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39 ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.

ઈસુની લોકો વિષે દલીલ

40 લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”

41 બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”

બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42 શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43 તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44 કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.

યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી

45 મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”

46 મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”

47 ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48 અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49 પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”

50 નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,

51 “માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”

52 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”

વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી

[53 [a] બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International