Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 7-9

અયોગ્ય ઉપાસના-વ્યર્થ પૂજા

પછી યહોવાએ યર્મિયાને કહ્યું, “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર; ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ. પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.” કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો, અને જો તમે વિદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો, અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ દોડી તમારો પોતાનો જ વિનાશ ન નોતરો; તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.

“‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે? તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો. 10 અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે! 11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.’” આ હું યહોવા બોલું છું.

12 “મારું સ્થાન એક વખત ‘શીલોહમાં હતું ત્યાં જાઓ, જ્યાં મારું પ્રથમ નિવાસસ્થાન હતું. અને જોઇ આવો કે મારા લોકો ઇસ્રાએલીઓની દુષ્ટતાને કારણે મેં તેના શા હાલ કર્યા છે! 13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો. 14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ “શીલોહ”માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ. 15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”

16 યહોવાએ મને કહ્યું, “યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી. 17 તું જોતો નથી કે યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે? 18 આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય? 19 શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? ખરું જોતાં તેઓ પોતાનું જ અપમાન કરતાં નથી? પોતે જ શરમજનક નામોશી વહોરી લેતા નથી?”

20 તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.”

યહોવા યજ્ઞ કરતા પોતાની ઉપાસના વધું ઇચ્છે

21 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ. 22 કારણ કે તમારા પિતૃઓને હું મિસરમાંથી લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને દહનાર્પણ અને યજ્ઞ વિષે કશુંય નહોતું કહ્યું કે, કોઇ આજ્ઞાય ફરમાવી નહોતી; ફકત મેં તેઓને કહ્યું હતું; 23 ‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’

24 “પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા. 25 તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત મેં મારા સેવકો પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છે. 26 છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો.

27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ. 28 માટે તું એમને કહેજે, ‘આ એ પ્રજા છે જે પોતાના દેવ યહોવાનું સાંભળતી નથી કે સુધરતી નથી; સચ્ચાઇ મરી પરવારી છે; એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી.’

કતલની ખીણ

29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે. 30 આવુ બન્યું કારણકે યહૂદિયાના લોકોએ મારી સામે એવું શરમજનક કૃત્ય કર્યું છે, કે તે મને ગમ્યું નથી, તેમણે મારું નામ ધરાવતા મંદિરમાં ઘૃણાસ્પદ મૂર્તિઓ મૂકી એને તેને અશુદ્ધ કર્યું છે. 31 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.” 32 “એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમની ખીણ’ નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે. 33 પછી એ લોકોના મૃતદેહોને આકાશના પંખીઓ અને જંગલી પશુઓ ખાશે અને તેમને ડરાવીને હાંકી મૂકનાર કોઇ નહિ હોય, 34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”

યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.

“અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.

પાપ અને સજા

“તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે.

“‘કોઇ પડી જાય છે
    તો પાછો ઊભો થાય છે.
કોઇ રસ્તો ભૂલે છે
    તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.
તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો
    તો પાછા કેમ નથી ફરતા?
તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો
    અને પાછા આવવાની ના પાડો છો.
મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે,
    પણ કોઇ સાચું બોલતું નથી,
કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી,
    કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?”
જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે,
    તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.
આકાશમાં ઊડતો બગલો
    પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે,
તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે,
    પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે
નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે;
    પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.

“‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.”
    શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
“શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે
    અને તેમના કામો ઉઘાડા પડી જશે.
નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા.
    તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?
10 હું તેમની પર દુકાળ, તરવાર
    અને બીમારી મોકલી દઇશ.
હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય,
    ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે.
    જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.
11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય
    એમ ઉપચાર કરે છે.
તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.”
    પણ લગારે બરાબર નથી.
12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે?
    ના, તેઓને સહેજે શરમ લાગતી નથી;
વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી!
    તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે.
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.’”
    આ યહોવાના વચન છે.

13 યહોવા કહે છે કે, “‘હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ;
    વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ,
ને અંજીરીને અંજીર લાગશે નહિ,
    ને પાંદડા ચીમળાશે;
મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.’”
આ યહોવાના વચન છે.

14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ?
    આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ
અને ત્યાં મૃત્યુ પામીએ,
    કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે
અને આપણા સર્વ પાપોને
    કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.
15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી,
    પરંતુ કઇં શાંતિ થઇ નહિ,
આપણે કુશળ સમયની રાહ જોઇ હતી,
    પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.
16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.
    દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે;
    ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે,
તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે,
    એ લોકો આખો પ્રદેશ
અને એમનું સર્વસ્વ,
    શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”

17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સર્પો
    અને નાગો મોકલું છું,
એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે,
    તે તમને કરડશે.”

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.
19 સાંભળ! દુર સુધી દેશમાં
    મારા લોકોની ચીસ સંભળાય છે,
તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી?
    સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?”

યહોવાએ પ્રત્યુત્તર આપ્યો,
“તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને
    અને તમારા વિદેશી દેવો દ્વારા શા
    માટે મને ક્રોધિત કર્યો છે?”
20 લોકો કહે છે,
    “કાપણી પૂરી થઇ છે,
ઉનાળો વિતી ગયો છે,
    પણ આપણું તારણ ન થયું.”

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે,
    હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.
22 શું હવે ગિલયાદમાં દવા નથી?
    ત્યાં કોઇ વૈદ્ય નથી?
    તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?

મારું માથું જળાશય હોય તો કેવું સારું!
    મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું;
    મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!

અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં
    અને તેઓને વીસરી જાઉં
અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને,
    તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં!
એ બધા બેવફા લોકો છે,
    દગાબાજોની ટોળકી છે.

યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક
    પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે.
તેઓ સત્યની પરવા કરતા નથી
    અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે;
    તેઓ મારી પણ પરવા કરતા નથી.”

“પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો,
    ભાઇનો પણ વિશ્વાસ ન કરતા,
કારણ, એકેએક ભાઇ
    યાકૂબ જેવો દગાબાજ છે.
અને એકેએક મિત્ર પોતાના મિત્રની
    નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે.
દરેક જણ પોતાના મિત્રને છેતરે છે,
    કોઇ સાચું બોલતું નથી,
તેમની જીભ જૂઠું
    બોલવા ટેવાઇ ગઇ છે.
તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે,
    પાછા ફરી શકે એમ નથી,
અન્યાય પર અન્યાય અને છેતરપિંડી
    ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે!
મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.”
    આ યહોવાના વચન છે.

તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ.
    હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ
હું તેઓની પરીક્ષા કરીશ,
    આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
તેમની જીભ જીવલેણ બાણ જેવી છે,
    તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે.
બધા મોઢે મીઠું બોલે છે,
    પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
યહોવા પૂછે છે, “આ બધા માટે
    મારે તેમને શું સજા ન કરવી?
આવી પ્રજા પર શું
    મારો આત્મા વૈર નહિ લે?”

10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ
    અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું;
    તેઓ ઉજ્જડ થઇ ગયા છે,
તેમાં કોઇ જીવતું રહ્યું નથી.
    ઢોરનો અવાજ સંભળાતો નથી
અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી;
    સર્વ નાસી ગયા છે.

11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ,
    શિયાળોની બોડ બનાવી દઇશ,
અને હું યહૂદિયાના શહેરોને નિર્જન
    વગડામાં ફેરવી નાખીશ.”

12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”

13 યહોવાએ કહ્યું,
“એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે.
તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે
    નથી તેનું પાલન કર્યું.
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે.
    અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”

15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે,
“હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ
    અને પીવા માટે ઝેર આપવાનો છું.
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ,
તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે;
    ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે.
આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”

17 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
    “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો.
દુ:ખનાં ગીતો ગાવામાં જે
    પારંગત હોય તેને બોલાવો;
18 જલદી કરો, તેમને કહો કે
‘આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય,
જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે
    અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’

19 “સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે:
‘આપણો વિનાશ કેટલો ભયંકર છે!
    આપણે કેવા શરમિંદા થવું પડ્યું?
આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી,
    કારણ કે તેઓએ આપણા
    ઘરોને તોડી પાડયા છે.’”

20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ,
    દેવનો સંદેશો સાંભળો.
તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો;
    “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે.
    અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે.
તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી,
    અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.’”

22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો,
‘ખેતરમાં ખાતરની માફક
    તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે
તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે.
    અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.’”

23 યહોવા કહે છે,
“જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને
    પોતાના બળની કે ધનવાને
    પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
24 પરંતુ તેઓ ફકત
    આ એક બાબતમાં અભિમાન કરે
કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે
    કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું
અને મારી પ્રીતિ અવિચળ છે
    કારણ કે આ જ મને પસંદ છે.”
આ યહોવાના વચન છે.

25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ; 26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International