Old/New Testament
રાજા શાઉલનું મૃત્યુ
10 પલિસ્તીઓ ઇસ્રાએલીઓ સામે ગિલ્બોઆના ડુંગર પર યુદ્ધે ચઢયા. ઘણા ઇસ્રાએલીઓ માર્યા ગયા અને બાકી રહ્યા તે ભાગી ગયા. 2 પછી પલિસ્તીઓએ શાઉલનો અને તેના પુત્રો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીશૂઆનો પીછો પકડ્યો અને ત્રણે પુત્રોને મારી નાખ્યા. 3 શાઉલની આસપાસ ખૂંખાર યુદ્ધ મચ્યુ હતું, અને કેટલાંક તીરંદાજોએ તેની પાસે પહોંચી જઇ તેને સખત ઘાયલ કર્યો.
4 ત્યારે શાઉલે જે માણસ તેના બાણ ઉપાડી રહ્યો હતો તેને કહ્યું, “તારી તરવાર કાઢી મને વીંધી નાખ; નહિ તો આ બે સુન્નતી માણસો આવીને મારી હાંસી ઉડાવશે,”
પરંતુ બખ્તર ઉપાડનારની હિંમત ચાલી નહિ એટલે તેણે ના પાડી. આથી શાઉલે પોતે તરવાર ખેંચીને તેની ધાર પર પડતું મુક્યું 5 શાઉલને મૃત્યુ પામેલો જોઇને બખ્તર ઉપાડનાર પણ પોતાની તરવાર પર પડતું મુકી મોતને ભેટયો. 6 આમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને તેના વંશનો અંત આવ્યો.
7 ખીણમાં વસતા સર્વ ઇસ્રાએલીઓએ જ્યારે જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ છે અને શાઉલ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પોતાનાં ગામો છોડીને ચાલ્યા ગયા. પછી પલિસ્તીઓએ આવીને તેમાં વસવાટ કર્યો.
8 બીજે દિવસે પલિસ્તીઓએ યુદ્ધમાં મૃત્યુ પામેલાઓના શરીરો પરથી લૂંટ ભેગી કરવા પાછા ગયા, ત્યારે તેઓએ શાઉલ અને તેના પુત્રોના શબ જોયાં. 9 તેઓએ શાઉલનું બખ્તર ઉતારી લીધું અને તેનું માથું કાપી નાખ્યું. પછી સમગ્ર દેશમાં વધામણી આપવા સંદેશાવાહકો મોકલ્યા અને તેઓની મૂર્તિઓ આગળ ઉજવણી કરી. 10 શાઉલના બખ્તરને તેઓએ પોતાના દેવના મંદિરમાં લટકાવ્યું. દાગોનના મંદિરમાં ભાલા પર તેનું માથું મુક્યું.
11 પલિસ્તીઓએ શાઉલના આ હાલ કર્યા છે એની જાણ યાબેશ-ગિલયાદના લોકોને થઇ. 12 ત્યારે ત્યાંના બધા યોદ્ધાઓ શાઉલ અને તેના પુત્રના શબ શોધવા નીકળી પડ્યા અને તેઓએ તેમને પાછાં લઇ આવી યાબેશમા એક એલોન ઝાડ નીચે તેમનાં અસ્થિ દફનાવ્યાં, અને પછી તેઓએ સાત દિવસના ઉપવાસ કર્યા.
13 શાઉલને મરવું પડ્યું કારણ, તે યહોવાને બેવફા નીવડ્યો હતો, તેણે યહોવાની આજ્ઞા માની નહોતી અને યહોવાને પ્રશ્ર્ન કરવાને બદલે મેલીવિદ્યા જાણનારની સલાહ લીધી. 14 આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું.
ઇસ્રાએલના રાજા તરીકે દાઉદ
11 ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ. 2 ભૂતકાળમાં જ્યારે શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ તમે જ ઇસ્રાએલી સેનાની આગેવાની લેતા હતા, અને તમારા દેવ યહોવાએ તમને કહ્યું હતું કે, ‘મારા લોકોની, ઇસ્રાએલની સારસંભાળ લેનાર માણસ તું છે, તું જ તેમનો શાસનકર્તા થવાનો છે.’”
3 આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.
યરૂશાલેમ કબ્જે કરતો દાઉદ
4 પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા. 5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.
6 દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.
7 દાઉદે એ ગઢમાં વસવાટ કર્યો અને તેથી તેનું નામ દાઉદ-નગર પડ્યું. 8 દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા. 9 આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
ત્રણ નાયકો
10 દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે:
11 પહેલો હાખ્મોની કુલનો યાશોબઆમ જે રાજાની ખાસ સેનાનો નાયક હતો.
તેણે ભાલા વડે 300 માણસોને એકી સાથે રહેંસી નાખ્યા હતા.
12 વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો. 13 જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું. 14 પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો.
15 બીજી વખતે પલિસ્તીઓની એક ટુકડીએ જ્યારે રફાઇમની ખીણમાં છાવણી નાખી હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ અદુલ્લામની ગુફા નજીકના ખડક આગળ દાઉદને જઇને મળ્યા.
16 તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી. 17 દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.” 18 એટલે આ વીરત્રિપુટી પલિસ્તીઓની છાવણીમાં થઇને બેથલેહેમ પહોંચી, તેઓએ કૂવામાથી પાણી કાઢયું અને દાઉદ પાસે લઇ આવ્યા. દાઉદે તે પીવા ના પાડી. પણ યહોવા સમક્ષ તે પાણી અર્પણ તરીકે રેડી દીધું. 19 તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! એ તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર આ શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે એ લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. આ “વીરત્રિપુટી” ઓના આવા કામો હતા.
અન્ય બહાદુર સૈનિકો
20 યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણ શૂરવીરોનો સરદાર હતો. એક વખત તેણે ભાલા વડે 300 દુશ્મનો સાથે યુદ્ધ કરી તેમને પૂરા કર્યા હતા અને તે ત્રિપુટીમાં પ્રખ્યાત બની ગયો હતો. 21 ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.
22 યહોયાદાનો પુત્ર કાબ્સેએલ ગામના બનાયાનો પરાક્રમી યોદ્ધો હતો. તેણે મોઆબના બે પ્રખ્યાત કદાવર પુરુષોને મારી નાખ્યા હતા. વળી એક વાર હિમ પડતું હતું ત્યારે કોતરમાં ઊતરીને તેણે એક સિંહને મારી નાખ્યો હતો. 23 વળી, સાડાસાત ફૂટ ઊંચા મહાકાય મિસરીને મારનાર પણ એ જ હતો. એ મિસરી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. પણ બનાયા ફકત એક લાકડી લઇને તેની સામે પહોંચી ગયો. અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી તેના જ ભાલા વડે તેને મારી નાંખ્યો. 24 ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને 25 ત્રીસ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં તે ઘણો પ્રખ્યાત હતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો નાયક બનાવ્યો હતો. તે ત્રિપુટીમાંનો એક નહોતો છતાં પણ.
ત્રીસ શૂરવીરો
26 દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે:
યોઆબનો ભાઇ અસાહેલ,
બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,
27 હરોરનો વતની શામ્મોથ,
પલોનનો વતની હેલેસ;
28 ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની,
અનાથોથનો વતની અબીએઝેર,
29 હુશાનો વતની સિબ્બખાય,
અયોહીનો વતની ઇલાહ;
30 નટોફાનો વતની માહરાય,
હેલેદ-બાઅનાહનો પુત્ર અને નટોફાનો વતની,
31 બિન્યામીનના ગિબયાહનો વતની ઇથાય-રીબાયનો પુત્ર,
પિરઆથોનનો વતની બનાયા;
32 ગાઆશની ઘાટ પાસેનો વતની હૂરાય,
આર્બાથનો વતની અબીએલ,
33 બાહરૂમનો વતની આઝમાવેથ,
શાઆલ્બોનીનો વતની એલ્યાહબા,
34 ગેઝોનીના હાશેમના પુત્રો,
હારારીનો વતની શાગેનો પુત્ર યોનાથન,
35 હારારી સાખારનો પુત્ર અહીઆમ,
ઉરનો પુત્ર અલીફાહ,
36 મખેરાથનો વતની હેફેર
પલોનનો વતની અહિયા,
37 કામેર્લનો વતની હેસ્રો
અને એઝબાયનો પુત્ર નાઅરાય,
38 નાથાનનો ભાઇ યોએલ,
હાગ્રીનો પુત્ર મિબ્હાર,
39 આમ્મોનનો પુત્ર સેલેક,
બેરોથનો પુત્ર નાહરાય-જે સરૂયા પુત્ર યોઆબનો શસ્રવાહક હતો;
40 યિથોના ઇરા,
અને ગારેબ,
41 ઊરિયા હિત્તી,
આહલાયનો પુત્ર ઝાબાદ,
42 રૂબેનના કુલસમૂહના શીઝાનો પુત્ર અદીના,
જે રૂબેનના કુલના આગેવાનોમાંનો એક હતો.
અને તેની સાથે બીજા ત્રીસ હતા.
43 માઅખાહનો પુત્ર હાનાન,
મિથ્નાનનો વતની યહોશાફાટ,
44 આશ્તરાથી ઉઝિઝયા,
હોથામનો પુત્ર શામા અને અરોએરનો યેઇએલ.
45 શિમ્રીનો પુત્ર યદીઅએલ,
યદીઅએલનો ભાઇ તીસાનો વતની યોહા તીસી;
46 માહવીનો પુત્ર અલીએલ,
એલ્નાઆમના પુત્ર યરીબાય
તથા યોશાવ્યા ને મોઆબી યિથ્માહ.
47 યાઅસીએલ, ઓબેદ અને મસોબાનો વતની અલીએલ.
દાઉદ સાથે ભળતા પરાક્રમી સૈનિકો
12 દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા. 2 તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.
3 તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ, 4 ગિબયોનનો યિશ્માયા, જે “ત્રીસ શૂરવીરો”માં નો એક અને તેમનો એક આગેવાન હતો. ગદેરાના યર્મિયા, યાહઝીએલ, યોહાનાન અને યોઝાબાદ, 5 હરૂફીના એલઉઝાય, યરીમોથ, બઆલ્યા, શમાર્યા અને સફાટયા, 6 કોરાહના વંશજો, એલ્કાનાહ યિશ્શિયા, અઝારએલ, યોએઝેર, અને યાશોબઆમ; 7 અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.
ગાદના કુલસમૂહો
8 ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા.
9 એઝર તેમનો નાયક હતો. અને ઓબાદ્યા બીજો, અરીઆબ ત્રીજો, 10 મિશ્માન્નાહ ચોથો, યર્મિયા પાંચમો, 11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ, 12 આઠમો યોહાનાન, નવમો એઝાબાદ. 13 દશમો યર્મિયા, અને અગિયારમા ક્રમે માખ્બાન્નાય હતો.
14 ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો. 15 પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા.
દાઉદ સાથે ભળતા અન્ય સૈનિકો
16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા. 17 દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”
18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:
“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ,
હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ,
તારો જય હો! તારા
સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”
દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.” 20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા. 21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.
22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.
દાઉદ સાથે હેબ્રોનમાં મળતા અન્ય સૈનિકો
23 યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે:
24 યહૂદાના કુલસમૂહના ઢાલ અને ભાલાધારી 6,800 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ;
25 શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;
26 લેવીના કુલસમૂહના: 4,600 યોદ્ધાઓ; 27 ઉપરાંત હારુનના કુલના યહોયાદની આગેવાની હેઠળ 3,700 યોદ્ધાઓ; 28 તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;
29 બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.
30 એફ્રાઇમના કુલસમૂહના: 20,800 વીર યોદ્ધાઓ, જેમણે બધાએ જ પોતપોતાના કુલમાં ખ્યાતિ મેળવી હતી.
31 મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા:
32 ઇસ્સાખારના 200 આગેવાનો, જેઓ ઇસ્રાએલે ક્યારે અને કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં કુશળ હતા. અને તેમના હાથ નીચેના બધા સગાવહાલા.
33 ઝબુલોનના કુલસમૂહના યુદ્ધ માટે સારું પ્રશિક્ષણ પામેલાં અને બધી જાતનાં શસ્ત્રોથી શજ્જ એવા બહાદુર અને વ્યૂહ રચી શકે એવા 50,000 માણસો.
34 નફતાલીના કુલસમૂહના 1,000 નાયકો અને તેમના 37,000 ઢાલ અને ભાલાથી શજ્જ યોદ્ધાઓ.
35 દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;
36 આશેરના કુલસમૂહના 40,000 શિક્ષણ પામેલા યોદ્ધાઓ.
37 રૂબેન, અને ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના શિક્ષણ પામેલા અને બધા પ્રકારના શસ્ત્રો શજ્જ 1,20,000 યોદ્ધાઓ, તેઓ યર્દનની પેલે પારના હતા.
38 આ સર્વ યોદ્ધા શસ્ત્ર સાથે શજ્જ થઇને દાઉદને ઇસ્રાએલનો રાજા બનાવવાના એકમાત્ર હેતુથી હેબ્રોન આવ્યા હતા. એકંદરે ઇસ્રાએલના સર્વ નેતાઓ આવું ઇચ્છતા હતા. 39 તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી. 40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.
45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
52 પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ. 54 જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ. 55 મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે. 56 જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
57 “પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે. 58 આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
59 આ બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International