Chronological
યોશિયાનું યહૂદા પર શાસન
22 જ્યારે યહૂદાનો નવો રાજા યોશિયા ગાદીએ આવ્યો ત્યારે આઠ વર્ષનો હતો, તેણે યરૂશાલેમ પર એકત્તીસ વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની પુત્રી હતી. 2 તેનું શાસન સારું હતું. તે તેના પિતૃ દાઉદને પગલે ચાલ્યો અને સંપૂર્ણ રીતે યહોવાને આધીન રહ્યો.
મંદિરના જીણોર્દ્ધારનો આદેશ આપતો યોશિયા
3 પોતાના રાજયના 18મેં વર્ષે તેણે મશુલ્લામના પુત્ર અસાલ્યાના પુત્ર શાફાનને બોલાવ્યો અને તેમને યહોવાના મંદિરમાં આ સંદેશો આપીને મોકલ્યો: 4 “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, તે પૈસા સાથે તૈયાર રહે જે પૈસા લોકોએ યહોવાને અર્પણ કર્યા હતા અને દરવાનોએ એકઠા કર્યા હતાં. 5 અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા. 6 તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા. 7 તેમને સોંપેલાં નાણાંનો તેઓ હિસાબ માગવાના નથી. કારણ, તેઓ પ્રામાણિક છે.”
નિયમશાસ્ત્રના પુસ્તકની મંદિરમાં પ્રાપ્તિ
8 મુખ્યયાજક હિલ્કિયાએ સચિવ શાફાનને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પોથી શાફાનને આપી અને તેણે તે વાંચી જોઈ.
9 પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.” 10 પછી તેણે ખબર આપી કે, “યાજક હિલ્કિયાએ મને એક પોથી આપી છે.” અને તેણે રાજાને તે પોથી મોટેથી વાંચી સંભળાવી.
11 એ જે ક્ષણે રાજાએ ટીપણાંમાં શું લખેલું છે સાભળ્યું, રાજા ખૂબ વ્યથિત બની ગયો અને તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. 12 તેણે હિલ્કિયા યાજકને, શાફાનને, પોતાના મદદનીશ અસાયાને, શાફાનના પુત્ર અહીકામને તથા મીખામાહના પુત્ર આખ્બોરને આજ્ઞા કરી. 13 “જાઓ અને મારા અને લોકોના વતી આ જે પોથી મળી આવી છે તેમાંનાં વચનો વિષે યહોવાને પ્રશ્ર્ન કરો. આપણા પર યહોવા ખૂબ રોષે ભરાયા છે અને તેઓ આપણને સજા કરશે, કારણકે આપણા પૂર્વજોએ આ પોથીમાં જે કંઈ કરવાનું લખવામાં આવ્યું છે તેનું પાલન કર્યુ નહોતું. તેમાં જે આપણે કરવું જોઇએ તેમ કહ્યું છે, તે આપણે નહોતું કર્યું.”
પ્રબોધિકાઓ હુલ્દાહ અને યોશીયા
14 યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
15 આ પ્રબોધિકાએ ઇસ્રાએલના યહોવા દેવ તરફથી તેઓને સંદેશો આપ્યો, “તમને મારી પાસે મોકલનાર માણસને કહેજો, 16 ‘યહોવા આમ કહે છે, જુઓ હું આ નગર અને તેના લોકો પર મુશ્કેલીઓ લાવવાનો છું. હા, યહૂદાના રાજાએ પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે. 17 કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકર્મોથી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.’
18 “અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ‘ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે. 19 જ્યારે તમે ખૂબ દિલગીર થયા અને મારા પગે પડ્યા, જ્યારે તમે જાણ્યું કે આ નગર અને તેના લોકો શ્રાપિત થશે અને નિર્જન થઇ જશે, ત્યારે તમે તમારા વસ્રો ફાડી નાખ્યાં અને પશ્ચાતાપથી મારી પાસે રડ્યાં, તેથી હું પણ તમને સાંભળીશ.’ અને એટલે હું આ જગ્યા પર જે આફતો ઉતારનાર છું તે તારે નજરે જોવી નહિ પડે. 20 ‘તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.’”
તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.
લોકોએ નિયમ સાંભળ્યો
23 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. 2 યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.
3 ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.
4 એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.
5 તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.
6 યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
7 તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.
8 યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો. 9 પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.
10 હવે પછી કોઈ પણ વ્યકિત પોતાના પુત્ર કે પુત્રીને મારી નાખીને તેનું બલિદાન તરીકે અર્પણ ન કરી શકે, કારણકે રાજાએ બેન-હિન્નોમની ખીણમાં આવેલી તોફેથની વેદીને પણ તોડી પાડી હતી. 11 તેણે નાથાન મેલેખના નિવાસસ્થાન પાસે મંદરિના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી ઘોડાઓની પ્રતિમાઓને તોડી પાડી. તેણે સૂર્ય દેવને સમર્પિત થયેલા રથોને બાળી મૂક્યા.
12 આહાઝના ઉપરના ઓરડા પર યહૂદાના રાજાઓએ બંધાવેલી વેદીઓ હતી, તેને તોડી પાડી. ત્યાર પછી મંદિરના બંને આંગણામાં મનાશ્શાએ બાંધેલી બે વેદીઓ હતી, તે પણ તેણે તોડી નાખી, એ સર્વને ભાંગીને ભૂકો કર્યો અને એ ભૂકો કિદ્રોનની ખીણમાં ફેંકી દીધો.
13 વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં. 14 તેણે સ્તંભો તોડી પાડયા અને અશેરાદેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેઓ જે જગ્યાએ ઊભાં હતાં તે જગ્યાઓ માણાસોનાં હાડકાંઓથી પૂરી દીધી.
15 એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી. 16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.
17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”
નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”
18 તેણે કહ્યું, “એ ભલે રહી. કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.
19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.
20 એ ટેકરી ઉપરનાં થાનકોના બધા યાજકોનો તેણે વેદીઓ પર વધ કર્યો, અને તે વેદીઓ પર તેણે માણસનાં હાડકાં બાળ્યાં, પછી તે યરૂશાલેમ પાછો ગયો.
પાસ્ખાપર્વ ઉજવતાં યહૂદાના લોકો
21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”
22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. 23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.
24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.
25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.
26 તેમ છતાં મનાશ્શાના ખરાબ કૃત્યોને કારણે યહૂદા વિરૂદ્ધ યહોવાને ચઢેલો ભારે રોષ હજુ શમ્યો ન હતો. 27 યહોવાએ જાહેર કર્યુ કે, “હું યહૂદીઓને પણ ઇસ્રાએલીઓની જેમ મારા સાન્નિધ્યથી દૂર હડસેલી મુકીશ. મેં પસંદ કરેલા આ નગર યરૂશાલેમને તેમજ યહોવાના જે મંદિરને વિષે મેં એમ કહ્યું હતું કે, ‘ત્યાં મારું નામ કાયમ રહેશે.’ તેને પણ હું દૂર કરીશ.”
28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.
યોશિયાનું મૃત્યુ
29 એના અમલ દરમ્યાન મિસરના રાજા ફારુન નકોહ આશ્શૂરના રાજાને મદદ કરવા ફ્રાત નદી આગળ જવા નીકળ્યો હતો અને રાજા યોશિયાએ તેને માર્ગમાં અટકાવ્યો હતો; નકોહ રાજાએ તેને જોયો ત્યારે તેણે એને મગિદ્દોમાં મારી નાખ્યો. 30 તેના અધિકારીઓ તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરૂશાલેમ લાવ્યા અને તેના મૃત્યુ અગાઉથી તેણે પસંદ કરી રાખેલી કબરમાં તેને દફનાવ્યો.
પછી તેના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે પસંદ કરીને અભિષ્કિત કર્યો.
યહૂદાનો નવો રાજા યહોઆહાઝ
31 યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 32 યહોઆહાઝે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું.
33 ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.
34 ફારુને યોશિયાના પુત્ર એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆહાઝને તે મિસર લઈ ગયો અને ત્યાં તેનું અવસાન થયું. 35 યહોયાકીમે ફારુનને સોનું અને ચાંદી આપ્યાં.પરંતુ લોકો પર, તેમના દરજ્જા પ્રમાણે કર નાખ્યો, તેણે તેમ કર્યું જેથી તે ફારુનની માંગોને પહોંચી વળે.
36 યહોયાકીમ ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબીદાહ હતું અને તે રૂમાહના પેદાયાની પુત્રી હતી. 37 યહોયાકીમે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું.
યહૂદાનો રાજા યોશિયા
34 જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ્ય કર્યું. 2 યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ તેણે કર્યું, સહેજ પણ આમ કે તેમ ફંટાયા વગર તે પોતાના પિતૃ દાઉદને પગલે ચાલ્યો. 3 તેના શાસનના આઠમે વર્ષે તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વર્ષે તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ. 4 તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં. 5 તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી. 6 તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ. 7 સમગ્ર ઇસ્રાએલમાં તેણે વેદીઓ ભાંગી નંખાવી અને અશેરાદેવીના સ્તંભો તોડી પાડ્યાં અને તેણે મૂર્તિઓ તોડી પડાવી, તેમનો દળીને ભૂકો કરી નંખાવ્યો, ને બધી ધૂપની વેદીઓનો નાશ કરાવ્યો. ત્યાર પછી તે પાછો યરૂશાલેમ આવ્યો.
8 દેશનું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી તેના શાસનના અઢારમા વર્ષે, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માઅસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર ફરી બાંધવા, મરામત કરાવવા મોકલ્યા.
9 તેમણે મુખ્ય યાજક હિલ્કિયા પાસે જઇને દેવના મંદિર માટે ઉઘરાવાયેલી બધી ચાંદી તેને આપી. એ ચાંદી લેવીઓ દ્વારા મનાશ્શા, એફ્રાઇમના દરવાજેથી અને ઇસ્રાએલના બાકીના ભાગમાંથી ઉઘરાવાયેલી હતી, તેમજ યહૂદામાંથી બિન્યામીનના પ્રદેશમાંથી તેમજ યરૂશાલેમના વતનીઓ પાસેથી પણ તેમણે ચાંદી ઉઘરાવી હતી. 10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે 11 સુથારોને અને કડિયાઓને આપી દીધી. જેથી તેઓ યહોબાના યહૂદાના રાજાઓ દ્વારા ભંગાર થઇ જવા દીધેલાં મોભ અને પાટિયા માટે લાકડું તેમજ ઘડેલા પથ્થર ખરીદી શકે. 12 એ માણસો પ્રામાણિકતાથી કામ કરતા હતા. મરારીના કુટુંબના લેવીઓ યાહાથ અને ઓબાદ્યા અને કહાથના કુટુંબના ઝખાર્યા અને મશુલ્લામ તેમના ઉપર દેખરેખ રાખતા હતા. બીજા લેવીઓ પણ હતા જે કુશળ સંગીતકાર હતા. 13 ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.
નિયમના પુસ્તકની પ્રાપ્તી
14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા. તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસા મારફતે આપવામાં આવેલુ યહોવાનું નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું. 15 તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “યહોવાના મંદિરમાંનું નિયમનું પુસ્તક મને મળ્યું છે;” અને પુસ્તક તેને આપી દીધું. 16 શાફાન તે પુસ્તક રાજા પાસે લઇ ગયો અને કહ્યું, “આપના સેવકો તેમને સોંપેલું કામ કરી રહ્યાં છે. 17 તેમણે યહોવાના મંદિર માટે આવેલી ચાંદી બહાર કાઢી લીધી છે, અને મુકાદમોને અને કારીગરોને સોંપી દીધી છે.” 18 રાજમંત્રી શાફાને રાજાને એ પણ કહ્યું કે, “યાજક હિલ્કિયાએ મને એક પુસ્તક આપ્યું છે.” અને તેણે તે રાજા સમક્ષ વાંચી સંભળાવ્યું. 19 નિયમશાસ્ત્રનાઁ વચનો સાંભળીને રાજાએ શોકથી પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં 20 અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે, 21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”
22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી. 23 પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો, 24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે. 25 કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’
26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે, 27 આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે, 28 હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.
29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. 30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. 31 ત્યારબાદ મંચ ઉપર ઊભા રહીને રાજાએ યહોવા સમક્ષ યહોવાને અનુસરવાની, અને તેની બધી આજ્ઞાઓ, સાક્ષ્યો અને વિધિઓ પૂર્ણ હૃદયથી પાલન કરવાની, અને તે રીતે પુસ્તકમાં લખેલી કરારની બધી શરતોનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી. 32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો. 33 યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માર્ગે ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.
યોશિયા પાસ્ખાપર્વની ઉજવણી
35 ત્યારબાદ યોશિયાએ જાહેર કર્યુ કે એપ્રિલ મહિનાના ચૌદમા દિવસે યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવામાં આવશે. તે સાંજે પાસ્ખાના હલવાનો વધ કરવામાં આવ્યો. 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નીમ્યા અને તેમને યહોવાના મંદિરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું. 3 પછી તેણે લેવીઓ, જેઓ યહોવાને સમર્પિત ઇસ્રાએલના બોધ કરનાર હતા તેમને કહ્યું કે, “ઇસ્રાએલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા મંદિરમાં પવિત્ર કોશ મૂકો. હવે એને તમારે ખભે ઉપાડવાની જરૂર નથી, હવે તમે યહોવા તમારા દેવની અને તેના લોકો, ઇસ્રાએલીઓની સેવા કરો; 4 ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી 5 સામાન્ય પ્રજાજનોના પ્રત્યેક કુળ સમૂહ દીઠ લેવીઓની એક ટૂકડી સેવામાં હોય. 6 પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.”
7 પાસ્ખાનાં અર્પણો માટે રાજાએ લોકોને 30,000 હલવાનો અને લવારાં આપ્યો. વળી 3,000 જવાન બળદો પણ આપ્યાં. 8 રાજાના અધિકારીઓએ રાજીખુશીથી યાજકોને અને લેવીઓને અને બાકીના લોકોને દાન આપ્યાં. મંદિરના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે 2,600 ઘેટાં અને બકરા તથા 300 બળદો આપ્યા. 9 લેવીઓના આગેવાનો, કોનાન્યા, શમાયા, નથાનએલ, અને તેના ભાઇઓ હશાબ્યા, યેઇએલ, અને યોઝાબાદે પાસ્ખાનાં અર્પણો માટે લેવીઓને 5,000 ઘેટાંબકરા અને 500 બળદો આપ્યાં.
10 સેવાની વ્યવસ્થા કરતાં યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પોતપોતાની ટૂકડીઓમાં રાજાના હુકમ મુજબ ગોઠવાઇ ગયા. તેમણે પાસ્ખાના બલિનો વધ કરવા માંડ્યો; 11 તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું. 12 અને દહનાર્પણમાં હોમવાના ભાગ જુદા પાડી સામાન્ય પ્રજાજનોના કુટુંબોને મૂસાનાં નિયમોમાં જણાવ્યા મુજબ યહોવાને ચઢાવવા માટે, વહેંચી આપતા હતા. એવું જ બળદોનું પણ કરવામાં આવ્યું. 13 મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં. 14 ત્યારબાદ તેમણે પોતાને માટે અને યાજકોને માટે ખાવાનું બનાવ્યું. યાજકો જે હારુનના વંશજો હતા તેઓ ખૂબ વ્યસ્ત હતા તેથી પોતાનું ખાવાનું બનાવવા અસમર્થ હતાં, તેઓ અંધારુ થાય ત્યાં સુધી દહનાર્પણો તથા મેંદાર્પણ ચઢાવતા હતા. 15 આસાફના કુળના ગાયકો, આસાફ, હેમાન, અને રાજાના ષ્ટા, યદૂથૂન દાઉદે ઠરાવેલા નિયમ મુજબ પોતાને સ્થાને ઊભા રહ્યાં, દ્વારપાળો પણ પોતપોતાને દરવાજે ઊભા રહ્યાં. તેમને પોતાનું સ્થાન છોડાવાની જરૂર નહોતી કારણ, તેમના ભાઇઓ લેવીઓએ તેમને માટે બધી તૈયારી કરી હતી.
16 આ રીતે, તે દિવસે રાજા યોશિયાની આજ્ઞા પ્રમાણે યહોવાની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવી, પાસ્ખાની ઉજવણી થઇ અને યહોવાની વેદી ઉપર દહનાર્પણ ચઢાવવામાં આવ્યું. 17 ત્યાં હાજર રહેલા ઇસ્રાએલીઓએ એ વખતે પાસ્ખાનું પર્વ અને બેખમીર રોટલીનો ઉત્સવ સાત દિવસ સુધી ઉજવ્યાં. 18 પ્રબોધક શમુએલના વખતથી ઇસ્રાએલમાં કદી પાસ્ખાનું પર્વ આ રીતે ઊજવાયું નહોતું. ઇસ્રાએલના કોઇ પણ રાજાએ યોશિયાની પેઠે પાસ્ખાનું પર્વ યાજકો, લેવીઓ, હાજર રહેલા બધા યહૂદાવાસીઓ તથા ઇસ્રાએલવાસીઓ અને યરૂશાલેમના વતનીઓ સાથે કદી ઊજવ્યું નહોતું. 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
યોશિયાનું મૃત્યુ
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. 21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે,
“ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો. 23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”
24 તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો. 25 યર્મિયા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો, 27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International