Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 20-21

હિઝિક્યાની માંદગી

20 આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”

ત્યારે હિઝિક્યાએ ભીત તરફ મોં કરી યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી; “ઓ યહોવા, એટલું ધ્યાનમાં રાખજે, અને યાદ રાખજે કે હું સફળ અને પ્રામાણિક જીવન જીવ્યો છું” અને તે ચોધાર આંસુએ રડી પડયો.

યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે, “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝિક્યાને કહે કે, ‘આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાનાં વચન છે: મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રિજે દિવસે તું મંદિરે જઈશ. હું પંદર વર્ષ તારું આયુષ્ય વધારીશ. તને અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાઉદને આપેલ વચન માટે હું એનું રક્ષણ કરીશ.’”

યશાયાએ કહ્યું, “અંજીરની પોટીસ લાવીને તેના ગૂંમડા પર લગાવો અને રાજા સાજો થઈ જશે.”

પછી હિઝિક્યાએ યશાયાને પૂછયું, “યહોવા મને સાજો કરી દેશે અને હું ત્રીજે દિવસમાં મંદિરે જઈશ, એની એંધાણી શી?”

યશાયાએ કહ્યું, “આ એંધાણી યહોવા તરફથી આવે છે. હાં, તેમણે જેનું વચન આપ્યું હતું તે જરુર કરે છે. આ છાંયડો 10 ડગલા આગળ જાય કે 10 ડગલા પાછો જાય.”

10 ત્યારે હિઝિક્યાએ કહ્યું, “છાંયડોને 10 ડગલા આગળ જવું તો સહેલું છે, પણ એ 10 ડગલા પાછળ જાય એમ કરો.”

11 પ્રબોધક યશાયાએ યહોવાને મોટેથી પોકાર કર્યો, છાંયડાને 10 ડગલા પાછળ હઠાવ્યો, આ રીતે સૂર્ય આહાઝના સૌર-ઘડિયાલ પર ક્ષીણ થયો.

બાબિલનો માણસ અને હિઝિક્યા

12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. 13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.

14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”

હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”

હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”

16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે; 17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ. 18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”

19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”

તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”

20 હિઝિક્યાનાઁ શાસનનાં બીજા બનાવો અને તેણે કરેલા કાર્યોની તથા તેણે નગરમાં પાણી લાવવા માટે બંધાવેલાં નહેરો અને બંધો આ બધું યહૂદાના રાજાઓનાં ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 21 એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.

મનાશ્શાનો દુષ્ટ અમલ

21 યહૂદાનો નવો રાજા મનાશ્શા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 12 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં 55 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ હેફસીબાહ હતું.

યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું જેવી કે પ્રજાઓ દ્વારા કરાતી તિરસ્કૃત વસ્તુઓ જેને યહોવાએ હાંકી કાઢી હતી જ્યારે યહોવાએ તેમની જમીન ઇસ્રાએલીઓને આપી દીધી હતી. તેના પિતા હિઝિક્યાએ તોડી પાડેલા ઉચ્ચસ્થાનો પરનાં થાનકો તેણે ફરી બંધાવ્યાં, તેણે બઆલને માટે યજ્ઞ વેદીઓ ચણાવી અને ઇસ્રાએલના રાજાની જેમ અશેરાદેવીની મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, અને આકાશમાંનાં બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરૂ કર્યું. જે મંદિર વિષે યહોવાએ એમ કહ્યું હતું કે, “યરૂશાલેમમાં મારા નામની સ્થાપના કરીશ.” તે મંદિરમાં તેણે વેદીઓ ઊભી કરી. યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી. તેણે પોતાના પુત્રને હોમયજ્ઞમાં હોમી દીધો. તે લાભમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો.

તેણે યહોવાને ન ગમે તેવાં બીજા અનેક કાર્યો કરી યહોવાનો રોષ વહોરી લીધો. તેણે અશેરાદેવીની કંડારેલી મૂર્તિ બનાવડાવી અને તેને યહોવાના મંદિરમાં સ્થાપી, જે યહોવાએ દાઉદને અને તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે, ઇસ્રાએલના બધા વંશોના પ્રદેશમાંથી યરૂશાલેમ નગરીનો આ પ્રદેશ પસંદ કર્યો હતો. જ્યાં મારું મંદિર છે અને મારું નામ જ્યાં હંમેશા સ્થપાયેલું રહેશે. જો ઇસ્રાએલીઓ મારા સેવક મૂસાએ તેમને સોંપેલી મારી બધી આજ્ઞાઓ અને મારા ઉપદેશોનું પાલન કરશે તો હું તેમને, તેમના પૂર્વજોની ભૂમિમાંથી જવા નહિ દઉ. પણ તે લોકોએ સાંભળ્યું નહિ અને મનાશ્શાએ તેમની પાસે હજુ ખરાબ કામો કરાવ્યા જે ઇસ્રાએલીઓ પહેલાની પ્રજા જેનો યહોવાએ વિનાશ કર્યો હતો.

10 ત્યારે યહોવાએ પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું કે, 11 “યહૂદાના રાજા મનાશ્શાએ આ બધાં શરમજનક કાર્યો કર્યા છે, અને એના પહેલાં અમોરીઓએ કરેલાં દુષ્ટ કૃત્યોને પણ તેઓ વટાવી ગયાં છે, અને તેણે યહૂદાના લોકોને મૂર્તિપૂજા કરાવીને પાપમાં પ્રેર્યા છે. 12 તેથી હું આ વચનો ઉચ્ચારું છું: ‘હું યહોવા, યરૂશાલેમ અને યહૂદા પર એવી આફત ઉતારીશ કે જે કોઈ એ સાંભળશે તેના કાનમાં તે ગુંજયાં કરશે. 13 હું યરૂશાલેમને, સમરૂનને જે દોરીથી માપ્યું હતું તે જ દોરીથી માપીશ, અને આહાબને માટે વાપર્યો હતો તે જ ઓળંબો એને માટે પણ વાપરીશ, કોઈ માણસ થાળી સાફ કરીને ઊંધી પાડી દે, તેમ હું યરૂશાલેમને સાફ કરી નાખીશ. 14 મારા પોતાના લોકોમાંના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેમને તેમના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ; તેઓ લૂંટનો અને દુશ્મનોનો ભોગ થઈ પડશે. 15 કારણ તેમના પિતૃઓએ મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી આજ સુધી મારી દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી તેમણે મારો રોષ વહોરી લીધો છે. 16 વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિર્દોષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.’”

17 મનાશ્શાનાઁ શાસનનાં બીજા બનાવો અને કાર્યો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 18 મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

આમોનનું ટૂંક શાસન

19 જ્યારે આમોન રાજા બન્યો ત્યાંરે તેની ઉંમર બાવીસ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં બે વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાહના હારુસની પુત્રી હતી.

20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાની દ્રષ્ટિમાં અયોગ્ય તેવું આચરણ કર્યું. 21 તેના પિતાની જેમ તેણે પણ ભૂંડાઈથી રાજ કર્યુ, તેણે એ જ મૂર્તિઓની પૂજા ચાલુ રાખી. 22 તેણે પોતાના પિતૃઓના યહોવા દેવનો ત્યાગ કર્યો અને દેવની સલાહ સાંભળવાની ના પાડી.

23 આખરે તેના નોકરોએ તેની વિરૂદ્ધ કાવતરું ઘડીને, અને તેને રાજમહેલમાં મારી નાખ્યો. 24 પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો.

25 રાજા આમોનનાઁ શાસનનાં બીજાં બનાવો અને કાયેરા યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 26 તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International