Old/New Testament
સુલેમાનની જ્ઞાન માટેની પ્રાર્થના
1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો. કારણકે તેના દેવ યહોવા તેની મદદમાં હતા. દેવે તેનો મહિમા ખૂબ વધાર્યો.
2 તેણે લશ્કરના સર્વ અધિકારીઓને, ન્યાયાધીશોને તેમજ આગેવાનો અને ઇસ્રાએલના કુટુંબના વડીલોને ગિબયોનમાં એકત્ર કર્યા. 3 ત્યારબાદ સુલેમાન, સૌને ગિબયોન પર્વતની ટોચે લઇ ગયો, જ્યાં દેવનો મુલાકાત મંડપ હતો, જે મૂસા અને તેના લોકોએ તેમની અરણ્યની મુસાફરી દરમ્યાન તે બાંધ્યો હતો. 4 દેવનો કરારકોશ ત્યાં ન હતો કારણકે દાઉદ દેવનો કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવ્યો હતો જ્યાં તેણે તેના માટે એક નવો મંડપ તૈયાર કર્યો હતો. 5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી. 6 સુલેમાને યહોવાની સામે મુલાકાતમંડપ પાસે જે પિત્તળની વેદી હતી. તેના પર 1,000 દહનાર્પણો ચઢાવ્યા.
7 તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”
8 સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે. 9 હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે. 10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”
11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે. 12 ઉપરાંત, હું તને એવાં તો ધન, સંપત્તિ અને જાહોજલાલી આપીશ કે જેવાં તારી પહેલાંના કોઇએ પણ ન ભોગવ્યાં હોય કે તારી પછી કોઇ ભોગવશે નહિ.”
13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું.
સેના અને સંપત્તિ ઊભી કરતો સુલેમાન
14 સુલેમાને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી. તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા, તેમાંના કેટલાક તેણે રથ રાખવાના નગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા. 15 એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું. 16 સુલેમાનના ઘોડા મિસર માંથી આણેલા હતા; રાજાના સોદાગરો એ ઘોડાઓને જથાબંદમા ખરીદી કરી હતી. 17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા.
મંદિરના બાંધકામનું આયોજન
2 સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો. 2 તેણે 70,000 લોકોને હમાલ તરીકે સામાન ઊંચકવા માટે, 80,000 માણસોને પર્વતોમાં પથ્થરો કાપવા માટે તથા 3,600 લોકોને તેઓના ઉપર દેખરેખ રાખવા મુકાદમો તરીકે રાખ્યા.
3 ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે,
“તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું. 4 અત્યારે હું મારા દેવ યહોવા માટે મંદિર બાંધવા માંગુ છું, જ્યાં તેની સમક્ષ નિત્ય ધૂપ થાય, નિત્ય એની સામે રોટલી અપિર્ત થતી રહે, વિશ્રામવારોએ, અમાસને દિવસે અને અમારા દેવ યહોવા દ્વારા ઠરાવાયેલા બીજા ઉત્સવોને દિવસે સવારેને સાંજે દહનાર્પણ અપાય, કારણકે ઇસ્રાએલને માથે એ કાયમી ફરજ છે.
5 “હું જે મંદિર બાંધવાનો છું તે ઘણું મોટું થવાનું છે, કારણ, અમારો દેવ સર્વ દેવો કરતઁા મોટો છે. 6 પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે.
7 “તેથી સોના ચાંદીનું, અને પિત્તળ તથા લોખંડનું કામ કરનારા કુશળ કારીગરો; તથા કિરમજી, લાલ અને આસમાની રંગના કાપડ નું શું કરવું એ જાણનાર લોકોને મારી પાસે મોકલી આપો. વળી મારા પિતા દાઉદે પસંદ કરેલા યહૂદિયા અને યરૂશાલેમના કારીગરો સાથે કામ કરી શકે તેવા કોતરણી કામના નિષ્ણાંત કારીગરોને મોકલી આપો. 8 વળી, મને દેવદારનું, પાઇનના વૃક્ષનું અને ઓલ્ગમંના વૃક્ષનું લાકડું પણ મોકલાવશો, કારણ, મને ખબર છે કે તમારા માણસો દેવદારમાં વૃક્ષો પાડવામાં પાવરધાં છે. મારા માણસો તમારા માણસો સાથે કામ કરશે. 9 તેઓને સહાય કરવા માટે હું મારા માણસો મોકલી આપીશ. હું જે મંદિર બાંધુ છું તે માટે પુષ્કળ પ્રમાણમાં ઇમારતી લાકડું જોઇશે કારણકે તે મંદિર બહુ જ મોટું અને અતિ ભવ્ય બનશે. 10 તમારા વૃક્ષો પાડનારા માણસો માટે હું 1,25,000 બુશેલ ઘઉં, 1,25,000 બુશેલ જવ, 1,15,000 ગેલન દ્રાક્ષારસ અને 1,15,000 ગેલન તેલ મોકલીશ.”
11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો,
“યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.” 12 હૂરામે વધુમાં લખ્યું છે, “ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! તેણે આકાશ અને પૃથ્વી બનાવ્યાં છે, અને રાજા દાઉદને જ્ઞાની, બુદ્ધિશાળી અને સમજુ પુત્ર આપ્યો છે, જે યહોવાને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બંધાવનાર છે. 13 હું તમારી પાસે મારા પ્રખ્યાત અને નિપુણ કારીગર હૂરામ-અલીને મોકલું છું. તે ઘણો હોંશિયાર છે. 14 એનાં માતા દાનવંશના અને પિતા તૂરના છે. એ સોના-ચાંદીનું, કાંસાનું અને લોઢાનું પથ્થરનું અને લાકડાનું તેમજ જાંબુડીયા, કિરમજી અને ભૂરા રંગના કિંમતી કાપડનું કામ કરવામાં કુશળ છે. વળી, એ બધી જાતનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. એને સોંપેલી કોઇ પણ ભાત એ કોતરી શકે છે. એ મારા ધણી અને આપના પિતા દાઉદના કારીગરો અને આપના કારીગરો સાથે કામ કરી શકે તેમ છે.
15 “તેથી તમારા જણાવ્યા મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ મોકલી આપો. 16 અમે લબાનોનમાંથી આપને જોઇતાં બધાં લાકડાં કાપીશું, અને દરિયાઇ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તેને યરૂશાલેમ પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે.”
17 સુલેમાને પોતાના પિતા દાઉદે કરાવેલી વસ્તી ગણતરીની જેમ ઇસ્રાએલમાં વસતા બધા વિદેશીઓની વસ્તી ગણતરી કરાવી તો તેમની સંખ્યા 1,53,000 અને છસો જેટલી થઇ. 18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા.
મંદિરના બાંધકામનો પ્રારંભ
3 સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી. 2 સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.
3 હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો. 4 મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. 5 મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી. 6 તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું. 7 તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.
8 મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું. 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં. 10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. 11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી. 12 એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી 13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.
14 તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.
15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા, 16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં. 17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.
ઘેટાંપાળક અને તેનાં ઘેટાં
10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. 2 પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. 3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. 4 તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. 5 પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં. 20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”
યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ[a] નો સમય આવ્યો. 23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International