Chronological
મૂર્તિપૂજકોને સજા
9 ત્યાર પછી તેણે મોટા અવાજે કહ્યું, “હે શહેરને સજા કરનારાઓ, તમારાં શસ્ત્રો લઇને આ બાજુ આવો.” 2 અને અચાનક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી છ માણસો આવ્યાં. દરેકના હાથમાં સંહારક હથિયાર હતું. તેમની સાથે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો અને કલમ લટકાવેલા હતાં. તે બધા મંદિરમાં પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા. 3 ત્યાર બાદ ઇસ્રાએલના દેવનો મહિમા કરૂબો ઉપરથી ઊઠયો જ્યાં તે પહેલા હતો અને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો, યહોવાએ કમરે લહિયાના સાધનો લટકાવેલા સુતરાઉ રેસાના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવીને કહ્યું,
4 “યરૂશાલેમમા ચારેબાજુ સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર નિશાની કર.”
5 ત્યાર બાદ મેં યહોવાને બીજા માણસોને એમ કહેતાં સાંભળ્યાં કે, “નગરમાં તમે એની પાછળ પાછળ જાઓ અને હત્યા કરવાનું શરૂ કરો, કોઇ પણ પ્રકારની કરૂણા કરશો નહિ, ને તેમના માટે દયા રાખશો નહિ. 6 વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો સર્વનો સંહાર કરો; પણ જેઓના કપાળ પર નિશાની હોય તેવા કોઇને અડશો નહિ, મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.
7 પછી દેવે તેઓને કહ્યું, “મંદિરને ષ્ટ કરો. હત્યા થયેલાઓનાં મૃતદેહોથી મંદિરનો ચોક ભરી દો.” અને હમણાં જ જાઓ, એટલે તેમણે શહેરમાં જઇને લોકોની હત્યા કરી.
8 જ્યારે એ લોકો હત્યા કરતા હતા ત્યારે હું એકલો પડ્યો હતો. મેં સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું, “હે મારા માલિક યહોવા યરૂશાલેમ પર જ્યારે તમે તમારો રોષ ઠાલવો છો ત્યારે તમે ઇસ્રાએલમાં બાકી બચેલાઓને સંહાર કરવાના છો?”
9 તેથી દેવે જવાબ આપ્યો: “ઇસ્રાએલના તથા યહૂદાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રકતપાત અને અધમતાથી ખદબદે છે. તેઓ માને છે કે ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. અને તેઓ અમને જોતા નથી!’ 10 તેથી હું તેઓ પર સહાનુભૂતિ બતાવીશ નહિ કે દયા કરીશ નહિ. તેમણે જે કાંઇ કર્યું છે તેમના માટે હું તેઓને સજા કરીશ.”
11 એટલામાં કમરે લેખનનાં સાધનવાળો સુતરાઉ વસ્રો પહેરેલા માણસે આવીને જણાવ્યું કે, “તમારા હુકમ પ્રમાણે મેં કર્યું છે.”
યહોવાનો મંદિરત્યાગ
10 ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું. 2 પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”
અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો. 3 તે માણસ અંદર ગયો ત્યારે કરૂબ દેવદૂતો મંદિરની દક્ષિણ બાજુએ ઊભા હતા. ત્યારે અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો. 4 પછી યહોવાનો મહિમા કરૂબો ઉપરથી ઊડીને મંદિરના પ્રવેશદ્વાર આગળ ગયો. એટલે મંદિર વાદળથી ભરાઇ ગયું અને આખો ચોક યહોવાના ગૌરવનાં તેજથી ઝળાંહળાં થઇ ગયો. 5 કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો.
6 યહોવાએ શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, કરૂબો મધ્યે જઇને ફરતાં પૈડામાંથી સળગતા કોલસા લે, એટલે માણસ અંદર જઇને એક પૈડા પાસે ઊભો રહ્યો. 7 અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો. 8 કરૂબોની પાંખો નીચે માણસના હાથ જેવું કઇ દેખાતું હતું.
9 મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં. 10 બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું. 11 કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં. 12 તેઓના આખા શરીર પર, પીઠ પર, હાથ પર, પાંખો પર અને પૈડાઓ પર સર્વત્ર પુષ્કળ પ્રમાણમાં આંખો હતી. 13 અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં.
14 દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું. 15 કરૂબો ઊડીને ઊંચે ચઢયા.
કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં. 16 કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા. 17 જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.
18 પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું. 19 કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું.
20 કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા. 21 પ્રત્યેકને ચાર મોઢાં, ચાર પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કઇંક હતું. 22 તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.
યરૂશાલેમ પર ઉતરનાર આફત
11 મને પવિત્ર આત્મા ઉપાડીને મંદિરના પૂર્વ દરવાજે લઇ ગયો. આ દરવાજે મેં નગરના 25 માણસો જોયાં; મેં તેઓની વચ્ચેં લોકોના સરદાર આઝઝુરના પુત્ર યાઅઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.
2 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ તો તે લોકો છે, જેઓ દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર છે અને આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ એ જ છે; 3 તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’ 4 માટે, હે મનુષ્યના પુત્ર, તું એમને મારી ચેતવણી સંભળાવ.”
5 ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું, “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું. 6 તમે ઘણા લોકોને મારી નાખ્યા છે અને તમારી શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે. 7 તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું. 8 સર્વસમર્થ યહોવા કહે છે, તમે તરવારથી ડરો છો અને હું તમને તરવારને જ સોંપનાર છું.’
9 “અને હું તમને યરૂશાલેમમાંથી દૂર લઇ જઇને વિદેશીઓને સોંપી દઇશ. અને આ રીતે હું મારો ન્યાય કરીશ અને તમને સજા કરીશ. 10 તમે તમારા પોતાના દેશની હદમાં જ તરવારનો ભોગ બનશો. હું તમને સજા કરીશ, ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું. 11 આ શહેર કઢાઇ બની તમારું રક્ષણ નહિ કરે, હું આ ઇસ્રાએલની હદમાં જ તમને સજા કરનાર છું. 12 તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી પણ તમારી આસપાસ વસતી અન્ય પ્રજાઓનું અનુકરણ કર્યું છે, એટલે તમે જાણશો કે હું યહોવા છું.”
13 હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”
14 ફરીથી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 15 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.’
16 “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ. 17 તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ. 18 જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે. 19 હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માર્ગે ચાલશે. 20 જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.’”
21 “પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 22 પછી કરૂબો ઊંચે ઊડવા લાગ્યા અને પૈડાં પણ તેમની સાથે સાથે પર ગયાં. ઇસ્રાએલના દેવનો મહિમા તેઓની પર આચ્છાદીત હતો. 23 પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો. 24 ત્યાર બાદ સંદર્શનમાં દેવના આત્માએ મને ફરીથી ઉપાડીને બાબિલમાં દેશવટો ભોગવનારાઓ વચ્ચે લાવી મૂક્યો અને ત્યાં સંદર્શન લોપ થયું, 25 અને યહોવાએ મને જે બતાવ્યું હતું તે સર્વ મેં બંદીવાનોને કહી સંભળાવ્યું.
સાંકેતિક રજૂઆત
12 ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું બંડખોરોની જમાતની વચ્ચે વસે છે. એ લોકો છતી આંખે દેખતા નથી, છતે કાને સાંભળતા નથી. એ તો બંડખોરોની જમાત છે. 3 તેથી હે મનુષ્યના પુત્ર, તું દેશવટે જવાનો હોય એમ સરસમાન બાંધી લે અને ધોળે દિવસે સૌના દેખતાં ચાલી નીકળ; તેમના દેખતાં તું બીજે જવા નીકળી પડ. તે બળવાખોરો કદાચ તને જુએ પણ ખરા.
4 “તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ. 5 તેઓનાં દેખતાં નગરની ભીતમાં બાકોરું પાડી તેમાંથી તારો સામાન ઊંચકીને લઇ જા. 6 તેઓનાં દેખતાં તું તારો સામાન ખભે ચઢાવ અને અંધારામાં ચાલી નીકળજે. તારું મોઢું ઢાંકી દેજે અને આજુબાજુ જોઇશ નહિ. આ બધું ઇસ્રાએલીઓને ચેતવણીરૂપ થઇ પડશે.”
7 યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.
8 બીજા દિવસે સવારે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, 9 “હે મનુષ્યના પુત્ર, આ બંડખોર ઇસ્રાએલી લોકોએ પૂછયું છે કે, આ સર્વનો અર્થ શો છે? 10 તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે. 11 તું તેઓને સમજાવ; ‘હું હઝકિયેલ તમારે માટે નિશાનીરૂપ છું. મેં જે કર્યું છે તે કરવાનો તમારો વારો આવશે, તમારે દેશવટે નીકળવું પડશે અને કેદ ભોગવવી પડશે.’ 12 તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ. 13 હું તેને મારી જાળમાં ફસાવીને ખાલદીઓનાં દેશ બાબિલમાં લઇ જઇશ. પરંતુ તે જોઇ શકશે નહિ અને ત્યાં જ મૃત્યુ પામશે. 14 હું તેના બધા દરબારીઓને, અંગરક્ષકોને અને સમગ્ર સેનાને ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને હું ઉઘાડી તરવારે તેમનો પીછો પકડીશ. 15 હું તેઓને જ્યારે વિવિધ પ્રજાઓમાં વિખેરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
16 “હું તેઓમાંના થોડાને યુદ્ધ, ભૂખમરો, અને રોગચાળામાંથી ઉગારી લઇશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જઇને વસ્યા હશે ત્યાં કબૂલ કરે કે તેમનાં કૃત્યો કેટલાં અધમ હતાં, અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
17 પછી મને યહોવાની વાણી સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, તારે જમતી વખતે ધ્રુજવું અને જળપાન કરતી વખતે ભય અને ચિંતાથી થરથરવું. 19 બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે. 20 તમારા નગરો તારાજ થઇ જશે અને તમારાં ખેતરો વેરાન થઇ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
21 ફરીથી યહોવાએ મને કહ્યું, 22 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલમાં લોકો આ કહેવતને વારંવાર ટાંકે છે તે શું છે:
‘વખત વહી જાય છે
અને એકે ભવિષ્યવાણી સાચી પડતી નથી.’
23 “તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે:
‘સમય આવ્યો છે અને એકેએક
ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!’
24 “હવે પછી ઇસ્રાએલ પ્રજામાં વ્યર્થ સંદર્શન થશે નહિ. અને લોકોને ખુશ રાખવા જૂઠી પ્રબોધવાણી પ્રગટ નહિ થાય. 25 કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે.
26 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું અને તેણે કહ્યું: 27 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ એમ માને છે કે તને જે દર્શન થાય છે તે તો દૂરના ભવિષ્યનું છે, અને તું જે ભાખે છે તે કઇં આજે ફળવાનું નથી. 28 તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’” આ યહોવા મારા માલિકના વચન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International