Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 49-50

આમ્મોનના લોકોનું ભાવિ

49 આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે,

“ઇસ્રાએલનું રક્ષણ કરનાર
    કોઇ વારસ નથી?
શું તેને કોઇ પુત્રો નથી?
    તો પછી મિલ્કોમદેવના પૂજકોને ગાદનો
પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે?

“તેથી એવો સમય આવી રહ્યો છે,
    જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં
યુદ્ધનો રણનાદ ગાજી રહેશે
    અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે,
એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે,
    અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે
    કરનારાઓની ભૂમિ કબજે કરશે.”
આ હું યહોવા બોલું છું.

“હે હેશ્બોન, વિલાપ કર.
    આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે!
રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો,
    શોકના વસ્ત્રો પહેરો,
વાડામાં સંતાઇને રડો
    અને પ્રશ્ચાતાપ કરો.
કારણ કે તમારા દેવ મિલ્કોમ,
    તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.
તમારી ખીણોનું તમને અભિમાન છે,
    પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે.
હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,
    કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”
પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે,
    “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ,
તને આખી દુનિયામાં ચારેબાજુ દેશ નિકાલ માટે હાંકી કાઢવામાં આવશે.
    અને તારા શરણાથીર્ઓની સંભાળ રાખનારું કોઇ નહિ હોય.”

“પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.

અદોમના લોકોનું ભાવિ

અદોમના લોકો વિષે યહોવા કહે છે,

“તેમાનમાં કશી અક્કલ જ રહી નથી?
    તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
તેમની અક્કલ બહેર મારી ગઇ છે?
    દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો.
સંતાઇ જાઓ!
    કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે
    અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું,

“જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે
    ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે,
રાતે ચોર આવે છે
    તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.
10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ.
    સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ,
તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ,
    સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.
11 એમ કહેનાર કોઇ નહિ હોય કે,
    તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા,
હું તેમને સંભાળીશ.
    તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”

12 યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,” 13 કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.”

14 મેં યહોવા પાસેથી
    આ સંદેશો સાંભળ્યો છે,
“તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક
    મોકલીને કહેવડાવ્યું છે કે,
અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ
    અને તેનો નાશ કરો.”
15 યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટ્રો વચ્ચે તુચ્છ બનાવીશ
    અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ.
16 તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે,
    તેથી, તારી માથાભારે તુમાખીએ
    અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે,
પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે,
    તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.”
એમ યહોવા કહે છે.

17 “તેથી અદોમ માનને પાત્ર બનશે.
    ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે
    અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.
18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે;
    પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.”
આ યહોવાના વચન છે.

19 “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”

20 માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે,
    તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે
તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે.
    નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે
    અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે.
21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે;
    તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.

22 સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે
    તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે.
અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ
    વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.

દમસ્કના લોકોનું ભાવિ

23 દમસ્ક વિષે યહોવાની વાણી:

“હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે,
    તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે.
ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે.
    તેમને નિરાંત વળતી નથી.
24 દમસ્ક લાચાર બની ગયું છે.
    તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય,
    પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે.

25 “આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું
    તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”
26 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
    “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે.
    અને એના બધા યોદ્ધાઓ હારી જશે.
27 અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ
    અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”

કેદાર અને હાસોરના લોકોનું ભાવિ

28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,

“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો;
    પૂર્વના એ લોકોનો સંહાર કરો.
29 તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે,
    તેઓનાં ઊંટોને લઇ જવામાં આવશે;
    ચારેબાજુ ભયની ચીસો પડશે,
આપણે ચારેબાજુથી ઘેરાઇ ગયા છીએ
    અને આપણું પતન થયું છે.”
30 યહોવા કહે છે: “ભાગો ભાગો,
    તમારો જીવ બચાવવા નાસી જાઓ.
    હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ!
કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે
    તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે.

31 “યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ‘ઊઠો,
    અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે,
તેમના નગરોને દરવાજા કે સળિયા નથી
    અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’
32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો!
    હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ
અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.”
    આ યહોવાના વચન છે.
33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે,
કાયમ માટે તે વેરાન પ્રદેશ બની જશે,
    કોઇ ત્યાં વસશે નહિ કે કોઇ ત્યાં ઘર નહિ બનાવે.”
આ યહોવાના વચન છે.

એલામના લોકોનું ભાવિ

34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યર્મિયાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.

35 “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
એલામનું બળ એનું ધનુષ્ય છે,
    હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.
36 અને એલામના લોકોને
    હું ચારે દિશામાં વિખેરી નાખીશ.
તેઓ દેશનિકાલ થઇ વિશ્વના
    સર્વ દેશોમાં ફેલાઇ જશે.”
37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા
    તાકતા એના દુશ્મનોથી
એને હું ભયભીત બનાવી દઈશ.
    હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ,
તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી
    હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.”
    આ યહોવાના વચન છે.
38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ.
    અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.”
    આ યહોવાના વચન છે.
39 “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ.
    હું તે લોકોને પાછા લાવીશ.”
    એમ યહોવા કહે છે.

બાબિલના લોકોનું ભાવિ

50 યહોવાએ યર્મિયા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,

“સર્વ પ્રજાઓને આ સંદેશો કહો!
    ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો,
છુપાવશો નહિ, ખબર આપો કે,
    ‘બાબિલ જીતાયું છે,
બઆલ દેવની બેઆબરું થઇ છે,
    મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે;
બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે,
    તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’
કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે;
    તેઓ એ દેશને વેરાન બનાવી દેશે,
જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો
    અને પશુઓ ભાગી જશે.”
યહોવા કહે છે, “તે દિવસોમાં,
    તે સમયે, તેઓ સાથે મળીને આવશે,
તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે.
    તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.
તેઓ સિયોનના માર્ગ પૂછશે
    અને તેની તરફ આગળ વધશે.
તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી
    ન જવાય તેવો સનાતન કરાર
    કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’

“મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા,
    તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા,
અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા,
    તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા
    અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.
જે કોઇએ તેમને જોયા,
    તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા,
અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ,
    કારણ કે તેમણે યહોવા
તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો
    તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.

“ઇસ્રાએલના લોકો બાબિલમાંથી ભાગી જાઓ!
    ટોળાને દોરતા બકરાની
    જેમ આગળ થાઓ.
કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને
    બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું.
તેઓ ઉત્તરમાંથી આવી
    એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે.
તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની
    જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.
10 બાબિલ લૂંટી લેવામાં આવશે
    અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.”
આ યહોવાના વચન છે.

11 યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ,
    તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે;
તમે ભલે આનંદ માણો અને મોજ કરો,
    ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;
12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે.
    તમારા જન્મદાતાઓની નામોશી કરવામાં આવશે;
બીજી બધી સમૂહની પ્રજાઓમાં બાબિલનું સ્થાન સૌથી છેલ્લું રહેશે.
    તમારી ભૂમિ વેરાન સૂકું રણ બની જશે.
13 મારા ક્રોધને કારણે
    તે નિર્જન બની જશે,
    તે વેરાન વગડો બની જશે.
બાબિલ થઇને જતા સૌ કોઇ તેની હાલત જોઇને ભયભીત થઇ જશે
    અને તેના સર્વનાશને કારણે તેઓ સિસકારા બોલાવશે.

14 “બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ,
    તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ!
તીર વરસાવો, અચકાશો નહિ,
    કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.
15 તેની ચારે બાજુએથી રણનાદ જગાવો,
    જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે!
    તેનો કોટ પડી ગયો છે,
યહોવાએ બદલો લીધો છે,
    તેણે કર્યું હતું તેવું જ તેને કરો!
16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ.
    લોહીતરસી તરવારથી ભાગીને
ત્યાંના બધા વિદેશીઓ પોતાના વતનમાં પાછા જશે.

17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે
    કે જેની પાછળ સિંહ પડ્યો હોય,
પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો.
    પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને
    અને તેના દેશને પણ સજા કરીશ.

19 “‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ,
    તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે.
તેની ભૂખ એફ્રાઇમ
    અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.’”
20 “જ્યારે એ સમય આવશે
    ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે,
યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે,
    કારણ કે, જેમને હું જીવતા
રહેવા દઇશ તેમને માફ કરીશ.”
    આ યહોવાના વચન છે.

21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો,
ચઢાઇ કરો,
    બંડખોર દેશ બાબિલનો હું ન્યાય કરવાનો છું;
મેં તમને આજ્ઞા કરી છે
    તે પ્રમાણે તેઓનો સંહાર કરો.

22 “દેશમાં રણનાદ ગાજે છે
    અને ભયંકર વિનાશ થઇ રહ્યો છે.
23 બાબિલને હથોડા સમાન બનીને જગતના
    દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા.
હવે તે હથોડો ભાંગી ગયો છે.
    બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.
24 હે બાબિલ! મેં તારા માટે
    જાળ બિછાવી હતી
અને તું તેમાં સપડાઇ ગયો છે.
    કારણ કે તેં યહોવાની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
25 યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે
    અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢયા છે.
બાબિલ પર જે આફત આવી પડશે
    તે યહોવા દેવ સૈન્યોનો દેવ તરફથી હશે.

26 “હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો;
    તેના અનાજના ભંડારો ખોલી નાખો,
લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો,
    એનો નાશ કરો;
કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો,
    કોઇ બાકી ન રહે,
27 તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો,
    તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો!
એમના દિવસો ભરાઇ ચૂક્યા છે!
    તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
28 ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ,
    દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે
એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા.
    જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે
    તેના પર દેવે વૈર વાળ્યું છે.

29 “બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો,
    ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ
નગરને ચારે તરફથી ઘેરી લો.
    જેથી કોઇ ભાગી જવા પામે નહિ,
તેના કૃત્યોનો તેને બદલો આપો,
    એણે બીજાની જે દશા કરી છે
    તે એની કરો. કારણ કે,
એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર
    યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે.
30 તેથી યુવાન માણસો ચોકમાં માર્યા જશે.
    તેના તે જ દિવસે, તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.”
આ યહોવાના વચન છે.

31 આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે,
    “હે અભિમાની લોકો!
    હું તમારી વિરુદ્ધ છું.
હવે તમને શિક્ષા કરવાનો
    સમય આવી ગયો છે.
32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઇને પડશે,
    કોઇ તને મદદ નહિ કરે!
હું તારા ગામોમાં આગ લગાડીશ
    અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.”

33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે,
“ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે;
    તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી.
34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે.
    તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે.
તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે
    અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે.
    પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”

35 યહોવા કહે છે,
“બાબિલવાસીઓને માથે, બાબિલના વતનીઓને માથે,
    તેના આગેવાનો અને સમજણા પુરુષોને
    માથે તરવાર ઝઝૂમે છે.
36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે.
    તેમની અક્કલ બહેર મારી જશે.
તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે.
    તેમના હાથ હેઠા પડશે.
37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે.
    બીજા મિત્ર દેશોમાંથી આવેલા
યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે,
    તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે.
38 તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે?
    કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે
અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના
    પ્રેમમાં પાગલ થઇ ગયા છે.
39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો
    અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે.
    ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.”
40 યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા
    અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો
તેવી જ રીતે હું બાબિલનો નાશ કરીશ.
    તે સમયથી તે નગરોમાં કોઇ વસવાટ કરતું નથી,
એવી જ રીતે ફરીથી કોઇ બાબિલમાં વસશે નહિ.

41 “જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા,
    એક બળવાન પ્રજા આવી રહી છે;
    પૃથ્વીને દૂરને છેડે મોટા મોટા રાજાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.
42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે;
    તેઓ ક્રૂર અને ઘાતકી છે.
    ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે.
એકેએક માણસ, હે બાબિલ,
    તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.
43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યાં
    ત્યારે તેના હાથ લાચાર થઇને હેઠા પડ્યા.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ એકાએક આવી પડેલા ભયને
    કારણે તે તીવ્ર વેદનાથી પીડાવા લાગ્યો.”

44 યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં
    ઘેટાં પર સિંહ તરાપ મારે,
તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ
    મને જે કોઇ ગમશે તેને
    હું તેમની પર નીમીશ.
મારા સમાન કોણ છે?
    અને કોણ મને પડકારી શકે છે?
ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ
    ઊભો રહી શકે છે?”

45 માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે;
    તે સાંભળી લો;
“અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી
    યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને
પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે
    તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે.
46 બાબિલના પતનથી સમગ્ર
    પૃથ્વી થથરી ઉઠશે
અને તેનો આર્તનાદ બધી
    પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International