Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 19-21

પ્રબોધક યશાયાની યહૂદા માટે મધ્યસ્થી

19 હિઝિક્યા રાજાએ તેઓની પાસેથી સંદેશો સાંભળ્યો ત્યારે તરત જ તેણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. ત્યાર પછી તેણે શણનાં વસ્ત્રો પહેર્યાં પછી તે યહોવાના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો.

તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા. તેમણે જઈને કહ્યું, હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: “આજે અમારા માટે દુ:ખનો દિવસ છે, સજાનો અને નામોશીનો દિવસ છે; કેમ કે બાળક જન્મવા તૈયાર છે, પણ તેને જન્મ આપવાની શકિત માતા પાસે નથી, એવી અમારી દશા છે. આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”

રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો. યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો, યહોવા કહે છે કે, ‘આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.’”

હિઝિક્યાને ચેતવતો આશ્શૂરનો રાજા

આશ્શૂરનો વડો અમલદાર પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા લાખીશ તેને છોડી જઈ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઈને મળ્યો. આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે, “કૂશનો રાજા તિર્હાકાહ તેના પર ચઢાઈ કરવા આવે છે.”

એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝિક્યાને પત્ર મોકલી કહેવડાવ્યું કે, 10 “તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે,

‘તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે,યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી. 11 તું તો સારી રીતે જાણે છે કે આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા ત્યાં તેઓએ શું કર્યુ છે. તેઓએ સર્વનાશ કર્યો છે, તો પછી એ તને કયાંથી છોડવાનો છે? 12 પ્રજાઓના દેવો, જેનો મારા પૂર્વજોએ વિનાશ કર્યો હતો તેમને બચાવી શક્યા? તેમાં ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો સમાવેશ થાય છે? 13 હમાથના રાજાની, આર્પાદના રાજાની, સફાર્વાઇમના રાજાની તથા હેનાના અને ઇવ્વાહના રાજાની કેવી દશા થઈ?’”

યહોવાને પ્રાર્થના કરતો હિઝિક્યા

14 હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો. 15 પછી હિઝિક્યાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે, હે ઇસ્રાએલના દેવ યહોવા, “જેમનું આસન કરૂબના દેવદૂતો પર છે, પૃથ્વી પરનાં સર્વ લોકોના દેવ તમે એકલા જ છો, તમે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છો. 16 હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે. 17 હવે યહોવા, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે. 18 અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો. 19 પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”

20 પછી આમોસના પુત્ર યશાયાએ હિઝિક્યાને સંદેશો પહોંચાડયો કે, “ઇસ્રાએલના દેવ યહોવા આમ કહે છે કે: તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરૂદ્ધ મને પ્રાર્થના કરી હતી. મેં તારી પ્રાર્થના સંભળી છે.

21 “તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:

‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે,
    તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે;
    યરૂશાલેમની પુત્રીએ તારા તરફ
    પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તમે કોની મજાક કરી છે?
    કોની ટીકા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે?
    તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!
23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે.
    તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું,
    તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા;
    હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો.
24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે,
    અને મારા પગનાં તળિયાથી
    મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.”
25 તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું.
પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી
    અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે.
    મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન,
    ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા,
અને વગડાના છોડ જેવા,
    કુમળાં ઘાસ જેવા,
ધાબા પર ઊગી નીકળેલાં,
    ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું,
તારું બહાર જવું,
    તારું અંદર આવવું
    તથા મારા પર તારું
કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું.
28 મારા પર ક્રોધ કરવાને લીધે હું
    તારા નાકમાં કડી પહેરાવવાનો છું
અને તારા મોંમા લગામ નાખવાનો છું
    અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું
તને પાછો વાળી દેવાનો છું.’”

હિઝિક્યાને યહોવાનો સંદેશ

29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, “આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો. 30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે; 31 કારણ કે યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે, યહોવાની આસ્થાના પ્રતાપે આ બધું સિદ્ધ થશે.

32 “એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે,

‘તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
    તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે,
ઢાલ લઈને એની સામે નહિ આવે,
    તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે.
    આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
34 મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું
    આ નગરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઈશ.’”

આશ્શૂરી સેનાનો વિનાશ

35 એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.

36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો. 37 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના પુત્રો આદામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી “અરારાટ” દેશમાં ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદોન તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કર્યું.

હિઝિક્યાની માંદગી

20 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”

ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી; “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું” અને તે ચોધાર આંસુએ રડી પડયો.

યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે, “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ. હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”

યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”

પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”

યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”

10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”

11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.

બાબિલનો માણસ અને હિઝિક્યા

12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. 13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.

14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”

હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”

હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”

16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે; 17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ. 18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”

19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”

તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”

20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું યહૂદાના રાજાઓનાં ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.

મનાશ્શાનો દુષ્ટ અમલ

21 યહૂદાનો નવો રાજા મનાશ્શા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં 55 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ હેફસીબાહ હતું.

યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું જેવી કે પ્રજાઓ દ્વારા કરાતી તિરસ્કૃત વસ્તુઓ જેને યહોવાએ હાંકી કાઢી હતી જ્યારે યહોવાએ તેમની જમીન ઇસ્રાએલીઓને આપી દીધી હતી. તેના પિતા હિઝિક્યાએ તોડી પાડેલા ઉચ્ચસ્થાનો પરનાં થાનકો તેણે ફરી બંધાવ્યાં, તેણે બઆલને માટે યજ્ઞ વેદીઓ ચણાવી અને ઇસ્રાએલના રાજાની જેમ અશેરાદેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, અને આકાશમાંનાં બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરૂ કર્યું. જે મંદિર વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારા નામની સ્થાપના કરીશ.” તે મંદિરમાં તેણે વેદીઓ ઊભી કરી. યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી. તેણે પોતાના પુત્રને હોમયજ્ઞમાં હોમી દીધો. તે લાભમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો.

તેણે યહોવાને ન ગમે તેવાં બીજા અનેક કાર્યો કરી યહોવાનો રોષ વહોરી લીધો. તેણે અશેરાદેવીની કંડારેલી મૂર્તિ બનાવડાવી અને તેને યહોવાના મંદિરમાં સ્થાપી, જે યહોવાએ દાઉદને અને તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે, ઇસ્રાએલના બધા વંશોના પ્રદેશમાંથી યરૂશાલેમ નગરીનો આ પ્રદેશ પસંદ કર્યો હતો. જ્યાં મારું મંદિર છે અને મારું નામ જ્યાં હંમેશા સ્થપાયેલું રહેશે. જો ઇસ્રાએલીઓ મારા સેવક મૂસાએ તેમને સોંપેલી મારી બધી આજ્ઞાઓ અને મારા ઉપદેશોનું પાલન કરશે તો હું તેમને, તેમના પૂર્વજોની ભૂમિમાંથી જવા નહિ દઉ. પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.

10 ત્યારે યહોવાએ પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું કે, 11 “યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે. 12 તેથી હું આ વચનો ઉચ્ચારું છું: ‘હું યહોવા, યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત ઉતારીશ કે જે કોઈ એ સાંભળશે તેના કાનમાં તે ગુંજયાં કરશે. 13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ. 14 મારા પોતાના લોકોમાંના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેમને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ; તેઓ લૂંટનો અને દુશ્મનોનો ભોગ થઈ પડશે. 15 કારણ તેમના પિતૃઓએ મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી આજ સુધી મારી દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી તેમણે મારો રોષ વહોરી લીધો છે. 16 વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિર્દોષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.’”

17 મનાશ્શાનાઁ શાસનનાં બીજા બનાવો અને કાર્યો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 18 મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

આમોનનું ટૂંક શાસન

19 જ્યારે આમોન રાજા બન્યો ત્યાંરે તેની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાહના હારુસની પુત્રી હતી.

20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું. 21 તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી. 22 તેણે પોતાના પિતૃઓના યહોવા દેવનો ત્યાગ કર્યો અને દેવની સલાહ સાંભળવાની ના પાડી.

23 આખરે તેના નોકરોએ તેની વિરૂદ્ધ કાવતરું ઘડીને, અને તેને રાજમહેલમાં મારી નાખ્યો. 24 પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો.

25 રાજા આમોનનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાયેરા યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 26 તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો.

યોહાન 4:1-30

સમરૂનમાં એક સ્ત્રી સાથે ઈસુની વાત

ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાન કરતાં વધારે લોકોને તેના શિષ્યો બનાવીને બાપ્તિસ્મા આપે છે. (પણ ખરેખર ઈસુ પોતે લોકોને બાપ્તિસ્મા આપતો નહોતો. તેના શિષ્યો લોકોને તેના માટે બાપ્તિસ્મા આપતા હતા.) ઈસુએ જાણ્યું કે ફરોશીઓએ તેના વિષે સાંભળ્યું છે. તેથી ઈસુ યહૂદિયા છોડીને ફરી પાછો ગાલીલમાં ગયો. ગાલીલના રસ્તામાં ઈસુને સમરૂનના વિસ્તારમાં થઈન જવું પડ્યું.

ઈસુ સમરૂનમાં સૂખાર નામના શહેરમાં આવ્યો. આ શહેર એક ખેતર નજીક હતું, જે યાકૂબે તેના દીકરા યૂસફને આપ્યું હતું. ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ તેની લાંબી યાત્રાથી થાક્યો હતો. તેથી ઈસુ કૂવાની બાજુમાં બેઠો. તે વેળા લગભગ બપોર હતી. એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી. ઈસુએ તેણીને કહ્યું, “કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ.” (ઈસુના શિષ્યો ખાવાનું ખરીદવા માટે ગામમાં ગયા હતા ત્યારે આ બન્યું.)

તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે! તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું!” (યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી.)

10 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી. જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત.”

11 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ? તે કૂવો ઘણો ઊંડો છે. અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી. 12 તું અમારા પિતા (પૂર્વજ) યાકૂબ કરતાં મોટો છે? યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેણે પોતે તેમાંથી પાણી પીધું. તેના દીકરાઓ અને તેનાં બધાં પશુઓએ આ કૂવામાંથી પાણી પીઘું.”

13 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે. 14 પણ જે વ્યક્તિ, હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી. પણ જે પાણી હું તેને આપીશ, તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે. તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે.”

15 તે સ્ત્રીએ ઈસુને કહ્યું, “પ્રભુ, મને એ પાણી આપ. પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ. અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ.”

16 ઈસુએ તેને કહ્યું, “જા તારા પતિને બોલાવી લાવ અને પછી પાછી અહીં આવ.”

17 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પણ મારે પતિ નથી.”

ઈસુએ તેને કહ્યું, “તેં બરાબર કહ્યું છે કે તારે પતિ નથી. 18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”

19 તે સ્ત્રીએ કહ્યું, “પ્રભુ, હું જોઈ શકું છું કે તું એક પ્રબોધક છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”

21 ઈસુએ કહ્યું, “બાઈ, મારું માન! હવે એવો સમય આવે છે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પિતા (દેવ) નું ભજન નહિ કરશો. 22 તમે સમરૂનીઓ, તમે જે જાણતા નથી તેને ભજો છો. અમે યહૂદિઓ જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, યહૂદિઓમાંથી ઉદ્ધાર આવે છે. 23 હવે તે સમય આવે છે જ્યારે સાચા ભજનારાઓ આત્માથી તથા સત્યતાથી પિતાને ભજશે. હવે તે સમય અહીં છે. અને આ પ્રકારના લોકો તેના ભજનારા થાય તેમ પિતા ઈચ્છે છે. 24 દેવ આત્મા છે. તેથી જે લોકો દેવને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”

25 તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ આવે છે.” (મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે) “જ્યારે મસીહ આવશે ત્યારે તે આપણને બધું સમજાવશે.”

26 પછી ઈસુએ કહ્યું, “જે વ્યક્તિ હમણાં તારી સાથે વાત કરે છે. હું તે મસીહ છું.”

27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા “તું શા માટે તેની સાથે વાત કરે છે?”

28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું, 29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.” 30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International