Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 7-9

મંદિરમાં પ્રતિષ્ઠાપન

સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું. જેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી શક્યાં નહિ. વળી યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. તમામ ઇસ્રાએલીઓએ અગ્નિને ઉતરતો અને યહોવાના ગૌરવને મંદિર ઉપર સ્થિર થતો જોઇને ફરસબંદી ઉપર લાંબા થઇને પ્રણામ કર્યા. અને યહોવાનો આભાર માન્યો, અને એમ કહ્યું,

“તે ભલાઇનો ભંડાર છે,
    તેની કરૂણા શાશ્વત છે.”

ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં. રાજા સુલેમાને 22,000 બળદ અને 1,20,000 ઘેટાનું બલિદાન આપ્યું. આ રીતે, રાજાએ અને બધા લોકોએ મંદિરનું સમર્પણ કર્યુ. યાજકો પોતપોતાના કામ પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા, એ જ રીતે લેવીઓ પણ યહોવાના કીર્તન વખતે વગાડવા માટે દાઉદે બનાવેલાં વાજિંત્રો લઇને ઊભા રહ્યા અને દાઉદે રચેલા સ્તવનો ગાવા લાગ્યાં કે, “તે ભલાઇનો ભંડાર છે, અને તેની કરૂણા શાશ્વત છે.” તેમની બાજુમાં યાજકો રણશિંગડાં ફૂંકતા હતા. બધા ઇસ્રાએલીઓ ત્યાં ઊભા હતા.

ત્યારબાદ સુલેમાને યહોવાના મંદિરની આગળ આવેલા ચોકનો વચલો ભાગ પણ પવિત્ર કર્યો. ત્યાં તેણે દહનાર્પણો, ખાદ્યાર્પણો તથા શાંત્યર્પણોના ચરબીવાળા ભાગો ધરાવ્યાં. કારણ સુલેમાને જે પિત્તળની વેદી બનાવડાવી હતી તેમાં આ બધી બલિઓ સમાઇ શકે એમ ન હતી.

આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો. અને આઠમે દિવસે ખાસ મુલાકાત રાખી કરી. કારણ કે સાત દિવસ સુધી વેદીના સમર્પણની ઉજવણી કરી હતી અને સાત દિવસ સુધી તે લોકોએ ઉજવણી કરી. 10 સાતમા મહિનાના ત્રેવીસમા દિવસે સુલેમાને લોકોને પોતપોતાને ઘેર મોકલી દીધા. યહોવાએ દાઉદનું, સુલેમાનનું, અને પોતાની ઇસ્રાએલી પ્રજાનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકતાં હૈયે સૌ છૂટા પડ્યા.

સુલેમાનને દેવ દર્શન

11 આમ સુલેમાને દેવનાં મંદિરનું અને પોતાના મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. જે કાંઇ તેણે વિચાર્યુ હતું તે બધું જ તેણે પૂર્ણ કર્યુ. 12 તેથી રાત્રે યહોવાએ તેને દર્શન આપ્યા અને કહ્યું,

“મેં તમારી પ્રાર્થના સાંભળી છે અને મને હોમયજ્ઞ અર્પવા માટે આ સ્થાન પસંદ કર્યું છે. 13 હું આકાશના દ્વાર બંધ કરી દઉં અને વરસાદ ન વરસે, અથવા હું તીડોને પાક ખાઇ જવાની આજ્ઞા કરું, અથવા લોકોમાં રોગચાળો મોકલું, 14 તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માર્ગેથી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ. 15 આ સ્થળે કરેલી પ્રત્યેક પ્રાર્થના સંબંધી હું જાગ્રત રહીશ અને તે સાંભળીશ. 16 કારણકે મારા સદાકાળના નિવાસસ્થાન માટે મેં આ મંદિરને પસંદ કરીને પવિત્ર કર્યુ છે. મારી આંખો અને મારું અંત:કરણ સદા અહીં જ રહેશે. 17 તારા પિતા દાઉદની જેમ જો તું મને આધીન રહેશે, હું જે કઇં કહું તે બધું કરશે અને મારા નિયમો અને કાનૂનનોનું પાલન કરશે, 18 પછી તે હું કરીશ, તે તું અને તારા વંશજો હંમેશા ઇસ્રાએલના રાજા બની રહો. એવું વચન મે તારા પિતા દાઉદને આપ્યુ હતું

19 “પણ જો તમે મારાથી વિમુખ થઇ જશો અને મારી આજ્ઞાઓ અને મારી આજ્ઞાઓ ત્યાગ કરી બીજા દેવોની આરાધના અને સેવા કરશો, 20 તો મેં તમને જે ભૂમિ આપી છે તેમાંથી તમને ઉખેડી નાખીશ અને મને અર્પણ કરેલા આ મંદિરનો હું ત્યાગ કરીશ અને આ જગ્યામાં કાંઇક ખરાબ બન્યું હતું તેના માટે આ મંદિરને હું પ્રસિદ્ધ કરીશ. 21 તેની ખ્યાતિને બદલે ત્યાં થઇને પસાર થનારાઓ આશ્ચર્ય પામી પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા શા માટે કરી?’ 22 અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.’”

સુલેમાને વસાવેલા નગરો

સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ થયાં હતા. રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો. ત્યારબાદ તેણે હમાથ જઇને તે કબ્જે કર્યું. અને તેણે રણમાં આવેલા તાદમોરને ફરીથી બંધાવ્યું અને હમાથમાં શહેરો બંધાવ્યા જ્યા લશ્કરી પડાવ હતો. તેણે ઉપરના બેથ-હોરોન અને નીચેના બેથ-હોરોન કિલ્લેબંધીવાળા બનાવ્યાં. તેણે શહેરોને સળિયા જડેલા દરવાજાઓ સાથે મજબૂત કિલ્લામાં ફેરવી નાખ્યા. તેઓને પણ કોઠારના કેન્દ્રો બનાવ્યા ઉપરાંત બાઅલાથ અને પોતાની માલિકીના બધા લશ્કરી થાણા વાળા શહેરો, એના રથો અને ધોડાઓ જેમાં રાખવામાં આવ્યા હતા તે નગરી તથા પોતે યરૂશાલેમમાં, લબાનોનમાં તથા પોતાના તાબાના આખા પ્રદેશમાં જે જે બંધાવવાનું ધાર્યુ હતું તે બધું એણે બંધાવ્યું.

હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા, એટલે કે જેઓનું ઇસ્રાએલીઓ નિકંદન કાઢી શક્યા નહોતા, તેઓ પાસે સુલેમાને ગુલામનું કામ કરાવડાવ્યું, જે આજે પણ ચાલુ છે. પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા. 10 લોકો ઉપર દેખરેખ રાખનાર અધિકારીઓની કુલ સંખ્યા 250 હતી.

11 સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.”

12 ત્યારબાદ સુલેમાને મંદિરની સામે બંધાવેલી વેદી ઉપર યહોવાને, મૂસાની આજ્ઞા મુજબ, તે દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું. 13 દરરોજ, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, તથા ત્રણ વાર્ષિક ઉત્સવોને દિવસે એટલે કે બેખમીર રોટલીને ઉત્સવ, સપ્તાહોના પર્વનો ઉત્સવ, અને માંડવાઓપર્વના ઉત્સવને દિવસે સુલેમાન મૂસાની આજ્ઞા પ્રમાણે બલિદાનો અર્પણ કરતો હતો. 14 તેણે દેવના સેવક પોતાના પિતા દાઉદે તૈયાર કરેલા આયોજન મુજબ સેવાપૂજાનાં કાર્યો માટે યાજકોની ટોળી નક્કી કરી, રોજની વિધિ અનુસાર યાજકોને સેવાપૂજામાં મદદ કરવા લેવીઓની ટૂકડીઓની નિમણૂંક કરી, અને દરેક દરવાજે દરવાનોની ટૂકડી પણ નક્કી કરી. 15 દાઉદે યાજકોને, લેવીઓને અને ભંડારોને લગતી જે આજ્ઞાઓ આપી હતી તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.

16 આમ, યહોવાના મંદિરના પાયાથી માંડીને એની સમાપ્તિ સુધીનું સુલેમાનનું બધું કામ પૂર્ણ કર્યુ.

17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો. 18 હૂરામે પોતાના અમલદારો મારફતે સુલેમાન માટે અનુભવી નાવિકો સાથે હોડીઓ મોકલી આપી, તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર જઇને ત્યાંથી 15,300 કિલો સોનું લઇ આવ્યાં અને તે સુલેમાનને પહોંચાડ્યું.

શેબાની રાણીની મુલાકાત

સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીર્તિ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી. સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા. એક પ્રશ્ર્ન પણ એવો નહોતો જેનો સુલેમાન જવાબ ન આપી શકે. શેબાની રાણીએ જાણ્યું કે, સુલેમાન સાચે જ જ્ઞાની હતો અને તેના મહેલની સુંદરતા અવર્ણનીય હતી. શેબાની રાણીની થાળીમાં પીરસાતી વાનગીઓ, આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો તથા સુંદર પોષાકોમાં અંગરક્ષકો, વહીવટી અમલદારો તથા યહોવાના મંદિરમાં ધરાવાતા દહનાર્પણો જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ.

પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. અહીં આવીને મેં મારી આંખોએ આ જોયું નહોતું ત્યાં સુધી હું તે માનતી નહોતી, મેં કલ્પના કરી હતી તેના કરતાં તમારું જ્ઞાન અતિ વિશાળ છે! તમારી રાણીઓ કેટલી સુખી છે! સદા તમારી તહેનાતમાં રહેતા અને તમારી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ પણ કેટલાં ભાગ્યશાળી છે! યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.”

ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું, પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યું. શેબાની રાણીએ રાજા સુલેમાનને ભેટ ધરેલાં અત્તરો કદી કોઇએ જોયાં નહોતાં.

10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા. 11 એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.

12 રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી.

સુલેમાનની ભવ્ય સંપત્તિ

13 રાજા સુલેમાનને પ્રતિ વર્ષ 22,644 કિલો સોનું આવતું હતું. 14 આ તો વેપારીઓ ને ધંધાંદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા.

15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું. 16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે “લબાનોનના વનગૃહ” કહેવાતા મહેલમાં મૂકાવી.

17 સુલેમાન રાજાએ પોતાના માટે એક હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું અને તેને સોનાથી મઢાવ્યું. 18 એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું. 19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.

20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.

21 દર ત્રણ વર્ષે રાજાના વહાણો, હૂરામ રાજાના નાવિકો સાથે તાશીર્શ જતાં અને ત્યાંથી સોનું-ચાંદી, હાથીદાંત, વાંદરા અને મોર લાવતાં.

22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો, 23 સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા, 24 તેઓ બધા પ્રતિવર્ષ એક યા બીજી વસ્તું ભેટ સોગાદો રૂપે લઇને આવતા: સોનાચાંદીના વાસણો, કીમતી વસ્રો, શસ્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચરો.

25 સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. 26 યુફ્રેટીસના બધાં રાજાથી માંડીને પલિસ્તીઓની ભૂમિ સુધી અને મિસરની સરહદ સુધી તેની આણ વર્તાતી હતી. 27 સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું. 28 સુલેમાનને માટે મિસર અને બીજા બધા દેશોમાંથી ઘોડા આયાત કરવામાં આવતા હતા.

સુલેમાનનું મૃત્યુ

29 સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે. 30 સુલેમાન રાજાએ યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ કર્યુ. 31 ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.

યોહાન 11:1-29

લાજરસનું મૃત્યુ

11 ત્યાં લાજરસ નામનો એક માણસ હતો જે માંદો હતો. તે બેથનિયાના ગામમાં રહેતો હતો. આ તે ગામ હતું જ્યાં મરિયમ તથા તેની બહેન માર્થા રહેતાં હતાં. (મરિયમ એ જ સ્ત્રી છે જેણે પ્રભુ (ઈસુ) પર અત્તર છાંટયું હતું અને તેના પગ પોતાના વાળ વડે લૂછયા હતા,) મરિયમનો ભાઈ લાજરસ હતો, જે માણસ હવે માંદો હતો. તેથી મરિયમ અને માર્થાએ ઈસુને કહેવા માટે એક વ્યક્તિને મોકલી, “પ્રભુ, તારો પ્રિય મિત્ર લાજરસ માંદો છે.”

જ્યારે ઈસુએ આ સાંભળ્યું, તેણે કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી દેવના મહિમા માટે છે. દેવના દીકરાનો મહિમા લાવવા માટે આમ થયું છે.” (ઈસુએ માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ રાખ્યો હતો.) યારે ઈસુએ સાંભળ્યું કે લાજરસ માંદો છે ત્યારે પોતે જ્યાં હતો તે જ જગ્યાએ તે બે દિવસ વધારે રહ્યો. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “આપણે પાછા યહૂદિયા ફરીથી જવું જોઈએ.”

શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “ત્યાં દિવસના બાર કલાક પ્રકાશના હોય છે. ખરું ને? જો કોઈ વ્યક્તિ દિવસ દરમ્યાન ચાલે તો પછી તે ઠોકર ખાઈને પડતો નથી. શા માટે? કારણ કે તે આ જગતના પ્રકાશ વડે જોઈ શકે છે. 10 પણ જ્યારે વ્યક્તિ રાત્રી દરમ્યાન ચાલે છે, તે ઠોકર ખાય છે. શા માટે? કારણ કે તેને જોવા માટે મદદ કરનાર પ્રકાશ હોતો નથી.”

11 ઈસુએ આ વાતો કર્યા પછી તેણે કહ્યું, “આપણો મિત્ર લાજરસ હવે ઊંઘે છે. પણ હું તેને જગાડવા જઈશ.”

12 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, પણ જો તે ઊંઘતો હશે તો તે સાજો થશે.” 13 ઈસુએ તો તેના મરણ વિષે કહ્યુ હતુ: પણ ઈસુના શિષ્યોને એવું લાગ્યું કે તેણે ઊઘમાં વિસામો લેવા વિષે કહ્યુ હતું.

14 તેથી ત્યાર બાદ ઈસુએ સ્પષ્ટ કહ્યું, “લાજરસ મૃત્યુ પામેલ છે. 15 અને મને આનંદ છે કે હું ત્યાં ન હતો. હું તમારી ખાતર પ્રસન્ન છું. કારણ કે હવે તમે મારામાં વિશ્વાસ કરશો. હવે આપણે તેની પાસે જઈશું.”

16 પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”

બેથનિયામાં ઈસુ

17 ઈસુ બેથનિયામાં આવ્યો. ઈસુએ જોયું કે લાજરસ ખરેખર મૃત્યુ પામેલો છે અને ચાર દિવસથી કબરમાં છે. 18 બેથનિયા યરૂશાલેમથી બે માઈલ દૂર હતું. 19 ઘણા યહૂદિઓ માર્થા અને મરિયમ પાસે આવ્યા. યહૂદિઓ માર્થા અને મરિયમને તેમના ભાઈ લાજરસ સંબંધી દિલાસો આપવા આવ્યા હતા.

20 માર્થાએ સાંભળ્યું કે ઈસુ આવે છે. તે ઈસુને મળવા સામે ગઈ. પરંતુ મરિયમ ઘરે રહી. 21 માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ. 22 પરંતુ હું જાણું છું કે હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે.”

23 ઈસુએ કહ્યું, “તારો ભાઈ ઊઠશે અને તે ફરીથી જીવતો થશે.”

24 માર્થાએ ઉત્તર આપ્યો, “છેલ્લે દિવસે લોકો પુનરુંત્થાન (મરણમાંથી ઉઠશે) પામશે ત્યારે તે ફરીથી પાછો ઊઠશે. એ હું જાણું છું.”

25 ઈસુએ તેને કહ્યું, “હું પુનરુંત્થાન છું. હું જીવન છું. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેના મૃત્યુ પછી ફરીથી જીવન પ્રાપ્ત કરશે. 26 અને જે વ્યક્તિ જીવે છે અને વિશ્વાસ કરે છે તે ખરેખર કદી મૃત્યુ પામશે નહિ. માર્થા, શું તું એવો વિશ્વાસ કરે છે?”

27 માર્થાએ ઉત્તર આપ્યો, “હા, પ્રભુ. મને વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તું જે જગતમાં આવનાર તે જ છે.”

ઈસુ રડે છે

28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.” 29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International