Chronological
કુંભાર અને માટી
18 યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે, 2 “તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.”
3 પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો. 4 પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી.
5 પછી યહોવાની વાણી મને સંભળાઇ: 6 “હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો. 7 કોઇ વાર હું કોઇ પ્રજાને કે રાજયને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે ખેદાનમેદાન કરી નાખવાની ધમકી આપું, 8 અને તે પ્રજા જો દુષ્ટ માર્ગેથી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું; 9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. 10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.
11 “હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માર્ગેથી પાછો વળે, પોતાનાં આચરણ અને કર્મો સુધારે.’ 12 પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ જ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે જ સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!’”
13 તેથી યહોવા કહે છે,
“બધી પ્રજાઓમાં જઇને પૂછો,
‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’
મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.
14 લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી.
હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા
પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી.
15 પણ મારા લોકો મને ભૂલી ગયા છે.
તેઓ નિરર્થક તુચ્છ મૂર્તિને ધૂપ ચઢાવે છે.
તેઓએ તેમના પૂર્વજોના સારા માર્ગોનો ત્યાગ કર્યો છે
અને પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલ્યા છે.
16 તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે
કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે.
જતા આવતા સૌ કોઇ એની દશા
જોઇને આભા બની માથું ધુણાવશે.
17 મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ
દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ.
તેમની આફતને વખતે
હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.”
યર્મિયાની ચોથી ફરિયાદ
18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યર્મિયાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યર્મિયાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.”
19 યર્મિયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ!
મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ!
20 ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં,
એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે.
તારો રોષ તેમના પરથી ઊતરે એટલા
માટે તારી સમક્ષ ઊભા રહીને
મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.
21 તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર.
તેમને તરવારની ધારે મરવા દે.
તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે.
પુરુષોને રોગથી અને જવાનો
લડાઇમાં તરવારથી માર્યા જાય.
22 અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે
અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે,
જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે,
કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે.
અને મારા રસ્તામાં તેઓએ
છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.
23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો.
તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકર્મો ભૂલશો નહિ,
તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો.
તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”
તૂટેલ બરણી
19 ત્યારબાદ યહોવાએ યર્મિયાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે. 2 નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ. 3 તું એમ કહેજે, ‘સાંભળો, હે યહૂદિયાના રાજાઓ અને યરૂશાલેમના વતનીઓ! ઇસ્રાએલના દેવ સૈન્યોના દેવ યહોવાના આ વચનો છે; હું આ જગ્યા પર એવી વિપત્તિ ઉતારનાર છું કે જે કોઇ સાંભળશે તેનાં કાનમાં ગુંજ્યા કરશે. 4 રણ કે ઇસ્રાએલે મારો ત્યાગ કર્યો છે અને તેમણે વિદેશી દેવોને દહનાર્પણો ધરાવીને આ સ્થાનને ષ્ટ કર્યુ છે. એ વિદેશી દેવો જેના વિષે તેમણે તેમના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાએ પણ ક્યારેય સાંભળ્યું નથી. તેમણે આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે. 5 તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!’” 6 યહોવા કહે છે, “‘એવો દિવસ આવશે જ્યારે આ ખીણ “તોફેથ” અથવા “બેન-હિન્નોમ” થી ઓળખાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે. 7 આ જગ્યાએ હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોની બધી યોજનાઓના માટીની બરણીની જેમ ભૂક્કેભૂક્કા ઉડાવી દઇશ! હું તેમનો તેમના દુશ્મનોને હાથે તરવારથી નાશ કરાવીશ, તેમના મૃતદેહ હું પંખીઓને અને જંગલી પશુઓને ખાવા સોંપી દઇશ. 8 હું યરૂશાલેમને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક જોશે કે મેં તેને કેટલું ભારે નુકશાન પહોંચાડ્યું છે! અને તે આ જોઇને આશ્ચર્ય પામશે, કે મે તેનો કેવો નાશ કર્યો. 9 તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના પુત્રોનું તથા પોતાની પુત્રીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.’
10 “અને હવે, યર્મિયા, તારી સાથે લાવેલી બરણીને તું આ માણસોના દેખતા તોડી નાખ. 11 તેઓને કહે, ‘યહોવા સૈન્યોનો દેવ તરફથી તમને આ સંદેશો છે; તેવી જ રીતે હું યરૂશાલેમ શહેરને તોડી નાખીશ જેમ કુંભાર એક વાસણને તોડી નાખે છે જેથી તેનું સમારકામ ક્યારેય ન થાય. તોફેથમાં ઘણા બધા લોકોને દફનાવવામાં આવશે કારણ કે તેઓને દફનાવવા માટે બીજી કોઇ જગ્યા નથી. 12 આ ખીણમાં જેવું હશે તેવું જ યરૂશાલેમમાં પણ હશે, કારણ કે હું યરૂશાલેમને પણ મૃતદેહોથી ભરી દઇશ. 13 યરૂશાલેમનાં મકાનો, યહૂદિયાના રાજાઓનાં મકાનો અને જે જે ઘરનાં છાપરાં પર લોકોએ આકાશનાં નક્ષત્રોને બલિદાન ચઢાવ્યાં છે અને બીજા દેવોને પેયાર્પણો આપ્યા છે તે બધા મકાનો “તોફેથ” જેવાં નષ્ટ બની જશે.’”
14 યહોવાએ દેવી વાણી ભાખવા યર્મિયાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો, 15 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ કહે છે; ‘મેં વચન આપ્યું છે તે મુજબ આ નગર તેમજ તેની આસપાસના નગરો પર સર્વ વિપત્તિઓ હું લાવીશ, કારણ કે તમે લોકો હઠીલા છો અને મારું કહ્યું માનતા નથી.’”
યર્મિયા અને પાશહૂર
20 ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યર્મિયાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો, 2 તેથી તેણે યર્મિયાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો. 3 બીજા દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, ‘પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે. 4 કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે. 5 આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે. 6 તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.’”
યર્મિયાની પાંચમી ફરિયાદ
7 પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે.
તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ.
કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો.
પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે.
8 કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે,
‘હિંસા અને વિનાશ!’ હે યહોવા,
તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી
અને નામોશી સહન કરવી પડે છે.”
9 હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ,
એને નામે બોલું જ નહિ.”
તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ
મારા અંતરમાં ભડભડી ઊઠે છે;
અને હું તેને કાબૂમાં રાખવા મથું છું,
પણ નથી રાખી શકતો.
10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ
ઉચ્ચારાતી સાંભળું છું
અને મને ડર લાગે છે,
તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું.
જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે,
ક્યારે ભયંકર ભૂલ કરી બેસું.
તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે
તેના પર આપણું વૈર વાળીશું.
તેઓ આ પ્રમાણે કહે છે.”
11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે.
તે પરાક્રમી તથા ભયાવહ છે.
મારા જુલમગારો ઠોકર ખાશે,
તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે;
તેઓ બધી રીતે અપમાનિત થશે
અને સદાને માટે તેઓ પર કલંક લાગશે.
12 હે સૈન્યોના દેવ યહોવા,
તમે સતનું પારખું કરો છો,
મારા મનનો અને હૃદયનો તાગ લો છો;
અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામું,
કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે.
13 યહોવાના ગીત ગાઓ,
એમનાં ગુણગાન કરો.
કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી
દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે.
યર્મિયાની છઠ્ઠી ફરિયાદ
14 તેમ છતાં મારા જન્મનો
દિવસ શાપિત થાઓ!
15 તને પુત્ર થયો છે એવી વધામણી
મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ.
16 તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ.
જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે,
ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય;
સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય,
17 કારણ કે, તેણે મને ગર્ભમાં
જ મારી ન નાખ્યો,
તો મારી માતા
જ મારી કબર બની હોત,
તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત.
18 હું કષ્ટો અને દુ:ખ સહન કરવા માટે,
શરમાળ જીવન જીવવા માટે
શું કામ ગર્ભમાંથી બહાર આવ્યો?
યરૂશાલેમની હારની ભવિષ્યવાણી
21 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે, 2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”
3 ત્યારે યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે, 4 ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે.
5 “‘કારણ, હું જાતે ભારે રોષ અને ક્રોધપૂર્વક પૂરા બળ અને પરાક્રમથી તમારી સામે ઝઝુમીશ. 6 આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે. 7 અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’
8 “તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. 9 જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ. 10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.’” આ યહોવાના વચન છે.
11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે:
‘ધ્યાનથી સાંભળ!
12 હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો,
જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે
તેને તેના હાથમાંથી છોડાવ,
નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે
મારો રોષ ભભૂકી ઊઠશે
અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે
તે હોલવ્યા વગર ભડભડયા કરશે.’
13 “અરે, હે યરૂશાલેમ
હું તારી વિરુદ્ધ થઇ ગયો છું.
ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું
તું એમ કહે છે કે,
‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે,
કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’”
આ યહોવાના વચન છે.
14 “પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ.
એમ યહોવા કહે છે:
હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર
સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”
દેવનું દુષ્ટ રાજાઓ વિષે ન્યાયાસન
22 પછી યહોવાએ મને યહૂદિયાના રાજાના મહેલમાં જઇને આ પ્રમાણે સીધી વાત કરવા કહ્યું: 2 “‘દાઉદના રાજ્યાસન પર બેઠેલા હે યહૂદિયાના રાજા, તું અને તારા અમલદારો તથા યરૂશાલેમના બધાં વતનીઓ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. 3 હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિર્દોષનું લોહી રેડશો નહિ. 4 જે હું તને કહું છું જો તું સાચે જ કરે તો, હું ખાતરી કરીશ કે તે રાજાઓ જે દાઉદના રાજ્યાસન પર બેસે છે. તેઓ આ દ્વાર તરફથી જશે. તેઓ રથોમાં અને ઘોડા પર સવારી કરશે અને તેઓના ચાકરો અને તેઓના લોકો પણ. 5 પણ જો તમે મારી ચેતવણી તરફ ધ્યાન નહિ આપો, ને મારું કહ્યું નહી કરો તો હું મારા પોતાના સમ ખાઇને કહું છું કે, આ મહેલ ખંડેર બની જશે. આ હું યહોવા બોલું છું.’”
6 યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે,
“તું મારે મન ગિલયાદ જેવો,
લબાનોન પર્વતના શિખર જેવો છે.
તેમ છતાં હું સમ ખાઉ છું,
તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ.
7 હું તારો વિનાશ કરવા માટે માણસો નક્કી કરીશ.
તેઓ દરેક જણ હાથમાં કુહાડો લઇને
તારા ગંધતરૂના સુંદરમાં સુંદર વૃક્ષોને
કાપી નાખશે અને અગ્નિમાં હોમી દેશે.
8 “તારાજ થયેલા આ નગરની પાસેથી પસાર થતાં, ઘણી પ્રજાઓના લોકો એકબીજાને કહેશે, ‘યહોવાએ શા માટે આ નગરનાં આવા હાલ કર્યા? શા માટે તેમણે આવા મહાન નગરનો વિનાશ કર્યો?’ 9 ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.’”
રાજા યહોઆહાઝ વિરુદ્ધ ન્યાય
10 યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે
તેને માટે ચિંતા કરશો નહિ,
તેમ તેનો શોક પણ ન કરશો;
પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો,
કારણ તે કદી પાછો આવવાનો નથી.
તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી.
11 તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે: 12 “તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”
રાજા યહોયાકીમ વિરુદ્ધ ન્યાય
13 “યહોયાકીમ રાજા તારી પર શરમ છે,
કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે,
કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે.
તેં જ તારા સાથી માણસોને તેમને
તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.
14 “તે કહે છે,
‘હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ,’
પછી તેમાં બારીઓ મૂકાવીશ,
સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ
તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”
15 “પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી!
તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વર્ષો સુધી રાજ કર્યું?
કારણ કે તે ન્યાયી હતો
અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો.
તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.
16 ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી,
તેથી તે બધી વાતે સુખી હતો.
આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે.
આ યહોવાના વચન છે.
17 “પણ તને તો સ્વાર્થ સિવાય બીજું
કશું જોવાને આંખો જ નથી,
નથી તને નિર્દોષનું લોહી રેડવા
અને ઘાતકી અત્યાચારો કરવા સિવાય બીજા કશા વિચાર આવતા.”
આ યહોવાના વચન છે.
18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે,
“તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ,
ઓ મારા ભાઇ!
અથવા ઓ મારી બહેન!
એવું બોલીને રડશે નહિ.
તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ.
‘મારા માલિક! મારા રાજા!’
એમ કહીને કોઇ રડશે નહિ.
19 એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે,
તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.
20 “હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર!
બાશાનમાં જઇને પોકાર કર!
અબારીમ પર્વત પરથી હાંક માર!
કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે.
21 “જ્યારે તુ સમૃદ્ધ થતો હતો;
ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું,
હું નહિ સાંભળુ.
તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે,
તેં કદી મારું કહ્યું કર્યું નથી.
22 તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે.
તારા સર્વ મિત્રોને ગુલામો
તરીકે દેશવટે લઇ જવામાં આવશે,
આખરે તારી દુષ્ટતાને કારણે
તારી બદનામી થશે,
ને તું શરમ અનુભવશે.
23 “લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય
મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે.
પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે
ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!”
રાજા કોન્યાહ વિરુદ્ધ ન્યાય
24 જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત. 25 તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ. 26 હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો. 27 અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.”
28 મેં કહ્યું, આ માણસ કોન્યા,
એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે.
તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે.
અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી.
29 હે ભૂમિ, ભૂમિ, ભૂમિ!
તું યહોવાના વચન સાંભળ!
30 યહોવા કહે છે: “‘લખી રાખોકે આ માણસને સંતાન નહી થાય.
જીવનમાં એ કદી સફળ નહિ થાય.
એ કોઇ વંશજ નહિ મૂકી જાય,
જે દાઉદના રાજ્યાસન પર
બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International