Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 1-4

ભૂમિકા

આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં. આ દર્શન દરમ્યાન પાંચમા વર્ષમાં ચોથા મહીનાના પાંચમા દિવસે યહોયાકીન રાજાને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો.

યહોવાનો રથ અને તેમનું સિંહાસન

તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી. તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા. દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું. 11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી. 12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

13 આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 અને તે પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ વધતાં હતાં તથા પાછળ જતાં હતાં.

15 આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં. 16 પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. 17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

18 ચારેય પૈડાની ધારો ઊંચી અને ભયાનક હતી અને તેને સર્વત્ર આંખો હતી.

19 જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં. 20 પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. 21 જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડા ચાલતાં, પ્રાણીઓ ઉભા રહેતાં ત્યારે પૈડાં ઊભા રહેતા અને પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ ઊંચે જતા હતાં કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.

22 પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23 એ ઘૂમટની નીચે પ્રાણીઓએ નજીકના પ્રાણીની પાંખને સ્પશેર્ એ રીતે બબ્બે પાંખ પ્રસારેલી હતી અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું.

24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા.

25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી. 26 જાણે ચાંદી, પિત્તળ, લોખંડ, સીસુ અને જસતને ઓગાળીને અગ્નિમાં એકઠા કર્યા હોય તેમ તેઓનાઁ માથાઁ પર પ્રસારેલા ઘૂમટની ઉપર જાણે નીલમનું બનાવેલું હોય તેવું રાજ્યાસન જેવું દેખાયું. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવો આકાર દેખાયો. 27 તેની કમરનો ઉપરનો સમગ્ર ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, અને કમરની નીચેનો સમગ્ર ભાગ અગ્નિની જેમ પ્રકાશતો હતો. તેની ચારે બાજુએ ઝળહળાટ વ્યાપેલો હતો. 28 એ ઝળહળાટમાં ચોમાસામાં થતા મેઘધનુષની જેવા બધા રંગો દેખાતા હતાં. આ રીતે યહોવાના મહિમાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થયું. તે જોઇને મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને મને સંબોધતી કોઇની વાણી મારા સાંભળવામાં આવી.

હઝકિયેલને યહોવાનો આદેશ

તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઊભો થા, મારે તારી સાથે વાત કરવી છે.”

તેમણે મારી સાથે વાત કરી અને દેવનો આત્મા મારી અંદર પ્રવેશ્યો અને હું પગ પર ઊભો થયો; અને મેં તેમની વાણી સાંભળી. તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને ઇસ્રાએલ પાસે, હા, મારી વિરુદ્ધ બંડ કરનાર પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે. તેઓ ઉદ્ધત અને હઠીલા છે, તેમની વચ્ચે હું તને મોકલું છું, તું તેમને મારી વાણી સંભળાવજે. ભલે પછી તેઓ તને સાંભળે કે ન સાંભળે. એ તો બંડખોરોની પ્રજા છે; તોપણ તેમને એટલી તો ખબર પડશે કે તેમની વચ્ચે કોઇ પ્રબોધક આવ્યો છે.

“પણ, હે મનુષ્યના પુત્ર, તું તેમનાથી ડરીશ નહિ કે તેમના વચનોથી ગભરાઇશ નહિ; ભલે તારી ચારે બાજુ ઝાંખરાં અને કાંટાઓ હોય અને તારે વીંછીઓની આસપાસ વસવું પડે, તેમ છતાં તું તેમનાથી ડરીશ નહિ, અને નાસીપાસ થઇશ નહિ, કારણ કે તેઓ તો બંડખોરો પ્રજા છે. અને તારે તેઓને તે કહેવું જે મેં તને કહૃયુ, પછી ભલે તે લોકો સાંભળે કે ન સાંભળે કારણ કે તેઓ તો બળવાખોર પ્રજા છે.

“હે મનુષ્યના પુત્ર, હું જે કહું છું તે સાંભળ, એ બંડખોરોની જેમ તું બંડખોર થઇશ નહિ, તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઇ જા.”

અને મેં જોયું તો ઓળિયું પકડેલો એક હાથ મારા તરફ લંબાયેલો હતો; 10 તેમણે મારી આગળ ઓળિયું ખુલ્લું કર્યું. તેમાં બન્ને તરફ લખાયેલું હતું; તેમાં અંતિમ ક્રિયાના ગીતો, શોકગીતો તથા વિલાપ ગીતો લખેલા હતાં.

દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તારી સામે છે તે ખાઇ, જા, આ ઓળિયું ખાઇ જા, અને પછી ઇસ્રાએલીઓ આગળ જઇને કહી સંભળાવ.”

તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેમણે મને ઓળિયું ખાવા માટે આપ્યું. પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને આપું છું તે ઓળિયું ખાઇ જા અને તારું પેટ ભર.”

મેં તે ખાધું અને મને તે મધ જેવું મીઠું લાગ્યું.

પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ પાસે જઇને હું તને કહું તે તેઓને કહે. હું તને દૂરના દેશમાં રહેતી અને તું ન સમજી શકે તેવી અજાણી ભાષા બોલતી વિદેશી પ્રજા પાસે નથી મોકલતો, પણ ઇસ્રાએલી પ્રજા પાસે મોકલું છું. હું તને કોઇ અજાણી કે અઘરી ભાષા બોલનાર પ્રજા પાસે નથી મોકલતો. જો હું તને તેઓની પાસે મોકલું તો તેઓ જરૂર તારો સંદેશો સાંભળે. પરંતુ ઇસ્રાએલીઓ તારી વાત નહિ સાંભળે, કારણ, તેઓ મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. તેઓ બધા એવા કઠોર અને હઠીલા છે. તેથી હું પણ તને એમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ. હું તને કાળમીઠ પથ્થર જેવો, અરે! વજ્ર જેવો કઠણ બનાવીશ. માટે તું એ બંડખોરોથી બીશ નહિ, ગભરાઇશ નહિ.”

10 પછી દેવે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ અને બરાબર યાદ રાખી લે. 11 પછી બંદીવાસમાં ગયેલા તારા લોકો પાસે જઇને તેઓને કહે: ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે!’ તેઓ સાંભળે કે ન સાંભળે.”

12 પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો અને મેં મારી પાછળ પ્રચંડ અવાજ સાંભળ્યો: “યહોવાના ગૌરવને ધન્ય હો.” 13 મેં હવામાં પ્રાણીઓની પાંખો એકબીજા સાથે અથડાવાનો મોટો અવાજ સાંભળ્યો, અને, તેમની પાછળ પૈડાંઓના ગડગડાટ પણ સંભળાતા હતા. 14 પછી આત્મા મને ઉપાડી ગયો અને હું દુ:ખી થઇને ક્રોધ અનુભવતો સાથે ગયો. પરંતુ યહોવાનો હાથ પ્રબળ રીતે મારા પર હતો. 15 હું તેલ- આબીબ[a] કબારનદીને કાંઠે વસતા દેશવટો ભોગવનારાઓ પાસે પહોંચી ગયો અને સાત દિવસ સુધી તેમની વચ્ચે સ્તબ્ધ બની બેસી રહ્યો.

16 સાત દિવસો પૂરા થયા પછી મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલ પર ચોકીદાર તરીકે નીમ્યો છે; જ્યારે હું મારા લોકો માટે ચેતવણી મોકલું ત્યારે તે તરત જ તેઓને જણાવજે. 18 હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.

19 “પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે તો, તે પોતાના પાપે મરશે, પણ તારો જીવ બચી જશે.

20 “વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ.

21 “પણ જો તું કોઇ સારા માણસને પાપ ન કરવાને ચેતવે અને તે પાપ ન કરે તો તે તારી ચેતવણીને લીધે જીવતો રહેશે, એટલું જ નહિ, તારો જીવ પણ બચી જશે.”

22 ત્યારે યહોવાનો હાથ મારી પર એ જગ્યાએ આવ્યો અને તેણે મને કહ્યું, “ઊઠ, બહાર ખીણમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ.”

23 તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા. 24 પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે. 25 હે મનુષ્યના પુત્ર, તને દોરડાં વડે બાંધવામાં આવશે, જેથી તું લોકોમાં જઇ ન શકે. 26 અને હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઇશ. જેથી તું મૂંગો બની જશે અને તેઓને ઠપકો આપી શકશે નહિ; તેઓ તો બળવાખોરોની જમાત છે. 27 પરંતુ મારે તને કઇંક કહેવું હશે ત્યારે હું તને ફરી બોલતો કરીશ, અને તું તેમને કહેજે કે, ‘યહોવા આપણા પ્રભુ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, એ તો બળવાખોરોની જમાત છે.”

યરૂશાલેમના ઘેરાનો સંકેત

દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર. પછી તેને ઘેરો ઘાલ, તેના ફરતે ખાઇ બનાવ, હુમલો કરવા માટે માટીના ગઢ ઊભા કર. છાવણી ઊભી કર અને ચારે બાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ. વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.

“પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે. મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.

“આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.

“ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું. હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.

“ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે. 10 તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ. 11 તારે જળપાન પણ માપીને જ કરવું, આખા દિવસના બે પ્યાલા. 12 તારે બધાની હાજરીમાં માણસનો સુકાયેલો મળ સળગાવવો અને તેના ઉપર જવના રોટલાં શેકવા.” 13 યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં તેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!”

14 પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.”

15 ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.”

16 એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે. 17 હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International