Chronological
23 “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે.
2 તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, “એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ” એવું યહોવા કહે છે. 3 “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. 4 હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે.
પ્રામાણિક “અંકુર”
5 યહોવા કહે છે,
“એવો સમય આવી રહ્યો છે
જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ‘અંકુર’ ઉગાવીશ,
તેને રાજા તરીકે પસંદ કરીશ.
જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે
અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
6 તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો
અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે
અને તેઓ સુરક્ષિત રહેશે લોકો
તેમને યહોવા અમારું ન્યાયીપણું છે.
એ નામે બોલાવશે.”
7 યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ 8 પણ એમ કહેશે કે, ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”
જૂઠા પ્રબોધકો વિરુદ્ધ ન્યાય
9 અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે.
હું ભયથી જાગી જાઉં છું
અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું,
કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે,
અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે.
10 કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે;
આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે
અને દુકાળ પડ્યો છે.
લોકો ખોટા માર્ગે છે
અને તેઓ પોતાની સત્તાનો
યોગ્ય ઉપયોગ કરતા નથી.
11 યહોવા કહે છે,
“પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે.
મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે.
12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય
તથા લપસણા થઇ ગયા છે.
અંધકારમય જોખમી માર્ગ પર
તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે.
કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું.
જ્યારે તેઓનો સમય આવશે
ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.
13 “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે;
તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે
અને ઇસ્રાએલીઓને ખોટે માર્ગે દોર્યા છે.
14 પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે;
તેઓ વ્યભિચાર કરે છે,
અને અન્યોને છેતરે છે,
દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે
જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી;
મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે,
જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”
15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને કડવી વેલ ખવડાવીશ
અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે
આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”
16 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મારા લોકોને મારી આ ચેતવણી છે.
જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે
અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ.
તેઓ ધડમાથા વગરની વાતો કરે છે,
તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.
17 જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે
તેમને કહેવાય છે કે,
‘તમારી સાથે બધું સારું થશે,’
જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે
તેમને કહે છે, કોઇ પણ આફતથી
તમારે ગભરાવાની જરૂર નથી,
18 હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો
ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો?
કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી?
19 આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે;
એ ધૂમરી લેતો લેતો
દુષ્ટોને માથે અફળાશે.
20 તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ,
ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ.
પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે
ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.”
21 યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી.
છતાં તેઓ દોડાદોડ કરે છે;
મેં આ લોકોને કઇં કહ્યું નથી.
છતાં તેઓ મારે નામે બોલે છે.
22 તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત
તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત
અને તેમને ખોટે માર્ગેથી
અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”
23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે?
અથવા શું હું એ દેવ છું
જે પોતાના લોકોની નજીક રહે છે?
24 શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે?
શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?”
આ યહોવાના વચન છે.
25 તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ 26 આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. 27 તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. 28 આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? 29 મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી?
30 “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. 31 જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. 32 જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.
યહોવાથી દુ:ખના સંદેશ
33 પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો[a] નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.’” એમ યહોવા કહે છે.
34 “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. 35 તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?’ એવો જ પ્રયોગ કરવો. 36 આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો’ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે. કહે છે.
37 “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ 38 મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યર્મિયાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? 39 પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ. 40 અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.’”
અંજીર સંબંધી યર્મિયાનું દર્શન
24 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. 2 યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.
3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?”
મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”
4 ત્યારે યહોવાએ મને કહ્યું, 5 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. 6 તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. 7 હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.
8 “પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. 9 હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”
બંદીવાસ માટે યર્મિયાનો પ્રબોધ
25 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વર્ષે યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યર્મિયા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વર્ષે રાજ કરવાનું શરું કર્યું. 2 અને યર્મિયા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,
3 છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી. 4 વળી વર્ષોના વર્ષો સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ.
5 તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો. 6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.
7 “પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માર્ગે આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.”
8 અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી. 9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે. 10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.
12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ. 13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યર્મિયાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ. 14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”
વિશ્વના રાષ્ટ્રો સાથે ન્યાય
15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે. 16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.”
17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો. 18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.
19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.
20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,
21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને,
22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને, 23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં, 24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને, 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.
27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’
28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. 29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.’” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
30 “તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે,
‘યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ
તથા પૃથ્વી પર વસનારા સર્વની
વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે.
રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે.
યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે,
તે બધા માણસોનો ન્યાય કરે છે.
તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’”
આ યહોવાના વચન છે.
32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે,
“જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં,
એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે,
પૃથ્વીના દૂર દૂરને છેડેથી
પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”
33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.
34 હે દુષ્ટ આગેવાનો!
રડો, પોક મૂકીને રડો,
હે લોકોના ઘેટાં પાળકો!
તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે.
તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.
35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ,
નાસી જવાને રસ્તો પણ નહિ મળે.
હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.
36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે,
ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે,
કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.
37 તેમના ભયંકર રોષને કારણે
તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે.
38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા
સિંહની જેમ યહોવા બહાર આવે છે.
યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં,
પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International