Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 64-66

64 તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો!
    જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે!
તમારા મહિમાનો અગ્નિ જંગલોને બાળી નાખે
    અને મહાસાગરોના પાણીને ઉકાળીને સૂકવી નાખે;
પ્રજાઓ તમારી સમક્ષ ધ્રૂજી ઊઠે,
    ત્યાર પછી જ તમારા શત્રુઓ તમારી કીર્તિ અને સાર્મથ્યને સમજી શકશે.
અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં,
    તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું,
    અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારે તેઓ ભયથી કંપી ઊઠયા!
કારણ કે પ્રાચીન સમયથી આજ સુધી કોઇપણ વ્યકિતએ બીજા કોઇ
    પણ વિષે જોયુ કે સાંભળ્યું નથી,
સિવાય કે આપણા દેવ,
    જેણે તેઓની પ્રતિક્ષા કરનારાઓના હિતમાં કાર્ય કર્યા છે.

આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માર્ગે ચાલનારા સૌને તમે આવકારો છો.
    પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી;
અમે સતત પાપ કર્યા કરીએ છીએ
    અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ.
તેથી અમારા પર તમારો રોષ ભારે છે,
    અમે કઇ રીતે બચી શકીએ?
અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ.
    અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે.
    અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ
અને અમારાં પાપ પવનની
    જેમ અમને તાણી જાય છે.
કોઇ તમારા નામે વિનંતી કરતા નથી,
કે કોઇ તમને વળગી રહેવા પ્રયત્ન કરતું નથી.
    તેં તારું મુખ અમારાથી ફેરવી લીધું છે
અને અમને અમારાં દુષ્કર્મોને
    હવાલે કરી દીધા છે.
હે યહોવા, હવે તમે અમારા પિતા છો;
    અમે માટી અને તમે કુંભાર છો.
    અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.
હે યહોવા, વધારે કોપ કરશો નહિ,
    અમારાં પાપ સદા સંભારશો નહિ!
જરા અમારા સામું જુઓ!
    અમે બધા તમારી પ્રજા છીએ.
10 તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે,
    સિયોન વેરાન થઇ ગયું છે.
    યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે.
11 અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,
    જ્યાં અમારા પિતૃઓ તમારી સ્તુતિ કરતા હતા,
તે બળીને ખાખ થઇ ગયું છે;
    જે જોઇને અમે આનંદ પામતા હતા,
    તે બધું ખંડેર બની ગયું છે.
12 આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો!
    શું તમારું હૃદય નહિ દ્રવે?
    શું હજુ પણ તમે શાંત રહેશો અને અમને અપાર વેદના આપતા રહેશો?

ધર્મદ્રોહીની સજા

65 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

“એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માર્ગે ચાલે છે, સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે, તેમ છતાં તેઓ એકબીજાને કહે છે, ‘મારી વધારે નજીક ન આવશો, નહિ. તો હું તમને પવિત્ર બનાવી દઇશ!’ તેઓ મને ગૂંગળાવે છે; તેઓ મને સતત ક્રોધિત કરે છે.”

ઇસ્રાએલને સજા મળવી જોઇએ

“જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ. હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”

યહોવા કહે છે, “જેમ ઝૂમખામા નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો માં, કારણ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તે સર્વ લોકોનો નાશ ન થાય. હું યાકૂબના વંશજો અને યહૂદાના લોકોને આશીર્વાદ આપીશ અને તેમને મારા આ પર્વતીય પ્રદેશના વારસો બનાવીશ. મારા પસંદ કરેલા લોકો, મારા સેવકો ત્યાં વાસો કરશે. 10 જેઓએ મારી શોધ કરી છે તેવા મારા લોકોને માટે શારોનના મેદાનોને ફરીથી ઘેટાં-બકરાં અને ઢોર-ઢાંખરથી ભરી દેવામાં આવશે અને આખોરની ખીણ તેઓનું ગોચર બની રહેશે.

11 “પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો; 12 તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”

13 આથી યહોવા મારા માલિક કહે છે કે,
“મારા સેવકો ખાવા પામશે
    પણ તમે ભૂખ્યા રહેશો,
મારા સેવકો પીશે
    પણ તમે તરસ્યા રહેશો.
મારા સેવકો ખુશી થશે
    પણ તમે ફજેત થશો.
14 મારા સેવકો આનંદથી ગીતો ગાશે
    પણ તમે ભગ્નહૃદય થઇને રડશો,
અને અંતરના સંતાપને
    લીધે આક્રંદ કરશો.
15 મારા અપનાવેલા સેવકો શાપ આપવામાં તમારા નામનો ઉપયોગ કરશે.
    હું મારા માલિક, યહોવા તમારું મોત નીપજાવીશ.
    પણ હું મારા સેવકોને નવું નામ આપીશ.
16 છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે,
    તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે.
જે કોઇ દેશમાં સમ ખાશે તે,
    વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે.
કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે
    અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”

એક નવો સમય આવી રહ્યો છે

17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું.
પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ,
    તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ,
    હું એક યરૂશાલેમનું સર્જન કરીશ,
જે મારા માટે આનંદ લાવશે
    અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.

19 “હું યરૂશાલેમમાં આનંદ પામીશ
    અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ.
ત્યાં ફરીથી રૂદન
    તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા
    દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ;
પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ;
    અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.

21 “લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે,
    જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે,
    કોઇ વાડી રોપે ને કોઇ
ખાય એવું નહિ બને.
    વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે.
મારા અપનાવેલા લોકો
    પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય,
    અને તેમણે ઉછેરેલા બાળકો
આફતનો ભોગ નહિ બને,
    કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ,
    તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે,
    સિંહ બળદની જેમ કડબ ખાશે,
    અને ઝેરી સર્પો કદી ડંખ મારશે નહિ!
મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.”
    એમ યહોવા કહે છે.

યહોવાનો મહિમા અવશ્ય પ્રગટ થશે

66 યહોવા કહે છે,
“આકાશો મારું રાજ્યાસન છે,
    અને પૃથ્વી મારી પાદપીઠ છે;
તમે મારું ઘર ક્યાં બાંધશો?
    મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?
આ આખું વિશ્વ તો મેં જ બનાવેલું છે
    અને એ બધું તો મારું જ છે.
હું એવા લોકોનું સન્માન કરીશ, જેઓ દીનદુ:ખી હોય, કચડાયેલા અને ભાંગી પડેલા હોય,
    અને જે મારી આજ્ઞા માથે ચડાવતો હોય અને જે મારા વચન સમક્ષ ધ્રૂજતો હોય.
પરંતુ જે લોકો પોતાની જાતે પોતાના માર્ગની પસંદગી કરીને
    પોતાનાં પાપોમાં આનંદ માને છે
અને જૂઠા દેવોને ધૂપ અર્પણ કરે છે,
    તેમને હું શ્રાપ આપીશ.
દેવ તેમના અર્પણોને માન્ય રાખશે નહિ,
    આવા માણસો દેવની વેદી પર બળદનું બલિદાન આપે
તે મનુષ્યના બલિદાન સમાન ગણાશે અને તેનો સ્વીકાર થશે નહિ.
    પણ જો તેઓ ઘેટાંનું ખાદ્યાર્પણ લાવે તો
તે દેવની ષ્ટિમાં કૂતરાં અથવા ડુક્કરના
    રકતનું અર્પણ કરવા જેવું ધિક્કારપાત્ર ગણાશે!
હું તેઓ જેનાથી ડરે છે
    એવી આફતો જ પસંદ કરીને એમને માથે ઉતારીશ.
કારણ કે મેં હાંક મારી ત્યારે તેઓએ પ્રત્યુત્તર ન આપ્યો.
    મેં તેઓને સંબોધ્યા
ત્યારે તેઓએ સાંભળ્યું નહિ;
    મારી નજરે જે ખોટું હતું તે તેઓએ કર્યું.
અને મને ન ગમે તેવું
    તેઓએ પસંદ કર્યું.”

યહોવાના વચનથી ધ્રૂજનારા,
    અને જેઓ દેવનો ભય રાખે છે
તેઓ આ વચન સાંભળો:
    “તમારા ભાઇઓ તમારો દ્વેષ કરે છે
અને મારા નામ પ્રત્યેના વિશ્વાસુપણાને લીધે તમને કાઢી મૂકે છે,
    તમારો બહિષ્કાર કરી મહેણાં મારે છે;
‘અમે જોઇએ તો ખરાં કે યહોવા પોતાનો મહિમા કેવો પ્રગટ કરે છે
    અને તમે કેવા ખુશ થાઓ છો!’
    પરંતુ તેઓ પોતે જ ફજેત થશે.”

સજા અને નવી પ્રજા

સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.

“પ્રસવવેદના થતાં પહેલાં બાળકને જન્મ આપનારી સ્ત્રી જેવી આ મારી પવિત્ર નગરી છે. આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.”

યહોવા તમારા દેવ પૂછે છે કે, “પ્રસૂતિકાળ પાસે લાવીને પછી પ્રસવ ન થાય એવું શું હું કરીશ? ના, એમ હું કદી નહિ કરું.”

10 યહોવા કહે છે, “યરૂશાલેમ પર પ્રેમ રાખનારાઓ, તેની સાથે તમે પણ આનંદો,
    હષોર્લ્લાસ માણો! એને માટે આક્રંદ કરનારાઓ, હવે તેના આનંદમાં આનંદ માનો;
11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને
    બાળક જેમ ધરપત અનુભવે છે
તેમ તમે એની ભરી ભરી
    સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.”

12 યહોવા કહે છે,
“હું એના પર સરિતાની જેમ સુખશાંતિ વહાવીશ
    અને ઊભરાતા વહેણાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ.
તમે ધાવશો; કેડે ઊંચકી લેવાશો,
    ખોળામાં તમને ખૂબ લાડ લડાવાશે.
13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે,
    તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ;
    અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”

14 તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે;
    તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે.
યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે,
    અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે,
    તે સર્વ પ્રજાઓ જોઇ શકશે.
15 યહોવા અગ્નિની જેમ,
    વાવંટોળ જેવા રથો સાથે પ્રખર રોષથી
અને ભભૂકતા ક્રોધાગ્નિથી
    આઘાત કરવાને આવી રહ્યા છે.
16 યહોવા આગ અને તરવારથી આખી
    માનવજાતનો ન્યાય તોળશે,
    અને ઘણા યહોવાને હાથે માર્યા જશે.

17 જેઓ દેહશુદ્ધિ કરી, સરઘસ કાઢી બીજા દેવોનાં ઉપવનમાં પૂજા કરવા પ્રવેશ કરે છે, “જેઓ ભૂંડનું માંસ, ઊંદર અને સાપોલિયાનાં મના કરાયેલા માંસની ઉજાણી કરે છે, તે બધાનો તેમના કૃત્યો અને વિચારો સાથે દુ:ખદ અંત આવશે.

18 “તેઓ શું કરી રહ્યા છે અને તેઓ શું વિચારી રહ્યા છે તે સર્વ હું જોઇ શકું છું. તેથી હું સર્વ પ્રજાઓને યરૂશાલેમમાં એકઠી કરીશ અને ત્યાં તેઓ મારો મહિમા જોશે. 19 હું તેમને એક એંધાણી આપીશ અને તેમનામાંના બચી ગયેલાઓને જુદી જુદી પ્રજાઓમાં મોકલીશ. હું તેમને લીબિયા અને લ્યુડ તેમના કાર્યકુશળ ધર્નુધારીઓ સાથે, અને તાશીર્શ, (પુટ અને બુદમા,) અને તુબાલ અને ગ્રીસ તથા દૂર દૂરના દરિયાપારના દેશોમાં, જ્યાંના લોકોએ મારા ઉપદેશો સાંભળ્યાં નથી કે મારો મહિમા જોયો નથી, અને મારા મોકલેલા એ લોકો ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે. 20 અને યહોવાને માટે ઉપહાર તરીકે દરેક પ્રજાઓમાંથી તારા સર્વ ભાઇઓને પાછા લાવશે. ત્યાંથી તેઓને મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટડીઓ પર બેસાડીને કાળ જીપૂર્વક લાવવામાં આવશે, એમ યહોવા કહે છે. કાપણીના સમયમાં જેમ અર્પણોને યહોવાના શુદ્ધ પાત્રોમાં મંદિરમાં લાવવામાં આવે તેમ તેઓ યહોવાની સમક્ષ અર્પણ રૂપ થશે. 21 તેઓમાંના કેટલાકને હું મારા યાજકો અને લેવીઓ બનાવીશ” એમ યહોવા કહે છે.

નવું આકાશ અને નવી પૃથ્વી

22 “હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે. 23 વળી યહોવા કહે છે કે, દર મહિને ચદ્રદર્શનને દિવસે અને દર અઠવાડિયે વિશ્રામવારને દિવસે આખી માનવજાત મારી આગળ ઉપાસના કરવા આવશે.

24 “અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International